CIA ALERT

સુરતીઓની દુનિયા Archives - Page 3 of 79 - CIA Live

May 20, 2026
societynews-1280x1040.jpg
3min325
  • કેશુભાઈ પટેલ ઓડિટોરિયમનું કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવીયાના હસ્તે ઉદઘાટન
  • સરદાર સાહેબના પ્રતિમાનું ગૃહમંત્રી હર્ષ સંધવી કરશે અનાવરણ
  • સમાજના અગ્રણી જયંતીભાઈ બાબરીયા અને અમદાવાદથી રવજીભાઈ વસાણીના હસ્તે ભવનનું શુભ ઉદ્ઘાટન
  • ૧૦૦૦ વિદ્યાર્થીઓની સુવિધા સાથે જમનાબા વિદ્યાર્થી ભવનનું નિર્માણ
  • શહેરના પ્રવેશ દ્વારે સરદાર સાહેબની પ્રતિમા અને 13 માળનું જમનામાં વિદ્યાર્થી ભવન બનશે સુરતની શાન
  • પુસ્તકાલય, ઇ-લાઇબ્રેરી અને વાંચનાલય સહિતની સુવિધાઓનું નિર્માણ થયું છે.
  • વિદ્યાર્થીઓને રહેવા-જમવા ઉપરાંત જીમ, યોગા સેન્ટર અને પ્રાર્થના હોલ છે.

કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ, સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા, આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા,કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને ઊર્જા મંત્રી કૌશિકભાઇ વેકરીયા અને નાગરિક સંરક્ષણ મંત્રી કમલેશભાઈ પટેલ સાંસદ મુકેશ દલાલ, સાંસદ ભરતભાઈ સુતરીયા, સાંસદ મિતેશભાઇ પટેલ સહિત રાજસ્વી મહાનુભવોની ખાસ ઉપસ્થિતિ રહેશે.

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી સુરત ખાતે નિર્માણ થયેલ જમનાબા વિદ્યાર્થી ભવનનું આગામી તારીખ ૨૪-૦૫-૨૦૨૬ રવિવારના રોજ લોકાર્પણ થનાર છે. સુરતના પ્રવેશ દ્વારે ૧૦૦૦ વિદ્યાર્થીઓની હોસ્ટેલ વ્યવસ્થા સાથે અનેકવિધ વ્યવસ્થાઓ સાથે જમનાબા વિદ્યાર્થી ભવનનું નિર્માણ થયું છે. પટેલ સમાજના ડ્રીમ પ્રોજેક્ટ એવા આ ભવનમાં ૧૦૦ વ્યક્તિઓ રહી શકે તેવા શ્રીમતી રાધાબેન હરજીભાઈ ઘેલાણી અતિથિભવન તૈયાર થયું છે. ૪૨૫ બેઠકની ક્ષમતાવાળુ કેશુભાઈ પટેલ ઓડિટોરિયમ તૈયાર થયું છે. કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવીયા તથા રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા કેશુભાઈ પટેલ ઓડિટોરિયમને ખુલ્લુ મુકશે. સુરતના મુખ્ય પ્રવેશ દ્વારે ૧૩ માળ અને ૩ લાખ ચોરસ ફૂટના બાંધકામ વાળા ભવ્ય જમનાબા વિદ્યાર્થી ભવનના પરિસરમાં ૩૧ ફૂટ ઊંચી અને ૯ ટન વજનની ભારત રત્ન સરદાર સાહેબ વલ્લભભાઈ પટેલની કાંસ્ય પ્રતિમા મૂકવામાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સરદાર સાહેબ પ્રતિમાનું અનાવરણ કરશે. ઉપરાંત ૫૧ ફૂટ ઊંચા સ્થંભ ઉપર રાષ્ટ્રધ્વજનું આરોહણ પણ કરવામાં આવશે.

