બિહાર (Bihar)માં ભાજપ (BJP) સાથે છેડો ફાડી અને આરજેડી (RJD) સાથે ગઠબંધન કરી મોટો રાજકીય ઉલટફેર કર્યા બાદ નીતિશ કુમાર (Nitish Kumar) બુધવારે 10/8/22, બપોરે બે કલાકે ફરીથી સીએમ પદના શપથ લેવાના છે. કુલ સાત પાર્ટીઓના સહયોગથી આ સરકાર બનવા જઈ રહી છે. નીતિશ કુમાર 8મી વખત મુખ્યમંત્રી પદના શપથ લેવાના છે. તેમની સાથે તેજસ્વી યાદવ (Tejashwi Yadav) પણ શપથ લેવાના છે. તેમને નાયબ મુખ્યમંત્રી બનાવાય તેવી શક્યતા છે.
આ મહાગઠબંધન સરકારના મંત્રીમંડળને લઈને જે અહેવાલો સામે આવ્યા છે, તેમાં કહેવાઈ રહ્યું છે કે, 35 મંત્રીઓનું એક મજબૂત મંત્રીમંડળ જોવા મળી શકે છે. તેમાં જેડીયુ અને આરજેડીના ખાતામાં 14 મંત્રાલય આવી શકે છે. તો કોંગ્રેસને ત્રણ અને લેફ્ટને બે મંત્રાલય જઈ શકે છે. જીતન રામ માંઝીની પાર્ટીને પણ એક મંત્રાલય આપવામાં આવી શકે છે. જોકે, હજુ સુધી મંત્રીમંડળને લઈને કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી.
મંગળવારનો દિવસ બિહારના રાજકારણમાં મોટી ઉથલ-પાથલવાળો રહ્યો. સૌથી પહેલા નીતિશ કુમાર રાજ્યપાલને મળ્યા અને પોતાનું રાજીનામું સોપ્યું અને પછી સીધા રાબડી દેવીના ઘરે જઈ તેજસ્વી યાદવ સાથે મુલાકાત કરી. એ મુલાકાતમાં નીતિશ કુમારે મહાગઠબંધનનો સાથ છોડવા પર અફસોસ વ્યક્ત કર્યો અને એક નવી શરૂઆત પર ભાર આપ્યો. તે પછી નીતિશ અને તેજસવી બંને ફરી રાજ્યપાલને મળવા ગયા અને તેમની સમક્ષ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. તેમના દ્વારા કુલ 164 ધારાસભ્યોના સમર્થનનો પત્ર રાજ્યપાલને સોંપવામાં આવ્યો.