CIA ALERT

રમત જગત Archives - Page 9 of 44 - CIA Live

November 7, 2022
world-cup-t20.png
1min509
  • પહેલી સેમિફાઈનલ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે
  • બીજી સેમિફાઈનલ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે

સુપર-12 રાઉન્ડ પૂરો થતાની સાથે જ સેમિફાઈનલ માટે ચાર ટીમો નક્કી થઈ ચૂકી છે. ગ્રુપ-1માંથી ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડની ટીમ છે, જ્યારે ગ્રુપ-2માંથી ભારત અને પાકિસ્તાને પોતાની દાવેદારી નોંધાવી છે. ત્યારે ચાલો જોઈએ સેમિફાઈનલમાં હવે કઈ ટીમ કોની સામે ટકરાશે.

ભારતની સામે ઈંગ્લેન્ડની ટક્કર
ટી-20 વર્લ્ડ કપ 2022માં ભારતે ઝિમ્બાબ્વેને પોતાની છેલ્લી લીગ મેચમાં 71 રને હરાવી ગ્રુપમાં પહેલું સ્થાન મેળવ્યું છે. ટીમ ઈન્ડિયાએ પોતાની પાંચ મેચોમાંથી ચાર મેચમાં જીત મેળવી 8 પોઈન્ટ સાથે પહેલું સ્થાન પ્રાપ્ત કર્યું. એવામાં ટેબલ ટોપ કરવાના કારણે ભારતીય ટીમનો સેમિફાઈનલમાં ગ્રુપ-1માં બીજા નંબરે રહેનારી ઈંગ્લેન્ડની ટીમ સામે ટક્કર થશે. તો, જો ટીમ ઈન્ડિયા બીજા સ્થાને રહી હોત તો, આ સેમિફાઈનલમાં તે ન્યૂઝીલેન્ડ સામે ટકરાત. સેમિફાઈનલમાં ભારતીય ટીમ હવે 10 નવેમ્બરે એડિલેડના ઓવલ મેદાનમાં ઈંગ્લેન્ડ સામે રમવા ઉતરશે. આ મેચમાં ભારત જીતશે તો ફાઈનલ માટે મેલબોર્ન જશે. ફાઈનલ મેચ 13 નવેમ્બરે રમાશે.

પાકિસ્તાનની ટક્કર ન્યૂઝીલેન્ડ સામે
ગ્રુપ-2માં ઉલેટફેરના કારણે સેમિફાઈનલમાં પહોંચનારી પાકિસ્તાનની ટીમનો સામનો પહેલી સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે થશે. બંને ટીમોની વચ્ચે આ મેચ 9 નવેમ્બરે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. પાકિસ્તાનની ટીમ પોતાના ગ્રુપમાં 6 પોઈન્ટ સાથે સેમિફાઈનલમાં પહોંચી છે. જોકે, તે નોકઆઉટ સ્ટેજમાંથી લગભગ બહાર થઈ ચૂકી હતી, પરંતુ નેધરલેન્ડની ટીમે છેલ્લી લીગ મેચમાં સાઉથ આફ્રિકાને હરાવી ઉલટફેર કરી દીધો. એ કારણે સાઉથ આફ્રિકાની ટીમ પાસે 5 પોઈન્ટ જ રહી ગયા, જેના કારણે તે સેમિફાઈનલમાંથી બહાર ફેંકાઈ ગઈ. તો પાકિસ્તાનની ટીમે બાંગ્લાદેશને પોતાની છેલ્લી મેચમાં હરાવી સેમિફાઈનલની ટિકિટ મેળવી. ગ્રુપ-1માં ન્યૂઝીલેન્ડની ટીમ ટેબલ ટોપર છે. એ કારણે સેમિફાઈનલમાં તેનો સામનો પાકિસ્તાન સામે થશે.

November 3, 2022
world-cup-t20.png
1min448

ટી-20 વિશ્વ કપનો સુપર-12 રાઉન્ડનો ગ્રુપ-બેનો 3/11/22 ગુરુવારે પાકિસ્તાન અને દ. આફ્રિકા વચ્ચેનો એક નિર્ણાયક મેચ રમાશે. આ મેચ પાકિસ્તાન માટે કરો યા મરો સમાન છે. આફ્રિકા સામેની હારથી તે વિશ્વ કપની બહાર થઇ જશે જ્યારે જીત મળવાથી તેની થોડીઘણી આશા જીવંત રહેશે.