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી સુરતમાં ૧૦૦૦ વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સુવિધા માટે ફેઝ વન પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે. અને હવે ફેસ ટુ માં ૫૦૦ દીકરીઓ માટે કિરણ મહિલા ભવનનું લોકાર્પણ ટૂંક સમયમાં થશે. બંને પ્રોજેક્ટ મળીને કુલ રૂપિયા ૨૦૦ કરોડની કિંમતના બંને ભવનનું નિર્માણ થયું છે.

તારીખ ૨૪-૦૫-૨૦૨૬ રવિવારે સાંજે ૫ કલાકે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં પટેલ સમાજના અગ્રણી શ્રી જયંતીભાઈ એકલેરા વાળા તથા અમદાવાદથી શ્રી રવજીભાઈ વસાણીના વરદ હસ્તે શુભ ઉદ્ઘાટન વિધિ થનાર છે. મુખ્ય નામકરણના દાતા શ્રી હંસરાજભાઈ ગોંડલીયા, સરદાર સાહેબની પ્રતિમા ખર્ચના સૌજન્ય દાતા શ્રી વલ્લભભાઈ પી. સવાણી, અતિથિ ભવનના નામકરણના દાતા તુષારભાઈ ઘેલાણીના ધર્મપત્ની પલ્લવીબેન તુષારભાઈ ઘેલાણી સહિત દાતાશ્રીઓની ઉપસ્થિતિમાં જમનાબા વિદ્યાર્થી ભવનનું લોકાર્પણ થનાર છે. જમનાબા વિદ્યાર્થી ભવનની બાજુમાં આવેલ સંતોકબા વિલેજ ફાર્મ ખાતે લોકાર્પણ સમારોહ યોજાનાર છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાનાર લોકાર્પણ સમારોહમાં કેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટીલ, કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા, ઉર્જામંત્રી શ્રી કૌશિકભાઇ વેકરીયા, નાગરિક સંરક્ષણ મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, વિધાનસભા ડેપ્યુટી સ્પીકર પુર્ણેશભાઈ મોદી, સુરતના સાંસદ મુકેશભાઈ પટેલ, અમરેલીના સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા તથા આણંદના સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ અને સ્થાનિક ધારાસભ્યો સહિત રાજસ્વી અતિથિશ્રીઓ ખાસ ઉપસ્થિત રહેશે. સમાજના અગ્રણીશ્રીઓનું વર્ષોથી એક સ્વપ્ન હતું કે, વિદ્યાર્થીઓ અને સમાજ ઘડતર માટેનું કેન્દ્ર હોય તેવા ભવનનું નિર્માણ સુરતમાં થાય. સંસ્થાના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ જી. પટેલ અને સ્વ. કે ડી વાઘાણીના કાર્યકાળમાં સુરતથી કામરેજ જતા મુખ્ય રસ્તા પર જમીનની ખરીદી કરવામાં આવી હતી.

૨૦૨૧ માં વિજયા દશમીના રોજ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત અને હીરા ઉદ્યોગના અગ્રણી શ્રી વલ્લભભાઈ એસ. લખાણીના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. જમનાબા વિદ્યાર્થી ભવનમાં શ્રીમતી વર્ષાબેન મનહરભાઈ કાકડીયા પુસ્તકાલય, ગોપીન વાચનાલય, મૂળચંદભાઈ અમીન ઇ-લાઈબ્રેરી, માતૃશ્રી સંતોકબા ભોજનાલય, હરિકૃષ્ણ કારકિર્દી માર્ગદર્શન સેન્ટર, ઉપરાંત જીમ, યોગા સેન્ટર અને પ્રાર્થના હોલ સહિતની સુવિધાઓ નિર્માણ પામી છે.

આ ઉપરાંત મહત્વનું દાન આપનાર મુકેશભાઈ પટેલ, રમેશભાઈ વી. ગજેરા, રાકેશભાઈ એચ. દુધાત અને ઝેડ. પી. ખેની સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ રહેશે. જમનાબા વિદ્યાર્થી ભવનની છત ઉપર ગોલ્ડી સોલાર તરફથી રૂફટોપ સોલાર ફીટ કરેલ છે. જ્યારે સમગ્ર ભવનમાં ડ્રિંકિંગ વોટર સિસ્ટમનું સૌજન્ય જે. એમ. પટેલ પરિવાર તરફથી મળેલ છે.

