પુસ્તકોમાં રહેલું જ્ઞાન કલ્પના સમું હોય છે, બાળકો જ્યાં સુધી એ જ્ઞાનનો વ્યવહારુ ઉપયોગ કરતા નહીં શીખે ત્યાં સુધી એ જ્ઞાન ફક્ત પુસ્તકિયું જ્ઞાન બની રહે છે. પુસ્તકોમાં રહેલા જ્ઞાનનો વ્યવહારુ ઉપયોગ નહીં કરી શકવાના કારણે જ આજે મોટી મોટી ડિગ્રીધારકો નોકરી વિહોણા રહી જાય છે. આ ભેદ પારખી ગયેલા સુરતના હીરાબાગ ખાતે આવેલી અંકુર વિદ્યાવિહાર શાળાના મિત્તલ બી. પરડવા અને તેમની ટીમે પ્રાઇમરી શિક્ષણથી જ બાળકોને પુસ્તકના જ્ઞાનના વ્યવહારુ ઉપયોગની તાલિમ આપવાનું શરુ કર્યું છે અને આ તાલિમ ગઇ તા.22-23 ડિસેમ્બર 2018ના રોજ શાળામાં યોજાયેલા નોલેજ કાર્નિવલના સ્વરૂપમાં ચરિતાર્થ થયેલી દેખાઇ આવી હતી. નોલેજ કાર્નિવલમાં હીરાબાગની અંકુર વિદ્યાવિહારના બાળકોએ પુસ્તકોમાં રહેલી કલ્પનાઓને તેમના વાલીઓ, શાળાની આસપાસના રહેવાસીઓને વાસ્તવિક કરી દેખાડી હતી.

વરાછા રોડ પર હીરાબાગ સર્કલ ખાતે આવેલી અંકુર વિદ્યાવિહાર શાળામાં ગઇ તા.22-23 ડિસેમ્બ દરમિયાન નોલેજ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળભવનથી શરૂ કરીને ધો.12 સુધીના 300થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શાળાના વિદ્યાર્થીઓએ વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુઓ બનાવીને તેનું ડિસપ્લે કરીને મુલાકાતીઓને અચંબામાં મૂકી દીધા હતા. તદુપરાંત વિદ્યાર્થીઓએ પાઠ્ય પુસ્તકોમાં નિર્દેશિત વિવિધ પ્રકારના નમૂનાઓ, સેલ્ફ સ્ટડી માટેના મોડેલ, ટ્રાફિક અવેરનેસ પ્રોજેક્ટ, કરીયર ગાઇડન્સ માટેની માહિતીઓ રજૂ કરી હતી.

બાળભવનના બાળકોની કૌશલ્ય કલાઓનું લાઇવ ડેમોન્સ્ટ્રેશન કર્યું હતું. એવી જ રીતે યોગ અને આયુર્વેદિક ટેકનિક્સ, ભારતના રાજ્યોની લોકસંસ્કૃતિ, ગુજરાતના તમામ જિલ્લાઓની માહિતી, જાણીતા સ્થળોનું ડિસ્પ્લે, પ્રાથમિક વિભાગના બાળકોએ વિજ્ઞાનના નિયમો આધારિત પ્રયોગોના વર્કિંગ મોડેલ રજૂ કરીને એક ખરા અર્થમાં નોલેજ કાર્નિવલને સાકાર કર્યો હતો. શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ, આસપાસના રહેવાસીઓ વગેરેએ ફુડ ઝોનની પણ મજા માણી હતી.

દરમિયાન સુરત જિલ્લા શિક્ષણાધિકારી શ્રી રાજ્યગુરુએ પણ નોલેજ કાર્નિવલની મુલાકાત લીધી હતી.

હીરાબાગ સ્થિત અંકુર વિદ્યાવિહાર શાળાના નોલેજ કાર્નિવલનું ઉદઘાટન મધુવન ઇન્ટરનેશનલ સ્કુલના સંચાલક શ્રી ભૂપતભાઇ સુખડીયાએ કર્યું હતું. શનિ અને રવિવાર દરમિયાન શાળાના બે હજાર વાલીઓ ઉપરાંત શાળાની આસપાસ રહેતા અંદાજે 1500 લોકોએ અંકુર વિદ્યાવિહાર શાળાના વિદ્યાર્થીઓના અદભૂત પ્રયોગ નોલેજ કાર્નિવલની મુલાકાત લઇને બાળકોના પ્રયાસને બિરદાવ્યો હતો.
વિદ્યાર્થીઓ માટે અને વિદ્યાર્થીઓ દ્વારા આયોજીત નોલેજ કાર્નિવલ અંતર્ગત દરેક વિદ્યાર્થીએ ભણતરને મનોરંજક સ્વરૂપે દર્શાવ્યુ હતું અને પોતાની અદ્ભૂત કૃતિઓ રજૂ કરી હતી. આ ઉપરાંત શિક્ષકોએ પણ આ પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.
અંકુર વિદ્યાવિહાર ખાતે યોજાયેલા નોલેજ કાર્નિવલની તસ્વીરી ઝલક

















