હાલ ગ્રુપ બેમાં ભારતીય ટીમ 6 પોઇન્ટ સાથે ટોચ પર છે. તેના પછી દ. આફ્રિકા બીજા સ્થાને પ પોઇન્ટ સાથે છે જ્યારે બાંગલાદેશના ખાતામાં 4, ઝિમ્બાબ્વેના ખાતામાં 3 અને પાકિસ્તાનના ખાતામાં માત્ર બે અંક છે. આથી તેની આમ તો સેમિ ફાઇનલની રાહ લગભગ અશક્ય સમાન બની ચૂકી છે. આફ્રિકા પછી પાકિસ્તાનને એક મેચ બાંગલાદેશ સામે રમવાનો રહે છે.

જો બન્ને મેચમાં તેને જીત મળે તો 6 પોઇન્ટ સુધી પહોંચી શકે છે. આ સામે આફ્રિકાને નેધરલેન્ડ સામે મેચ રમવાના છે. જેમાં તેની નિશ્ચિત જીત ગણી શકાય. આથી પાક. સામેની હાર છતાં તે અંતમાં 7 અંકે પહોંચી જશે. બીજી તરફ હાલ 6 પોઇન્ટ ધરાવતી ભારતીય ટીમ રવિવારે ઝિમ્બાબ્વે સામે રમશે. જે વર્લ્ડ કપનો સુપર-12 રાઉન્ડનો આખરી મેચ હશે. આ મેચના વિજયથી ભારતના ખાતામાં 8 પોઇન્ટ હશે. ભારતની રન રેટ ઘણી સારી છે. આથી પાક. માટે સેમિના દ્વાર લગભગ બંધ સમાન છે. આમ છતાં આફ્રિકા સામેનો તેનો મેચ ડૂ ઓર ડાઇ જેવો કહી શકાય.

November 2, 2022
world-cup-t20-1.png
1min513

ટીમ ઇન્ડિયા Dt.2/11/22 બુધવારે અહીં રમાનાર ગ્રુપ-બેના તેના લીગ મેચમાં બાંગલાદેશ વિરૂધ્ધ વિજય મેળવીને સેમિ ફાઇનલ ભણી આગેકૂચ કરવાના લક્ષ્ય સાથે મેદાને પડશે. ભારતીય ટીમના હાલ 3 મેચમાં 2 જીત અને 1 હારથી કુલ 4 પોઇન્ટ છે અને દ. આફ્રિકા પછી પોઇન્ટ ટેબલ પર બીજા સ્થાને છે. બાંગલાદેશની ટીમની પણ ભારત સમાન જ સ્થિતિ છે, પણ તે નેટ રન રેટમાં પાછળ છે. આથી તે ત્રીજા સ્થાને છે. ભારતનો રન રેટ 0.844 અને શ્રીલંકાનો માઇનસ 1.પ33 છે. બાંગલાદેશની ટીમ ઉલટફેર કરવામાં માહિર છે, પણ આ મેચમાં ટીમ ઇન્ડિયા જીતની પ્રબળ દાવેદાર છે.

બંગલાદેશ સામેના મેચમાં ભારતીય ટીમ ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહેલ કેએલ રાહુલને ફરી ઓપનિંગમાં ઉતરાવનું પસંદ કરશે. જ્યારે અનફિટ દિનેશ કાર્તિકના સ્થાને ઋષભ પંતને તક મળી શકે છે અને તે મીડલ ઓર્ડરમાં બેટિંગ કરશે તેવું માનવામાં આવે છે. કેએલ રાહુલ ટી-20 વિશ્વ કપમાં હજુ સુધી 3 મેચમાં 22 રન જ કરી શકયો છે. જો કે કોચ દ્રવિડ અને કપ્તાન શર્મા તેના પર પૂરો ભરોસો રાખે છે. બાંગલાદેશનું બોલિંગ આક્રમણ પ્રમાણમાં નબળુ છે આથી રાહુલ પાસે ફોર્મમાં વાપસી કરવાનો મોકો બની રહેશે.

