રવિવાર તા.10મી એપ્રિલની મધરાતે ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલી ઓમ ઓર્ગેનિક નામની કંપનીમાં લાગેલી ભીષણ આગની ઘટનામાં પાંચ કામદારોના મોત થયા હોવાનું વિગતોએ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે.
દહેજની આ ફેક્ટરીમાં મોડી રાત્રે બનેલા આ દુર્ઘટનામાં રાસાયણીક પ્રક્રિયા દરમિયાન મોટો ધડાકો થયો હતો અને તે પછી વિકરાળ આગ લાગી હતી. આ અકસ્માત લગભગ રાત્રે 2 વાગ્યાની આસપાસ બન્યો હતો જેમાં મોટો ધડાકો થતા કામદારો ડરી ગયા હતા જોકે, પાંચ કામદારો પ્લાન્ટમાંથી ભાગવામાં નિષ્ફળ રહ્યા હતા. આ ઘટનામાં ધડાકો એટલો મોટો હતો કે પ્લાન્ટનો મોટો ભાગ કાટમાળમાં ફેરવાઈ ગયો હતો. ઘટના બાદ તાત્કાલિક આગ પર કાબૂ મેળવવાની કામગીરીની સાથે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં પાંચ કામદારોના મૃતદેહ ઘટના સ્થળ પરથી બહાર કાઢવામાં આવ્યા છે જોકે, હજુ એક કામદાર આ ઘટનામાં ગુમ થયો હોવાનું માલુમ પડતા તેની તપાસ કરવામાં આવી રહી છે.