સુરતના બદ્રીનારાયણ મંદિર, રામેશ્વર મહાદેવ અને એકલિંગી મહાદેવ, મંદિરોમાં વિશિષ્ટ પૂજા
જયેશ બ્રહ્મભટ્ટ
આજરોજ તા.3 સપ્ટેમ્બર 2018ને ગુજરાતી માસ પ્રમાણે પવિત્ર શ્રાવણ મહિનાનો સોમવાર અને સપ્ટેમ્બરમાં જન્માષ્ટમીનો સંયોગ ૨૭ વર્ષે થઈ રહ્યો છે. આજે તા.૩ સપ્ટેમ્બર 2018, વિક્રમ સંવત-૨૦૭૪ની જન્માષ્ટમી ‘રાજયોગ’યુક્ત બની રહી છે ત્યારે દેવાધિદેવ મહાદેવજી અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણની વિશિષ્ટ ઉપાસનાનો વિશિષ્ટ દિવસ પણ બની રહ્યો છે. આજે સવારથી જ શહેરના શિવાલયોમાં ‘ઓમ્ નમ: શિવાય’ અને રાત્રે શ્રીકૃષ્ણ જન્મોત્સવ સમયે ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી’નો જયઘોષ ગાજી રહ્યા છે. પવિત્ર શ્રાવણ માસનો આજે છેલ્લો સોમવાર અને ગોકુળ અષ્ઠમીનો તહેવાર એક સાથે હોઇ આજે વહેલી પરોઢ એટલે કે રાત્રે 3 વાગ્યાથી જ ભાવિકો ભગવાનમય બની ગયા હતા. આજે સવારનો સમય શિવાલયોમાં હકડેઠઠ માનવ મેદની ઉટી પડી હતી અને સાંજ પછી મધરાત સુધી ક્રૃષ્ણ મંદિરોમાં લોકોની ભીડ જોવા મળશે.
પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે શહેરના શિવાલયોમાં શિવજીની આરાધના માટે ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જે મંદિરોમાં શ્રાવણ માસ દરમિયાન દરરોજ પૂજા થતી હતી એ મંદિરોમાં આજે છેલ્લા સોમવારે ભગવાન શિવ અને પરિવારને અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો.
બદરીનારાયણ મંદિરમાં સાઇ કોર્પોરેશનના સભ્યોની નિત્ય શિવપૂજા
શહેરના અડાજણ વિસ્તારમાં બદ્રીનારાયણ મંદિરમાં દૈનિક પૂજા કરતા નાનપુરા, સાઇ કોર્પોરેશન ગ્રુપના સભ્યોએ આજે શિવજીની શોડષોપચાર પૂજા ઉપરાંત શિવલિંગનો ફુલોનો અનોખો શણગાર કર્યો હતો. જે તસ્વીરમાં દ્રશ્યમાન છે. છેલ્લા ઘણા વર્ષોથી બદરીનારાયણ મંદિરમાં શ્રી સાઇ કોર્પોરેશનના સભ્યો શ્રી અશોકભાઇ રાંદેરીયાના વડપણ હેઠળ શ્રી બિરજુ મહારાજના સાનિધ્યમાં શિવ પૂજન કરી રહ્યા છે. શ્રાવણ માસમાં નિત્યક્રમ અનુસાર સવારે 4.30 કલાકથી અહીં શિવપૂજા શરૂ કરી દેવામાં આવે છે.

