વિશ્વની સૌથી મોટી ફૂટબોલ સંસ્થા એટલે કે FIFA એ મંગળવારે ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF)ને લઈને એક ઘોષણા કરી હતી. FIFAએ AIFFને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. ફિફા કાઉન્સિલના બ્યુરો દ્વારા સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો હતો. FIFAએ જણાવ્યું છે કે, AIFFમાં ત્રીજા પક્ષકારોના અયોગ્ય પ્રભાવને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે જે FIFA કાયદાનું ગંભીર ઉલ્લંઘન છે.
FIFA દ્વારા જારી કરાયેલ એક સત્તાવાર મીડિયા રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશને FIFA દ્વારા સસ્પેન્ડ કરવા પાછળ થર્ડ પાર્ટીની દખલનું કારણ આપવામાં આવ્યું છે. ફિફા અનુસાર આ પ્રકારનો હસ્તક્ષેપ એ ફિફાનાં નિયમોની વિરુદ્ધ છે. આ કારણોસર ભારત પરથી U17 મહિલા વર્લ્ડ કપની યજમાની છીનવી લેવાની કગાર પર છે પરંતુ હજુ થોડો સમય બાકી છે.
FIFA દ્વારા એમ પણ કહેવામાં આવ્યું હતું કે, ઓર્ડર મળતાની સાથે જ સસ્પેન્શન હટાવી લેવામાં આવશે. AIFF એક્ઝિક્યુટિવ કમિટીની સત્તાઓ ધારણ કરવા માટે વહીવટકર્તાઓની સમિતિનું ગઠન રદ કરવામાં આવ્યું છે અને AIFF વહીવટ AIFFની રોજિંદી બાબતોનું સંપૂર્ણ નિયંત્રણ લે છે. પ્રેસ રિલીઝમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, સસ્પેન્શનનો અર્થ એ છે કે FIFA U-17 મહિલા ફૂટબોલ વર્લ્ડ કપ 2022 જે ભારતમાં 11-30 ઓક્ટોબર 2022 દરમિયાન યોજાવાનું છે તે હાલમાં ભારતમાં આયોજન મુજબ યોજવામાં નહીં આવશે.
FIFA ટુર્નામેન્ટને લગતા આગળના પગલાઓનું પણ મૂલ્યાંકન કરી રહ્યું છે અને જો જરૂરી હોય તો આ બાબતને કાઉન્સિલના બ્યુરોને મોકલશે. FIFAની અખબારી યાદીમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, FIFA ભારતના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય સાથે સતત સંપર્કમાં છે અને આશા રાખે છે કે, હજુ પણ આ કેસનું સકારાત્મક પરિણામ આવી શકે છે. જો આવું થાય તો ભારતીય ફૂટબોલ પરથી આ મોટું સંકટ દૂર થઈ શકે છે.