બંગાલદેશના બોલિંગ આક્રમણમાં મુસ્તાફિઝૂર, તસકીન, મહેંદી હસન, હસન મહમૂદ અને કપ્તાન શકિબ છે, પણ નિશ્ચિત રીતે આ આક્રમણ વિશ્વસ્તરીય નથી. સૂર્યકુમાર યાદવ અને વિરાટ કોહલી વિશ્વ કપમાં શાનદાર ઇનિંગો રમી ચૂકયા છે. આથી તેની સામે બાંગલાદેશની બોલિંગની કસોટી થશે. ભારતીય ટીમને કપ્તાન રોહિત શર્મા પાસેથી મોટી અને વિસ્ફોટક ઇનિંગની આશા રહેશે. પાછલા મેચમાં વિકેટકીપર કાર્તિક ઇજાગ્રસ્ત થયો હતો. આથી તેના સ્થાને પંતને મોકો મળી શકે છે. ભારતીય ટીમમાં દીપક હુડ્ડાના સ્થાને અક્ષર પટેલની વાપસી થઇ શકે છે. કારણ કે બાંગલાદેશની ટીમમાં 4 ડાબોડી બેટધર છે. આ મેચમાં પણ ભારત ઝડપી બોલર ત્રિપુટી ભુવનેશ્વર, અર્શદિપ અને શમી સાથે ઉતરવાનું પસંદ કરશે.
ટોસ જીતનાર ટીમ એડિલેડમાં પહેલા બેટિંગ પસંદ કરી શકે છે. કારણ કે એડિલેડમાં સંધ્યા ટાણે બોલ વધુ સ્વિંગ થાય છે. જેનો ફાયદો મળી શકે છે. મેચ ભારતીય સમય અનુસાર બુધવારે બપોરે 1-30થી શરૂ થશે.

October 30, 2022
india-vs-sa-t20.png
1min491

 વિશ્વકપમાં ગુરૂવારે ભારતીય ટીમે નેધરલેન્ડને 56 રને હરાવ્યું હતું. ટુર્નામેન્ટમાં આ ટીમ ઈન્ડિયાની સતત બીજી જીત છે. આ પહેલા મેલબર્નમાં રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમે પાકિસ્તાનને હરાવ્યું હતું. અત્યારે ટીમ ઈન્ડિયાના બે મેચમાં ચાર પોઈન્ટ છે અને ગ્રુપ બેમાં ટોપ ઉપર છે. જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ બીજા ક્રમાંકે છે. દક્ષિણ આફ્રિકાએ ગુરૂવારે બંગલાદેશ સામે મોટી જીત નોંધાવી હતી. જો કે દક્ષિણ આફ્રિકાનો પહેલો મેચ ઝિમ્બાબ્વે સામે હતો જે ધોવાઈ ગયો હતો. જેના કારણે બે મેચમાં ત્રણ પોઈન્ટ સાથે દક્ષિણ આફ્રિકાની ટીમના ત્રણ પોઈન્ટ છે. હવે આવતીકાલે દક્ષિણ આફ્રિકાની ટીમ અને ભારતીય ટીમ વચ્ચે મુકાબલો થવાનો છે.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેનો મેચ ભારતીય સમયઅનુસાર 4.30 વાગ્યે શરૂ થશે. ટી20 વિશ્વકપનો આ 30મો મેચ હશે. જેમાં ભારતીય ટીમ પર્થમાં પોતાનો પહેલો મેચ રમશે. જો ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાને હરાવવામાં સફળ રહેશે તો ગ્રુપ બેમાં ટોચ ઉપર યથાવત રહેશે. બીજી તરફ જો દક્ષિણ આફ્રિકાની ટીમ જીતી જશે તો તે ટોચ ઉચપર પહોંચી જશે. અત્યારે ઝિમ્બાબ્વે અને દક્ષિણ આફ્રિકા બન્નેના ત્રણ ત્રણ પોઈન્ટ છે. જો કે સારી રનરેટના કારણે દક્ષિણ આફ્રિકાની ટીમ બીજા ક્રમાંકે છે.

પર્થમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેના મેચમાં વરસાદની સંભાવના નથી. એટલે કે મેચ કોઈપણ અડચણ વિના 40 ઓવરનો રમાશે અને ક્રિકેટ ચાહકો એક રોમાંચક મેચની મજા માણી શકશે.

ટીમ ઈન્ડિયાની વાત કરવામાં આવે તો રોહિત શર્માના નેતૃત્વમાં પ્રદર્શન નોંધપાત્ર રહ્યું છે. પહેલા મેચમાં ભારતે પાકિસ્તાનને ચાર વિકેટે હરાવ્યું હતું અને નેધરલેન્ડ સામે 56 રને જીત મળી હતી. તેવામાં દક્ષિણ આફ્રિકા સામે કાબુ મેળવવો ભારતીય ટીમ સામે મુશ્કેલ રહેશે નહી. જો કે દક્ષિણ આફ્રિકાએ શ્રીલંકા સામે સારુ પ્રદર્શન કર્યું હતું. જેના કારણે ભારતીય ટીમ સાવધાન રહેવું પડશે.’

