તારીખ 16. 7. 2023 ને રવિવારના રોજ કતારગામ સ્થિત કિરણ હોસ્પિટલ ખાતે સુરત, બારડોલી, નવસારી ,વલસાડ, વાપીના રેડીયોલોજીસ્ટ ડોક્ટરો માટે કાયદાકીય વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અંગે વધુ માહિતી આપતા રેડિયોલોજીકલ એન્ડ ઇમેજિંગ એસોસિએશન સુરતના પ્રમુખ ડો.ઉદય સુરાનાએ જણાવ્યું હતું કે ડોક્ટરો અને હોસ્પિટલો ને લગતા ઘણા બધા કાયદાઓ હાલ અમલમાં છે, ત્યારે ડોક્ટરોને આ અંગે વિશેષ માહિતી મળે અને ડોક્ટરો તથા હોસ્પિટલો આ બાબતે જાગૃત થાય એ માટે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે મુંબઇના ખ્યાતનામ વકીલ ડો.હિતેશ ભટ્ટ દ્વારા ખૂબ જ ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી હતી. ખાસ કરીને પીસી પીએનડીટી એક્ટ( ગર્ભ ના જાતિ પરીક્ષણ કાયદા) અંગે વિગતવાર માહિતી રજૂ કરવામાં આવી હતી. તદુપરાંત સોનોગ્રાફી કરતા ડોક્ટરો દ્વારા ફોર્મ ભરવામાં જે ખામીઓ રહી જાય છે તે અંગે અને આ કાયદા હેઠળ શું શું જોગવાઈઓ છે તે અંગે વિસ્તૃત માહિતીથી તબીબોને વાકેફ કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત ઇન્સ્યોરન્સ સેક્ટર અને નેગલીજન્સ અંગે પણ કાયદાકીય આંટી ઘૂંટીઓ અને તેના નિવારણ અને ચોકસાઈ અંગે માહિતી આપવામાં આવી હતી. સમગ્ર સેમિનારનું આયોજન એસોસિએશનના સેક્રેટરી ડો. પ્રજ્ઞેશ વાઘેલાના માર્ગદર્શન હેઠળ ડો. ધારા શાહ અને ડો.હિતેશ લુખી દ્વારા કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ટેકનિકલ બાબત અને વ્યવસ્થા માટે ડો એન્ડ્રુ જોન્સ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સેમીનારમાં સીનીયર રેડીયોલોજીસ્ટ ડૉ ઉમેશ ઉદાપુડી, ડો.નવીન પટેલ, ડો કુમાર વકીલ, ડો. જગદીશ વઘાસિયા, તેમજ વાપી, વલસાડ, નવસારી અને બારડોલી ના સો કરતા વધારે રેડિયોલોજીસ્ટ ડોક્ટરો એ લાભ લીધો હતો.