-આ વખતે સાંજે ૫ઃ૧૭થી રાત્રે ૮ઃ૫૧ ભદ્રા : રાત્રે ૮ઃ૫૨થી ૧૦ દરમિયાન પણ રાખડી બાંધી શકાશે
શ્રાવણ સુદ પૂનમ આગામી ૧૧ ઓગસ્ટ-ગુરુવારે છે ત્યારે ભાઇ-બહેનના પ્રેમના પ્રતિક સમાન તહેવાર રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવશે. આ વખતે સવારે ૧૧ઃ૦૭થી બપોરે ૨ઃ૨૨ અને રાત્રે ૮ઃ૫૨થી ૧૦ દરમિયાન જ રાખડી બાંધવા માટે શ્રેષ્ઠ મુહૂર્ત છે.
રક્ષાબંધનમાં દર વખતે કંઈ ને કંઈ વિઘ્નો તેમજ ભદ્રા વિષ્ટિ યોગને કારણે મુહૂર્તમાં ખૂબ જ તકેદારી રાખવી પડતી હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભદ્રકાલમાં રાખડી બાંધવી અશુભ ગણાય છે. વાસ્તવમાં શાસ્ત્રોમાં કહેવાય છે કે ભદ્રા શનિ મહારાજની બહેન છે જેને બ્રહ્માજીએ શ્રાપ આપ્યો હતો કે જે પણ ભદ્રામાં શુભ કાર્ય કરશે તેને અશુભ ફળ મળશે. આમ રાહુકાલ અને ભદ્રાના સમયે શુભ કાર્યો કરવામાં આવતા નથી.
જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે, ‘આ વર્ષે શ્રાવણ સુદ પૂનમ રક્ષાબંધને સાંજે 5.17 પહેલા જ રાખડી બાંધવી જોઇએ અને તે સમય માં ના થઈ શકે તો રાત્રે ૮ઃ૫૧ એ ભદ્રા સમાપ્ત થઈ જાય પછી પણ કરી શકાય.
જો શુભ સમયની વાત કરીએ તો ૧૧ ઓગસ્ટે સવારે ૯ઃ૩૫ થી પૂનમ તિથિ પ્રારંભ થાય છે અને ૧૨ ઓગસ્ટ શુક્રવારે સવારે ૭ઃ૧૭ એ પૂર્ણ થશે. તેથી ૧૨ ઓગસ્ટ દિવસ પર્યંત શ્રાવણ સુદ પૂનમ તિથિ રહેવાની હોવાથી આજ દિવસે રક્ષાબંધન ઉજવાશે. ‘