CIA ALERT

રાહુલ ગાંધીએ ‘Idiot’ શબ્દ બોલતા લોકસભામાં હોબાળો, ભારે હંગામાને કારણે બંને ગૃહની કાર્યવાહી ખોરવાઈ

Share On :

29 Jul 2026 | 02:02 PM
લોકસભામાં બળપ્રયોગના આદેશો મુદ્દે વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેને પગલે વિપક્ષી સાંસદોએ ભારે શોરબકોર કરતા ગૃહમાં અશાંતિ સર્જાઈ હતી. સ્પીકર ઓમ બિરલાએ રાહુલ ગાંધીને મર્યાદામાં રહીને તથા તથ્યોના આધારે વાત રજૂ કરવા ટકોર કરી હતી. તેમણે સ્પષ્ટ કહ્યું કે ગૃહ નિયમો અને પ્રક્રિયાથી ચાલે છે અને અહીં બોલાયેલો એક-એક શબ્દ વર્ષો સુધી રેકોર્ડ પર રહે છે. બીજી તરફ, વિપક્ષી સભ્યો ગૃહમંત્રીના રાજીનામા અને જવાબની માગ સાથે સતત સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. સભ્યો દ્વારા સ્પીકરના આદેશોની વારંવાર અવહેલના કરવામાં આવતા સ્પીકરે નારાજગી વ્યક્ત કરી હતી અને લોકસભાની કાર્યવાહી બપોરે 2:30 વાગ્યા સુધી મુલતવી રાખવાની જાહેરાત કરી હતી.

29 Jul 2026 | 01:53 PM
અખિલેશ યાદવે કહ્યું કે જો નેતા પ્રતિપક્ષે સરકાર પર કોઈ ગંભીર આરોપ લગાવ્યો છે, તો આ સરકારની જવાબદારી બને છે કે તે સ્પષ્ટ કરે કે કોના આદેશ પર પોલીસે છાત્રો સાથે આ રીતે વ્યવહાર કર્યો છે.

કિરેન રિજિજૂએ કહ્યું કે, આ અલગ વાત છે. રાહુલ ગાંધીએ સીધું નામ લઈને કહ્યું છે. ઈન્ક્વાયરીની માંગ ઠીક છે, અમે સમજીએ છીએ. રાહુલ ગાંધીએ જે કહ્યું છે, તે ખૂબ ગંભીર છે અને રાહુલ ગાંધીએ માફી માંગવી પડશે.

સ્પીકરે કહ્યું કે, રાહુલજી તમે બિલ પર બોલો, તમે ઈન્ક્વાયરીની માંગ કરી શકો છો, પણ આ રીતે વાત ના કરો.

રાહુલ ગાંધીએ કહ્યું કે, સર જ્યારે આતંકીને ગોળી મારવામાં આવે છે, ત્યારે રિજિજૂએ તેમને રોકતા કહ્યું કે, તમે ગૃહ મંત્રીનું નામ લઈને જે શબ્દો વાપર્યા છે, તેના માટે માફી માંગવી પડશે. કાલે કોઈ પણ મેમ્બર ઊઠીને કંઈ પણ બોલશે. તમને કેવી રીતે આ ખબર પડી અને કયા બેસિસ પર તમે બોલી રહ્યા છો? આવું ના કરી શકાય. રાહુલ ગાંધીએ કોઈનું મર્ડર કર્યું છે, અમે અહીં એવું બોલી શકીએ શું? તમારે બતાવવું પડશે કે કયા બેસિસ પર તમે આવું બોલ્યા છે. માફી માંગો અથવા બતાવો કે કેમ બોલ્યા, કેવી રીતે બોલ્યા, સદન આ રીતે નહીં ચાલે.

સ્પીકરે કહ્યું કે તમે જે રીતે વાત બોલી છે, એવા શબ્દો સદનની અંદર અને સદનની બહારની કાર્યવાહીમાં ના જવા જોઈએ.

