દક્ષિણ ભારતના કેરળમાં કોઝીકોડે અને મલ્લાપુરમ જિલ્લામાં નિપાહ વાયરસે કાળો કેર વરતાવ્યો હોવાથી ૧૨ જણનાં મોત નીપજ્યાં હતાં.
જોકે ચામાચીડિયા અને ડુક્કર કંઈ નિપાહના પ્રાથમિક સ્ત્રોત નથી જ, એમ આરોગ્ય મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું. હવે મેડિકલ ટીમ નિપાહ વાયરસ ફાટી નીકળવાના અન્ય સંભવિત કારણો અંગે ચકાસણી કરી રહી છે.
મેડિકલ ટીમ અન્ય સંભવિત કારણો અંગે તપાસ કરી રહી છે.
જાતજાતના કુલ ૨૧ સેમ્પલ ભોપાળના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઈ સિક્યોરીટી એનીમલ ડીસીઝને તેમ જ પુણેમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીને મોકલાવવામાં આવ્યા છે.
આ અધિકારીઓએ કહ્યું હતું કે કેરળના પેરામ્બ્રામાં એક ઘરના કૂવામાંથી ચામાચીડિયા મળ્યા હતા. આરંભિક મોત ત્યાં જ થયા હતા. જોકે હવે ભૂંડ, ચામાચીડિયાની પ્રજાતિનાં ઉક્ત સેમ્પલના પરીક્ષણ નકારાત્મક આવ્યા હતા, એમ ઉક્ત અધિકારીએ જણાવ્યું હતું.
આ ઉપરાંત જે માનવી સંસર્ગમાં આવ્યા હતા તેમનામાં કરાયેલું પરીક્ષણ પણ નકારાત્મક રહ્યું હતું, એમ તેમણે ઉમેર્યું હતું.
નિપાહ ૧૨ જણને ભરખી ગયું છે અને અસરગ્રસ્ત ત્રણ જણનો ઉપચાર ચાલી રહ્યો છે.
હિમાચલ પ્રદેશ અને હૈદરાબાદમાંથી મળેલા સેમ્પલ નકારાત્મક હતા. નિપાહ કેરળમાં સ્થાનિક સ્તરે વ્યાપેલો હોવાથી ગભરાઈ જવાની આવશ્યકતા
નથી. તેમણે સામાન્ય જનતા અને આરોગ્યની સારસંભાળ પૂરી પાડનારાઓને સાવધાની તથા અટકાયતના ખાસ પગલાં લેવાનું જણાવ્યું છે.
નેશનલ સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલ ડિરેક્ટર દ્વારા ઘડાયેલી એક ખાસ ટીમ કેરળની પરિસ્થિતિનું પુનરાવલોકન કરી રહી છે.
કોઝીકોડે અને મલ્લાપ્પુરમને હાઈ એલર્ટ પર મૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે ઉમેર્યું હતું.








