કૈટ પ્રવિણ ખંડેલવાલ Archives - CIA Live

July 4, 2026
Cia_business_news-1280x936.jpg
1min23

દેશના અગ્રણી વેપારી સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૈટ)ના રાષ્ટ્રીય પ્રમુખ તથા દિલ્હીની ચાંદની ચોક લોકસભા બેઠકના ભાજપના સાંસદ પ્રવીણ ખંડેલવાલે સુરતની મુલાકાત દરમિયાન દક્ષિણ ગુજરાતના વેપારીઓને આગામી 12થી 15 ઓગસ્ટ દરમિયાન નવી દિલ્હીમાં યોજાનારા ભારત વ્યાપાર મહોત્સવમાં સક્રિય ભાગ લેવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સુરત દેશનું અગ્રણી વેપાર અને ઉદ્યોગ કેન્દ્ર હોવાથી મહોત્સવમાં સુરતની ઉપસ્થિતિ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ પ્રસંગે કૈટના સુરત પ્રમુખ પ્રમોદ ભગત સહિત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ અશોક જીરાવાલા સાથે યોજાયેલી સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે ભારત વ્યાપાર મહોત્સવ દેશભરના ઉત્પાદકો, વેપારીઓ, સ્ટાર્ટઅપ, સેવા ક્ષેત્ર અને એમએસએમઈ એકમોને એક જ મંચ પર લાવવાનો પ્રયાસ છે. આ મહોત્સવ દ્વારા નવા વ્યવસાયિક સંબંધો, માર્કેટિંગની તકો અને વેપારના વિસ્તરણ માટે અનુકૂળ વાતાવરણ ઉભું થશે.

તેમણે જણાવ્યું હતું કે સુરતમાંથી અત્યાર સુધીમાં અંદાજે 7 હજાર સ્ક્વેર ફૂટ જેટલી પ્રદર્શન જગ્યાના સ્ટોલનું બુકિંગ થઈ ચૂક્યું છે. તેમાં સૌથી વધુ ભાગીદારી ટેક્સટાઇલ ઉદ્યોગની છે, જે સુરતના કાપડ ઉદ્યોગની રાષ્ટ્રીય સ્તરે મજબૂત ઓળખ દર્શાવે છે. આગામી દિવસોમાં ડાયમંડ, જ્વેલરી, કેમિકલ, એન્જિનિયરિંગ, ફૂડ પ્રોસેસિંગ અને અન્ય સેવા ક્ષેત્રના વેપારીઓ પણ મોટી સંખ્યામાં જોડાશે તેવી આશા વ્યક્ત કરી હતી.

પ્રવીણ ખંડેલવાલે વડાપ્રધાનના **’સ્વદેશી વેચો, સ્વદેશી ખરીદો’**ના સંદેશને વધુ મજબૂત બનાવવાની અપીલ કરતાં જણાવ્યું હતું કે સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાથી દેશની અર્થવ્યવસ્થા મજબૂત બનશે, રોજગારીમાં વધારો થશે અને નાના-મધ્યમ વેપારીઓને નવી તકો મળશે. ભારત વ્યાપાર મહોત્સવ આ દિશામાં મહત્વપૂર્ણ પ્લેટફોર્મ સાબિત થશે.

ચેમ્બરના પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે સુરતના ઉદ્યોગકારો અને વેપારીઓ માટે આ મહોત્સવ નવા બજારો સુધી પહોંચવાનો ઉત્તમ અવસર છે. ચેમ્બર દ્વારા પણ સભ્યોને તેમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવામાં આવશે, જેથી સુરતના ઉત્પાદનો અને સેવાઓને રાષ્ટ્રીય તેમજ વૈશ્વિક સ્તરે વધુ વ્યાપક ઓળખ મળી શકે.