
દેશમાં કોરોનાની છ કરતાં પણ વધુ રસી જલદી જ બજારમાં મુકાશે એવી જાહેરાત કેન્દ્રના આરોગ્ય ખાતાના પ્રધાન હર્ષવર્ધને શનિવારે કરી હતી.
શુક્રવારે એક જ દિવસમાં દેશમાં કોરોનાની ૨૦ લાખ રસી આપવામાં આવી હોવાનું જણાવતાં શનિવારે તેમણે કહ્યું હતું કે અત્યાર સુધીમાં એક જ દિવસમાં આપવામાં આવેલી રસીનો આ સર્વોચ્ચ આંક છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગતિશીલ નેતૃત્ત્વ હેઠળ કોરોનાની કટોકટી દરમિયાન ભારતે વિશ્ર્વને મદદરૂપ થવાની શ્રેષ્ઠ કામગીરી બજાવી હોવાનું રેલવે પ્રધાન પીયૂષ ગોયલે શનિવારે કહ્યું હતું.
દેશમાં કોરોનાની રસી આપવાની ઝુંબેશ ૧૬મી જાન્યુઆરીએ શરૂ થઈ હતી અને ત્યારથી અત્યાર સુધીમાં દેશભરમાં કોરોનાની રસીના ૧.૮૪ કરોડ ડૉઝ આપવામાં આવ્યા હોવા ઉપરાંત ૨૩ કરોડ નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું હોવાનું હર્ષવર્ધને કહ્યું હતું. ભારતે બે રસી વિકસાવી છે અને વિશ્ર્વના ૭૧ દેશને એ રસી આપવામાં આવી છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે હજુ અનેક જાણીતા દેશ ભારત પાસેથી રસીની માગણી કરી રહ્યા છે.
કૅનેડા, બ્રાઝિલ જેવા અનેક જાણીતા દેશ ભારતની રસીનો ઉત્સાહપૂર્વક ઉપયોગ કરી રહ્યા છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે વધુ છ જેટલી રસી જલદી જ બજારમાં આવશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતની રચના કરી ભારતને વિશ્ર્વગુરુ બનાવવા માગે છે, એમ તેમણે કહ્યું હતું.
વિજ્ઞાનને આદર આપો. વિજ્ઞાન પર કરાતા રાજકારણને બંધ કરવાની જરૂર છે અને એટલે જ આપણે એકજૂટ થઈને કામ કરવું જોઈએ, એમ તેમણે કહ્યું હતું.
દેશના વૈજ્ઞાનિકોનો પ્રયાસ પ્રશંસાને પાત્ર છે કેમ કે તેમના પ્રયાસોને કારણે જ આપણે આ સિદ્ધિ મેળવી શક્યા છીએ, એમ તેમણે કહ્યું હતું.
કોરોનાને બાદ કરતા વર્ષ ૨૦૨૦ને વિજ્ઞાન અને વૈજ્ઞાનિકોના વરસ તરીકે યાદ રાખવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.
આરંભમાં કોરોનાના પરીક્ષણ માટે દેશમાં એક જ પ્રયોગશાળા હતી, પરંતુ હવે દેશમાં કોરોનાના પરીક્ષણ માટે ૨,૪૧૨ પ્રયોગશાળા છે, એમ તેમણે કહ્યું હતું.
કોરોનાને અલગ પાડી દેવામાં આપણો દેશ પ્રથમ હતો એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે કોરોનાના મ્યૂટેશનને ભારતે અલગ પાડ્યું હતું.
દેશના વૈજ્ઞાનિકોએ રસી માટે આઈસીએમઆરને મદદ કરી હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે લોકો ભારતની રસીની પ્રશંસા કરી રહ્યા છે.
અમુક લોકોએ રસી અંગે અફવા ફેલાવી લોકોમાં ભ્રમ ફેલાવવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ સત્યને કોઈ હરાવી શકતું નથી, એમ તેમણે કહ્યું હતું. લોકો માની રહ્યા છે કે હવે કોરોનાની રસી આવી ગઈ છે અને બધું સારું થઈ જશે, એમ તેમણે કહ્યું હતું.







