છેલ્લા ૪ વર્ષથી રેડિયો મિર્ચી ૯૮.૩ એફએમ સમગ્ર ભારતમાં એક અલગ જ પ્રકારની દોડનું આયોજન કરે છે. સુરતમાં આ વખતે વેસુ ખાતે આવેલી ભગવાન મહાવીર યુનિવર્સિટી સાથે આ ભવ્ય મિર્ચી નિઓન રન નું આયોજન કરવામાં આવ્યું હતું .
કુલ ૪૬૯૨ લોકોએ આ ૫ કિમી દોડમાં ભાગ લીધો હતો. આ દોડ તમામ માટે આકર્ષણ નું કેન્દ્ર બને છે કારણકે એ રાત્રે થાય છે અને એમાં તમામ સ્પર્ધકો નિઓન કલરના કપડાં સાથે દોડે છે.. અંધારામાં આ કલર ચમકે છે અને એક અલગ જ દુનિયા સર્જાય છે.
સુરત મહાનરપાલિકા કમિશનર શ્રી બંછનિધિપાની, રેડિયો મિર્ચીના ગુજરાત હેડ બિથીન્દ્ર બિશ્વાસ, સમિત શાહ, હર્ષવર્ધન વ્યાસ, પ્રોગ્રામ હેડ પાર્થ દેસાઈ સહિત વિવિધ કૉલેજના પ્રિન્સીપાલ એ આ દોડની શરૂઆત કરાવી હતી.
૫ કિમી ની દોડ બાદ તમામ VIP road ગ્રાઉન્ડમાં ભેગા થયા હતા.કોલકતા થી આવેલા ભારતના પ્રસિદ્ધ કલબ મિર્ચી ના ડીજે રિચાર્ડ દ્વારા ડીજે મિક્સમાં તમામ લોકો મન મૂકીને નાચ્યા હતા. આ પેહલા કલ્ટ સ્પોર્ટ્સ દ્વારા નમ ફિટનેસ સેશન અને માનસી દ્વારા ઝુંબા સેશન વોર્મ અપમાં તમામે ભાગ લીધો હતો.
મિર્ચી ના આરજે હર્ષ , કૃતાર્થ , પરીમાં અને ઉમંગ દ્વારા આ કાર્યક્રમ નું સફળ સંચાલન કરાયું હતું.
તમામ દોડવીરો માટે મિલ્કોગ્રફી દ્વારા ફ્રી માં લો ફેટ દુધ નું વિતરણ કરાયું હતું જ્યારે પરફેક્ટ ડાયોગને સ્ટિક દ્વારા ફ્રી બ્લડ ચેક અપ ની સેવા અપાઈ હતી.
આ નિઓન રન ના અંતે મિર્ચી હેડ બીથિન્દ્ર બિશ્વાસ એ જણાવ્યું હતું કે શહેરીજનો ના દર વર્ષના ઉત્સાહને જોઈ ને મિર્ચી દ્વારા આ નિઓન રન નું આયોજન કરવાનો અમને સંતોષ થાય છે. તેમણે તમામ દોડવીરો અને શહેરીજનો નો આભાર માન્યો હતો.
નવસારીના સાંસદ સી.આર. પાટીલ તેમજ ધારાસભ્યો સર્વશ્રી હર્ષ સંઘવી, ઝંખનાબેન પટેલ, સંગીતાબેન પાટીલની સક્રિયતાને પગલે ભાટીયા ટોલ પ્લાઝાના નોકરીયાત સંચાલકોએ પોતાનું મમત્વ છોડવું પડ્યું હતું. સાંસદ સી.આર. પાટીલે તો ભાટીયા ટોલ પ્લાઝા પર સ્થાનિકો માટે બન્ને બાજુએ બબ્બે લેન શરૂ કરવા અંગે 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું.
જ્યારથી ફાસ્ટેગનો અમલ શરૂ થયો છે ત્યારથી સૂરતને જોડતા ટોલ પ્લાઝા પર ટોલ પ્લાઝાના નોકરીયાત અધિકારીઓએ મનસ્વી રીતે સ્થાનિક વાહનચાલકોને હેરાન પરેશાન કરીને પૂરો ટોલ વસૂલ કરવાની પેંતરાબાજી શરૂ કરી હતી. સૂરત શહેર ઉપરાંત આસપાસના ગામડાઓના લોકો પણ રોજેરોજ ભાટીયા ટોલ પ્લાઝા ખાતેથી અવરજવર કરતા હોઇ, ફાસ્ટેગની આડમાં ભાટીયા ટોલ પ્લાઝાના સંચાલકોએ સ્થાનિક વાહનચાલકો માટે એક જ લેન રાખીને મોટી મોટી કતારો લાગે એવી ગોઠવણ કરી હતી. જેથી સ્થાનિકો કતારમાં ફસાવાની જગ્યાએ પૂરો ટોલ ભરીને ઝડપથી પાસ થઇ જવાનું મુનાસિબ સમજે એવી પેરવી કરી હતી.
જોકે, નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપાના કદાવર નેતા સી.આર. પાટીલ તેમજ ધારાસભ્ય હર્ષ સંઘવી, સંગીતાબેન પાટીલ તેમજ અન્ય નેતાઓએ આ મુદ્દે કલેક્ટર, નેશનલ હાઇવે ઓથોરિટી તેમજ અન્ય સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજીને સ્થાનિક વાહન ચાલકોને મળવાપાત્ર અધિકાર સત્વરે અપાવવાની માગ કરી હતી. તા.19મી ફેબ્રુઆરી 2020ના રોજ સી.આર. પાટીલે તંત્રવાહકોને અલ્ટીમેટમ આપ્યું હતું અને કહ્યું હતું કે રજૂઆતો, સમજાવટનો દૌર હવે બહુ થયો, આ મુદ્દે 24 કલાકમાં નિવેડો નહીં આવે તો મોટી લડત શરૂ કરવાના સંકેત આપ્યા હતા.
સી.આર. પાટીલે ભાટીયા ટોલ પર સૂરતના સ્થાનિકોને ફેસેલિટી મળે એ માટે દિલ્હી સુધી આક્રમક રજૂઆતો કરી હતી. અને તેનું પરીણામ આવ્યું છે. ભાટીય ટોલ પ્લાઝા ખાતે હવેથી સ્થાનિક વાહન ચાલકો ઝડપથી પસાર થઇ શકે તે માટે બન્ને તરફ બબ્બે લેન શરૂ કરવાની સૂચના આપી દેવામાં આવી છે અને તેનો અમલ ઝડપથી શરૂ કરી દેવાની ગતિવિધિ શરૂ કરી દેવામાં આવી છે.
