હવે મેરેજમાં 200 મહેમાનોની મંજૂરી : 3/11થી અમલ
ગુજરાતમાં જેમ જેમ કોરોનાના કેસો ઓછા થઇ રહ્યા છે તેમ તેમ સરકારે અનલોકની પ્રક્રિયાને વધુ મુક્ત બનાવવાનું શરૂ કર્યું છે. હવે ગુજરાતમાં મેરેજ સમારંભોમાં 200 મહેમાનોને આમંત્રિત કરવાની છૂટ આપવામાં આવી છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર, ગુજરાત સરકારે પણ લગ્નપ્રસંગમાં 200 લોકોને ભેગા થવાની છૂટ આપી છે.

સરકારે એવી પણ સ્પષ્ટતા કરી છે કે છૂટ ભલે 200 લોકોને એકત્ર થવાની આપી હોય, પરંતુ તેમાં માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું પાલન કરવાનું રહેશે.
લગ્ન અને મરણ જેવા પ્રસંગોમાં જ સૌથી વધુ લોકો એકત્ર થતા હોય છે. જોકે, ભીડભાડમાં કોરોના વધુ ફેલાતો હોવાના કારણે સરકારે તેના પર આકરા નિયંત્રણો લાદ્યા હતા. બીજી તરફ, લોકડાઉન અને કોરોનાને કારણે અનેક લગ્નપ્રસંગો પણ રદ્દ થયા હતા.
સપ્ટેમ્બર મહિનાની સરખામણીમાં ઓક્ટોબરમાં ગુજરાતમાં કોરોનાના કેસોમાં ખાસ્સો ઘટાડો થયો છે. ગઈકાલે રાજ્યમાં 900થી ઓછા નવા કેસો નોંધાયા હતા. નવા કેસોમાં ઘટાડો થવાની સાથે રિકવરી રેટમાં વધારો થયો છે, અને મૃત્યુદરમાં પણ ઘટાડો નોંધાયો છે.
કોરોનાને કારણે આ વર્ષે ગુજરાતમાં નવરાત્રીમાં ગરબા માટે છૂટ પણ નહોતી અપાઈ. હવે દિવાળીના તહેવાર પણ નજીક આવી રહ્યા છે, ત્યારે પણ લોકોને બને ત્યાં સુધી ઘરે રહીને જ ઉજવણી કરવા અપીલ કરવામાં આવી રહી છે.
કેન્દ્રિય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને પણ તાજેતરમાં ચેતવણી આપી હતી કે તહેવારોમાં લોકો ઘરોની બહાર વધુ નીકળશે અને તેનાથી કોરોનાના કેસ વધી શકે છે. તેમણે તહેવારોના સમયમાં સાચવી લઈને અત્યારસુધીની કોરોનાની લડત પર પાણી ન ફરી જાય તે સુનિશ્ચિત કરવા પણ લોકોને અપીલ કરી હતી.
અત્યારસુધી લગ્નપ્રસંગમાં 100 લોકો જ ભેગા થઈ શકતા હતા. જેમાં હવે વધારો કરવામાં આવ્યો છે. જોકે, બંધ હોલમાં જો લગ્નપ્રસંગ હોય તો હોલની કેપેસિટીના અડધા લોકો જ ભેગા થઈ શકેશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
