ભાજપના સૌથી દિગ્ગજ નેતા અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ તા.19 નવેમ્બરને શનિવારથી ત્રણ દિવસ ગુજરાતમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરશે. વડાપ્રધાન ત્રણ દિવસમાં 8 રેલીઓને સંબોધિત કરશે. ગુજરાતમાં ચૂંટણી પ્રચારની કમાન ખુદ વડાપ્રધાન મોદીએ સંભાળી છે. ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટી પોતાની સત્તા ટકાવી રાખવા માટે આ વખતે પુરજોર મહેનત કરી રહી છે.
આજે સાંજે 7.30 કલાકે વલસાડમાં સભા
વડાપ્રધાન મોદીનો ચૂંટણી પ્રચાર ગુજરાતમાં દક્ષિણથી શરૂ થશે. વડાપ્રધાન મોદી શનિવારે સાંજે 7-30 કલાકે વલસાડમાં જનસભાને સંબોધિત કરશે. વડાપ્રધાન રાત્રી રોકાણ પણ અહીં કરવાના છે.
રવિવારે સોમનાથના દર્શન કરીને નરેન્દ્ર મોદી વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં 4 જંગી રેલીઓ કરશે
તા.20 નવેમ્બરને રવિવારે વડાપ્રધાન’ સોમનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરશે એ પછી વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં ચાર રેલીઓને સંબોધિત કરશે. વડાપ્રધાન મોદી વેરાવળમાં સવારે 11 કલાકે , ધોરાજીમાં બપોરે 12-45 કલાકે, અમરેલીમાં બપોરે 2-30 કલાકે અને બોટાદમાં સાંજે 6-15 કલાકે સભા કરશે. આ પછી વડાપ્રધાન ગાંધીનગર પરત ફરશે અને રાજભવનમાં રાત્રી રોકાણ કરશે.
સોમવારે સુરેેન્દ્રનગર, જંબુસર અને નવસારીમાં ચૂંટણી પ્રચાર કરશે વડાપ્રધાન
વડાપ્રધાન સોમવારે ત્રણ સભાઓને સંબોધિત કરશે. વડાપ્રધાન સુરેન્દ્રનગરમાં બપોરે 12 કલાકે જનસભા સંબોધિત કરશે જ્યારે બપોરે 2 કલાકે જંબુસરમાં અને સાંજે 4 કલાકે નવસારીમાં ચૂંટણી પ્રચાર કરશે.’
મહત્વનું છે કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપ્રધાન મોદી ગુજરાતમાં’ 30 રેલીઓ અને રોડ શો કરે તેવું આયોજન કર્યું છે. અહીં નોંધવું ઘટે કે, 2017ની વિધાનસભા ચૂંટણીમાં વડાપ્રધાન મોદીએ 30થી વધુ રેલી કરી હતી.