પર્થની વિકેટ ઝડપી બોલર માટે સૌથી અનુકુળ માનવામાં આવે છે. પર્થ દુનિયાની સૌથી ઝડપી પીચ છે.
જેના કારણે બેટરોને પરેશાની થઈ શકે છે. આ જ કારણથી ભારતે ટી20 વિશ્વકપની તૈયારી પર્થમાં જ કરી હતી. ભારતીય ટીમ વિશ્વકપ શરૂ થયાના એક અઠવાડીયા સુધી પર્થમાં રહી હતી અને પ્રેક્ટિસ કરી હતી. તેમજ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા સામે બે અભ્યાસ મેચ પણ રમ્યા હતા. તેવામા આ પ્રેક્ટિસ કેટલી કારગર સાબિત થાય છે તે દક્ષિણ આફ્રિકા સામે રવિવારના મુકાબલામાં જોવા મળશે.

October 28, 2022
zim-beat-pak.png
1min515

ટી20 ક્રિકેટ વર્લ્ડ કપમાં બુધવારે date 27/10/22 મોટો અપસેટ સર્જાયો છે. ઝિમ્બાબ્વેની ટીમે પાકિસ્તાન સામે રોમાંચક વિજય નોંધાવ્યો છે. ઝિમ્બાબ્વેએ લાજવાબ પ્રદર્શન કરતાં પાકિસ્તાન સામે એક રને વિજય નોંધાવ્યો છે.

પર્થ ખાતે રમાયેલી મેચમાં ઝિમ્બાબ્વેએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. સારી શરૂઆત બાદ અંતિમ ઓવર્સમાં ઝિમ્બાબ્વેનો ધબડકો થયો હતો. તેમ છતાં ઝિમ્બાબ્વેએ 20 ઓવરમાં 8 વિકેટે 130 રનનો સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબમાં પાકિસ્તાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 129 રન જ નોંધાવી શકી હતી. ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનનો આ સળંગ બીજો પરાજય છે. પાકિસ્તાનને અગાઉ ભારત સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ભારત સામેની મેચનું પરિણામ પણ અંતિમ બોલ પર આવ્યું હતું.

ઝિમ્બાબ્વેની બેટિંગ થોડી પ્રભાવશાળી રહી હતી. તેની શરૂઆત સારી રહી હતી. માધેવેરે અને સુકાની ક્રેગ ઈરવિનની ઓપનિંગ જોડીએ પાંચ ઓવરમાં 42 રનનો સ્કોર નોંધાવ્યો હતો. માધેવેરેએ 17 અને ઈરવિને 19 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે મિલ્ટન શુમ્બાએ 8 રનનું યોગદાન આપ્યું હતું. ઝિમ્બાબ્વે માટે સૌથી વધુ રન સીન વિલિયમ્સે નોંધાવ્યા હતા. સીન વિલિયમ્સે 28 બોલમાં 31 રન નોંધાવ્યા હતા. જ્યારે અંતિમ ઓવર્સમાં બ્રાડ ઈવાન્સે 15 બોલમાં 19 રનનું યોગદાન આપ્યું હતું. પાકિસ્તાન માટે મોહમ્મદ વસિમે ચાર તથા શાદાબ ખાને ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે હેરિસ રૌફને એક સફળતા મળી હતી.

131 રનના સ્કોર સામે પાકિસ્તાનના બેટર્સ વધારે કમાલ કરી શક્યા ન હતા. ટીમે નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી જેના કારણે ટીમ દબાણમાં આવી ગઈ હતી. જેના પરિણામે અંતિમ બોલ સુધી મેચ રોમાંચક રહી હતી. પાકિસ્તાનના સ્ટાર બેટર્સ મોહમ્મદ રિઝવાન અને કેપ્ટન બાબર આઝમ નિષ્ફળ રહ્યા હતા. રિઝવાન 14 અને બાબર આઝમ ચાર રન નોંધાવીને આઉટ થયા હતા. પાકિસ્તાન માટે શાન મસૂદે 38 બોલમાં 44 રન ફટકાર્યા હતા પરંતુ તેની ઈનિંગ્સ એળે ગઈ હતી. મોહમ્મદ નવાઝે 22 રન ફટકાર્યા હતા પરંતુ ટીમને વિજય અપાવી શક્યો ન હતો. ઝિમ્બાબ્વે માટે સિકંદર રઝાએ ત્રણ તથા બ્રાડ ઈવાન્સે બે વિકેટ ઝડપી હતી. જ્યારે બ્રેસિંગ મુઝારાબાની અને લ્યુક જોંગ્વેને એક-એક સફળતા મળી હતી.

