Delhi EV policy 2.0 Archives - CIA Live

June 29, 2026
image-26-1280x1453.png
1min11

દિલ્હી સરકારે પ્રદૂષણ ઘટાડવા ‘નવી EV પોલિસી 2026’ ને મંજૂરી આપી છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ 1 July 2026 થી 31 માર્ચ 2030 સુધી લાગુ પડતી આ નીતિ જાહેર કરી. દિલ્હીમાં EV વાહનો પર 100% રોડ ટેક્સ અને રજીસ્ટ્રેશન ફી માફ થશે. ટુ-વ્હીલર પર ₹30,000, થ્રી-વ્હીલર પર ₹50,000 સુધીની સબસિડી મળશે. 2027 થી ફક્ત ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર અને 2028 થી ટુ-વ્હીલરનું જ રજીસ્ટ્રેશન થશે.

Delhi New EV Policy : દિલ્હી સરકારે પ્રદૂષણ મુક્ત અને સ્વચ્છ વાહનવ્યવહારને પ્રોત્સાહન આપવા માટે ‘નવી ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) પોલિસી 2026’ ને મંજૂરી આપી દીધી છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જાહેરાત કરી છે કે આ નવી નીતિ 1 July 2026 થી લાગુ કરવામાં આવશે અને તે 31 માર્ચ 2030 સુધી પ્રભાવી રહેશે. આ પોલિસી હેઠળ દિલ્હીના નાગરિકોને કરોડો રૂપિયાના વિવિધ ટેક્સ અને સબસિડીના લાભો મળશે.

નવી નીતિ અનુસાર, દિલ્હીમાં ખરીદવામાં આવતા તમામ પ્યોર ઈલેક્ટ્રિક વાહનો પર 100 ટકા રોડ ટેક્સ અને રજીસ્ટ્રેશન ફી માફ કરવામાં આવશે. જો કે, ચાર પૈડાવાળા વાહનો માટે આ નિયમ રૂ. 30 લાખ સુધીની એક્સ-શોરૂમ કિંમત વાળા વાહનો પર જ લાગુ પડશે.

નવી પોલિસીમાં વાહનોની ખરીદી પર વર્ષ પ્રમાણે સબસિડી નક્કી કરવામાં આવી છે. ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદી પર પહેલા વર્ષે રૂ. 30,000, બીજા વર્ષે રૂ. 20,000 અને ત્રીજા વર્ષે રૂ. 10,000 ની સબસિડી મળશે. ઈલેક્ટ્રિક ઓટો (થ્રી-વ્હીલર) ખરીદી પર પહેલા વર્ષે રૂ. 50,000, બીજા વર્ષે રૂ. 40,000 અને ત્રીજા વર્ષે રૂ. 30,000 ની સબસિડી આપવામાં આવશે. આ ઉપરાંત વાહનો સ્ક્રેપ કરવા પર પણ ખાસ ઈન્સેન્ટિવ મળશે.

દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવાના હેતુથી સરકારે મોટો નિર્ણય લીધો છે. જે મુજબ, 1 જાન્યુઆરી 2027 થી દિલ્હીમાં તમામ થ્રી-વ્હીલર અને April 2028 થી તમામ ટુ-વ્હીલરનું રજીસ્ટ્રેશન માત્ર ઈલેક્ટ્રિક કેટેગરીમાં જ કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે, જે વાહનો પર સબસિડી લેવામાં આવશે તેને 3 વર્ષ સુધી અન્ય રાજ્યમાં ટ્રાન્સફર કે રજીસ્ટ્રેશન કરાવી શકાશે નહીં.

આ નીતિને સફળ બનાવવા માટે દિલ્હીના મુખ્ય માર્ગો પર મોટા પાયે ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવશે. લોકો પોતાના અંગત વપરાશ માટે પણ ચાર્જિંગ સ્ટેશન બનાવી શકે તે માટે વીજ કંપનીઓ (ડિસ્કોમ) સાથે મળીને કામ શરૂ કરી દેવાયું છે. સરકાર આગામી 4 વર્ષમાં આ ક્ષેત્રે રૂ. 7,000 કરોડથી વધુનું સીધું રોકાણ કરશે, જેનાથી લોકોને ટેક્સ અને અન્ય સવલતો સહિત આશરે રૂ. 15,000 કરોડનો મોટો ફાયદો થશે.