વાપીમાં ચા ની દુકાને અનાયાસે મળેલા 2 એન્જિનયરોની 3 Idiots ફિલ્મ જેવી કહાણી
ગમતું કામ કરવું જોઇએ એવી શીખ આપતા થ્રી ઇડિયટ પીક્ચરની સ્ટોરીને પણ ટક્કર મારે એવી જીવતી વારતાં સૂરતમાં ઘટી છે. બે ડિગ્રી ધારી એન્જિનિયરોએ પોતાને ઓછી ગમતી નોકરી છોડીને જેને પીવાનો બહું શોખ છે એ ચા નો સ્ટોલ કહો કે દુકાન કહો કે સ્ટુડીયો શરૂ કર્યો અને તેમને જરાય સંકોચ કે ખચકાંટ નથી. તેમને ચા પીવાની ગમે છે એટલે કામ શરૂ કર્યું. પોતે જ ચા બનાવે છે અને પોતે જ સર્વ કરે છે ચા. વાંચો એન્જિનિયરોની ચા ની કહાણી.
સુરતના બે મિત્રોએ..એક ભાઈનું નામ છે પ્રદીપ જે મિકેનિકલ એંજિનિયર થયેલા છે..કુવૈત, દુબઇની ઘણી મલ્ટીનેશનલ કંપનીઓમાં નોકરી કરીને દોઢ લાખ રૂપિયા મહિને કમાતા હતા..અને બીજા છે ગણેશભાઈ જેમને હમણાં જ સિવિલ એંજિનિયરનો અભ્યાસ પૂર્ણ કર્યો છે..પણ નોકરી કરવા કરતા તેઓ પોતાની મહેનતથી રૂપિયા કમાવવા માંગતા હતા..અને એટલે બધી નાનપ બાજુ પર મૂકીને વરાછા મિનીબજારમાં તેમને શરૂ કરી આ ચા ની દુકાન અને નામ રાખ્યું ચાય મેકર્સ-બાય એંજિનિયર્સ..આ બંને એન્જીનિયર જાતે જ ચા બનાવે છે..જાતે જ ચા નો કપ ભરી આપે છે..હીરાની દુકાનોમાં ચાની ડિલિવરી આપવા પણ જાતે જ જાય છે.. (સૂરતના મહિલા પત્રકાર પારુલ મહાડીકની ફેસબુક વોલ પરથી સાભાર)
ઉપરના ફોટામાં યેલો ટીશર્ટમાં છે એ યુવાનનું નામ પ્રદીપ જાદવ છે જે મિકેનિકલ એન્જિનિયરની ડિગ્રી ધરાવે છે અને મિડલ ઇસ્ટમાં શારજાહ તેમજ દુબઇ નોકરી કરી ચૂક્યા છે. આ યુવાનની સાથે તેના પાર્ટનર કમ ફ્રેન્ડ ગણેશ પંડીત દૂધનાલય છે જે મહારાષ્ટ્રના લાતૂરના છે. આ બન્ને યુવાનો એન્જિનિયર છે, અભ્યાસ પછી સારી નોકરી મળી નહીં. એક દિવસ વાપી સ્ટેશન રોડ પર ગુજરાત ચા નામની ચાની કિટલીએ અનાયાસે બન્નેનો ભેટો થઇ ગયો. બન્નેએ એન્જિનિયરિંગની નોકરી ગમતી ન હોવાની વાતો શેર કરી. બન્ને ચા પીવાના ભારે રસીયા અને વાપીની ચાની દુકાને જ નક્કી કરી લીધું કે ચા બનાવીને વેચવાનો ધંધો શરૂ કરીએ.
આ વાતને માંડ એકાદ વર્ષ થયું હશે. અને આ પ્રદીપ જાદવ અને ગણેશ પંડીત દૂધનાલયએ સૂરતના મિનીબજાર ખાતે ગઇ તા.20મી જાન્યુઆરી 2020ના રોજ ચાય મેકર્સ નામની ચા ની દુકાન શરૂ કરી. એક મહિનામાં આ બન્ને મિત્રોએ શરૂ કરેલી ચાની દુકાન ચાલવા માંડી છે. પ્રદીપ જાદવે સી.આઇ.એ લાઇવને જણાવ્યું કે એક મહિનામાં સારો રિસ્પોન્સ છે અને અમે એન્જિનિયરિંગની નોકરી છોડીને આ ધંધો ચાલુ કર્યો છે અમે ખુશ છીએ. એવું લાગે છે અમારે માણસો રાખવા પડશે કેમકે અમે બે પહોંચી વળતા નથી એટલા ઓર્ડર મળી રહ્યા છે.
એન્જિનિયરોના હાથે બનાવેલી ચા પીવી હોય તો સૂરતના વરાછાના મિની બજારમાં આ દુકાનો જવું પડશે
ચા ની દુકાન શરૂ કરવા માટે સૂરતના વરાછા વિસ્તારમાં મિની બજાર જ કેમ પસંદ કર્યું એવા પ્રશ્નના ઉત્તરમાં પ્રદીપ જાદવે કહ્યું કે થોડો માર્કેટ સરવે કર્યો અને જાણવા મળ્યું કે વરાછા વિસ્તારમાં લોકો ચા પીવાના શોખીન છે તેમજ મિની બજાર સંપૂર્ણ કમર્શિયલ વિસ્તાર છે અને અહીં મોટા ભાગે મશીનની ચા મળી રહી છે. એટલે અમે આ લોકેશન પર દુકાન ભાડે રાખીને ચા નો બિઝનેસ શરૂ કર્યો.
એંજિનિયર્સની ચા જેવી તેવી તો હોય જ નહીં ને પાછી..દાર્જિલિંગથી ફિલ્ટર થઈને આવેલી અને સલ્ફર ફ્રી ખાંડથી બનેલી એક નહીં પણ 9 પ્રકારની ચા અહીં મળે છે. ચાની કિંમત પણ કંઈ વધારે ન સમજતા..વેરાયટી પ્રમાણે 15 રૂપિયાની અંદર એક ચા નો કપ મળી જશે પણ ટેસ્ટ એકદમ હટકે મળશે એની ગેરંટી. (સૂરતના મહિલા પત્રકાર પારુલ મહાડિકના ફેસબુક વોલ પરથી સાભાર)
પ્રદીપ જાદવે સી.આઇ.એ લાઇવને જણાવ્યું કે આપણા ઘરે બને છે તેવી સાદી ચા એક ફુલ કપના રૂ.10 છે જ્યારે ફ્લેવર્ડ ચા ના રૂ.15 આખો કપના રાખ્યા છે. તેમની દુકાનો હોટ ચોકલેટ, ગ્રીન ટી, ગ્રીન હની ટી, રોઝ ટી, લેમન ગ્રીન ટી, લેમન ટી, કોફી વગેરે વેરાઇટી ઉપલબ્ધ છે.
જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ સૂરત તેમજ કસ્ટમ વિભાગ દ્વારા આજે સંયુક્ત પણે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા ધંધાર્થીઓ માટે અત્યંત જરૂરી ઇ-સ્ટોરેજ અને ઇનડાયરેક્ટ ટેક્સ ડોક્યુમેન્ટસના કમ્પ્યુટરાઇઝ્ડ હેન્ડલિંગ અંગે ટ્રેનિંગ તેમજ અવેરનેસનો મહત્વનો વર્કશોપ સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો હતો. સેમિનારમાં ઉપસ્થિત રહેલા હીરા ઉદ્યોગના ધંધાર્થીઓ માટે આ વર્કશોપ અત્યંત ઉપયોગી એટલા માટે બની રહ્યો કેમકે દરેક એક્સપોર્ટસ હાઉસીસ તેમજ તેને આનુષંગિક કામગીરી સાથે સંકળાયેલા વ્યાવસાયિકો માટે કસ્ટમ ડિપાર્ટમેન્ટસની અદ્યતન માહિતી હોવી અને તેનું અમલીકરણ જરૂરી હતું. આ વર્કશોપને કારણે ડોક્યુમેન્ટેશન તેમજ અન્ય પ્રોસીજરનું સરળીકરણ થઇ શકશે.
શું છે ઇ-સંચિત
ઇ-સંચિત અંગે આજના વર્કશોપમાં માહિતી આપવામાં આવી હતી. આ ઇ-સંચિત એ એવું ડિજિટલ પ્લેટફોર્મ છે જે કેન્દ્ર સરકાર દ્વારા એક્સપોર્ટ-ઇમ્પોર્ટ કરતા વ્યવસાયિકો માટે લોંચ કરવામાં આવ્યું છે. કાગજકીય કાર્યવાહી ઓનલાઇન ડિજિટલી થઇ શકે અને વ્યક્તિગત કે ફિઝિકલ ઇન્ટરફિયરન્સ ઓછું થાય તે માટે ઇ-સંચિત પ્લેટફોર્મ ઉભું કરવામાં આવ્યું છે. કસ્ટમ તેમજ ક્લીયરીંગ એજન્ટો પ્રત્યક્ષ રીતે મળે અને એક યા બીજા પ્રશ્નો ઉપસ્થિત થાય તેના કરતા બહેતર રીતે ઇ-સંચિત કામ કરે છે અને તેના કારણે એપ્લિકેશન ક્લીયરિંગ પ્રોસેસનો સમય પણ ઘટી જાય છે. આ પ્લેટફોર્મ પર આયાત-નિકાસને લગતા ડોક્યુમેન્ટ્સ ડિજિટલી સહી સિક્કાની મદદથી અપલોડ કરી શકાય છે.
સૂરત હિરા બૂર્સના ડેપ્યુટી કમિશનર કસ્ટમ્સ ડો. પ્રસાદ વરવાન્ટકરે જણાવ્યું કે હીરા ઉદ્યોગમાં આયાત નિકાસનું કામ કરતા દરેક લોકો માટે ઇ-સંચિત પ્લેટફોર્મ પર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. સૂરત હીરા બૂર્સથી હીરા આયાત નિકાસનું કામ કરનારા દરેક લોકો માટે આ રજિસ્ટ્રેશન જરૂરી છે અને એ આયાત નિકાસકર્તાઓ માટે લાભદાયી પણ છે.
જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના રિજિયોનલ ચેરમેન શ્રી દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે ડાયમંડ ઉધોગકારોના હિતમાં છે ઇ સંચિત પ્લેટફોર્મ. અવરોધ મુક્ત કાગજકીય કાર્યવાહી અને ઝડપી પ્રોસેસિંગ ઇ-સંચિતથી શક્ય બન્યું છે. સ્થાનિક હીરા ઉદ્યોગકારોએ ઇ-સંચિત પ્લેટફોર્મનો વધુને વધુ ઉપયોગ કરવા દિનેશ નાવડીયાએ હિમાયત કરી છે. તેમણે જણાવ્યું હતું કે જીજેઇપીસી દ્વારા જરૂરી તમામ મદદ પૂરી પાડવામાં આવશે.
વરાછાના મીની બજાર સરદાર સમૂર્તિ ભવન નજીકથી સીએએના સમર્થનમાં શહેર ભાજપના નેતૃત્વમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું પ્રસ્થાન મુખ્ય પ્રધાન વિજય રૂપાણી દ્વારા કરવામાં આવ્યું હતું. રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જેમાં વોર્ડ નંબર ૧ના કોર્પોેટર હિનાબેન ચૌધરીના લગ્ન હોવાથી વિધિ દરમિયાન તેણી સીએએને સપોર્ટ કરવા રેલીમાં જોડાયાં હતાં. મુખ્ય પ્રધાને રેલીના સંબોધનમાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કાશ્મીરમાં આજ દિવસ સુધી તમે લોકોએ આતંકવાદીઓને બિરયાની ખવડાવી તમે આતંકવાદીઓ સાથે ઈલુ ઈલુ કર્યું છે અને આ દેશને નબળો કર્યો છે.
