મની લોન્ડ્રીંગ મામલે ધરપકડની આશંકા
– આ કેસમાં સંજય રાઉતની 9 કરોડ રૂપિયા અને રાઉતની પત્ની વર્ષાની 2 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી ચૂકી છે
મુંબઈ, તા. 31 જુલાઈ 2022, રવિવાર
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની એક ટીમ હવે શિવસેના સાંસદ સંજય રાઉતના ઘરે પહોંચી છે. કહેવામાં આવી રહ્યું છે કે, સંજય રાઉતની ધરપકડ થઈ શકે છે. તેને પૂછપરછ માટે ED ઓફિસ લઈ જવામાં આવી શકે છે. રાઉત રૂ. 1034 કરોડના પાત્રા ચાવલ કૌભાંડમાં તપાસ હેઠળ છે અને તપાસમાં સહકાર ન આપવાનો આરોપ છે.
શિવસેનાના નેતા સંજય રાઉત વિરુદ્ધ રવિવારે સવારે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની એક ટીમ મુંબઈના ભાંડુપ સ્થિત ઘરે પહોંચી છે. મળતી માહિતી મુજબ પાત્રા ચાલ જમીન કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં તપાસમાં અસહકારના કારણે આ ટીમ તેના ઘરે પહોંચી હતી. એવું માનવામાં આવે છે કે, EDની ટીમ રાઉતને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી શકે છે.
મહારાષ્ટ્રના 1000 કરોડથી વધુના પાત્રા ચાલ જમીન કૌભાંડ કેસમાં EDની ટીમ સંજય રાઉતની પહેલાથી જ પૂછપરછ કરી રહી છે. ED દ્વારા તેમને 27 જુલાઈએ સમન્સ મોકલવામાં આવ્યા હતા. જોકે, તેઓ અધિકારીઓ સમક્ષ હાજર નહોતા થયા. ત્યારબાદ હવે EDના અધિકારીઓ તેના ઘરે પહોંચી ગયા છે.
બીજી તરફ EDની ટીમ સંજય રાઉતના ઘરે પહોંચી ત્યારે બીજેપી નેતા રામ કદમે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, એક નેતા છે, તેથી તેની તપાસ નહીં થાય એવું ન થઈ શકે. અખબારો સામના ચલાવી રહ્યા છે પરંતુ તપાસનો સામનો નથી કરી શકતા. દેશમાં કોઈ પણ હોય જેણે ખોટું કર્યું છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
વાસ્તવમાં મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં આવેલ પાત્રા ચાલ મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીનો વિસ્તાર છે. લગભગ 1034 કરોડનું કૌભાંડ હોવાનો આરોપ છે. આ કેસમાં સંજય રાઉતની 9 કરોડ રૂપિયા અને રાઉતની પત્ની વર્ષાની 2 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી ચૂકી છે.
આરોપ છે કે, રિયલ એસ્ટેટ બિઝનેસમેન પ્રવીણ રાઉતે પાત્રા ચાલમાં રહેતા લોકો સાથે છેતરપિંડી કરી છે. પ્રવીણ રાઉત સંજય રાઉતના મિત્ર છે. એક ખાનગી કંપનીને આ વિસ્તારમાં 3000 ફ્લેટ બનાવવાનું કામ મળ્યું. પરંતુ 2011માં તેના કેટલાક ભાગો અન્ય બિલ્ડરોને વેચી દેવામાં આવ્યા હતા. આ કેસમાં સંજય રાઉત પર મની લોન્ડરિંગનો આરોપ છે.