29 Jul 2026 | 01:48 PM
પ્રધાન નહીં, RSS ચલાવી રહ્યું હતું શિક્ષણ મંત્રાલય : લોકસભામાં રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર
રાહુલ ગાંધીએ પરીક્ષાનું પેપર તૈયાર કરવાથી લઈને તેને પહોંચાડવા અને ચેકિંગ સુધીની સમગ્ર પ્રક્રિયા સામે સવાલો ઊભા કર્યા હતા. તેમણે કહ્યું કે ‘આ પરીક્ષાની પદ્ધતિ નથી પરંતુ વસૂલી કરવાનું તંત્ર છે, જેમાં પ્રામાણિક વિદ્યાર્થીઓ પાછળ રહી જાય છે અને 30થી 40 લાખ રૂપિયામાં પેપર લીક થઈ રહ્યા છે. રાજનાથ સિંહે અગાઉ કહ્યું હતું કે, આ UPA સરકાર નથી અને અહીં મંત્રીઓ રાજીનામા નથી આપતા, છતાં ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું. તેમણે વધુમાં ઉમેર્યું કે શિક્ષણ વ્યવસ્થામાં ખાનગી કંપનીઓ ઘૂસી ગઈ છે અને તે જ પરીક્ષાઓ યોજી રહી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે શિક્ષણ વ્યવસ્થા પર કબ્જો જમાવી લીધો છે અને વાસ્તવમાં ધર્મેન્દ્ર પ્રધાન નહીં પરંતુ RSS આખું શિક્ષણ મંત્રાલય ચલાવી રહ્યું હતું.’

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, ‘અમે ગૃહમંત્રીને ગાડીઓના કાફલામાં જોયા હતા, પણ તેઓ ક્યાં છે? તેમનામાં ગૃહમાં આવીને બેસવાની હિંમત નથી.’ આ વાત પર સ્પીકરે સ્પષ્ટતા કરી હતી કે, અત્યારે જે બિલ પર ચર્ચા ચાલી રહી છે તેના સંબંધિત મંત્રી અહીં હાજર જ છે. આજે ગૃહ મંત્રાલય પર ચર્ચા નથી થઈ રહી અને જે વિષય પર ચર્ચા હોય તેના જ મંત્રી ગૃહમાં બેસે તેવી સંસદીય પરંપરા છે.

ત્યારબાદ રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો કે, તમે વિદ્યાર્થીઓ પર ગોળીઓ ચલાવો છો અને ગૃહમંત્રીમાં અહીં બેસવાની હિંમત નથી. તેમના આ નિવેદનને કારણે લોકસભામાં ભારે અફડાતફડી અને હંગામો મચી ગયો હતો.

સંસદીય કાર્ય મંત્રી કિરન રિજિજૂએ આ વાતનો સખત વિરોધ કરતા કહ્યું કે રાહુલ ગાંધીએ અત્યંત અયોગ્ય વાત કહી છે અને આવું નિવેદન આપી શકાય નહીં. તેમણે કયા આધારે આ આક્ષેપ કર્યો છે અને તેમને ફાયરિંગના આદેશ આપ્યા હોવાની માહિતી કોણે આપી?

ગૃહમાં શાસક પક્ષ તરફથી રાહુલ ગાંધી માફી માગે તેવી માંગણી ઊઠી હતી, જ્યારે સામે પક્ષે વિપક્ષી સાંસદોએ ગૃહમંત્રીના રાજીનામા અને માફીની માંગ સાથે જોરદાર સૂત્રોચ્ચાર શરૂ કરી દીધો હતો.

29 Jul 2026 | 01:38 PM
લોકસભામાં સ્પીકરે રાહુલ ગાંધીને બોલવાનું ચાલુ રાખવા કહ્યું અને પૂછ્યું કે જો તેઓ બોલવા ન માગતા હોય તો બીજા વક્તાને બોલાવવામાં આવે. તેમણે ઉમેર્યું કે અગાઉ પણ ગૃહમાં આવા પ્રસંગો જોયા છે જ્યારે તમે નેતા સદનને બોલવા દીધા નહોતા.

આ અંગે કિરન રિજિજૂએ કહ્યું કે સારી ચર્ચા ચાલી રહી છે, તમે આવી પરિસ્થિતિ ઊભી ન કરો. વડાપ્રધાનને કેટલીય વાર બોલવા દેવાયા નહોતા. આજે તમે અસંસદીય ભાષાનો ઉપયોગ કર્યો છે. માત્ર તમારા શબ્દ સામે વાંધો છે, તમે ભાવુક ચહેરો બતાવીને ગુમરાહ કરી શકો નહીં.

આના પર રાહુલ ગાંધીએ કહ્યું કે આ શબ્દનો પ્રયોગ કોઈના માટે નથી કર્યો, માત્ર જે છે તેની કેટેગરી બતાવી છે. જો તમે લોકો ઇચ્છતા હોવ કે અહીં માત્ર ભાજપ જ બોલે તો હું ચૂપ થઈને બેસી જાઉં છું, કોઈ વાંધો નથી. હું જ્યારે પણ બોલું છું ત્યારે રિજિજૂજી ઊભા થઈ જાય છે અને તમે તેમને તક આપી રહ્યા છો.