વરાછા મીની બજારથી સીએએના સમર્થનમાં યોજાયેલી રેલીનું પ્રસ્થાન મુખ્ય પ્રધાન રૂપાણી દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સીએમ રેલીમાં જોડાયા હતા. આ રેલીમાં મોટી સંખ્યામાં સીએએને સપોર્ટ કરતાં બેનરો સાથે લોકો જોડાયા હતા અને રેલીમાં ભારત માતા કી જયના નારાઓ લગાવવામાં આવ્યા હતા. રેલીમાં મુખ્ય પ્રધાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, સરદાર પટેલના સાંનિધ્યમાં સીએએના સમર્થનામાં રેલી યોજાઈ છે. ભાજપે લોકસભાની ચૂંટણી પહેલા ઘોષણપત્રમાં જે સીએએ, ૩૭૦ની કલમ જેવા વાયદોઓ કર્યા તે તમામ પૂર્ણ કર્યા છે. સીએએના વિરોધીઓને આ રેલી જવાબરૂપ છે. આ દેશના ટુકડા ટુકડા થાય તે માટે કોંગ્રેસ અને અન્ય વિરોધીઓ સીએએ મુદ્દે ખોટા પ્રચાર, લોકોને ગેરમાર્ગે દોરી મુસલમાનોને આગળ કરી વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસ માત્ર વોટબેંકની રાજનીતિ કરે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મારે કોંગ્રેસને સીધો સવાલ પૂછવો છે કે, તમે કેટલા વખત લોકશાહીનું હનન કર્યું છે તેનો હિસાબ આપો. ૬૫૦ દિવસ કટોકટી લગાવીને આ દેશને જેલ બનાવી દેશના તમામ સ્તંભો તોડી નાખ્યા છે. દેશની જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. તમે વાત કરો છો કે આ દેશમાં વિરોધ કરવો એટલે દેશદ્રોહી કહેવાય તમે વોટબેંકની રાજનીતિના આધાર પર દેશ વિરોધીઓને પ્રોત્સાહન આવ્યું છે તેનો હિસાબ આપો. જેએનયુમાં ભારત તેરા ટુકડા કરેંગે, અફઝલ હમ સરમિંદા હૈ, તેરા કાતિલ જિંદા હૈના સૂત્રોચ્ચાર થતા હતા ત્યારે કોના બેસાણામાં ગયા હતા, તમે ક્યાં હતા કોને સમર્થન કરતા હતા, અફઝલ અને તમારા સંબંધ શું હતા તેનો જવાબ આપો. કેરલમાં આતંકવાદીના પોસ્ટર છપાવીને વોટ માગવા ગયા હતા. બોમ્બેમાં બોમ્બ ધડાકા થયા ત્યારે ક્યાં ગયા હતા. આપણા જવાનોએ જે વિરતા પ્રદર્શિત કરી હતી તમે તેની નિંદા કરવા નીકળ્યા હતા. કાશ્મીરમાં આજ દિવસ સુધી તમે લોકોએ આતંકવાદીઓને બિરયાની ખવડાવી, તમે આતંકવાદીઓ સાથે ઈલુ ઈલુ કર્યું છે અને આ દેશને નબળો કર્યો છે. જે ભાષા રાહુલ ગાંધી બોલે છે, જે ભાષા કેજરીવાલ બોલે છે, જે ભાષા મમતા બોલે છે આ બધા ચોર ચોર મોસેરા ભાઈઓ છે, બધા એક સાથે દેશ મજબૂત ન થાય તે માટે પ્રયાસ કરી રહ્યા છે. સીએએમાં અમે વારંવાર કહ્યું છે કે કોઈનું નાગરિકત્વ લેવાની વાત નથી નાગરિકત્વ આપવાની વાત છે.
વરાછાના મીની બજારથી રેલીનું હીરાબાગ સર્કલ પર સમાપન કરાયું હતું. સીએએના સમર્થનમાં અઠવાગેટ બાદ બીજી સૌથી મોટી શહેરમાંથી રેલી યોજાઈ હતી. જેમાં મુખ્ય પ્રધાન રૂપાણી, પ્રભારી કૌશિક પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સીએમની હાજરીના કારણે રેલીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
શહેરમાં પલસાણાના તાંતીથૈયામાં બંધ પેકેટમાં આડમાં વેચાતી ગાંજાની ગોળીના નેટવર્કનો પોલીસે પર્દાફાશ કરીને ૮૭ કિલો ગાંજાની ગોળીઓ જપ્ત કરી હતી તેમ જ પોલીસ આ ગુન્હાના નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરી હતી.
સુરત જિલ્લા એસ.ઓ.જી પોલીસને બાતમી મળી હતી કે સુરત જિલ્લાના ઔદ્યોગિક એકમના પરપ્રાંતિય વિસ્તારમાં એક બંધ પેકેટમાં આયુર્વેદિક ઔષધિના નામે ઇન્દોરના બનાવટની ગાંજાની ગોળીઓના વેચાણની માહિતીના આધારે એસ.ઓ.જી પોલીસ તાંતીથૈયા એસ.આર. પેટ્રોલ પંપની સામે આવેલ એક જનરલ સ્ટોરમાંથી અંદાજીત ૮૬ કિલોના આઠ લાખ ૬૦ હજારની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ ગોળીના પેકેટ ઉપર ઇન્દોર કા તરંગ વિજયાવટી આયુર્વેદિક ઔષધિ લખ્યું હતુ. એસ.ઓ.જી.ની ટીમે એફએસએલની મદદ લઇ આ ગોળીઓની તપાસ કરાવતા ગોળીઓમાં ગાંજાની માત્રા મળી આવી હતી.
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા આંતરરાષ્ટ્રીય ઇન્ડસ્ટ્રીયલ પ્રદર્શનની ૧રમી આવૃત્તિ તરીકે ‘ઉદ્યોગ– ર૦ર૦’નું તા. ર૪મી જાન્યુઆરીથી ર૭મી જાન્યુઆરી ર૦ર૦ દરમિયાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે.
આજરોજ શુક્રવારે, તા. ર૪ જાન્યુઆરીના રોજ સવારે ૧૦:૩૦ કલાકે પ્રદર્શનનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા સાંસદ સભ્ય શ્રીમતી દર્શનાબેન જરદોશના હસ્તે ઉદ્ઘાટન બાદ પ્રદર્શનને ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ. ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાત સરકારના એમએસએમઇ કમિશનર શ્રી જે. રણજીથ કુમાર (આઇએએસ) અને મુંબઇ યસ બેંકના સિનિયર પ્રેસિડેન્ટ શ્રી અરૂણ ટીકૂ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહયા હતા.
દીપ પ્રાગટયવિધિ સાથે ઉદ્ઘાટન સમારોહની શરૂઆત કરવામાં આવી હતી. ઉદ્યોગ પ્રદર્શનથી નવો ટ્રેન્ડ ઇન્ડસ્ટ્રીને મળી રહેશે.
ચેમ્બરના પ્રમુખ શ્રી કેતન દેસાઇએ સમારોહમાં સર્વેને આવકાર્યા હતા અને પ્રારંભિક ઉદ્બોધનમાં જણાવ્યુ હતુ કે, ઉદ્યોગ પ્રદર્શનને કારણે સુરતની ઇન્ડસ્ટ્રીને ઘણો વેગ મળ્યો છે. ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના અલગ–અલગ સેકટર પણ પ્રમોટ થાય છે. ચેમ્બર દ્વારા નવા નવા પ્રદર્શનો કરવામાં આવી રહયાં છે, જેના પ્રણેતા તરીકે ઉદ્યોગ પ્રદર્શન ઉભરી આવ્યુ છે. છેલ્લા ર૪ વર્ષથી ઉદ્યોગ પ્રદર્શનનું આયોજન થઇ રહયુ છે. આ આયોજનમાં સરકારના જુદા–જુદા વિભાગો અને કોર્પોરેટ સેકટર પણ જોડાયા છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને માનનીય કાપડમંત્રી શ્રીમતી સ્મૃતિબેન ઇરાની પણ ઇન્ડસ્ટ્રીના ગ્રોથ માટે રસ લઇ રહયા છે. ઇન્ડસ્ટ્રીના વિઝનને ધ્યાનમાં રાખીને ચેમ્બર દ્વારા ઉદ્યોગ પ્રદર્શન યોજાય છે. આથી ઉદ્યોગ પ્રદર્શનથી નવો ટ્રેન્ડ ઇન્ડસ્ટ્રીને મળી રહેશે. સરકાર દ્વારા જરૂરી સુધારા થઇ ગયા છે અને હવે દેશ આગળ વધી રહયો છે.
સાંસદ સભ્ય શ્રીમતી દર્શનાબેન જરદોશે સમારોહને સંબોધતા જણાવ્યુ હતુ કે, સરકારે ઇન્ડસ્ટ્રીના ગ્રોથ માટે પોર્ટલો બનાવી છે. જેમાં ટ્રાન્સપરન્સી સાથે કામ થઇ રહયુ છે. ઉદ્યોગકારો કે નવા ઉદ્યોગ સાહસિકો પોર્ટલ ઉપર ઓનલાઇન અરજી કરે છે અને તેઓને મંજૂરી મળી જાય છે. રીયલ એસ્ટેટનો દાખલો આપતા તેમણે કહયુ હતુ કે, કોઇપણ ઇન્ડસ્ટ્રીને લગતો ઇશ્યુ સુરતમાં પ્રથમ આવી જાય છે અને સંબંધિત વિભાગો સુધી ઇશ્યુને પહોંચાડવામાં આવે છે. જેથી કરીને સમયસર તેનું નિરાકરણ આવે છે. સરકાર દ્વારા સુધારા માટે સૂચનો પણ ઇન્ડસ્ટ્રી પાસે મંગાવવામાં આવે છે. સરકાર દ્વારા જરૂરી સુધારા થઇ ગયા છે અને હવે દેશ આર્થિક રીતે આગળ વધી રહયો છે. તેમણે ઉદ્યોગ પ્રદર્શનના આયોજન માટે ચેમ્બરને અભિનંદનની સાથે પ્રદર્શનની સફળતા માટે શુભેચ્છા આપી હતી.
એમએસએમઇ યોજનાઓનો લાભ લેવા ઉદ્યોગકારોને અનુરોધ….
ગુજરાત સરકારના એમએસએમઇ કમિશનર શ્રી રણજીથ કુમાર (આઇએએસ)એ જણાવ્યુ હતુ કે, સરકારે રોજગારી પુરી પાડતી એમએસએમઇ એકમને અલગ બનાવી દીધી છે. એના માટે અલગ વિભાગ કાર્યરત કરવામાં આવ્યો છે. જે એમએસએમઇના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે પોલિસી બનાવે છે. એમએસએમઇ વિભાગ દ્વારા ઇન્ડસ્ટ્રીના ગ્રોથ માટે ઘણી સબસિડી જાહેર કરી છે. એમએસએમઇ ફેસિલિટી કાઉન્સીલ એકટ બનાવ્યો છે. નવા ઉદ્યોગ સાહસિકોને રૂપિયા પ કરોડ કે તેથી વધુની લોન માટે રાજય સરકારે બેંક ઓફ બરોડા સાથે સમજુતિ કરાર કર્યા છે. સુરતમાં ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રી વધુ ડેવલપ થઇ છે. આથી ટેક્ષ્ટાઇલ પોલિસી માટે રાજય સરકારે સારા નિર્ણયો કર્યા છે. સાથે જ ઘણી યોજનાઓ પણ બહાર પાડી છે. આ યોજનાઓનો લાભ લેવા માટે તેમણે ઉદ્યોગકારોને અનુરોધ કર્યો હતો.
ચેમ્બર દ્વારા પ્રોડકટ સ્પેસિફીક પ્રદર્શનોનું પણ પ્લાનીંગ કરાશે
ચેમ્બરના એકઝીબીશન સેલના હેડ શ્રી દેવેશ પટેલે જણાવ્યુ હતુ કે, ‘ઉદ્યોગ’ ચેમ્બરનું ફલેગશિપ પ્રદર્શન છે. ચેમ્બર દ્વારા હવે પ્રોડકટ સ્પેસિફીક પ્રદર્શનોનું પણ પ્લાનીંગ કરવામાં આવી રહયુ છે. થોડા દિવસો પહેલાં જ એમ્બ્રોઇડરી મશીનરીઓ માટે ‘સીટમે’નું આયોજન કરવામાં આવ્યુ હતુ. એવી જ રીતે ભવિષ્યમાં સુરતના સાત જેટલા એસોસિએશન સાથે મળીને ‘મેગા બીલ્ડ એક્ષ્પો’, ‘ફૂડ એન્ડ એગ્રી એક્ષ્પો’ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે પણ એક્ષ્પો કરવામાં આવશે. ઇન્ડસ્ટ્રીને સારી ઉંચાઇ મળે એના માટે ચેમ્બર પ્રયાસ કરી રહયુ છે. ૧પ૦૦ લૂમ્સની જેકાર્ડ નવું નજરાણું…. ઉદ્યોગ પ્રદર્શનના ચેરમેન શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યુ હતુ કે, વર્ષ ૧૯૯૮માં ઉદ્યોગ એકઝીબીશનની શરૂઆત કરવામાં આવી હતી. દર બીજા વર્ષે ઉદ્યોગનું આયોજન કરવામાં આવે છે. આ પ્રદર્શનમાં ૧પ૦૦ લૂમ્સની જેકાર્ડ નવું નજરાણું બની રહેશે. આ ઉપરાંત ૯૦૦થી ૧૦૦૦ આરપીએસના વોટરજેટ મશીનો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
ઉદ્યોગ પ્રદર્શનના મુખ્ય આકર્ષણ
શ્રી મેવાવાલાએ વધુમાં જણાવ્યુ હતુ કે ટેક્ષ્ટાઈલ મશીનરી, ટેક્ષ્ટાઈલ એન્સીલરી, એન્જીનિયરીંગ મશીનરી એન્ડ મશીન ટૂલ્સ, ઈલેકટ્રીકલ – ઈલેકટ્રોનિકસ એન્ડ ઈન્સ્ટ્રુમેન્ટેશન, ગવર્નમેન્ટ પીએસયુ અને કોર્પોરેટ પેવેલિયન, બેન્કીંગ એન્ડ ફાયનાન્સ અને ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ સિકયુરીટીના ઉત્પાદકો દ્વારા તેમની પ્રોડકટ તથા સર્વિસ પ્રદર્શિત કરવામાં આવશે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, વાપી, ઉમરગામ, મુંબઇ, દિલ્હી, ગુરૂગ્રામ, પાણીપત, નોઇડા અને કોઇમ્બતુરના કુલ ર૦૦ જેટલા સાહસિકોએ પ્રદર્શનમાં ભાગ લીધો છે.
મુંબઇ યસ બેંકના સિનિયર પ્રેસિડેન્ટ શ્રી અરૂણ ટીકૂએ જણાવ્યુ હતુ કે, યસ બેંક દ્વારા ફાયનાન્સની સર્વિસ હેતુ એમએસએમઇ એકમો માટે સ્પેશિયલ પ્રોડકટ ડિઝાઇન કરવામાં આવી છે. જેનો લાભ લેવા તેઓએ ઉદ્યોગકારોને અનુરોધ કર્યો હતો. સાથે જ ઉદ્યોગના સારા ભવિષ્ય માટે શુભકામના આપી હતી.
ચેમ્બરના ઉપપ્રમુખ શ્રી દિનેશ નાવડીયાએ જણાવ્યુ હતુ કે, કોઇપણ ઇન્ડસ્ટ્રીના ગ્રોથ માટે સ્થાનિક કક્ષાએ ટેકનોલોજી અપગ્રેડેશન કરવાની જરૂર હોય છે. આવા સારા આશયથી ચેમ્બર દ્વારા ઉદ્યોગનું આયોજન કરવામાં આવ્યુ છે.
સમર્થન ગ્રુપ સૂરત દ્વારા રાષ્ટ્રીય કન્યા દિનની સાર્થક ઉજવણી
સ્વામી દયાનંદે લખ્યું છે કે, એક પુરૂષ શિક્ષિત અને સુસંસ્કૃત હોય તો નાત્ર તે એકલો જ ઉપયોગી બને છે, પરંતુ એક સ્ત્રી શિક્ષિત, સમજદાર અને સુયોગ્ય હોય તો સમગ્ર કુટુંબ સુદૃઢ બનાવે છે.
આજરોજ તા.24મી જાન્યુઆરી, દર વર્ષે આજનો દિવસ ભારતમાં કન્યાદિન તરીકે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે સૂરતના જાણીતા નેત્ર ચિકિત્સક ડો. મહેન્દ્રભાઇના વડપણ હેઠળ કાર્યરત સમર્થન ગ્રુપ દ્વારા સૂરતમાં કન્યા કેળવણી તેમજ બેટી બચાવો અભિયાનના નેજા હેઠળ એક જનજાગૃતિ અવેરનેસ રૉડ શૉનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌના આશ્ચર્ય વચ્ચે સવારે સાડા સાત વાગ્યે સૂરતના મક્કાઇપુલ સ્થિત સ્વામી વિવેકાનંદ પ્રતિમા ખાતે પાંચ હજારથી વધુ લોકો એકત્રિત થઇ ગયા હતા અને તેમાં શહેરની અનેક સંસ્થાના આગેવાનો તેમજ કન્યા વિદ્યાર્થિનીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. રેલીનો હેતુ જ એ હતો કે કન્યાઓમાં ધરબાયેલી પ્રતિભાઓને બહાર લાવવા માટે તેમને પ્લેટફોર્મ પૂરુ પાડવામાં આવે. આ પ્રસંગે કન્યાઓની શક્તિઓ, કૌશલ્યો અને સિદ્ધિઓને સૌએ બિરદાવીને રૉડ શૉ શરૂ કર્યો હતો.
કન્યા દિન નિમિતે સૂરતમાં યોજાયેલા એક માત્ર મોટા કાર્યક્રમના આયોજક સમર્થન ગ્રુપના ડો. મહેન્દ્રસિંહ ચૌહાણએ આ પ્રસંગે જણાવ્યું હતું કે જ્યારે કન્યા બાળ ઝગમગશે, ત્યારે ભારત પ્રગતિ સાધશે. ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’નો જુસ્સો વધુ મજબૂત કરીએ અને કન્યા બાળક માટે ભેદભાવ રહિત અને તકોથી ભરપૂર વાતાવરણ સર્જીએ.”
અનેક આગેવાનો સ્વયંભુ જોડાયા
સમર્થન ગ્રુપ આયોજિત કન્યા અવેરનેસ રૉડ શૉ માં આજે વહેલી સવારથી જ શહેરના અનેક ગણ્યમાન્ય લોકો જોડાયા હતા. સમર્થન ગ્રુપના ફાઉન્ડર ડો.મહેન્દ્રસિંહ ચૌહાણ, અમરોલી કોલેજના આચાર્ય ડો.કે.એન. ચાવડા, ડો. કશ્યપ ખરચીયા, ઇકબાલ કડિવાળા, ઉપરાંત શહેર ભાજપાના પ્રમુખ શ્રી નીતિનભાઇ ભજીયાવાળા, મહામંત્રી શ્રી મદનસિંહ અટોદરીયા, ડેપ્યુટી મેયર નિરવભાઇ શાહ, કિશોર બિંદલ, શ્રી ગિરીજાશંકર, એડવોકેટ બિનાબેન ભગત સમેત અનેક તબીબો, અધ્યાપકો, સ્કુલ પ્રિન્સીપાલો વગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ સંસ્થાઓના પ્રતિનિધિત્વ સાથે કન્યા દિને યોજાયેલો રૉડ શૉ પ્રભાવક રહ્યો
J. Z. Shah Arts & H. P. Desai Commerce College, Amroli-Surat
Prof. V. B. Shah Institute of Management, R. V. Patel College of Commerce, V. L. Shah College of Commerce ,Sutex Bank College of Computer Applications & Science , Amroli
Shree Bharatimaiya College of Optometry & Physiotherapy, Piplod-Surat
Indian Dental Association- Surat Branch
Art Of Living – Surat Chapter
Radha Hospital Manav Utkarsh trust
Ahir Dr Association, Surat
Swanirbhar Shala Sanchalak Mandal, Surat
Shree Karadiya Rajput Yuva Sangh, Surat
Surat Photography Welfare Association
South Gujarat Event Management
Shree J B DharukaWala Mahila Arts College, Varachha – Surat
Vanita Vishram College-Surat
Civil Nursing College-Surat
S.S. Gandhi Engineering College-Surat
Primary Education SMC School-Surat
Sangras Vidhyalaya-Udhna
S.R. Patel B.Ed. College, Anita-Kim
Senate Members, VNSGU-Surat
બાળ અને મહિલા વિભાગ
જાયન્ટ મહીલા વિલિંગ
Vecerans India- નારી સેના
ગલ્સ પોલીટેકનીક હોમિયોપેથીક વિભાગ
યોગી ડિવાઈન
Vibrant group of schools
Sangath Dil Se Group
AHIR Doctor ASSOCIATION SURAT
Dayavan Foundation, Surat
Rajput Samaj Doctors Association
Surat Physio Group
South Gujarat Academy Of Otolaryngology
Train nurses association of India.
Students nurse association of Gujarat
South Gujarat Brahmin Doctors Association
Surat Diamond Association
Vishva Hindu Parishad
Bajrang Dal
Ashadip Group Of Schools
Samast Lava Gujar Patidar Samaj
Surat gujar Doctor Association
Jivan Jyot Trust, Amroli-Surat
bhatar ghoddod doctors’ club
Samarpan NGO
Biking Queens Charitable Trust
Rander Adajan Physio Group – RAPG
Surat Medical Consultant Association.