October 28, 2022
bcci_logo.jpg
1min438

મહિલા ક્રિકેટરોને પણ પુરુષ ક્રિકટરો જેટલુ જ વેતન આપવાનો ઐતહાસિક નિર્ણય ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે લીધો છે.

આજે ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહે સોશિયલ મીડિયા થકી લોકોને જાણકારી આપતા કહ્યુ હતુ કે, અમને જણાવતા ખુશી થઈ રહી છે કે, પુરુષ અને મહિલા ક્રિકેટરો વચ્ચેનો ભેદભાવ દુર થવા જઈ રહ્યો છે.ક્રિકેટ બોર્ડ જે મહિલા ક્રિકેટરો કોન્ટ્રાક્ટમાં સામેલ છે તેમને પુરુષો જેટલુ જ વેતન આપવા જઈ રહ્યુ છે.

તેમણે કહ્યુ હતુ કે, હવે સમાનતાના નવા યુગમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે.મહિલા ક્રિકેટરોને પણ પુરુષ ક્રિકેટરો જેટલી જ મેચ ફી મળશે.

ઉલ્લેખનીય છે કે, પુરુષોની ટીમને હાલમાં બોર્ડ એક ટેસ્ટ માટે પંદર લાખ રુપિયા અને એક વન ડે માટે 6 લાખ રુપિયા ચુકવે છે.જ્યારે ટી 20 મેચ માટે 3 લાખ રુપિયા ચુકવાય છે.

પુરુષ અને મહિલાને સમાન પૈસા આપવાની શરુઆત સૌથી પહેલા ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે કરી હતી.

October 23, 2022
babar_kohli-1280x843.jpg
1min477

ભારત અને પાકિસ્તાન વચ્ચે આવતીકાલે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટી-૨૦ વર્લ્ડકપનો એશિયાના ચાહકો માટે મેગા મુકાબલો જામશે. ભારતીય સમય પ્રમાણે બપોરે ૧-૩૦ થી રમાનાર આ મેચ માટે બંને ટીમ જીતવા માટે સમાન તક ધરાવે છે. જોકે પાકિસ્તાન કેપ્ટન બાબર આઝમ, વિકેટકિપર બેટ્સમેન રિઝવાન અને ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીના ફોર્મ પર મહત્તમ આધાર રાખે છે. જ્યારે ભારતની ટીમમાં સુર્યકુમાર યાદવ, રાહુલ અને હાર્દિક પંડયાની આક્રમક બેટિંગ નિર્ણાયક બનશે.

ભારતને ડેથ ઓવરમાં ૧૫ થી ૨૫ રન આપતું હોઈ ચિંતા છે. બુમરાહ, જાડેજાની પણ ખોટ સાલશે. પંત કે કાર્તિક કોને રમાડવા તે કોયડો છે. સ્પિનરની પસંદગી પણ મુંઝવે છે. મેલબોર્નમાં વરસાદની આગાહી પણ છે. ચાહકો એવી પ્રાર્થના કરે છે કે વરસાદ ન પડે અને વિઘ્ન પડે તો પણ અમુક ઓવરોની મેચ પણ યોજાય. નિયમ પ્રમાણે ઓછામાં ઓછી પાંચ-પાંચ ઓવરની મેચ રમાડી શકાય.

કેપ્ટન રોહિત શર્મા અને કોહલી જેવા અનુભવી પણ ઈનિંગને બિલ્ટ અપ કરી શકવા સક્ષમ છે.

પાકિસ્તાને ભારતને એશિયા કપમાં હરાવ્યું હોઈ તેઓ આત્મવિશ્વાસ સાથે ઉતરશે.