સ્પીકરે આ બાબતે કહ્યું કે ગૃહમાં સારી વ્યવસ્થાઓ અને મર્યાદાઓ રહી છે. આપણે સારી મર્યાદા બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ. ગૃહમાં જે મર્યાદા અને તર્ક સાથે બોલે છે, દેશ તેને સાંભળે છે અને સન્માન પણ કરે છે. શબ્દોની પસંદગી સંસદીય મર્યાદાને અનુકૂળ હોવી જોઈએ.

29 Jul 2026 | 01:29 PM
લોકસભામાં ચર્ચા દરમિયાન કેન્દ્રીય મંત્રી કિરન રિજિજૂએ રાહુલ ગાંધીના નિવેદન સામે આકરો વાંધો ઉઠાવતા કહ્યું કે, ‘આપ સંસદમાં આવા શબ્દોનો ઉપયોગ ન કરી શકો, આ નિયમો અમે નથી બનાવ્યા. જો તમે સંસદીય મર્યાદા જાળવી રાખશો તો જ તમારું ભાષણ સાંભળવામાં આવશે. હું રાહુલજીને વિનંતી કરું છું કે તેઓ આ પ્રકારના શબ્દો ટાળીને પોતાનું વક્તવ્ય ફરી શરૂ કરે. ભૂતકાળમાં તમે પણ એવી પરિસ્થિતિઓ ઊભી કરી છે જેના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનું ભાષણ પૂરું કરી શક્યા નહોતા, પરંતુ હવે તમે આ રીતે લાગણીશીલ થઈને ગૃહને ગુમરાહ કરી શકો નહીં.’

29 Jul 2026 | 01:22 PM
રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘હું સ્ટુડન્ટને વ્યાખ્યાયિત કરી રહ્યો છું. સ્ટુડન્ટ સત્યની પાછળ દોડતો રહે છે. ગાંધીજીએ કહ્યું હતું કે, ઘરની બારી તમામ પ્રકારની હવા માટે ખુલ્લી રહેવી જોઈએ. મેં એક વિદ્યાર્થીનીને પૂછ્યું કે ઈડિયટ વિશે તમારી શું રાય છે? જે સ્ટુડન્ટ નથી, તેના વિશે શું? વિદ્યાર્થીએ કહ્યું કે, સ્ટુડન્ટ ગર્વથી સત્યની સાથે હોય છે, જ્યારે બીજી તરફના લોકો ઈમેજની ચિંતા કરે છે. ઈડિયટ પોતાને ભગવાન માને છે અને પોતાની ઈમેજ બનાવવાનો પ્રયાસ કરે છે. અંધ ભક્ત ઈડિયટને ફોલો કરે છે.’ રાહુલ ગાંધીના આ નિવેદન બાદ ગૃહમાં ભારે હંગામો શરૂ થઈ ગયો હતો, જેના પર કેન્દ્રીય મંત્રી કિરન રિજિજૂએ વિરોધ વ્યક્ત કરતા કહ્યું કે રાહુલ ગાંધીએ અસંસદીય ભાષાનો ઉપયોગ કર્યો છે.

29 Jul 2026 | 01:18 PM
લોકસભામાં બોલતા રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશના યુવાનો અને ભવિષ્યએ મને એવો વિશ્વાસ અપાવ્યો છે કે, તેઓ પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે સક્ષમ છે. ભાજપમાં રહેલા મારા મિત્રો સહિત તમામ રાજકીય પક્ષોએ આ વાતનો સ્વીકાર કરવો જોઈએ. ભાજપના નેતાઓએ પોતાના ઘરે જઈને બાળકોને પૂછવું જોઈએ કે જંતર-મંતર પર વિદ્યાર્થીઓ જે કરી રહ્યા હતા તેમાં શું ખોટું હતું? યુવાનો દ્વારા જે પણ કરવામાં આવ્યું તે બિલકુલ ખોટું નહોતું અને દરેક ભારતીયને તેમના પર ગર્વ હોવો જોઈએ.

