ભારતે 23/09/24 ઈતિહાસ રચ્યો હતો. ભારતની પુરૂષ અને મહિલા ટીમોએ 45મા ચેસ ઓલિમ્પિયાડના અંતિમ રાઉન્ડમાં પોતપોતાના હરીફોને હરાવીને સ્પર્ધામાં પ્રથમ વખત ગોલ્ડ મેડલ જીત્યો હતો. ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશ, અર્જુન એરિગેસી અને આર પ્રજ્ઞાનાનંદાએ સ્લોવેનિયા સામે 11મા રાઉન્ડમાં પોતપોતાની મેચ જીતી હતી.
ચેસ ઓલિમ્પિયાડના ઈતિહાસમાં 97 વર્ષમાં પહેલીવાર ભારતે પુરુષ અને મહિલા કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ડી ગુકેશ અને અર્જુન એરિગેસીના દમ પર ભારતે ચેસ ઓલિમ્પિયાડના ઓપન વિભાગમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. આ ઉપરાંત મહિલા વિભાગમાં પણ ભારતે ગોલ્ડ કબજે કર્યો છે.
ચેસ ઓલિમ્પિયાડમાં ભારતે આ બંને વિભાગમાં ગોલ્ડ જીત્યો હોય તેવું પણ પ્રથમ વખત બન્યું છે. હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં રમાઈ રહેલી 45મી ચેસ ઓલિમ્પિયાડમાં ગુકેશે વ્લાદિમીર ફેડોસીવને હરાવ્યો, જ્યારે એરિગેસીએ જાન સુબેલને હરાવ્યો હતો.
ભારતીય પુરુષ ટીમમાં ડી ગુકેશ, અર્જુન એલિગસી, વિદિત ગુજરાતી, પેન્ટલા હરિકૃષ્ણા, આર પ્રજ્ઞાનાનંદ અને શ્રીનાથ નારાયણન સામેલ હતા. જ્યારે મહિલા ટીમે છેલ્લી મેચમાં અઝરબૈજાનને 3.5-0.5થી હરાવ્યું હતું. મહિલા ટીમમાં હરિકા દ્રોણાવલ્લી, વૈશાલી રમેશબાબુ, દિવ્યા દેશમુખ, વંતિકા અગ્રવાલ, તાનિયા સચદેવ અને અભિજીત કુંતેનો સમાવેશ થાય છે.
વર્લ્ડ ચેમ્પિયનશિપના ચેલેન્જર્સ ગુકેશ અને અર્જુન એરિગેસીએ ફરી એકવાર મુખ્ય મેચોમાં સારું પ્રદર્શન કરીને ભારતને ઓપન કેટેગરીમાં તેનું પ્રથમ ટાઇટલ જીતવામાં મદદ કરી હતી. સ્લોવેનિયા સામેની મેચમાં ગુકેશે બ્લેક પીસ સાથે વ્લાદિમીર ફેડોસીવ સામે ટેક્નિકલ તબક્કામાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. જો કે તેણે સખત લડત આપી હતી, પરંતુ 18 વર્ષીય ગ્રાન્ડમાસ્ટરે શાનદાર વ્યૂહરચના અપનાવી હતી.
LLB ફાઈનલ યરના વિદ્યાર્થીઓને મોટી રાહત આપતાં સુપ્રીમ કોર્ટે શુક્રવાર Dated 20/09/2024એ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (બીસીઆઈ)ને એવો નિર્દેશ આપ્યો છે કે લૉ ગ્રેજ્યુએટ્સને વકીલ બનવા માટેની પાત્રતા પરીક્ષા ઓલ ઈન્ડિયા બાર એક્ઝામિનેશન (એઆઈબીઈ) આપવાની પરવાનગી આપવામાં આવે.
એલએલબીના ફાઈનલ યરના વિદ્યાર્થીઓને છોડી દઈ શકાય નહીં એવી નોંધ કરતાં તેમણે કહ્યું હતું કે જો તેમને આ વર્ષની બાર પરીક્ષા આપવા દેવામાં આવશે નહીં તો તેમનું એક વર્ષ બગડી જશે.
ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ જે. બી. પારડીવાલા અને મનોજ મિશ્રાની ખંડપીઠ એ વાતથી નારાજ હતી કે 2023માં આ મુદ્દે આપવામાં આવેલા પાંચ ન્યાયમૂર્તિના ચુકાદા છતાં બીસીઆઈ દ્વારા એઆઈબીઈ માટે નિયમો ઘડી કાઢવામાં આવ્યા નહોતા.
