બાંધકામ અંગે ગુજરાત સરકારે વખતો વખત બહાર પાડેલા નિયમોથી ગુજરાતભરના તબીબોમાં નારાજગી ફેલાયેલી છે. બાંધકામના કેટલાક નીતિ નિયમોને કારણે હોસ્પિટલથી લઇને આઇસીયુ સુધીની કામગીરી તબીબો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ગુજરાત સરકાર સામે પોતાની નારાજગી વ્યક્ત કરવા માટે આગામી તા.22મી જુલાઇ 2022ને શુક્રવારના રોજ સવારે 8 કલાકથી તા.23મી જુલાઇને શનિવારે સવારે 8 વાગ્યા સુધી સુરત શહેર સહિત સમગ્ર ગુજરાતભરના તબીબો 24 કલાકની સંપૂર્ણ હડતાળ પાડશે.
ઇન્ડીયન મેડિકલ એસોસીએશનની સુરત બ્રાન્ચની સત્તાવાર અખબારી યાદીમાં કહેવાયું છે કે ગુજરાતના તમામ પ્રાઇવેટ ડોક્ટર્સ આ હડતાળમાં જોડાશે. ગુજરાતમાં પહેલી વખત પ્રાઇવેટ હોસ્પિટલોમાં તા.22મીએ તબીબોની હડતાળના દિવસે ઓપીડી, આઉટ ડોર પેશન્ટ માટે તબીબી સેવા સુવિધા તેમજ ઓપરેશન થિયેટરની કામગીરી પણ બંધ રહેશે.
ઇમરજન્સીમાં તબીબી સેવા સુવિધા જળવાય રહે તે માટે સરકારી તેમજ ટ્રસ્ટની હોસ્પિટલોમાં તબીબી સારવાર ઉપલબ્ધ બની શકશે.