ઝારખંડ : ઝારખંડ મુક્તિ મોરચા – કોંગ્રેસ ગઠબંધને ભાજપ પાસેથી સત્તા ખૂંચવી
ભાજપને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટણી સર્વેક્ષણોનાં અનુમાન મુજબ જ ઝટકો લાગ્યો છે અને ઝારખંડ મુક્તિ મોરચા – કોંગ્રેસ-રાજદનાં ગઠબંધને બહુમત મેળવીને ભાજપ પાસેથી સત્તા ખૂંચવીને કબજો જમાવી દીધો છે. મોડી સાંજ સુધીમાં 81 બેઠકો ધરાવતી વિધાનસભામાંથી 3પ બેઠકોનાં પરિણામ જાહેર થયા ત્યારે જ ભાજપે હાર સ્વીકારી લીધી હતી અને સામે છેડે જેએમએમ-કોંગ્રેસ ઉપર અભિનંદન વર્ષા શરૂ થઈ ગઈ હતી.’ હેમંત સોરેન 28મીએ મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કરે તેવી સંભાવના છે. બીજી બાજુ મુખ્યમંત્રી પદેથી રઘુબરદાસે રાજીનામું આપી દીધું છે. જ્યારે કોંગ્રેસે પરિણામ પછી નાયબ મુખ્યમંત્રી પદની માગણી ઉઠાવી હતી.
આ સાથે જ ભાજપ માટે વર્ષ 2019 મિશ્ર પરિણામો લાવનારું બની ગયું હતું. એકબાજુ લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવી હતી તો બીજીબાજુ ઉપરાઉપરી રાજ્યોની ચૂંટણીમાં તેને પરાજયનો સામનો કરવાનો વારો આવ્યો છે. જેમાં આ વર્ષ જતાં-જતાં તેને ઝારખંડનાં રૂપમાં વધુ એક આંચકો આપતું ગયું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનાદેશનો સ્વીકાર કરતાં સાંજે ઝારખંડ મુક્તિ મોરચા અને જેમની સરકાર બનવા જઈ રહી છે તે મુખ્યમંત્રી પદનાં દાવેદાર હેમંત સોરેનને અભિનંદન પાઠવ્યા હતાં. આવી જ રીતે ભાજપનાં અધ્યક્ષ અમિત શાહે પણ કહ્યું હતું કે, જનાદેશનો આદર છે. તેમણે ટ્વિટરનાં માધ્યમથી ઝારખંડની જનતાનો પણ પાંચ વર્ષ સુધી સેવા કરવાનો મોકો આપવા બદલ આભાર માન્યો હતો અને પક્ષ વિકાસ માટે પ્રતિબદ્ધ હોવાનું ઉમેર્યુ હતું. તો તમામ બેઠકોનાં પરિણામો બહાર આવે તે પહેલા જ મુખ્યમંત્રી રઘુબર દાસે પણ હાર કબૂલતા કહ્યું હતું કે, તેઓ અંતિમ પરિણામોની રાહ જોઈ રહ્યા છે પણ જો ભાજપનો પરાજય થાય તો આ પક્ષનો નહીં પણ તેમનો વ્યક્તિગત પરાજય હશે. અત્રે ઉલ્લેખનીય છે કે રઘુબર દાસ પહેલા ઝારખંડ મુખ્યમંત્રી છે જેમણે પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે. ચૂંટણી પરિણામોમાં જીત લગભગ સુનિશ્ચિત દેખાતા હેમંત સોરેને જનાદેશને વધાવતા કહ્યું હતું કે, તેઓ બધાને ખાતરી આપવા માગે છે કે, કોઈપણ પ્રકારનાં ભેદભાવ વગર તમામ લોકોની મહત્વાકાંક્ષાઓ પૂરી કરવામાં આવશે.
રાત્રે 8 કલાકે કુલ 81 બેઠકોમાંથી 37નાં પરિણામો જાહેર થઈ ગયા છે. જેમાં ભાજપની 13, કોંગ્રેસની 8 અને જેએમએમની 13 બેઠકો ઉપર જીત થઈ ચૂકી છે.
12 બેઠકો ઉપર ભાજપ, 8 બેઠકો ઉપર કોંગ્રેસ અને 17 બેઠકો ઉપર જેએમએમ આગળ છે. જો આ વલણ પ્રમાણે જ અંતિમ પરિણામો રહે તો ભાજપ 2પ બેઠકો ઉપર સમેટાઈ શકે છે. જ્યારે કોંગ્રેસ અને જેએમએમનાં ગઠબંધનને કુલ મળીને 46 બેઠકો મળે તેવી સંભાવના છે. આમ તે બહુમતનો જાદુઈ આંક આસાનીથી પાર કરી લેશે તેવું ટ્રેન્ડ ઉપરથી દેખાય છે.
મુખ્યમંત્રી રઘુબર દાસ 4000 મતે અપક્ષ લડનાર પૂર્વ મુખ્યમંત્રી સર્યુ રોય સામે જમશેદપુર – પૂર્વ બેઠક ઉપર પાછળ ચાલી રહ્યા છે અને તેમની હાર નિશ્ચિત જણાવાય છે. સામે પક્ષે મુખ્યમંત્રી પદનાં દાવેદાર હેમંત સોરેન દુમકા અને બરહેટ બન્ને બેઠક ઉપરથી જીતી ગયા હતાં અને આ વિજયથી ગદગદ સોરેન સાઈકલ લઈને અભિવાદન ઝીલવા નીકળી ગયા હતાં.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now