(અડાજણના બદ્રીનારાયણ મંદિરમાં રોજેરોજ પૂજા કરતા સાઇકોર્પોરેશન ગ્રુપના સભ્યોએ શ્રાવણ માસના છેલ્લા સોમવારે શિવજીને મનોરમ્ય શણગાર કર્યો હતો એ વેળાની તસ્વીર)
પાલના એકલિંગી મહાદેવ મંદિરમાં સવાલાખ પાર્થેશ્વર શિવલિંગનું નિર્માણ અને પૂજા
શહેરના પાલ વિસ્તારમાં આરટીઓની બાજુમાં આવેલા શ્રી એકલિંજી મહાદેવ મંદિર અન્નપૂર્ણા માતા મંદિર તથા સિદ્ધિવિનાયક મંદિર
સૂર્ય દેવ સ્વરૂપે પાર્થેશ્વર શિવલિંગનું નિર્માણ સમગ્ર શ્રાવણ માસ દરમિયાન રોજેરોજ કરવામાં આવે છે. શ્રાવણ માસ દરમિયાન રોજેરોજ 4500 પાર્થેશ્વર શિવલિંગનું નિર્માણ કરીને શ્રાવણ માસની પૂર્ણાહૂતિ સુધીમાં સવા લાખ શિવલિંગનું નિર્માણ કરીને તેની પૂજા કરવામાં આવે છે. પ્રસ્તુત તસ્વીરમાં તા.2 સપ્ટેમ્બરના રોજ નિર્માણ કરાયેલા પાર્થેશ્વર શિવલિંગની પૂજા દ્રશ્યમાન છે. અહીં ભાવિકો દરરોજ સવારે 9થી રાત્રે 6 સુધી દર્શન કરી શકે છે.
મંદિર પરિસરના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી નીતિનભાઇ મહેતાએ જણાવ્યું હતું કે શ્રી એકલિંજી મહાદેવ મંદિર અન્નપૂર્ણા માતા મંદિર તથા સિદ્ધિવિનાયક મંદિરમાં પવિત્ર શ્રાવણ માસના પુનિત પર્વે સવા લાખ શિવ પાર્થેશ્વર ચિંતામણિ મહાઅનુષ્ઠાનનો કાર્યક્રમ હાલ ચાલી રહ્યો છે. શાસ્ત્રોમાં આ પૂજાનો ખૂબ મહિમા લખાયો છે અને આ એક કપરું ધાર્મિક કાર્ય છે. મંદિર પરિસરમાં સફળતાપૂર્વક પૂજા ચાલી રહી છે અને મોટી સંખ્યામાં ભાવિકો સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી દર્શનાર્થે આવી રહ્યા છે.
આ કાર્યક્રમની પૂર્ણાહૂતિ તા.9મી સપ્ટેમ્બર 2018ના રોજ રવિવારે સાંજે પાંચ વાગ્યે યોજાશે.

અડાજણ રામેશ્વર મહાદેવ મંદિરમાં દૈનિક શિવપૂજા
એવી જ રીતે અડાજણ રામજી ઓવારા સ્થિત રામેશ્વર મહાદેવ મંદિરમાં પણ દૈનિક શિવપૂજા થાય છે. શનિવારે પંચ વક્ત્ર પૂજા કરવામાં આવી હતી. મંદિરના પૂજારી શ્રી પ્રકાશભાઇ શુક્લએ જણાવ્યું હતું કે આજે શ્રાવણ માસના અંતિમ સોમવારની પૂજા રાત્રે આઠ વાગ્યે અને એ પછી રાત્રે 10.30 કલાકથી જન્માષ્ટમની પૂજા અને ક્રૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે.

(અડાજણના રામજી ઓવારે આવેલા રામેશ્વર મંદિરમાં રોજેરોજ શિવપૂજા થાય છે રવિવાર તા.2 સપ્ટેમ્બરના રોજ લેવાયેલી આ તસ્વીર)
સવારથી જ મટકીફોડ કાર્યક્રમો પણ શરૂ
બીજી તરફ સવારે 10 વાગ્યાથી જ શહેરના ગોવિંદા મંડળીઓ દ્વારા પોતપોતાના વિસ્તારોમાં મટકી ફોડ કાર્યક્રમો શરૂ કરી દેવામાં આવ્યા છે. શહેરમાં દર વર્ષો વધુને વધુ લોકો પોતાના ઘર, ઓફિસ વગેરે સ્થળોએ મટકીઓ બંધાવીને ગોવિંદા કાર્યકરો પાસે તેને ફોડાવે છે. આ વર્ષે પણ વિક્રમી સંખ્યામાં મટકીઓ બંધાવડાવવામાં આવી હોવાની માહિતી મળી છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