October 19, 2022
engpak.jpg
1min476

ભારતીય ક્રિકેટ ટીમ આવતા વર્ષે પાકિસ્તાનમાં યોજાનાર એશિયા કપમાં ભાગ લેવા નહીં જાય એ તેના કારણે એશિયા કપ પણ પાકિસ્તાનની જગ્યાએ તટસ્થ દેશમાં ખસેડાશે તેવા સંજોગો નિર્માણ પામ્યા છે. ભારતીય ક્રિકેટ બોર્ડની એ.જી.એમ.માં આજે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે ભારતીય ક્રિકેટ ટીમ એશિયા કપ ભલે બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટ હોય તો પણ પાકિસ્તાનમાં રમવા માટે નહીં જાય. ભારતીય ક્રિકેટ બોર્ડના આવા નિર્ણયથી ક્રિકેટ જગતમાં અને વિશેષ કરીને પાકિસ્તાનમાં હલચલ મચી ગઈ હતી.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન રમીઝ રાજાએ ભારે રોષ સાથે ધમકી આપી છે કે જો ભારત એશિયા કપ રમવા નહીં આવે તો અમે આવતા વર્ષે ભારતમાં યોજનારા વનડેના વર્લ્ડ કપમાં ભાગ લેવા નહીં જઈએ.

આમ તો ભારત અને પાકિસ્તાન બંને વચ્ચે દ્વીપક્ષિય ક્રિકેટ રમવાનાં સંબંધ રાજકીય તનાવ અને પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ હજુ પણ પ્રવર્તતો હોઈ દોઢ દાયકાથી નથી. ભારત પાકિસ્તાનમાં છેલ્લે ૨૦૦૮માં એશિયા કપ રમ્યું હતું.

આમ છતાં આઇસીસી આયોજિત બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામે ભારત રમશે તેવું ઠરાવવામાં આવ્યું હોઈ એશિયા કપ, ચેમ્પિયન્સ ટ્રોફી કે ટી-૨૦ અને વન ડેના વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલાઓ થતા જ રહ્યા છે. પાકિસ્તાન ભારતમાં આવીને પણ બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં રમ્યું છે. જોકે ભારત માટે આટલા વર્ષોમાં નિર્ણાયક સમય નહોતો આવ્યો તેનું કારણ એ હતું કે સલામતિના કારણોસર પાકિસ્તાનને ભોગે કોઈ ટુર્નામેન્ટ આઇસીસી દ્વારા અપાતી જ નહોતી. અન્ય દેશો પણ પાકિસ્તાન રમવા જવા તૈયાર નહોતા.

પણ છેલ્લા દોઢેક વર્ષથી ક્રમશઃ અન્ય ટીમો પાકિસ્તાન જતી થઇ છે. પાકિસ્તાન ક્રિકેટ લીગમાં પણ ભાગ લે છે. આવતા વર્ષ સુધીમાં પણ પાકિસ્તાનનું ક્રિકેટ પુનઃ સ્થાપિત વધુ થઈ ગયું હશે અને એશિયા કપ રમવા જવા માટે વિદેશી ટીમોને વાંધો નહીં હોય.

રોટેશન પ્રમાણે એશિયા કપનો વારો ૨૦૨૩માં  પાકિસ્તાનનો છે.

ભારત અને અન્ય દેશોથી પાકિસ્તાનમાં રમવાના સંદર્ભમાં સ્થિતિ જુદી છે. અગાઉની પાકિસ્તાનના ભાગની ટુર્નામેન્ટ યુ.એ.ઇ.માં યોજવી પડી છે. પણ પાકિસ્તાન હવે ઘરઆંગણે યજમાન માટે સજ્જ છે. ભારત સિવાય કોઇ દેશને વાંધો નથી. ભારતના પાકિસ્તાન જોડેના સંબંધો તો વણસ્યા જ છે પણ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ કાશ્મીરમાં જારી જ છે.

પાકિસ્તાન બોર્ડને આર્થિક રીતે પગભર થવા ભારત સામે રમવું અત્યંત જરૂરી છે. આઇસીસીની આવકનો હિસ્સો પાકિસ્તાન બોર્ડને મળે.

October 3, 2022
india-vs-sa.png
1min481

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટી-20 સીરિઝની બીજી મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને હરાવી ત્રણ મેચોની સીરિઝ પર 2-0થી કબજો કરી લીધો છે. હવે ત્રીજી મેચ માત્ર ઔપચારિકતા જ બની રહેશે. ભારતે સાઉથ આફ્રિકાને બીજી ટી-20 મેચમાં 16 રને હરાવી ત્રણ મેચોની સીરિઝ પર 2-0થી કબજો કરી લીધો છે. ભારતે જીત માટે આપેલા 238 રનના લક્ષ્ય સામે સાઉથ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં 3 વિકેટે 221 રન જ બનાવી શકી હતી.