અહીં ઉલ્લેખનીય છે કે સર્વોચ્ચ અદાલતે 10 ફેબ્રુઆરીએ બાર કાઉન્સિલની પરીક્ષા લેવા માટેની બીસીઆઈની સત્તાને માન્ય રાખી હતી.
તેમણે એમિકસ ક્યુરી (અદાલતના મિત્ર) દ્વારા ફાઈનલ વર્ષના વિદ્યાર્થીઓને યોગ્ય દસ્તાવેજો રજૂ કર્યા બાદ પરીક્ષા આપવા માટે પરવાનગી આપી હતી.
Canada New rule : કેનેડામાં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ આ મહિને અમલમાં આવનારાં નવા નિયમ અનુસાર ઓફ કેમ્પસ વર્ક એટલે કે યુનિવર્સિટી કેમ્પસ બહાર કામ કરવાના કલાકો અઠવાડિયામાં 24 પૂરતાં મર્યાદિત થશે જેને કારણે ભારતીય વિદ્યાર્થીઓને ટોરોન્ટો જેવા મોંઘા શહેરોમાં રહેવાનો ખર્ચ કાઢવામાં મુશ્કેલી પડશે. કોરોના મહામારી દરમ્યાન નિયમોમાં અપાયેલી છૂટની મર્યાદાઓ પણ 30 એપ્રિલે પુરી થઇ ચૂકી છે. જો કે, ઉનાળા અને શિયાળાની રજાઓ દરમ્યાન કામ કરવાના કલાકો પર કોઇ મર્યાદા લદાઇ નથી.
2022માં કેનેડામાં કુલ 5.5 લાખ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ હતાં જેમાંથી 2.26 લાખ સ્ટુડન્ટ્સ ભારતીય હતા. કેનેડામાં હાલ કુલ 3.2 લાખ ભારતીય સ્ટુડન્ટ્સ ગીગ વર્કર તરીકે કામ કરી કેનેડાના અર્થતંત્રમાં તેમનું પ્રદાન આપી રહ્યા છે.
ઓફ કેમ્પસ એટલે કે યુનિવર્સિટીના કેમ્પસની બહાર મળતી નોકરીઓ કરીને સ્ટુડન્ટ્સ તેમનો રહેવા -ખાવાનો ખર્ચ કાઢતાં હોય છે. મોટાભાગની શિફ્ટ આઠ કલાકની રહેતી હોઇ નવા નિયમ અનુસાર સ્ટુડન્ટ્સ હવે દર અઠવાડિયે ત્રણ જ પાર્ટ ટાઇમ શિફ્ટમાં જ કામ કરી શકશે. જેના કારણે તેમને ખર્ચા કાઢવાનું ભારે પડશે.
કેનેડામાં મે મહિનાથી કલાક દીઠ 17.36 ડોલર્સનું મહેનતાણું અમલમાં આવ્યું છે પણ હવે સામે કામના કલાકો મર્યાદિત થવાને પરિણામે સ્ટુડન્ટસ માટે આ લાભ રહ્યો નથી ઉલટું મોટાં શહેરોમાં તો તેમના માટે બે છેડાં ભેગાં કરવાનુ પણ મુશ્કેલ બની રહેશે. 2023માં કેનેડામાં કલાક દીઠ 16.65 ડોલર્સનું મહેનતાણું ચૂકવવામાં આવતું હતું.
સ્ટુડન્ટ્સ જેમના માટે કામ કર્યા વિના છૂટકો નથી તેમણે ખર્ચ બચાવવા માટે મિત્રો સાથે ફરવા જવા અને પ્રવાસ કરવાની પ્રવૃત્તિઓ પર કાપ મુકી દીધો છે. તો વધારે મુશ્કેલ આર્થિક હાલત ધરાવતાં સ્ટુડન્ટ્સ રેન્ટ બચાવવા માટે બીજા સ્ટુડન્ટ્સ સાથે એપાર્ટમેન્ટ શેર કરવા માંડ્યા છે. ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ જરૂરિયાતો પુરી કરવા માટે કામ કરે છે. દરેક સ્ટુડન્ટને વધારાની આવક વિના ભણવાનું પરવડે તેમ હોતું નથી.
