અનાજના ભાવોમાં વધારાને કારણે એફએમસીજી કંપનીઓનો પડતર ખર્ચ વધી ગયો છે તે એક હકીકત છે. ખાસ કરીને ઘઉં, ચોખા, દાળ અને ખાદ્યતેલોના ભાવવધારાની સીધી અસર આ કંપનીઓ પર પડી હતી. આટલું ઓછું હોય તેમ મોંઘાં ડીઝલે માલના પરિવહનને પણ મોંઘું બનાવતાં અનેક કંપનીઓએ પોતાનાં ઉત્પાદનોમાં ભાવવધારો કર્યો હતો.
જો કે, કંપનીઓ એક હદથી વધુ ભાવવધારો કરે તો તેમને ગ્રાહકો ગુમાવવાનો ભય હોવાથી ચતુરાઈપૂર્વક રસ્તો કાઢવામાં આવ્યો હતો, જેમાં એક તરફ શરૂઆતમાં કંપનીઓએ પોતાનાં ઉત્પાદનની કિંમતો થોડી વધારી અને તે પછી ઉત્પાદનના વજનમાં ઘટાડો કરી દીધો હતો.
આ બાબતના ઉદાહરણ તરીકે થમ્સઅપ અને કોકાકોલાએ તેમની નાની બોટલની માત્રાને 250 એમએલથી ઘટાડીને 200 એમએલ કરી નાખી તો 10 રૂપિયાના 140 ગ્રામના પારલે-જી બિસ્કિટનું વજન હવે ઘટીને માત્ર 110 ગ્રામ રહી ગયું છે.’ વિમ બારનું વજન 65 ગ્રામમાંથી 60 ગ્રામ,’ 115 ગ્રામના વ્હીલ ડિટર્જન્ટ પેકેટનું વજન હવે 110 ગ્રામ થઈ ગયું છે.