Rashtriya Asha Manch
Surat ob and gyn educational and charitable trust
South Gujarat Automobiles Dealers Association
Association of Practicing Pathologist – South Gujarat
Sachin Maroli Rajput Samaj
SOCH ( Mental Health Institute )
SWAJAN ( Cultural Foram)
SANSKRUTI ( Cultural foram )
MANAAV – KALRAV
Maha Gujarat Medical Practitioners Associassion–SURAT
Yuva Rana Samaj Sudharak Group (YRSS GROUP)
Surat Academic Association
Tuition classes Association
Ashadeep group of schools
Leo group of Educational institute
Shree Kutch Kathiyawad Rajput Samaj
Spb Physiotherapy College, Surat
Jain doctors federation (JDF) surat
Jain international organisation , JIO , surat
Surat Jain Youth Club
The Surat colour chemical Marchant association
Shree Akhil bhartiya jeen mata seva sangh
Narendra modi vichaar manch surat
QUALITY CIRCLE FORUM OF INDIA (QCFI) – SURAT CHAPTER
Surat wholesale delers association FMCG FOOD
JBGO President Mahindra
JBGO Monarch Hyundai
JBGO Pramukh Nissan & Datsun
JBGO Kings Ford
JBGO Pramukh TATA
JBGO Powerbikes Yamaha
JBGO Powerwings TVS
Shree Samast Gujarat Brahmsamaj Surat
Vesu Bhatar Citylight Udhna Physio Union
Shree Oswal Jain Sajanan Yuva Sangh
Shree Surti Modhvanik Yuvak Mandal
Youth nation.
South Gujarat Productivity Council SGPC
Surat Brahman Samaj Trust – Surat (9898511113 – Mr. Atmaram Pandey Contact Person No.)
Chartered accountants association surat (CAAS)
Akhil Bhartiya Poorva Sainik Seva Parishad, Gujarat (Make 2 Banners)
ચેમ્બર ઓફ કોમર્સના 12માં ઉદ્યોગ Expoનું આયોજન 24થી 27 જાન્યુઆરી દરમિયાન
ચેમ્બરના પ્રમુખ શ્રી કેતન દેસાઇએ ‘ઉદ્યોગ પ્રદર્શન’ અંગે પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતુ કે, દક્ષિણ ગુજરાતના વ્યાપાર અને ઉદ્યોગના વિકાસ માટે સતત પ્રયત્નશીલ એવી સંસ્થા ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા વર્ષોથી વિવિધ પ્રદર્શનોનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવે છે. ચેમ્બરના ફલેગશીપ એવા ઉદ્યોગ પ્રદર્શનનું દર બીજા વર્ષે આયોજન થાય છે. જેના ભાગરૂપે ચેમ્બર દ્વારા આ વર્ષે ઉદ્યોગ પ્રદર્શનની ૧રમી આવૃત્તિ તરીકે ‘ઉદ્યોગ– ર૦ર૦’નું ભવ્ય આયોજન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આગામી તા. ર૪ જાન્યુઆરીથી ર૭ જાન્યુઆરી ર૦ર૦ દરમિયાન કરવામાં આવ્યુ છે.
તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, એમએસએમઇના હબ તરીકે ઓળખાતા દક્ષિણ ગુજરાતને ટેક્ષ્ટાઇલ મશીનરી મેન્યુફેકચરીંગનું હબ બનાવવાની દિશામાં પણ ચેમ્બર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહયો છે. આ અંગે વિદેશી હુંડીયામણને પ્રોત્સાહન આપવા માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને ચેમ્બર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં જ માનનીય ટેક્ષ્ટાઇલ મંત્રી શ્રીમતી સ્મૃતિબેન ઇરાની સાથે પણ સુરતમાં ટેક્ષ્ટાઇલ મશીનરીના ઉત્પાદન માટે કઈ રીતે આગળ વધી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેના ભાગરૂપે પણ ચેમ્બર દ્વારા આ દિશામાં પ્રયાસ કરવામાં આવી રહયો છે.
‘ઉદ્યોગ–ર૦ર૦’ પ્રદર્શનનો ઉદ્ઘાટન સમારોહ શુક્રવારે, તા. ર૪/૦૧/ર૦ર૦ના રોજ સવારે ૧૦ઃ૩૦ કલાકે યોજાશે. જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાતના આરોગ્ય અને પરીવાર કલ્યાણ, તબીબી શિક્ષણના રાજય કક્ષાના માનનીય મંત્રી શ્રી કિશોરભાઇ કાનાણી (કુમાર) પધારશે અને તેમના વરદ હસ્તે પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. માનનીય સાંસદ શ્રી સી.આર. પાટીલ અને શ્રીમતી દર્શનાબેન જરદોશ તથા રાજયના ઇન્ડસ્ટ્રીઝ કમિશનર ડો. રાહુલ બી. ગુપ્તા (આઇએએસ) અને યસ બેંક મુંબઇના સિનિયર પ્રેસિડેન્ટ શ્રી અરૂણ ટીકૂ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે.
‘ઉદ્યોગ પ્રદર્શન’ જાહેર જનતા માટે સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ કલાક સુધી ખુલ્લુ રહેશે
ચેમ્બરના એકઝીબીશન સેલના હેડ શ્રી દેવેશ પટેલે જણાવ્યુ હતુ કે, ચેમ્બરે આ મહિનામાં જ ‘સિટમે’ પ્રદર્શનનું આયોજન કર્યુ હતુ. જેમાં કવોલિટી ફેબ્રિકસના ઉત્પાદન માટે પ્રદર્શિત કરવામાં આવેલી એમ્બ્રોઇડરી મશીનરીની ભારે ડિમાન્ડ જોવા મળી હતી. સામાન્યપણે સુરતમાં લૂમ્સના ચારથી પાંચ મોટા ઉત્પાદકો છે. ટીએફઓના પાંચ મોટા અને સાત જેટલા નાના ઉત્પાદકો છે. જયારે ટેક્ષ્ચ્યુરાઇઝીંગના પાંચ, સ્પીલિટીંગ મશીનના પાંચ અને યાર્ન ડાઈંગ મશીનના પાંચ ઉત્પાદકો છે. આથી નાના મશીનરી ઉત્પાદન ક્ષેત્રને બહોળું કરવા માટે ‘ઉદ્યોગ પ્રદર્શન’ ખૂબ જ મહત્વનું બની રહેશે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ટેક્ષ્ટાઇલ મશીનરીનાં ઉત્પાદકોને અત્યાધુનિક ટેકનોલોજીવાળી મશીનરીનું ઉત્પાદન લેવા માટે કઈ મુશ્કેલી નડી રહી છે તે પણ પ્રદર્શનમાં ભાગ લેનારા ઉદ્યોગ સાહસિકો સાથેના સંવાદના માધ્યમથી જાણી શકાશે.
