CIA ALERT

દારૂ એક્સાઈઝ કૌભાંડમાં કેજરીવાલ સહિત 22ને નિર્દોષ છોડી મૂકાયા

Share On :
  • દિલ્હીની દારૂ નીતિમાં ફેરફાર કૌભાંડ હોવાનો કોર્ટનો ઈનકાર
  • દારૂ કૌભાંડમાં કાવતરાંની થીયરી માત્ર અનુમાન આધારિત, કેસ ન્યાયિક પરીક્ષણમાં ટકી શકે તેમ જ નથી : ટ્રાયલ કોર્ટ

દેશભરમાં બહુ ગાજેલા આપ સરકારના કથિત દારૂ કૌભાંડમાં દિલ્હીની કોર્ટે શુક્રવારે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા અને અન્ય ૨૧ને નિર્દોષ છોડી મૂક્યા હતા. દિલ્હી કોર્ટે રાજ્યની દારૂ નીતિમાં ફેરફારથી આપ સરકાર દ્વારા કથિત રીતે કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના સીબીઆઈના આરોપોને નકારી કાઢ્યા હતા. કોર્ટે કહ્યું કે, આ કેસમાં સીબીઆઈ કોઈ પુરાવા રજૂ કરી શકી નથી. ઉલટાનું આ કેસની તપાસ કરનારા સીબીઆઈ અધિકારી સામે આંતરિક તપાસનો કોર્ટે નિર્દેશ આપ્યો હતો. જોકે, ટ્રાયલ કોર્ટના આ ચુકાદા સામે સીબીઆઈએ તાત્કાલિક દિલ્હી હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી દીધી છે.

સીબીઆઈએ જે કથિત દારૂ કૌભાંડમાં આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ સહિત અનેક મોટા નેતાઓને મહિનાઓ સુધી જેલના સળીયા પાછળ ધકેલી દીધા હતા તે કેસમાં શુક્રવારે કોર્ટમાં સીબીઆઈના ધજાગરા ઊડી ગયા હતા. દિલ્હીની રાઉઝ એવન્યુ સ્થિત વિશેષ કોર્ટેના ન્યાયાધીશ (પીસી એક્ટ) જિતેન્દ્ર સિંહે સીબીઆઈની ઝાટકણી કાઢતા બધા જ ૨૩ આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા હતા. સીબીઆઈનો કેસ ન્યાયિક પરીક્ષણમાં ટકી શકે તેમ નથી. કોઈના વિરુદ્ધ પ્રથમ દૃષ્ટીએ આ કેસ બનતો જ નથી. દાદરૂ નીતિમાં કોઈ વ્યાપક કાવતરું અથવા ગુનાઈત ઈરાદો નહોતો.

આ કથિત દારૂ કૌભાંડના આક્ષેપોના પગલે જ અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં મુખ્યમંત્રી પદ છોડવું પડયું હતું અને છ મહિના જેલમાં પસાર કરવા પડયા હતા જ્યારે મનીષ સિસોદિયાએ લગભગ બે વર્ષ જેલમાં કેદ રહેવું પડયું હતું. અને આમ આદમી પાર્ટીએ ગયા વર્ષે સરકાર ગુમાવી હતી. કોર્ટે છોડી મૂકેલા ૨૩ આરોપીઓમાં અરવિંદ કેજરીવાલ અને ન્યાબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા ઉપરાંત વિજય નાયર, તેલંગણા જાગૃતિનાં અધ્યક્ષ, પૂર્વ સાંસદ અને તેલંગણાના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવની પુત્રી કે. કવિતાનો પણ સમાવેશ થાય છે.

વિશેષ ન્યાયાધીશ જિતેન્દ્ર સિંહે તપાસમાં થયેલી ભૂલો માટે સીબીઆઈની ઝાટકણી કાઢતા કહ્યું કે, કેજરીવાલ વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા નહોતા જ્યારે સિસોદિયા વિરુદ્ધ પ્રથમ દૃષ્ટિએ કોઈ કેસ જ નહોતો બનતો. છતાં કેટલાક ભ્રામક કથનો પર ભાર આપવામાં આવ્યો. સીબીઆઈના આરોપનામામાં અનેક ખામીઓ છે, જેમની પુષ્ટી પુરાવા અથવા સાક્ષીઓ સાથે થતી નથી. આરોપનામામાં પણ આંતરિક વિરોધાભાસ છે, જે કાવતરાંની થિયરીના મૂળ પર પ્રહાર કરે છે. કેજરીવાલને કોઈપણ આરોપ વિના ફસાવાયા હતા.