બીજી તરફ કેનેડાની યુનિવર્સિટીઓમાં ભણાવતાં પ્રોફેસરોના મતે સ્ટુડન્ટ્સ હવે ભણવામાં વધારે ઘ્યાન આપી શકશે. સ્ટુડન્ટ્સ ઘણીવાર અભ્યાસને બદલે તેમના કામને અગ્રતાક્રમ આપતાં હોઇ તેમના શિક્ષણની ગુણવત્તા કથળે છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થાના ચૅરમૅનપદે ત્રીજા ભારતીય: દાલમિયા અને પવાર પ્રમુખપદે હતા
બોર્ડ ઑફ કંટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ના સેક્રેટરી જય શાહ આગામી પહેલી ડિસેમ્બરે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના નવા ચૅરમૅન તરીકેનો હોદ્દો સંભાળશે. તેઓ મંગળવારે આ સર્વોચ્ચ પદ પર બિનહરીફ ચૂંટાયા હતા.
જય શાહ 35 વર્ષના છે અને આઇસીસીના સૌથી યુવાન અધ્યક્ષ બન્યા છે. તેઓ ચૅરમૅનપદ મેળવનાર એન. શ્રીનિવાસન (2014-’15) અને શશાંક મનોહર (2015-2020) પછીના ત્રીજા ભારતીય છે. ન્યૂ ઝીલૅન્ડના 62 વર્ષીય ગ્રેગ બાર્કલે પોણાચાર વર્ષ આ હોદ્દા પર રહ્યા હતા. તેઓ બે વર્ષની મુદતની ત્રીજી મુદત માટે તૈયાર ન હોવાથી ચૂંટણી થઈ હતી જેમાં જય શાહ એકેય પ્રતિસ્પર્ધી ન હોવાને કારણે સરળતાથી ચૂંટાયા હતા.
ખરેખર તો અગાઉ આઇસીસીના પ્રમુખ આ ક્રિકેટ સંસ્થાના સર્વોચ્ચ શાસક ગણાતા હતા, પરંતુ 2016માં પ્રમુખપદની પ્રથા બંધ કરવામાં આવી હતી અને ત્યારથી ચૅરમૅનનો માનદ હોદ્દો સર્વોચ્ચ ગણાય છે.
ભારતના જગમોહન દાલમિયા (1997-2000) અને શરદ પવાર (2010-2012) આઇસીસીના પ્રમુખપદે હતા.
જય શાહ ભારતના કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના પુત્ર છે. જય શાહ 2019ની સાલથી ભારતીય ક્રિકેટ બોર્ડના સેક્રેટરી છે. તેઓ આઇસીસીના વહીવટમાં મોખરાનું (હાઈ-પ્રોફાઇલ) સ્થાન મેળવનાર (શ્રીનિવાસન, મનોહર, દાલમિયા અને પવાર પછીના) પાંચમા ભારતીય છે.
જય શાહ ક્રિકેટનો વિશ્ર્વભરમાં ફેલાવો કરવા માટે મક્કમ છે અને એ માટે તેઓ આઇસીસીની ટીમ તથા મેમ્બર-રાષ્ટ્રો સાથે મળીને કામ કરવા ઉત્સુક છે. તેમણે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે ‘મને આઇસીસીનું ચૅરમૅનપદ મળ્યું એ બદલ ખુશી અને ગૌરવ અનુભવું છું. ક્રિકેટના તમામ ફૉર્મેટ વિશે સંતુલન જાળવવા, અદ્યતન ટેક્નોલૉજીના ઉપયોગને પ્રોત્સાહન આપવા તેમ જ મોટી ક્રિકેટ-ઇવેન્ટ્સને વૈશ્ર્વિક સ્તરે લઈ જવા માગું છું.’
આઇસીસીની 75 ટકાથી વધુ કમાણી ક્રિકેટજગતની સૌથી શ્રીમંત બીસીસીઆઇ દ્વારા ઊભી કરવામાં આવતી હોય છે. એવું મનાય છે કે સાઉથ આફ્રિકા, ઇંગ્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલૅન્ડમાંથી કોઈ એક દેશના ક્રિકેટ બોર્ડ દ્વારા ચૅરમૅનપદ માટે જય શાહનું નામ સૂચવવામાં આવ્યું હતું અને બીજા એક દેશના બોર્ડ દ્વારા તેમને સપોર્ટ કરવામાં આવ્યા હતા.
આઇસીસીના બંધારણ મુજબ કુલ 17 વોટ ધ્યાનમાં લેવાતા હોય છે. એમાં 12 ટેસ્ટ-પ્લેઇંગ રાષ્ટ્ર, ચૅરમૅન, ડેપ્યૂટી ચૅરમૅન, બે અસોસિયેટ મેમ્બર-રાષ્ટ્ર અને એક અપક્ષ મહિલા ડિરેકટરનો સમાવેશ હતો.
આગામી ફેબ્રુઆરીમાં પાકિસ્તાનમાં વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી યોજાવાની છે અને એ બાબતમાં મહત્ત્વના નિર્ણયો લેવાનું સૌથી પહેલું કામ જય શાહે પાર પાડવું પડશે.
સુરક્ષાના કારણસર ગુજરાતની તમામ પ્રાથમિક સ્કૂલમાં તા.27મી ઓગસ્ટ 2024ને મંગળવારે રજા જાહેર કરવામાં આવી છે. રાજ્યના શિક્ષણ વિભાગ તરફથી તા.27મી ઓગસ્ટને મંગળવારે તમામ સરકારી ગ્રાન્ડેટ, નોન ગ્રાન્ટેડ, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલને બંધ રાખવાનો નિર્દેશ કર્યો છે.
ગુજરાતમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે સોમવારે ચેતવણી આપી છે કે આગામી૨-૩ દિવસમાં રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. છેલ્લા ૪૮ કલાકમાં ભારે વરસાદ વચ્ચે, ગુજરાતના કેટલાક ભાગોમાં પૂર આવ્યું છે, જેના કારણે સેંકડો રહેવાસીઓને સુરક્ષિત સ્થળોએ વિસ્થાપિત કરવાની ફરજ પડી છે.
ગુજરાતમાં ૫ જિલ્લા સિવાય સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બાકીના પાંચ જિલ્લા માટે પણ ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને નીચાણવાળા વિસ્તારોમાંથી રહેવાસીઓને સલામત સ્થળે ખસેડવા નિર્દેશ આપ્યા છે. તેમની ઓફિસે જણાવ્યું હતું કે ભારે વરસાદથી સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ, તાપી, નવસારી, સુરત, નર્મદા અને પંચમહાલનો સમાવેશ થાય છે. દરમિયાન, મોરબી જિલ્લામાં એનડીઆરએફ દ્વારા ૭ વ્યક્તિઓને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેટા અનુસાર, નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં સોમવારે સવારે ૬ વાગ્યે પૂરા થતા ૨૪ કલાકમાં સૌથી વધુ ૩૫૬ મીમી વરસાદ નોંધાયો હતો. ૧૦૦ મીમીથી વધુ વરસાદ ધરાવતા અન્ય જિલ્લાઓમાં નર્મદા, સૌરાષ્ટ્ર, રાજકોટ, તાપી, મહિસાગર, મોરબી, દાહોદ અને વડોદરાનો સમાવેશ થાય છે. ગુજરાતના મુખ્ય સચિવે પ્રશાસનને શ્રાવણ માસ દરમિયાન આવનારા તહેવારોને કારણે જે વિસ્તારોમાં મોટી ભીડ થવાની સંભાવના છે તેવા વિસ્તારોમાં એલર્ટ રહેવા જણાવ્યું છે.
એર ઈન્ડિયા એરપોર્ટ સર્વિસીસ લિમિટેડ દ્વારા આયોજિત વોક-ઈન ઈન્ટરવ્યુ માટે મુંબઈના કાલીનામાં હજારો લોકો ઉમટી પડ્યા હતા. પરિસ્થિતિ કાબૂ બહાર જવાથી, અરજદારોને તેમના બાયોડેટા સબમિટ કરવા અને જવા માટે કહેવામાં આવ્યું હતું.
મંગળવારે મુંબઈના કાલીનામાં હજારો નોકરી શોધનારાઓ એર ઈન્ડિયા એરપોર્ટ સર્વિસીસ લિમિટેડ દ્વારા આયોજિત વોક-ઈન ઈન્ટરવ્યુ માટે આવ્યા હતા. આ પદો માટેની લઘુત્તમ લાયકાત SSC પાસ અને વધુમાં વધુ 23 વર્ષની હતી. પગાર રૂ. 22,530 પ્રતિ માસ નક્કી કરવામાં આવ્યો હતો. આ પદ 3 વર્ષના ફિક્સ્ડ-ટર્મ કોન્ટ્રાક્ટના આધારે હતું. વિવિધ સમારકામ અને જાળવણી કાર્યો કરવા માટે હેન્ડીમેન અને યુટિલિટી એજન્ટની પોસ્ટ માટે 1,800 જગ્યાઓ માટે લગભગ પચાસ હજારથી વધુ લોકો આવ્યા હતા. લિમિટેડ વેકેન્સી હોવા છતાં ભરતી કચેરીની બહાર ભારે ભીડ ઉમટી પડતા નાસભાગની સ્થિતિ સર્જાઇ હતી.
ગુજરાતમાં 9 જુલાઈના રોજ આવી જ નાસભાગ જેવી સ્થિતિ જોવા મળી હતી. અંકલેશ્વર ખાતે 40 જગ્યાઓ માટે એક પેઢી દ્વારા લેવામાં આવેલા વોક-ઈન ઈન્ટરવ્યુ માટે લગભગ 1,000 લોકો આવ્યા હતા. ભીડ એટલી વધી ગઇ હતી કે તેને કાબૂમાં રાખવું મુશ્કેલ બની ગયું હતું. ત્યાર બાદ બેકાબૂ યુવાનોનું ટોળું હોટલની બહારની રેલિંગ પર ચઢી ગયું હતું. જેના કારણે રેલિંગ તૂટી ગઈ હતી અને અનેક યુવકો નીચે પડી ગયા હતા. ઉપરાંત રેલીંગની સામે પાર્ક કરાયેલા વાહનોને પણ નુકસાન થયું હતું. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
૨૬ જુલાઈથી શરૂ થનાર પૅરિસ ઑલિમ્પિક્સ માટે વિરાટ કોહલીએ લગભગ એક મિનિટનો વિડિયો શૅર કરીને ભારતીય ખેલાડીઓને મોટિવેટ કર્યા છે. તેણે ભારતના રમતપ્રેમીઓને ૧૧૮ સભ્યોની ભારતીય ઑલિમ્પિક્સ ટીમને સમર્થન આપવાની હાકલ કરી છે, કારણ કે તેઓ ટોક્યો ઑલિમ્પિક્સના તેમના શ્રેષ્ઠ પ્રદર્શન (સાત મેડલ) કરતાં વધુ સારું પ્રદર્શન કરવા જઈ રહ્યા છે.
કિંગ કોહલીએ કહ્યું હતું કે ‘એક સમય હતો જ્યારે દુનિયા ભારતને સાપ અને હાથીઓના દેશ તરીકે જાણતી હતી, પરંતુ હવે એવું નથી. હવે આપણે વિશ્વની સૌથી મોટી લોકશાહી અને ડેટા ટેક્નૉલૉજીનું કેન્દ્ર છીએ. અમે ક્રિકેટ અને બૉલીવુડ, સ્ટાર્ટઅપ યુનિકૉર્ન અને ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા માટે જાણીતા છીએ. હવે આ મહાન દેશ માટે આગળ શું થશે? મહત્તમ ગોલ્ડ, સિલ્વર અને બ્રૉન્ઝ મેડલ. આપણાં ભાઈ-બહેનો મેડલ જીતવા પૅરિસ જઈ રહ્યાં છે. જ્યારે તેઓ ટ્રૅક ઍન્ડ ફીલ્ડ, કોર્ટ અથવા રિંગમાં ઊતરશે ત્યારે એક અબજથી વધુ ભારતીયો તેમને ઉત્સાહથી જોતા હશે. મારી સાથે તમે પણ એવા લોકોના ચહેરા યાદ કરજો જેઓ ગર્વથી તિરંગો ધ્વજ લહેરાવવાના દૃઢ નિશ્ચય સાથે પોડિયમની નજીક જશે. જય હિન્દ અને ભારતીય ટીમને શુભેચ્છાઓ.’
અગ્નિવીર સ્કીમને લઈ કેન્દ્ર સરકારે આજે સૌથી મોટી જાહેરાત કરી છે. આ યોજના અંગે વિપક્ષ દ્વારા તેને રદ કરવાની માગણી પણ કરી હતી, ત્યારે આજે કેન્દ્ર સરકારે સીઆઈએસએફ (CISF)ની ભરતીમાં 10 ટકા અનામત રાખવાનો નિર્ણય લીધો છે.
સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆઈએસએફ)માં 10 ટકા અનામત પૂર્વ અગ્નિવીર માટે રાખવામાં આવી છે. એની સાથે અગ્નિવીરોની શારીરિક પરીક્ષામાં પણ છૂટ આપવામાં આવી છે. કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆઈએસએફ)ના વડા નીના સિંહે કહ્યું છે કે એના અંગે તમામ તૈયારીઓ કરી લીધી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે કોંગ્રેસ સત્તામાં આવશે તો આ યોજનાને ખતમ કરવામાં આવશે.
ગૃહ મંત્રાલય વતી આજે જણાવવામાં આવ્યું છે કે અગ્નિવીરોને સીઆઈએસએફમાં નોકરી મળશે તેમ જ અગ્નિવીરો માટે દસ ટકા અનામત રાખવામાં આવશે. ફિઝિકલ ટેસ્ટમાં પૂર્વ અગ્નિવીરોને છૂટ મળશે, જ્યારે સીઆઈએસએફમાં દસ ટકા રિઝર્વેશન રહેશે.
14 જૂન, 2022માં આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. અગ્નિપથ યોજનામાં 17થી 21 વર્ષના યુવાનોને ફક્ત ચાર વર્ષ માટે ભરતી કરવાની જોગવાઈ છે, જેમાં 25 ટકા અગ્નિવીરોને આગામી પંદર વર્ષ સુધી રાખવાની જોગવાઈ છે. જોકે, એમાં સુધારો કરીને સરકારે ઉંમર મર્યાદા વધારીને 23 વર્ષ કર્યા હતા. યોજના અન્વયે પૂર્વ અગ્નિવીરોની પહેલી બેચ માટે અપર એજ લિમિટમાં પાંચ વર્ષની છૂટ આપી હતી અને પછી બાકીની બેચ માટે ત્રણ વર્ષની છૂટ આપી છે. અગ્નિવીર યોજના અન્વયે ચાર વર્ષના કોન્ટ્રકાટ પર યુવાનોને આર્મીમાં ભરતી કરવામાં આવે છે. ભરતી કર્યા પછી યુવાનોને સેલેરી પણ નિશ્ચિત હોય છે. ચાર વર્ષના સમયગાળા માટે સૈનિક તરીકે નિયમિત નોકરી રહે છે.
નીટ પરીક્ષા-2024માં પેપર લીક મુદ્દે આવતીકાલે (11 જુલાઈ) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. જોકે તે પહેલા કેન્દ્ર સરકારે આજે (10 જુલાઈ) સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે. કેન્દ્રએ તેમાં કહ્યું છે કે, NEET પરીક્ષા ફરી યોજવાની જરૂર નથી, તેમાં મોટા પાયે ચોરી થઈ નથી. ભારત સરકાર નીટ પરીક્ષા આપનારા તમામ વિદ્યાર્થીઓની ચિંતા દૂર કરવા માટે બંધાયેલું છે.
સરકાર સમાધાન શોધવાના તમામ પ્રયાસો કરી રહી છે સરકાર
સોગંદનામામાં કહેવાયું છે કે, સરકાર સમાધાન શોધવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. આ ઉપરાંત સરકાર દોષી ઉમેદવારોને કોઈપણ લાભ ન મળે, તે પણ સુનિશ્ચિત કરી રહી છે. સરકાર પ્રયાસ કરી રહી છે કે, માત્ર આશંકાઓના કારણે 23 લાખ વિદ્યાર્થીઓ પર નવી પરીક્ષાનો બોજ નાખવામાં ન આવે.
તેમાં એમ પણ કહ્યું છે કે, સરકાર તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ નિષ્પક્ષ અને પારદર્શી રીતે યોજાય, તે માટે એક મજબૂત પરીક્ષા પ્રક્રિયા બનાવવા માટે પ્રતિબદ્ધ છે. સરકાર પરીક્ષાઓની અખંડિતતા સુનિશ્ચિત કરવા અને વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ કરવા પ્રતિબદ્ધ છે. જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા, નિષ્પક્ષતા અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે તેમજ પેપર લીક અટકાવવા માટે કડક કાયદો બનાવાયો છે. આ માટે સંસદમાં પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) એક્ટ, 2024 કાયદો ઘડવામાં આવ્યો છે.
સીબીઆઈએ વધુ બે લોકોની ધરપકડ કરી
દરમિયાન કેન્દ્રી તપાસ એજન્સી સીબીઆઈએ NEET UG પેપર લીક અને ગેરરીતિના કેસમાં બિહારથી વધુ બે લોકોની ધરપકડ કરી છે. એજન્સીએ નીટ ઉમેદવાર સની કુમાર અને એક અન્ય નીટ ઉમેદવારના પિતાને પટનાથી ઝડપી લીધા છે. એવા અહેવાલો સામે આવ્યા છે કે, રંજીતે પરીક્ષા માટે પોતાના પુત્રનું સેટિંગ કરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, નીટ પરીક્ષા પેપર લીકની તપાસ કરી રહેલી સીબીઆઈએ અત્યાર સુધીમાં પટણા, ગોધરા અને હજારીબાગમાંથી ઘણા આરોપીઓની ધરપકડ કરી અને પેપર લીકનો ભેદ ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે.
