દર વર્ષે બોર્ડ અને કોલેજોની પરીક્ષા સમયે સુરતના પાલ સ્થિત સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે પરીક્ષાર્થીઓ અને તેમના વાલીઓની કતારો લાગે છે, કતાર દર્શન અને આશીર્વાદ માટે તો લાગે છે પરંતુ, અહીં પરંપરા કહો કે પોઝિટીવ વાઇબ્સ ગણો, પણ સિદ્ધિ વિનાયક ગણપતિ દાદાના ચરણોમાં અભિમંત્રિત કરાયેલી બોલપેન મેળવવા માટે રીતસર કતાર લાગે છે. પ્રસ્તુત તસ્વીર તા.5મી માર્ચ 2019ના રોજ સાંજે 7 વાગ્યે લાગેલી કતારની છે. મંદિરના ટ્રસ્ટી શ્રી નીતિનભાઇ કહે છે કે બોર્ડની પરીક્ષા આડે હવે એક દિવસ બાકી હોઇ, મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓ જે બોલપેનથી ઉત્તરવહી લખવાના હોય તે બોલપેન તેમજ અન્ય ટુલ્સ, કંપાસ વગેરે લઇને ગણપતિ દાદા પાસે આવે છે અને તેમના ચરણોનો સ્પર્શ કરાવીને અભિમંત્રિત કરાવે છે. આ કોઇ અંધશ્રદ્ધા નથી પરંતુ, ગણપતિ દાદાના ચરણોમાં અભિમંત્રિત કરેલી આ વસ્તુઓથી પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને હકારાત્મક લાગણી અનુભવાય તેમજ તેના પરીણામો ભૂતકાળમાં સારા મળ્યા છે એટલે પરંપરા દર વર્ષે આગળ વધી રહી છે.
અહીં પરીક્ષા પહેલા દર્શનાર્થે આવતા વિદ્યાર્થીઓને પરીક્ષાનો ખોટો ભય રહેતો નથી, પોઝિટીવ વાઇબ્સની અનુભૂતિ સાથે વિદ્યાર્થીઓ કોઇપણ જાતનો ભય રાખ્યા વગર પ્રશ્નપત્રો આપી શકે છે.
પાલ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે ભગવાન શ્રી ગણેશના ચરણોમાં બોલપેન અભિમંત્રિત કરાવવા માટે તા.5મી માર્ચ 2019ની સાંજે પરીક્ષાર્થીઓ અને તેમના વાલીઓની કતાર લાગી હતી તે વેળાની તસ્વીર
પાલ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે ભગવાન શ્રી ગણેશના ચરણોમાં બોલપેન અર્પણ કરીને આશીર્વાદ મેળવી રહેલા પરીક્ષાર્થીઓ દ્રશ્યમાન છે

પરીક્ષા આડેના 7 દિવસ પૂર્વેથી શહેરના કેટલાક વાલીઓ અને વિદ્યાર્થીઓ તેમના ઇષ્ટ દેવના આશીર્વાદ લેવા માટે મંદિરોની મુલાકાતે જતા જોવાયા હતા. સૌથી વધુ વિદ્યાર્થીઓ પાલ અડાજણના સિદ્ધિ વિનાયક ગણપતિ ભગવાનના દર્શનાર્થે જ જતા હોવાનો રેકોર્ડ છે. મંદિરના ટ્રસ્ટી શ્રી નીતિનભાઇ મહેતાએ જણાવ્યું હતું કે જ્યારથી સિદ્ધી વિનાયક ગણપતિ દાદા પાલ અડાજણ મંદિર સ્કુલમાં બિરાજમાન થયા છે એ વર્ષથી જ બોર્ડની પરીક્ષા ટાણે વિદ્યાર્થીઓ તેમના માતાપિતા સાથે બોલપેન લઇને આવે છે અને જે બોલપેનથી ઉત્તરવહીમાં લખવાનું હોય છે એ બોલપેન ગણપતિ દાદાના ચરણોમાં ધરીને આશીર્વાદ લેવાની પરંપરા છે. આ વર્ષે પણ સેંકડો વિદ્યાર્થીઓ આ પ્રકારે આવી ચૂક્યા છે.

સિદ્ધી વિનાયક ગણપતિ મંદિરમાં પૂજારી શ્રી અંબિકા પ્રસાદ પરીક્ષાર્થીઓની બોલપેન ગણપતિ દાદાના ચરણોમાં સમર્પિત કરીને મંત્રોચ્ચાર કર્યા બાદ બોલપેન પરત આપે છે. આ જ્યારથી મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા સમારોહ થયો ત્યારથી ચાલી આવે છે.
બીજી તરફ પરીક્ષાર્થીઓના ઘરે શુભેચ્છા આપવા માટે મિત્રો, સબંધીઓ, કુટુંબીજનો વગેરે પણ ભીડ લગાડી રહ્યા છે. કાઉન્સિલરો કે શિક્ષણશાસ્ત્રીઓ ભલે આવું કરવાની ના પાડતા હોય પરંતુ, લાગણીવશ સુરતીઓ પરીક્ષાર્થીઓને શુભેચ્છા આપવા માટે ગીફ્ટસ અને ગુડલક લઇને વીશ કરવા માટે પહોંચી જાય છે.
