સીબીઆઈએ કહ્યું કે, નવી દારૂ નીતિ મારફત મોટું ગુનાઈત કાવતરું રચાયું હતું, જેમાં પસંદગીના લોકોને ફાયદો પહોંચાડવામાં આવ્યો અને તેના બદલામાં લાંચ લેવામાં આવી હતી. જોકે, કોર્ટે નોંધ્યું કે, રેકોર્ડ પર કોઈ વ્યાપક કાવતરું અથવા ગુનાઈત અંશોના નક્કર પુરાવા નથી. ફરિયાદ પક્ષની કાવતરાંની થીયરી માત્ર અંદાજ પર આધારિત છે. માત્ર આશંકાઓ અને કથિત કડીઓ જોડવાથી ગુનાઈત કાવતરું સ્થાપિત થઈ શકે નહીં. સીબીઆઈએ રજૂ કરેલા પુરાવાઓના આધારે એફઆઈઆર પણ નોંધાઈ શકે નહીં. કોર્ટે સીબીઆઈના આરોપનામાને અત્યંત નબળું ગણાવ્યું હતું.

કોર્ટમાં સીબીઆઈએ ચાર્જશીટમાં નોંધાયેલ કથિત ગેરવહીવટ, બેઠકો અને લેવડ-દેવડના આધારે આરોપ નિશ્ચિત કરવાની માગ કરી હતી. જોકે, કોર્ટે કહ્યું કે, ૨૩માંથી કોઈપણ આરોપી વિરુદ્ધ આરોપ ઘડવા લાયક પુરાવા નથી. સીબીઆઈનો કેસ ન્યાયિક તપાસમાં ટકતો નથી. કોર્ટે કહ્યું કે, અપ્રુવરના નિવેદનોથી તપાસની ખામીઓ દૂર કરવા અને નવા લોકોને આરોપી બનાવવા ખોટું છે. આ પ્રકારની કાર્યપદ્ધતિ બંધારણીય સિદ્ધાંતોનો ગંભીર ભંગ હોઈ શકે છે. તેને સ્વીકારવામાં આવે તો તે ન્યાય પ્રક્રિયા માટે જોખમી ઉદાહરણ બની શકે છે.

દિલ્હીમાં ટ્રાયલ કોર્ટના ચુકાદા પછી તુરંત સીબીઆઈ સ્પષ્ટ કરી દીધું છે કે તે આ આદેશ વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરશે. તપાસ એજન્સીનું માનવું છે કે ટ્રાયલ કોર્ટે તપાસના અનેક મહત્વપૂર્ણ પાસાઓની અવગણના કરી છે અથવા તેના પર વિચાર નથી કર્યો.

દિલ્હીમાં કથિત એક્સાઈઝ કૌભાંડમાં પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સહિત ૨૩ આરોપીઓને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે નિર્દોષ છોડી મુક્યા છે. આ ચુકાદાથી કેજરીવાલ સહિતના આરોપીઓને માત્ર આંશિક રાહત મળી છે. તેમની સામે આ જ કેસના સંદર્ભમાં હજુ મની લોન્ડરિંગનો ઈડીનો કેસ ચાલુ છે. કેજરીવાલ સામે ઈડીનો આ કેસ હજુ પેન્ડિંગ છે. દિલ્હીમાં રાઉઝ એવન્યુ કોર્ટના ચૂકાદા પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે દિલ્હી એક્સાઈઝ પોલિસી સાથે સંકળાયેલો તેમનો મની લોન્ડરિંગનો કેસ ‘સ્વતંત્ર’ તપાસ પર આધારિત છે. તેમની પાસે આ અંગેના વિશ્વસનીય પુરાવા અને વિવિધ કંપનીઓની જુબાનીઓ પર આધારિત છે. બીજીબાજુ કાયદાકીય નિષ્ણાતોનું કહેવું છે કે સીબીઆઈના કેસમાં નિર્દોષ છૂટવાની સકારાત્મક અસર ઈડીના કેસ પર પણ પડી શકે છે, કારણ કે ઈડીનો સંપૂર્ણ કેસ સીબીઆઈની એફઆઈઆર પર જ આધારિત હોય છે. મુખ્ય ગુનામાં કોઈ કાવતરું સાબિત ના થાય તો મની લોન્ડરિંગનો કેસ પણ નબળો થઈ શકે છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :