બેંગલુરૂમાં રમાયેલી બીજી ટેસ્ટમાં શ્રીલંકાને 238 રને પરાજય આપ્યો છે. આ ડે-નાઈટ ટેસ્ટ હતી જેમાં તેનો આસાન વિજય થયો છે. ભારતે અત્યાર સુધી ઘરઆંગણે બે ડે-નાઈટ ટેસ્ટ રમી છે અને બંનેમાં તેણે વિજય નોંધાવ્યો છે. બેંગલુરૂ ટેસ્ટમાં રોહિત શર્માની આગેવાનીવાળી ટીમે શ્રીલંકા સામે 447 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો જેના જવાબમાં સુકાની ઓપનર દિમુથ કરૂણારત્નેએ લડાયક સદી ફટકારી હોવા છતાં શ્રીલંકન ટીમ તેના બીજા દાવમાં 208 રનમાં આઉટ થઈ ગઈ હતી. બંને દાવમાં શ્રીલંકન બેટર્સ ઝડપી બોલર જસપ્રિત બુમરાહના ઝંઝાવાત અને સ્પિનર અશ્વિનની સ્પિન બોલિંગ સામે લાચાર જોવા મળ્યા હતા.
શ્રીલંકાએ પ્રથમ દાવમાં પ્રભાવશાળી બોલિંગ કરી હતી અને ભારતીય ટીમને 252 રનમાં આઉટ કરી દીધી હતી. ભારત માટે શ્રેયસ ઐય્યરે સૌથી વધુ 92 રન નોંધાવ્યા હતા. જોકે, જસપ્રિત બુમરાહે ધમાકેદાર બોલિંગ કરી હતી જેના કારણે શ્રીલંકાનો પ્રથમ દાવ ફક્ત 109 રનમાં જ સમેટાઈ ગયો હતો. એન્જેલો મેથ્યુઝે સૌથી વધુ 43 રન નોંધાવ્યા હતા. બુમરાહે 10 ઓવરમાં 24 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. ભારતે નવ વિકેટે 303 રનના સ્કોરે પોતાનો બીજો દાવ ડિક્લેર કર્યો હતો. જેમાં ઐય્યરે વધુ એક વખથ અડધી સદી ફટકારતા 67 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે રિશભ પંતે ભારત માટે સૌથી ઝડપી ટેસ્ટ અડધી સદી ફટકારતા 50 રનની ઈનિંગ્સ રમી હતી.
શ્રીલંકા સામે 447 રનના લક્ષ્યાંક હતો પરંતુ ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને ત્રીજા જ બોલ પર લાહિરૂ થિરિમને ખાતું ખોલાવ્યા વગર આઉટ થઈ ગયો હતો. જોકે, દિમુથ કરૂણારત્ને અને કુસલ મેન્ડિસે બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. આ જોડીએ 97 રનની ભાગીદારી નોંધાવી હતી. પરંતુ મેન્ડિસ આઉટ થયા બાદ શ્રીલંકાના ધબડકાની શરૂઆત થઈ હતી. મેન્ડિસે 60 બોલમાં આઠ ચોગ્ગા સાથે 54 રન ફટકાર્યા હતા. એન્જેલો મેથ્યુઝ એક, ધનંજય ડીસિલ્વા ચાર, નિરોશન ડિકવેલા 12 અને ચરિત અસાલંકા પાંચ રન નોંધાવીને પેવેલિયન ભેગા થયા હતા.
દિમુથ કરૂણારત્નેએ એક છેડો જાળવી રાખ્યો હતો અને લડત આપી હતી. જોકે, તેની લડત પૂરતી ન હતી કેમ કે સામે છેડે તેને યોગ્ય સાથ મળ્યો ન હતો. કરૂણારત્નેએ શાનદાર સદી ફટકારી હતી. તેણે 174 બોલનો સામનો કરતા 107 રનની ઈનિંગ્સ રમી હતી. જેમાં તેણે 15 ચોગ્ગા ફટકાર્યા હતા. ભારત માટે બુમરાહે ત્રણ, અશ્વિને ચાર તથા અક્ષર પટેલે બે તથા રવિનદ્ર જાડેજાએ એક વિકેટ ઝડપી હતી.
ભારત માટે જસપ્રિત બુમરાહ અને રવિચંદ્રન અશ્વિને વેધક બોલિંગ કરી હતી. બુમરાહે પ્રથમ દાવમાં 10 ઓવરમાં 24 રન આપીને ચાર તથા બીજા દાવમાં નવ ઓવરમાં 23 રન આપીને ત્રણ મળીને કુલ આઠ વિકેટ ઝડપી હતી. જ્યારે રવિચંદ્રન અશ્વિને પ્રથમ દાવમાં 8.5 ઓવરમાં 30 રન આપીને બે વિકેટ ઝડપી હતી જ્યારે બીજા દાવમાં 19.3 ઓવરમાં 55 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. આમ અશ્વિને કુલ છ વિકેટ ખેરવી હતી.