Ahmedabad : જગન્નાથજીની 143મી રથયાત્રા આ વર્ષે સાદાઈથી

સમગ્ર ભારતમાં મુંબઇ પછી જ્યાં કોરોનાના સૌથી વધુ કેસો મળી આવ્યા છે અને હજુ મળી રહ્યા છે એવા અમદાવાદ ખાતે આગામી તા.23મી જૂનના રોજ ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા તો નીકળશે પરંતુ, બિલકુલ સાદાઇથી કાઢવા અને લોકો ભેગા ન થાય એ રીતે યોજવા માટે તંત્ર અને મંદીર ટ્રસ્ટીઓ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.
જગન્નાથજી મંદિરમાં ટ્રસ્ટીઓ, મહંતોની રથયાત્રા સંદર્ભની પ્રાથમિક ચર્ચા માટેની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે આ વર્ષે રથયાત્રા સાદાઈથી નીકળશે. જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝાએ જણાવ્યું કે, આ વખતે રથયાત્રામાં અખાડા, ટ્રક, ભજનમંડળીઓ નહીં જોડાય.
જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝાએ જણાવ્યું હતું કે જેઠ સુદ પૂર્ણિમાએ જળયાત્રા મહોત્સવ કે જે ખૂબ જ ધામ-ધૂમ પૂર્વક ઉજવાતો હોય છે અને લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડતાં હોય છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીને પગલે ઊભા થયેલા સંજોગોને કારણે 5મી જૂન, 2020 શુક્રવારે જેઠ સુદ પૂર્ણિમાએ જળયાત્રાનું આયોજન પણ અત્યંત સાદાઈથી યોજાશે. જેમાં નગરજનો જોડાઈ શકશે નહીં.
જળયાત્રામાં મંદિરના મહંત, પૂજારી અને માત્ર ગણતરીનાં વ્યક્તિઓ જ સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખીને ભગવાનનાં જળાભિષેક માટે સાબરમતી નદીનાં સોમનાથ ભૂદરના આરે જશે. જ્યાંથી વિધિવત્ ગંગાપૂજન વિધિ બાદ કળશમાં જળ ભરીને મંદિરમાં લાવવામાં આવશે.
રથયાત્રાનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે જેથી શ્રદ્ધાળુઓ ઘરે બેસીને જગન્નાથજીની રથયાત્રાના દર્શન કરી શકશે. આ રથયાત્રામાં રથ ખેંચનાર સિવાય લગભગ અન્ય કોઈ નગરજનોને હાજર નહીં રહે. ભગવાનના મામેરામાં પણ આ વખતે માત્ર એક કે બે વ્યક્તિને જ આમંત્રિત કરવામાં આવશે. 21 જૂને નેત્રોત્સવ વિધિ યોજાશે, પરંતુ સૂર્યગ્રહણ હોવાથી આ વખતે નેત્રોત્સવ વિધિ બપોરે 4 વાગ્યા બાદ થશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