સુરત ખાતે ગૌરવંતા જમનાબા વિદ્યાર્થી ભવનના ઉદઘાટન સમારોહમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહેનાર છે. મુખ્ય મહેમાન તરીકે પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા, પદ્મશ્રી મથુરભાઈ સવાણી, સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટના પ્રમુખશ્રી વેલજીભાઈ શેટા, કેશુભાઈ ગોટી, અગ્રણીશ્રી વસંતભાઈ ગજેરા, લાલજીભાઈ ટી પટેલ, અમદાવાદ થી ગુણવંતભાઈ સોજીત્રા, મગનભાઈ રામાણી, રાજકોટથી વિજયભાઈ ડોબરીયા, ચંદુભાઈ વિરાણી, અનુભાઈ તેજાણી, જયંતીભાઈ નારોલા, ઘનશ્યામભાઈ શંકર અને દિનેશભાઈ કુંભાણી સહિત મહાનુભાવો મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેનાર છે. સૌરાષ્ટ્રથી સુરત સ્થળાંતર થયેલા સૌરાષ્ટ્રવાસી પટેલ સમાજના અગ્રણીઓએ ચાર દાયકા પહેલા ૧૯૮૨ માં શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતની સ્થાપના કરી હતી. સંસ્થાના સ્થાપક પ્રમુખ સ્વ. જે. આર. સવાણી સમૂહલગ્ન પ્રવૃત્તિ શરૂ કરી હતી. ત્યારબાદ પ્રમુખ તરીકે સુરેશભાઈ જી. પટેલ અને પૂર્વ પ્રમુખ કે. ડી વાઘાણીએ સમાજનું નેતૃત્વ કરી સામાજિક પ્રવૃત્તિનો દોર ચાલુ રાખ્યો હતો. વર્તમાન સમયે સંસ્થાના પ્રમુખશ્રી કાનજીભાઈ ભાલાળા, ઉપપ્રમુખશ્રી સવજીભાઈ વેકરીયા, મંત્રીશ્રી અરવિંદભાઈ ધડુક, ખજાનચી મનહરભાઈ સાસપરા અને ભવનના નિર્માણ માટે કાર્ય કરનાર શ્રી ધીરૂભાઈ માલવિયા, શ્રી હરિભાઈ કથીરિયા, શ્રી ભવાનભાઈ નવાપરા, જી. આર. આસોદરીયા તથા શ્રી નટુભાઈ ચોવટીયા વગેરે અગ્રણીશ્રીઓ સહીત વ્યવસ્થાપક ટ્રસ્ટીઓ અને કાર્યકરો છે. સંસ્થામાં ખૂબ ઉદાર ભાવ સાથે સમાજના શ્રેષ્ઠીઓએ આર્થિક સહયોગ આપ્યો છે. પરિણામે જમનાબા વિદ્યાર્થી ભવનનું નિર્માણ શરૂ થયું છે. નાના વ્યક્તિઓએ ભૂમિદાન પણ આપેલ છે. મહિલાઓએ એકવારનું દાન આપી મહિલા ટીમ પણ કાર્યરત બની છે. યુવા મિત્રો પણ સમાજ જાગૃતિ અને સેવા પ્રવૃત્તિમાં ઉત્સાહથી કાર્યરત છે.