ડેવિડ મિલરે 47 બોલમાં 106 રન ફટકાર્યા હતા અને તે છેક સુધી સાઉથ આફ્રિકાને જીતાડવા માટે ઝઝૂમ્યો હતો અને અણનમ રહ્યો હતો. જ્યારે ક્વિન્ટન ડિ કોક પણ ઓપનિંગથી અંત સુધી ઝઝૂમ્યો હતો, પરંતુ સાઉથ આફ્રિકા માત્ર 16 રન માટે મેચ હારી ગયું હતું. આ પહેલો પ્રસંગ છે કે જ્યારે ભારતીય ટીમે પોતાના ઘરમાં સાઉથ આફ્રિકા સામે ટી-20 સીરિઝ જીતી છે.

સાઉથ આફ્રિકાની શરૂઆત ઘણી ખરાબ રહી હતી અને 1 રને જ પહેલી વિકેટ ગુમાવી દીધી હતી. તેમ્બા બાવુમા ખાતું ખોલાવ્યા વિના જ અર્શદીપનો શિકાર બન્યો હતો. તે પછી ક્વિન્ટન ડિ કોકને સાથ આપવા ક્રિઝ પર ઉતરેલો રિલી રોશૉ પણ શૂન્ય રને અર્શદીપનો શિકાર બન્યો હતો. જોકે, તે પછી એડન માર્કરમે ડિ કોકનો સાથ આપતા 33 રન બનાવ્યા હતા. જોકે, આ જોડીને અક્ષર પટેલે તોડી નાખી હતી. તે પછી ડી કોક સાથે ડેવિડ મિલર જોડાયો હતો. તે ધૂંઆધાર સદી ફટકારી અણનમ રહ્યો હતો. પરંતુ પોતાની ટીમને જીત અપાવી શક્યો ન હતો. ભારત તરફથી અર્શદીપે 2 અને અક્ષર પટેલે 1 વિકેટ ઝડપી હતી.

ટોસ હારીને પહેલા બેટિંગમાં ઉતરેલી ભારતીય ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 3 વિકેટે 237 રન બનાવ્યા હતા. ભારત તરફથી કેએલ રાહુલ અને રોહિત શર્માએ ધમાકેદાર શરૂઆત કરી હતી. બંનેએ પહેલી વિકેટની ભાગીદારીમાં 96 રન જોડ્યા હતા. કેએલ રાહુલે 28 દડામાં 57 રન અને રોહિત શર્માએ 37 દડામાં 43 રન ફટકાર્યા હતા. રોહિતના આઉટ થયા પછી બેટિંગમાં આવેલા વિરાટ કોહલીએ પણ સાઉથ આફ્રિકાના બોલરોની ધોલાઈ ચાલુ રાખી હતી. 107 રનના સ્કોરે કોહલી અને રાહુલની ભાગીદારી તૂટી હતી. રાહુલના આઉટ થયા પછી કોહલી સાથે સૂર્યકુમાર યાદવ જોડાયો હતો. જોરદાર ફોર્મમાં ચાલી રહેલા સૂર્યકુમાર તો આવતાની સાથે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ શરૂ કરી દીધો હતો. તેણે જોતજોતમાં 22 દડામાં 61 રન ફટકારી દીધા હતા. કમનસીબે તે 61 રનના અંગત સ્કોરે રનઆઉટ થઈ ગયો હતો. તે પછી વિરાટ કોહલી અને દિનેશ કાર્તિકે કોઈપણ વિકેટ ગુમાવ્યા વિના ભારતનો સ્કોર 237 રને પહોંચાડ્યો હતો. દિનેશ કાર્તિકે 7 દડામાં બે છગ્ગા અને 1 ચોગ્ગાની મદદથી 17 રન બનાવી અણનમ રહ્યો હતો. જ્યારે કોહલી 28 દડામાં સાત ચોગ્ગા અને એક છગ્ગા સાથે 49 રન બનાવી અણનમ રહ્યો હતો.

સાઉથ આફ્રિકા તરફથી એકમાત્ર કેશવ મહારાજને જ વિકેટ મળી હતી. તેણે બે વિકેટ ઝડપી હતી. એ સિવાય સાઉથ આફ્રિકાનો કોઈ બોલર ભારતીય બેટ્સમેનો પર પ્રભાવ જમાવી શક્યો ન હતો.

