અરવિંદ કેજરીવાલે સુરત ખાતેથી મોટી જાહેરાત કરી હતી.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સુરત પ્રવાસે છે. સુરત પહોંચેલા અરવિંદ કેજરીવાલે ગુજરાત માટે મોટી જાહેરાત કરી છે. અરવિંદ કરેજરીવાલે વીજળીના ભાવ ઘટાડવાની ગેરંટી આપી છે. કેજરીવાલે જણાવ્યું કે, ગુજરાતમાં સરકાર બન્યાના 3 મહિનામાં ફ્રી વીજળી આપીશું. દરેક પરિવારને 300 યુનિટ ફ્રી વીજળી મળશે. તેમણે આગળ કહ્યું કે, ગુજરાતમાં લોકોને ખોટા ખોટા બિલો આપવામાં આવે છે.
કેજરીવાલે કહ્યું કે, અમારી સરકાર બનતા જ 31 મહિના પહેલાના તમામ ડોમેસ્ટિક બિલ માફ કરાશે અને એવી વ્યવસ્થા કરીશું કે ખોટા બિલ નહીં આવે. તેમણે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, લોકો માટે હાલમાં મોંઘવારી સૌથી મોટી સમસ્યા છે. તેમણે આગળ કહ્યું કે, અમે જે બોલીએ છીએ તે કરીને બતાવીએ છીએ. અમે ખોટા વચનો નથી આપતા. કેજરીવાલે દાવો કર્યો કે, આમ આદમી પાર્ટી દિલ્હી અને પંજાબની જેમ ભારે બહુમતી સાથે ગુજરાતમાં સરકાર બનાવશે.
સુરતમાં આવેલા કેજરીવાલે મોટા ઉપાડે ગુજરાતની જનતાને 300 યુનિટ સુધી વીજળી વિના મુલ્યે આપવાની જાહેરાત કરી હતી. પરંતુ આ પત્રકાર પરિષદમાં વીજળીના ભાવ અને દારુ અંગે કેજરીવાલના ડબલ સ્ટાન્ડર્ડ બહાર આવ્યા હતા.
આ ઉપરાંત તમને પ્રશ્ન પૂછ્યો હતો કે સરકારની આવક વધારવા માટે દિલ્હીમાં જે રીતે શરાબના ઠેકાના કોન્ટ્રાક્ટ અપાયા છે તો ગુજરાતમાં કેવી રીતે આવક વધારાશે ? દિલ્હીના શરાબ ઠેકા અંગે તેઓએ કોઈ જવાબ આપ્યો ન હતો. પરંતુ ગુજરાતમાં હાલ જે દારું બંધી છે તેમાં ગેરકાયદેસર દારુ આવે છે અને તેને કડકાઈથી બંધ કરાવીને ગુજરાતમાં દારૂબંધી નો અમલ કડકાઈથી કરાવીશું તેમ કહ્યું હતું.
હોટલમાં સુરતના અલગ-અલગ સમાજના અગ્રણીઓ સાથે બેઠક કરી છે. કેજરીવાલે સુરતના કેટલાક ઉદ્યોગપતિઓ સાથે પણ મુલાકાત કરી હતી.
આ ઉપરાંત તેઓએ કહ્યું હતું કે ગુજરાતની જનતા ભાજપ થી ડરી રહી છે ભાજપે તેમને ડરાવી રાખી છે અને જનતાને વિકલ્પ મળતો નથી તેથી ભાજપ જનતાને ટેકન ફોર ગ્રાન્ટેડ લે છે. પરંતુ આ ચૂંટણીમાં જનતાને આપ નો વિકલ્પ મળ્યો છે તેથી જનતા ગુજરાતમાં પરિવતન માગે છે.
આમ બે રાજ્યમાં વીજળી અને દારૂના પ્રશ્ન અંગે કેજરીવાલે જુદા જુદા જવાબ આપી તેમના ડબલ સ્ટાન્ડર્ડ જોવા મળ્યા હતા.
દિલ્હી અને પંજાબમાં સરકાર બનાવ્યા બાદ હવે આમ આદમી પાર્ટીની નજર ગુજરાત પર છે. અહીં તેઓ સરકાર બનાવવા માટે કમરતોડ મહેનત કરી રહ્યા છે. ત્યારે હવે આજે કેજરીવાલ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી આપના હોદ્દેદારો તથી સંગઠનો સાથે બેઠક યોજશે.
અરવિંદ કેજરીવાલ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સતત ગુજરાત ઉપર નજર રાખીને બેઠા છે. કોંગ્રેસની ગુજરાતમાં નબળી સ્થિતિને ધ્યાનમાં રાખીને અરવિંદ કેજરીવાલ ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં પોતાના તરફેણમાં પરિણામ લાવવા માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે.
સુરતમાં અરવિંદ કેજરીવાલના પ્રવાસને લઈને આમ આદમી પાર્ટી દ્વારા લગાવવામાં આવેલા હોર્ડિંગ્સ સુરત મહાનગર પાલિકા દ્વારા કાઢી લેવામાં આવ્યા હતા. સુરતના અઠવાગેટ સહિત અનેક વિસ્તારમાં મંજૂરી વગર લગાડવામાં આવેલા બેનર અને હોર્ડિંગસ કાઢી લેવામાં આવ્યા હતા.