ગત મંગળવારે સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં નીટ પેપર લીક કેસની સુનાવણી દરમિયાન CBI તપાસના રિપોર્ટનો ઉલ્લેખ કરાયો હતો. સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે, સીબીઆઈએ આગામી સુનાવણીમાં તપાસ રિપોર્ટ કોર્ટમાં સબિદ કરવાનો રહેશે. આવી સ્થિતિમાં સીબીઆઈએ અત્યાર સુધીની ધરપકડોમાંથી એકત્ર કરાયેલા તમામ પુરાવાઓ વિશે કોર્ટને જાણ કરવી પડશે.
ગુજરાત ખાનગી યુનિવર્સિટી અધિનિયમ હેઠળ સ્થપાયેલી પ્રતિષ્ઠિત સંસ્થા, સાર્વજનિક યુનિવર્સિટી અને L&Tના પેટા કંપની, L&T એજ્યુટેક વચ્ચે શૈક્ષણિક સહયોગ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં L&T ની આ પ્રકારની પ્રથમ ભાગીદારી છે, જેનો ઉદ્દેશ્ય ઉદ્યોગ અને એકેડેમિક સંસ્થા વચ્ચેના અંતરને દૂર કરવા, ખાસ કરીને એન્જિનિયરિંગ અને IT વિદ્યાર્થીઓની રોજગાર ક્ષમતામાં વધારો કરવાનો છે.
સાર્વજનિક યુનિવર્સિટી વિશે
૧૧૨ વર્ષ જૂની સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા સ્થાપિત સાર્વજનિક યુનિવર્સિટી કિફાયતી ફીમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે સમર્પિત છે. એન્જિનિયરિંગ, સાયન્સ, કોમર્સ, મેનેજમેન્ટ, આર્ટસ, હ્યુમેનિટીઝ, આર્કિટેક્ચર, ડિઝાઇન, પ્લાનિંગ એન્ડ ટેક્નોલોજી અને કાયદાનો સમાવેશ કરતી 8 ફેકલ્ટીઓ સાથે, યુનિવર્સિટી અંડરગ્રેજ્યુએટથી લઈને ડોક્ટરલ સ્તર સુધીના 65 થી વધુ પ્રોગ્રામ્સ ઑફર કરે છે. 600 થી વધુ અનુભવી શિક્ષકોની અને લગભગ 7500થી વધુ વિદ્યાર્થીઓના ગૌરવ સાથે, સાર્વજનિક યુનિવર્સિટી શૈક્ષણિક શ્રેષ્ઠતા અને સર્વગ્રાહી વિકાસ માટે પ્રતિબદ્ધ છે.
એલ એન્ડ ટી એજ્યુટેક વિશે
L&T Edutech એ 85 વર્ષથી કાર્યરત ભારતની અતિ-પ્રતિસ્થિત અને વૈશ્વિક નામના ધરાવતી L&Tનું એક ગતિશીલ નવું સાહસ છે, જે એન્જિનિયરિંગ અને ટેક્નોલોજી ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોની રોજગાર ક્ષમતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેના ઉદ્યોગની આગેવાની હેઠળના, એપ્લિકેશન-ઓરિએન્ટેડ પ્રોગ્રામ્સ દ્વારા, L&T એજ્યુટેકનો ઉદ્દેશ્ય વિધ્યાર્થીઓને તેમની કારકિર્દીમાં શ્રેષ્ઠ બનવા માટે જરૂરી કૌશલ્યોથી સજ્જ કરવાનો છે. L&T કૉલેજ કનેક્ટ પ્રોગ્રામ આ સાહસ હેઠળ એક મુખ્ય પહેલ છે, જે શૈક્ષણિક જ્ઞાનને વ્યવહારિક ઉદ્યોગની કુશળતા સાથે સાંકળવા માટે રચાયેલ છે.
સહયોગ
સાર્વજનિક યુનિવર્સિટી અને L&T Edutech વચ્ચેનો શૈક્ષણિક કરાર કોર એન્જિનિયરિંગ અને ITT ડોમેન્સ માટે ખાસ તૈયાર કરાયેલા સંકલિત અને સાંપ્રત સમયના ઉધોરોને જરૂરી એવા કોખ રજૂ કરશે. જેમાં મુખ્યત્વે મેકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, સિવિલ, કોમ્પ્યુટર તથા આઇટી ઈજનેરીના વિદ્યાર્થીઓને ઉપલબ્ધ કરવામાં આવશે. આ કાર્યક્રમો, જેમાં 30 ક્રેડિટનો સમાવેશ થાય છે જે સમગ્ર 4 વર્ષ (8 સેમિસ્ટર) દરમિયાન વિદ્યાર્થીઓને ઓફર કરવામાં આવશે. તદુઉપરાંત આર્કિટેક્ચર અને સિવિલના વિદ્યાર્થીઓ માટે બિલ્ડિંગ ઇન્ટિગ્રેટેડ મોડલિંગ (BIM) જેવા કોર્ષ તથા કોમર્સ અને મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ માટે પણ વિવિધ શોર્ટ ટર્મ (૨ થી ૩ ક્રેડિટ ) કોર્ષ તૈયાર કરવામાં આવ્યા છે, જે L&T એજ્યુટેકની અનુભવી ફેકલ્ટી દ્વારા હાઇબ્રિડ મોડમાં હાથ ધરવામાં આવશે, જ્યાં જરૂરીયાત મુજબ પ્રેક્ટિકલ સત્રોનો સમાવેશ કરવામાં આવશે. આ અભ્યાસક્રમ પૂર્ણ થવા પર, વિદ્યાર્થીઓને તેમની મુખ્ય ગ્રેજ્યુએશન ડિગ્રી સાથે L&T Edutech તરફથી પ્રમાણપત્ર અને સાર્વજનિક યુનિવર્સિટીમાંથી પણ ઇન્ટિગ્રેટેડ અથવા માઇનર ડિગ્રી પ્રાપ્ત થશે.
વિદ્યાર્થીઓ માટે લાભ
આ અનન્ય શૈક્ષણિક કરાર સાર્વજનિક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને કાર્યક્રમો પૂરા થયા પછી પ્રતિષ્ઠિત ઉદ્યોગો સાથે કામ કરવાની અમૂલ્ય તકો પ્રદાન કરશે. વધુમાં, વિદ્યાર્થીઓ તેમની વ્યાવસાયિક કારકિર્દીમાં સરળતાથી સંક્રમણ કરે તે સુનિશ્ચિત કરવા માટે L&T Edutech પ્લેસમેન્ટ સહાય પ્રદાન કરશે.
એમઓયુ પર હસ્તાક્ષર
સમજૂતી કરાર પર 8 જુલાઇ 2024ના રોજ એલ એન્ડ ટી એજ્યુટેકના કોલેજ કનેક્ટના વડા સુશ્રી ફેબેન મેડમ અને સાર્વજનિક યુનિવર્સિટીના પ્રમુખ શ્રી ભરત શાહે હસ્તાક્ષર કર્યા હતા. આ કાર્યક્રમમાં L&T Edutech ના મુખ્ય વડા શ્રી રંગનાથન, શ્રી અતિકભાઈ દેસાઇ તથા અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના કમિટી સભ્યો દ્વારા આ પહેલને સમયોચિત અને વિદ્યાર્થીઓ માટે ખૂબ લાભ દાયક નિવડશે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી, જે ઉદ્યોગ- શૈક્ષણિક ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે યુનિવર્સિટીની પ્રતિબદ્ધતામાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે.
ભવિષ્ય
અત્રે એ ઉલલેખનીય છેઃ કે હમણાં આ કરાર દ્વારા ઇન્ટિગ્રેટેડ કોર્ષ ઈજનેરીની વિવિધ શાખા ઉપરાંત આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓને ઓફર કરવામાં આવશે અને ભવિષયમાં ક્રમશ: અન્ય બીજી ફેકલ્ટી જેમ કે સાયન્સ, કોમર્સ તથા મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ માટે પણ ઉપલબ્ધ કરવામાં આવશે. જેથી આ ભાગીદારીનો લાભ યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓને મળી રહેશે એવું યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પરસી એન્જિનિયર દ્વારા જણાવવામાં આવ્યું હતું. યુનિવર્સિટી એડ્મિનિસ્ટ્રેટિવ કમિટીના અધ્યક્ષ શ્રી રાજેશ દેસાઇ દ્વારા આ કરાર સમાજ અને તેના ભવિષ્ય ના ધડતર માટે કેટલો જરૂરી છે એ બાબત પર વિશેષ જાણકારી આપવામાં આવી હતી.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.