October 2, 2022
india-vs-sa.png
1min467

ભારતની ક્રિકેટ ટીમ આજે રવિવાર તા.2 ઓક્ટોબરના રોજ દક્ષિણ આફ્રિકા સામે રમાનારી બીજી ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં વિજય અભિયાન જારી રાખીને શ્રેણીમાં અજેય બઢત મેળવવાની કોશિશ કરવામાં આવશે.

બુમરાહની ભૂમિકા ઓસ્ટ્રેલિયામાં થનારા ટી-20 વિશ્વકપમાં મહત્ત્વની હતી. જો કે ઝડપી બોલર પીઠની પરેશાનીના કારણે વિશ્વકપમાં રમી શકશે કે નહીં તેના ઉપર પ્રશ્નાર્થ છે.

દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીનું આયોજન વિશ્વકપ પહેલા ટીમની તૈયારીને અંતિમ રૂપ આપવા માટે છે. જો કે બુમરાહની ગેરહાજરીએ મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્મા સામે ઘણા સવાલ ઉભા કરી દીધા છે. મોહમ્મદ સિરાજ અને ઉમેશ યાદવને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે પણ બન્ને વિશ્વકપની ટીમમાં સામેલ નથી. સૌથી મોટો સવાલ એ છે કે બુમરાહના સ્થાને અન્ય બોલરને અજમાવવાનો પર્યાપ્ત સમય મળી રહેશે કે નહીં.

વિશ્વકપના સ્ટેન્ડબાયમાં સામેલ અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમી કોરોનાથી બહાર આવી રહ્યો છે અને દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીનો હિસ્સો નથી. તેને ઓસ્ટ્રેલિયા જતી ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. કારણ કે તેને ઓસ્ટ્રેલિયામાં રમવાનો અનુભવ છે. દક્ષિણ આફ્રિકાની શ્રેણી માટે ભારત પાસે દીપક ચાહર છે. જે વિશ્વકપ માટે સ્ટેન્ડબાય છે. બીજી તરફ અર્શદીપ સિંહ પણ ફોર્મમાં છે. ભારતીય ટીમ માટે મહત્ત્વની વાત એ છે કે સ્પીન વિભાગમાં અત્યારે કોઈ પરેશાની જોવા મળી રહી નથી. જાડેજા બહાર થયા બાદ ટીમમાં સામેલ થયેલા અક્ષર પટેલે તકનો પૂરો ફાયદો ઉઠાવ્યો છે અને શાનદાર પ્રદર્શન કર્યું છે. બેટિંગમાં કોહલી સહિતના ખેલાડીઓ સારા ફોર્મમાં છે.’ કેએલ રાહુલ પણ રન બનાવી રહ્યો છે. પહેલા મેચમાં તેણે અર્ધસદી પણ કરી છે.

મધ્યક્રમમાં ઋષભ પંત અને દિનેશ કાર્તિકને પૂરતી તક મળી નથી. પંતને એશિયા કપમાંથી પરત ફર્યા બાદ બેટિંગની તક નથી મળી. જ્યારે કાર્તિકે છેલ્લા સાત મેચમાં માત્ર નવ બોલનો સામનો કર્યો છે. જ્યાં સુધી શ્રેણીની વાત છે તો ભારત દક્ષિણ આફિકા સામે દેશમાં જ પહેલી શ્રેણી જીતવાની કોશિશ કરશે.

દક્ષિણ આફ્રિકાની ટીમ પણ ટી20 વિશ્વકપમાં હજી સુધી અપેક્ષિત રમત બતાવી શકી નથી. તેણે અંતિમ વખત 2016મા સેમીફાઈનલમાં જગ્યા બનાવી હતી. જ્યારે ગયા વર્ષે નોકઆઉટમાં પણ પ્રવેશ કરી શકી નહોતી. કગિસો રબાડા અને એનરિક નોર્કિયાના રૂપમાં આફ્રિકા પાસે બે સારા બોલર છે. જો કે તેમાં સટીકતા જોવા મળી રહી નથી. આ ઉપરાંત આફ્રિકાના બેટરોએ પણ સારુ પ્રદર્શન કરવું પડશે. જે ગયા મેચમાં નિષ્ફળ રહ્યા હતા.