કોકરોચ જનતા પાર્ટી દિલ્હીમાં ફરી કરશે આંદોલન: 5 સપ્ટેમ્બરે ઇન્ડિયા ગેટ પર ધરણાં

જંતર-મંતર ખાતે 1 મહિનાથી વધુ સમય સુધી આંદોલન ચલાવનાર કૉકરોચ જનતા પાર્ટી(CJP) દ્વારા ફરી એકવાર દેશની રાજધાની દિલ્હીમાં મોટા પાયે એકત્ર થવાની જાહેરાત કરવામાં આવી છે. પક્ષે 5 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં શાંતિપૂર્ણ વિરોધ માર્ચ યોજવાની જાહેરાત કરતાં આરોપ લગાવ્યો છે કે, ભારત સરકારે 25 જુલાઈના રોજ યુવાનોને આપેલા વચનો પૂરા કર્યા નથી. પક્ષના જણાવ્યા અનુસાર, સરકારના વચનો બાદ જ યુવાનોએ સદ્ભાવના દર્શાવીને પોતાનો દેશવ્યાપી વિરોધ પાછો ખેંચ્યો હતો.
5 સપ્ટેમ્બરના રોજ યોજાનારી આ શાંતિપૂર્ણ માર્ચ ઇન્ડિયા ગેટથી શરૂ થઈને નવી દિલ્હી પોલીસ મુખ્યાલય તરફ આગળ વધશે. CJPના સહ-સંયોજક સૌરવ દાસ(Sourav Das)ના જણાવ્યા પ્રમાણે, આ વિરોધ માર્ચનું નેતૃત્વ NEET પરીક્ષા સંબંધિત કેસોમાં જીવ ગુમાવનારા વિદ્યાર્થીઓના પરિવારો અને કથિત પોલીસ બર્બરતાનો ભોગ બનેલા લોકો કરશે. આ કાર્યક્રમમાં દેશભરમાંથી વિદ્યાર્થીઓ, યુવા સંગઠનો અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાય તેવી શક્યતા છે. પક્ષે જણાવ્યું કે, ‘અમે જેન જી, યુવા પ્રદર્શનકારીઓ અને મૃતકોના પરિવારો સાથેનો વિશ્વાસઘાત સ્વીકારીશું નહીં. 5 સપ્ટેમ્બર, ઈન્ડિયા ગેટ. યુવાનો ફરી એકવાર એકઠા થશે.’
પક્ષ દ્વારા સોમવારે રાષ્ટ્રીય કાર્યસમિતિની ઓનલાઇન બેઠક બોલાવવામાં આવી હતી. બેઠકમાં કેન્દ્ર સરકાર અને શાસિત રાજ્યો દ્વારા આપવામાં આવેલા વચનોની સમીક્ષા કરવામાં આવી હતી, જેના આધારે 25 જુલાઈના રોજ વિરોધ પ્રદર્શન પાછો ખેંચાયો હતો. સમિતિના સભ્યોએ સરકારની દાનત પર શંકા વ્યક્ત કરી હતી.
CJP તરફથી બહાર પાડવામાં આવેલા લેખિત નિવેદનમાં જણાવાયું કે, ‘1 મહિનો વીતી ગયો છે. વચનો પૂરા કરવાને બદલે સરકારે માત્ર વિલંબ કર્યો છે અને સુપ્રીમ કોર્ટ સમક્ષ પણ સ્પષ્ટ ખાતરી આપી નથી. આ સ્થિતિ ચાલુ રહી શકે નહીં. અમારી ધીરજને નબળાઈ ન ગણવામાં આવે. અમારી સદ્ભાવના સરકાર માટે છેતરપિંડી કરવાની તક બની શકે નહીં. રાષ્ટ્રીય કાર્યસમિતિએ 5 સપ્ટેમ્બર 2026ના રોજ નવી દિલ્હીમાં શાંતિપૂર્ણ માર્ચ યોજવાનો નિર્ણય કર્યો છે.’
નીટ પેપર લીક મામલે જંતર-મંતર ખાતે આંદોલન દરમિયાન પક્ષે સરકાર સમક્ષ મુખ્ય 3 માંગણીઓ રાખી હતી. જેમાં સૌથી મોટી માંગ તત્કાલીન શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની હતી, જે માંગ પૂરી થયા બાદ આંદોલન પાછું ખેંચવામાં આવ્યું હતું. આ સિવાય અન્ય 2 મુખ્ય માંગણીઓમાં પેપર લીકની ઘટનાઓને કારણે આપઘાત કરનારા વિદ્યાર્થીઓના પરિવારોને 1 કરોડ રૂપિયાનું વળતર આપવું અને આંદોલનકારીઓ સામે નોંધાયેલા કેસ પાછા ખેંચવાનો સમાવેશ થાય છે. પક્ષનો આરોપ છે કે સરકારે આ બંને વચનો પૂરા કરવાની ખાતરી આપી હતી, જેનો હજુ સુધી અમલ થયો નથી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now

