JEE Main કોચિંગવાળાઓની ભ્રામક જાહેરાતોથી વાલી વિદ્યાર્થીઓ ચેતે
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જ્યારથી દેશમાં એન્જિનિયરિંગ એન્ટ્રન્સ એક્ઝામ જેઇઇ મેઇન પરીક્ષા લેવાનું શરૂ કર્યું છે ત્યારથી તેમણે પરીણામ માર્ક (સ્કોર)ની જગ્યાએ પર્સન્ટાઇલ રેન્કથી આપવાનો નિયમ બનાવ્યો છે. તાજેતરમાં જ એન.ટી.એ. દ્વારા જેઇઇ મેઇન્સ જાન્યુઆરી 2020નું પરીણામ જાહેર કરવામાં આવ્યું. પરીણામ જાહેર થયા બાદ જેઇઇ મેઇન્સનું કોચિંગ આપતા પ્રાઇવેટ ટ્યુશનિયા સંચાલકો અને કેટલીક સ્કુલો દ્વારા 80થી વધુ પર્સન્ટાઇલ ધરાવતા હોય એવા વિદ્યાર્થીઓના ફોટા સાથે એવી તે જાહેરાતો કરવામાં આવી કે જાણે મોટો મીર માર્યો હોય.
વાલીઓ અને વિદ્યાર્થીઓએ સમજી લેવું જોઇએ
વાલીઓ અને વિદ્યાર્થીઓએ સમજી લેવું જોઇએ કે જેઇઇ મેઇન્સમાં કેટલા પર્સન્ટાઇલે નેશનલ ઇન્સ્ટીટ્યુટમાં પ્રવેશ મળી શકે છે. હકીકત જોવા જઇએ તો ઓપન કેટેગરીમાં 92થી ઓછા પર્સન્ટાઇલ રેન્ક પર સારી ગણાતી નેશનલ ઇન્સ્ટીટ્યુટમાં પ્રવેશ મળી શકતો નથી. સૌથી વધુ સ્પર્ધા ઓપન કેટેગરી, ઓપન ઇડબલ્યુએસ કેટેગી, ઓબીસી વગેરેમાંથી એન.આઇ.ટી.માં પ્રવેશ મેળવવા માટે હાયર મેરીટની આવશ્યકતા છે.
હાલમાં જેઇઇ મેઇન્સ જાન્યુઆરી 2020ના પરીણામાં 80થી વધુ પી.આર. ધરાવતા વિદ્યાર્થીઓએ જાણે મોટી સિદ્ધી હાંસલ કરી લીધી હોય તે રીતે જાહેરાતો કરવામાં આવી રહી છે એ સાવ ભ્રામક છે. હાલમાં ધો.10માં અભ્યાસ કરતા અને ધો.11-12 સાયન્સ મેથ્સ ગ્રુપમાં પ્રવેશ મેળવવાનું આયોજન ધરાવતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને આકર્ષવા માટે ગેરમાર્ગે દોરનારી જાહેરાતો કરવામાં આવી રહી છે.
જેઇઇ મેઇન્સમાં ઓપન કેટેગરીમાં 92 પર્સન્ટાઇલ જેટલો હાયર સ્કોર પણ કેમ બિનઉપયોગી થઇ પડે છે એ ગણતરી અહીં નિમ્નદર્શિત ચાર્ટ પરથી સમજીએ.
| Percentile Score | Total Students/Rank |
|---|---|
| 99 to 100 | 1 to 11500 |
| 95 to 99 | 11500 to 57000 |
| 90 to 95 | 57000 to 115000 |
IIT, NIT, IIIT ની બધુ મળીને 42000 બેઠકો છે, તેની સામે 95 પર્સન્ટાઇલ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા જ 1.15 લાખ છે
ઉપરોક્ત ડેટા ચકાસીએ તો ખ્યાલ આવશે કે 99થી 100 પર્સન્ટાઇલ વચ્ચે 11,500 સ્ટુડન્ટ છે. જેઇઇ મેઇન્સ જાન્યુઆરી 2020 પરીક્ષા કુલ 14 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી. જેમાંથી 11,500 વિદ્યાર્થીઓએ 99થી 100 પર્સન્ટાઇળ મેળવ્યા છે. 99થી 95 પર્સન્ટાઇલ વચ્ચે કુલ 57000 વિદ્યાર્થીઓ (રેન્કસ) સમાવિષ્ટ થઇ જાય છે. આઇ.આઇ.ટી., એન.આઇ.ટી. અને ત્રિપલ આઇ.ટી. કોલેજોની આખા દેશમાં કુલ બેઠકો ફક્ત 42000 જેટલી છે. આ 42000 સીટમાં ઓપન કેટેગરી સમેત તમામ અનામત વર્ગની બેઠકો સામેલ છે. હવે તેની સરખામણીમાં ઉપરના ચાર્ટ અનુસાર પર્સન્ટાઇલ અને તેની સામે વિદ્યાર્થીની સંખ્યાને સરખાવી જુઓ 95 પર્સન્ટાઇલ સુધીના વિદ્યાર્થીઓની સંખ્યામાં જ આઇ.આઇ.ટી., એન.આઇ.ટી. ત્રિપલ આઇ.ટી. ની બધી સંસ્થાઓની બેઠકો ભરાઇ જશે.
આમ દેશી હિસાબ લગાડીએ તો પણ જેઇઇ મેઇન્સમાં ઓપન કેટેગરીમાં 92 પર્સન્ટાઇલ અને તેના પ્રપોર્સનેટમાં અન્ય અનામત વર્ગના વિદ્યાર્થીઓના પ્રવેશ માટે આટલા પર્સન્ટાઇલ પર્યાપ્ત નથી.
JEE MAIN ફક્ત 30 હજાર અને એડવાન્સ્ડ ફક્ત 12 હજાર વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવી શકે
હાલમાં ધો.12 મેથ્સ ગ્રુપમાં અભ્યાસ કરી રહેલા કે ભવિષ્યમાં મેથ્સ ગ્રુપમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ એ વાતને યોગ્ય રીતે સમજવાની જરૂર છે કે જેઇઇ મેઇન્સ અને એડવાન્સ આખા દેશના ફક્ત 42 હજાર જેટલા વિદ્યાર્થીઓને જ પ્રવેશ અપાવી શકે. જેની સામે ગુજરાતમાંથી જ જેઇઇ મેઇન્સ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા 1 લાખ 20 હજારથી વધુની છે. આવી સ્થિતિમાં જેઇઇ મેઇન્સનો સૌથી મજબૂત વિકલ્પ ગુજકેટની પરીક્ષા છે. ગુજકેટ પર પણ ધ્યાન આપવું જોઇએ જેથી કરીને ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી સંલગ્ન એન્જિનિયરિંગ કોલેજોમાં સરળતાથી પ્રવેશ મળી શકે છે.




