29 Jul 2026 | 01:10 PM
લોકસભામાં બોલતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે, ‘મને વિદ્યાર્થીઓ, તેમની શિક્ષણ વ્યવસ્થા અને પરીક્ષાઓ વિશે વાત કરવાની તક આપવા બદલ આભાર. યુવાનોનો આ વિરોધ કોઈ ગુસ્સો, હિંસા કે નફરત નહોતી, પરંતુ તેમની અભિવ્યક્તિ હતી. તમામ રાજકીય પક્ષોએ આ અભિવ્યક્તિનું સન્માન કરવું જોઈએ. પેપર લીક સામે વિદ્યાર્થીઓનો આક્રોશ સંપૂર્ણપણે વ્યાજબી હતો. દરેક ભારતીય નાગરિકને ગર્વ હોવો જોઈએ.’ તેમણે તાજેતરમાં કેટલાક બાળકો સાથે થયેલી વાતચીતનો ઉલ્લેખ કરતા કહ્યું, ‘મેં એક બાળકીને પૂછ્યું કે વિદ્યાર્થી હોવાનો અર્થ શું છે? તો તેણે ખૂબ સુંદર જવાબ આપ્યો કે, વિદ્યાર્થી એ છે જેનું મન ખુલ્લું હોય છે અને જે એ વાતનો સ્વીકાર કરે છે કે તે બધું જ નથી જાણતો. વિદ્યાર્થી જાણે છે કે દુનિયા સતત બદલાઈ રહી છે.’

29 Jul 2026 | 01:07 PM
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એન્ટિ પેપર લીક બિલ પર બોલતા સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, દેશનું ભવિષ્ય આજે રસ્તા પર ઉતરી આવ્યું છે. ભાજપના નેતાઓએ પણ પોતાના બાળકોને પૂછવું જોઈએ કે દેશમાં શું ખોટું થઈ રહ્યું છે. આ વિરોધ પ્રદર્શનમાં યુવાનોનો આક્રોશ હતો, કોઈ નફરત નહોતી અને દેશના યુવાનોનું સન્માન થવું જ જોઈએ. આજે દેશના વિદ્યાર્થીઓને રસ્તા પર ઉતરવાની નોબત આવી છે, જ્યારે કે તેઓ જ આપણા દેશનું ભવિષ્ય છે. વિદ્યાર્થીઓ સારી રીતે સમજે છે કે સમગ્ર વિશ્વ બદલાઈ રહ્યું છે અને જ્ઞાનનું મહત્ત્વ સૌથી વધુ છે.

29 Jul 2026 | 12:38 PM
પૂર્નિયાના અપક્ષ સાંસદ પપ્પુ યાદવે RTI અને ઓડિટ વ્યવસ્થા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, આ બાબતોને તમામ પ્રકારની ગડબડીઓથી દૂર કરી દેવામાં આવી છે, ત્યારે આખરે જવાબદારી કોની નક્કી થશે? NTA ના ચેરમેનને કેમ હટાવવામાં આવ્યા નથી, તેવો પ્રશ્ન ઉઠાવતા તેમણે ઉમેર્યું કે 2018માં જેમને NTA માં લાવવામાં આવ્યા હતા તેઓ અગાઉ મધ્ય પ્રદેશના શિક્ષણ વિભાગમાં ઉચ્ચ હોદ્દા પર હતા. કરોડો ઉમેદવારોના ફોર્મના કરોડો રૂપિયા NTA ને શા માટે આપવામાં આવે છે અને તેની તપાસ કોણ કરશે? રાજ્ય સરકારોના અધિકારો છીનવી લેવાયા હોવાનો આક્ષેપ કરતા તેમણે NTA સામે યોગ્ય તપાસ કમિટી અને SIT ની માંગણી કરી હતી અને સંજીવ મુખિયાને છોડી મૂકવા અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા.

29 Jul 2026 | 12:20 PM
લોકસભામાં ‘એન્ટિ પેપર લીક બિલ’ પર બીજા દિવસની ચર્ચાનો પ્રારંભ થઈ ગયો છે. ચર્ચાની શરૂઆત બિહારના સુપૌલથી JDU સાંસદ દિલેશ્વર કામતે કરી હતી. તેમણે આ બિલનું સમર્થન કરતા જણાવ્યું હતું કે, આ વિધેયક NDA સરકાર પ્રત્યે જનતાના વિશ્વાસને દર્શાવે છે અને દેશના બાળકોના ભવિષ્યને સુરક્ષિત બનાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે.

29 Jul 2026 | 12:17 PM
લોકસભામાં આજે પણ એન્ટિ પેપર લીક બિલ પર ચર્ચા આગળ વધશે. બિલ પર વિપક્ષ તરફથી મોટો પ્રહાર કરવાની તૈયારી છે.

29 Jul 2026 | 12:16 PM
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે બપોરે 12:30 વાગ્યે એન્ટી પેપર લીક બિલ પર પોતાના વિચાર રજૂ કરશે અને સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે.

29 Jul 2026 | 12:15 PM
બુધવારે સવારે કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી સભ્યોએ જોરદાર હંગામો મચાવ્યો હતો. જેના કારણે લોકસભાના સ્પીકર ઓમ બિરલા અને રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણને બપોરે 12 વાગ્યા સુધી ગૃહોની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. ત્યારબાદ ફરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :