Date 18/04/2022, સોમવારથી ફરી એકવાર વડા પ્રધાન PM Modi ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી રહ્યાં છે. નરેન્દ્ર મોદી તા. ૧૮, ૧૯ અને ૨૦મી એપ્રિલે ગુજરાત પ્રવાસે છે. સોમવારે સાંજે અમદાવાદ એરપોર્ટ પહોંચશે અને સાંજે ૬ વાગ્યે ગાંધીનગરમાં શિક્ષણ વિભાગના કમાન્ડ એન્ડ ક્ટ્રોલ સેન્ટરની મુલાકાત સાથે તેમના ત્રણ દિવસના કાર્યક્રમનો પ્રારંભ થશે.
નરેન્દ્ર મોદી ગુજરાતમાં અલગ અલગ વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. જેમાં બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં બનેલા બનાસ ડેરીના પ્લાન્ટનો શુભારંભ કરાવશે. આ કાર્યક્રમમાં પહેલી વખત મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહેશે જેમને વડા પ્રધાન સંબોધન કરશે. આ સિવાય દાહોદમાં એક હોસ્પિટલનું લોકાર્પણ કરશે. ૨૫૦ કરોડના ખર્ચે તૈયાર થયેલી ૭૫૦ પથારીની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની સાથે મોદી નવી મેડિકલ કોલેજના સંકુલ તથા ૨૦૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા રહેણાંક આવાસનું પણ લોકાર્પણ કરશે. આ સિવાય હોસ્પિટલમાં બનેલા નવા ઓક્સિજન પ્લાન્ટને ખુલ્લો મુકશે. આ ઉપરાંત ગાંધીનગરમાં આવેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે. વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રમાં વધુ સુદ્રઢ બનાવી શકાય તે હેતુથી આ કંટ્રોલ સેન્ટર તૈયાર કરાયું છે.
મોદીના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસને લઈ રાજ્ય સરકારે ખાસ તૈયારીઓ કરી છે. વડા પ્રધાનના રૂટ અને કાર્યક્રમના સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ૧૯મીએ દિયોદરમાં એક કાર્યક્રમમાં હાજરી આપીને વડા પ્રધાન સીધા જામનગર જશે જ્યાં ડબલ્યુએચઓના સહયોગથી બનનાર ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર આયુર્વેદિક કેન્દ્રનું ભૂમિપૂજન કરશે. આ પ્રસંગે વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના ડિજી સહિત અધિકારીઓ, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન પણ હાજર રહેશે. જામનગરથી ગાંધીનગર પરત ફરી રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. ૨૦મી એપ્રિલે સવારે મહાત્મા મંદિરમાં પીએમ મોદી હાજરી આપશે. બપોર બાદ દાહોદમાં આદિવાસી સંમેલનને સંબોધન કરશે. દાહોદ અને પંચમહાલના વિવિધ પ્રોજેકટના ખાતમુહૂર્ત કરશે.