Jayesh Brahmbhatt 98253 44944
કોવીડ-19થી જેમના મૃત્યુ થયા છે તેમના પરિવારજનોને સત્વરે રૂ.50 હજારની રાહત ચૂકવવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલી ઝાટકણી બાદ ગુજરાત સરકારે તાબડતોબ આ કાર્યવાહી શરૂ કરી છે અને આ કાર્યવાહીમાં ગુજરાતમાં રૂપાણી સરકારે કોવીડથી થયેલા મૃત્યુની સાચી સંખ્યા છુપાવી હોવાની વાત ખુદ સરકારે રાહતની કરેલી ચૂકવણીના આંકડાઓ જ ચાડી ખાય રહ્યા છે.
વાસ્તવમાં રૂપાણી સરકાર વખતે કોવીડ-19થી ગુજરાતમાં થયેલા કુલ મૃત્યુની સંખ્યા 10 હજારની આસપાસ જણાવવામાં આવી હતી અને જાહેર પણ કરી દેવામાં આવી હતી. એ પછી સુપ્રીમ કોર્ટે કોવીડથી થયેલા મૃત્યુ બદલ પરિવારજનોને રૂ.50 હજારની સહાય ચૂકવવા માટે આદેશ આપતા ગુજરાત સરકારે રાહત ચૂકવણી માટે અરજીઓ મંગાવી જેમાં ગુજરાતભરમાંથી કુલ 38 હજાર જેટલી અરજીઓ આવી છે. અને અત્યાર સુધીમાં ગુજરાત સરકારે 22 હજારથી વધુ મૃતકોના પરિવારજનોને રૂ.50 હજારની રાહત ચૂકવી આપી છે.
રાજ્યના મહેસૂલ મંત્રી અને સરકારના પ્રવક્તા રાજેન્દ્ર ત્રિવેદીએ તા.14મી ડિસેમ્બર 2021ના રોજ મંગળવારે જણાવ્યું હતું કે, સરકારને અત્યાર સુધીમાં લગભગ 38,000 અરજીઓ મળી છે અને રાજ્ય સરકારે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા 22,000 ખાતાઓમાં રૂ. 50-50 હજાર ટ્રાન્સફર કર્યા છે.
આ રીતે મામલો થાળે પાડવાનો પ્રયાસ
સત્તાવાર કોવિડ -19 મૃત્યુ અને વળતરના દાવાઓની સંખ્યા વચ્ચે મેળ ન હોવા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે ત્રિવેદીએ કહ્યું કે, કોવિડ -19 મૃત્યુની ગણતરી માટે રાજ્ય સમિતિ દ્વારા નિર્ધારિત માપદંડોમાં તફાવત હોઈ શકે છે. જો કે, વળતર આપવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા પસાર કરવામાં આવેલ આદેશ મુજબ સહાય ચૂકવવામાં આવી છે.
મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટે કોવિડ મુત્યુની વ્યાખ્યામાં કરેલા ફેરફાર અન્વયે ગુજરાતમાં કોવિડ અને કોવિડ પોઝિટિવ આવ્યા બાદ 30 દિવસમાં હાર્ટએટેક કે અન્ય કોઇ કારણસર મૃત્યુ પામનાર લોકોને પણ કોવિડ મૃત્યુ ગણવા જેથી આવા લોકોને પણ સહાય આપવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયું છે. ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટના આદેશ અન્વયે પહેલ કરીને અન્ય રાજ્યોની સરખામણીમાં સૌથી પહેલા 22 હજાર જેટલા લોકોના ખાતામાં સહાય જમા કરી છે.