‘ઉદ્યોગ ર૦ર૦’ પ્રદર્શનના ચેરમેન શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યુ હતુ કે, સરસાણા સ્થિત એકઝીબીશન સેન્ટરમાં કુલ ૧,રપ,૦૦૦ સ્કવેર ફૂટ વિસ્તારમાં ઉદ્યોગ પ્રદર્શન યોજાયુ છે. જેમાં ટેક્ષ્ટાઈલ મશીનરી, ટેક્ષ્ટાઈલ એન્સીલરી, એન્જીનિયરીંગ મશીનરી એન્ડ મશીન ટૂલ્સ, ઈલેકટ્રીકલ – ઈલેકટ્રોનિકસ એન્ડ ઈન્સ્ટ્રુમેન્ટેશન, બેન્કીંગ એન્ડ ફાયનાન્સ, ગવર્નમેન્ટ પીએસયુ અને કોર્પોરેટ પેવેલિયન (જેડા, ધોલેરા, ટૂરીઝમ, જીઆઇડીસી, ટોરેન્ટ) અને ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ સિકયુરીટીના ઉત્પાદકો દ્વારા તેમની પ્રોડકટ્સ અને સર્વિસીઝ પ્રદર્શિત કરવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, વાપી, ઉમરગામ, મુંબઇ, દિલ્હી, ગુરૂગ્રામ, પાણીપત, નોઇડા અને કોઇમ્બતુરના કુલ ર૦૦ જેટલા સાહસિકોએ પ્રદર્શનમાં ભાગ લીધો છે.
ઉદ્યોગ પ્રદર્શન દરમિયાન ચેમ્બર, સુરત ટેક્ષ્ટાઇલ કલબ અને એનઆઇએફટીના સંયુકત ઉપક્રમે શુક્રવારે,
તા. ર૪/૦૧/ર૦ર૦ના રોજ સાંજે ૭:૦૦ કલાકે ફેશન શોનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં સુરતમાં બનતા વિવિધ ફેબ્રિકસનું મોડેલ્સ દ્વારા પ્રદર્શન કરવામાં આવશે. આ ઉપરાંત રવિવારે, તા. ર૬/૦૧/ર૦ર૦ના રોજ સાંજે ૭:૦૦ કલાકે લોકડાયરાનું પણ આયોજન કરાયુ છે. જેમાં જાણીતી ગાયિકા સુશ્રી કિંજલ દવે અને ગાયક શ્રી ઘનશ્યામ કળથીયા દ્વારા રમઝટ બોલાવવામાં આવશે.
ચેમ્બરના આ આયોજનમાં રાજય સરકારના ઇન્ડસ્ટ્રીયલ એક્ષ્ટેન્શન બ્યુરો, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન, ઇ–ગવર્નન્સ અને સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગનો સહકાર પ્રાપ્ત થયો છે. ગોલ્ડ સ્પોન્સર તરીકે રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ., સિલ્વર સ્પોન્સર તરીકે કલર ટેક્ષ, એમએસએમઇ બેન્કીંગ પાર્ટનર તરીકે યસ બેંક જોડાયુ છે. આ ઉપરાંત સુરત મહાનગરપાલિકા, વેડરોડ આર્ટસિલ્ક સ્મોલ સ્કેલ કો–ઓપરેટીવ ફેડરેશન લિ., માંગરોળ તાલુકા ઇન્ડસ્ટ્રીઝ વેલફેર એસોસિએશન, સુરત ટેક્ષ્ટાઇલ કલબ, સચીન ઈન્ડસ્ટ્રીયલ કો–ઓપરેટીવ સોસાયટી અને પાંડેસરા વિવર્સ કો–ઓપરેટીવ સોસાયટી લિ. ચેમ્બરની સાથે એસોસિએટ્સ તરીકે જોડાયા છે.
આગામી તા.1લી ફેબ્રુઆરી 2020ના રોજ સૂરતના 100 જૈન મુમુક્ષુઓ દીક્ષા ગ્રહણ કરીને સંસારનો ત્યાગ કરશે. સૂરત શહેરમાં 3 અલગ અલગ કાર્યક્રમ અંતર્ગત આ દીક્ષા સમારોહ યોજવા જઈ રહ્યો છે. જે પૈકી સૌથી મોટો સમારોહ સુરતના વેસુ ખાતે યોજાશે.
અંદાજીત 75 જેટલા દીક્ષાર્થીઓ વેસુ ખાતે યોજાનાર ભવ્ય દીક્ષા સમારોહમાં જૈન સાધુ અને સાધ્વી તરીકે દીક્ષા લેશે. જૈન મુની વિજય શ્રેયાંશપ્રભસુરીશ્વરજી મહારાજની નિશ્રામાં દીક્ષા લેશે. જે માટે 71 મુમુક્ષુના દીક્ષા મુહૂર્ત પણ નક્કી કરી દેવાયા છે. અન્ય બે દીક્ષા ગ્રહણ કાર્યક્રમો તા.1લી ફેબ્રુઆરી 2020ના રોજ સૂરતના અડાજણ અને પાલમાં યોજાશે.
આ દીક્ષા સમારોહમાં ભાગ લેવા માટે દેશભરમાંથી દીક્ષાર્થીઓ આવશે. જેમાં કર્ણાટક, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતના જુદા જુદા શહેરોનો સમાવેળ થાય છે.
દીક્ષા ઉત્સવ સમિતિના નરેશ શાહે જણાવ્યું હતું કે મુમુક્ષુઓને દીક્ષા વિજય શ્રેયાંશ પ્રભસુરીશ્વરજી મહારાજ, તપોરત્નસુરિશ્વરજી મહારાજ અને કલ્યાણરત્નસુરીશ્વરજી મહારાજ દ્વારા આપવામાં આવશે.
દીક્ષા સમારોહના એક દિવસ પહેલા
મુમુક્ષુઓની વર્ષદાન યાત્રા વરઘોડો કાઢવામાં આવશે.
આજ દિવસે સુરતના પાલમાં 20 દીક્ષાર્થીઓ સમસ્ત શ્રી વાવપંથક શ્વેતાંબર મૂર્તી પૂજક જૈન સંઘ
દ્વારા આયોજીત કાર્યક્રમમાં ઓમકાર નગરી ખાતે દીક્ષા ગ્રહણ કરશે. જ્યારે અન્ય 5 દીક્ષાર્થી ગુરુરક પાવન ભુમી ખાતે આયોજીત એક સમારોહમાં દીક્ષા
ગ્રહણ કરશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.