શ્રી જમનાબા વિદ્યાર્થી ભવનમાં કાર્યરત સુવિધાઓ અને પ્રવૃત્તિઓની યાદી :
  1. ૧૦૦૦ વિદ્યાર્થીઓ(ભાઈઓ) રહી શકે તેવી હોસ્ટેલ સુવિધા જેમાં જમવા-રહેવા કપડાની લોન્ડ્રી-ઈસ્ત્રી વાર્ષિક ફી રૂ. ૪૦,૦૦૦ છે.
  2. ૧૦૦ વ્યક્તિઓ રહી શકે તેવુ અતિથિભવન
  3. ૫૦ હજાર પુસ્તકોની ક્ષમતાવાળુ પુસ્તકાલય
  4. વિશાળ વાંચનાલય (સવારે ૬ થી રાત્રીના ૧ સુધી)
  5. ડીઝીટલ લાઈબ્રેરી
  6. ૪૨૫ બેઠકવાળુ કેશુભાઈ પટેલ ઓડીટોરીયમ
  7. ૩૦૦ બેઠકની ક્ષમતાવાળુ સુવિધાયુક્ત ભોજનાલય
  8. કારકિર્દી માર્ગદર્શન સેન્ટર, સરકારી પરીક્ષા માટે કોચીંગ વ્યવસ્થા
  9. સરકારી યોજનાઓ માટે માર્ગદર્શન સેન્ટર
  10. ૩૧ ફૂટ ઉંચી પંચધાતુની ભારતરત્ન સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા,
    ૫૧ ફૂટની ઊચાઇએ રાષ્ટ્રધ્વજ લહેરાય છે.
  11. વિનામૂલ્યે પુસ્તક લઇ શકે તેવુ ખુલ્લુ પુસ્તકાલય.
  12. વિદ્યાર્થીઓ માટે જીમ અને યોગા સેન્ટર, પ્રાર્થનાહોલ
  13. AI રીસર્ચ લેબ
  14. ૭૦ બેઠકની ક્ષમતાવાળુ કોન્ફરન્સરૂમ.
  15. ૩૫ બેઠકની ક્ષમતાવાળો મીટીંગ હોલ
  16. હોસ્ટેલમાં દરેક માળે એક્ટીવીટીઝ રૂમ.
    ટૂંક સમયમાં શરૂ થશે.:
  17. ફેઝ (I) માં – પાટીદાર ગેલેરી તૈયાર થશે.
  18. ફેઝ (II) માં – કેન્ટીન વ્યવસ્થા થશે.
May 19, 2026
jay-dalal.png
1min222

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીના શહેરમાં ગુનેગારો બેફામ બન્યા છે. હત્યાના એક બાદ એક બનાવ સામે આવી રહ્યા છે. શહેરના ઉધના રોડ નંબર 6 ખાતે ભાજપના નેતા જય દલાલની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને જાહેરમાં ક્રૂર હત્યા કરાતા ચકચાર મચી ગઇ હતી.

જય દલાલ ડિંડોલી વોર્ડ ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ છે. તેઓ ઉધના વિસ્તારના ધારાસભ્ય સંગીતાબેન પાટીલની નજીક ગણાતા અને તેમની સાથે રાજકીય-સામાજિક કાર્યોમાં સતત સક્રિય રહેતા મહિલા અગ્રણી જયશ્રીબેન દલાલના પુત્ર હતા. જાણ્યા હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારો વડે જય દલાલ પર તૂટી પડ્યા હતા. ગંભીર ઈજા થવાના કારણે તેનું મોત થયું હતું.

મૃતકના માતાએ કહ્યું, તેમનો 21 વર્ષનો એકનો એક પુત્ર જય કોઈ મિત્રનો ફોન આવતા રાત્રે સાડા આઠ વાગ્યે ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદ મધ્યરાત્રિએ તેમને ફોન આવ્યો કે, જયને ગંભીર ઘા વાગ્યા છે અને હોસ્પિટલ ખસેડાયો છે. હોસ્પિટલ પહોંચતા સુધીમાં તે દમ તોડી ચૂક્યો હતો. મિલિન ચકલી અને પંકજ પાટીલ સહિતના ત્રણ આરોપીઓએ તેમના પુત્ર પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરી લોહીલુહાણ કરી નાખ્યો હતો. આરોપીઓ તાજેતરમાં જ પાસામાંથી બહાર આવ્યા હતા. તેમને એવી આશંકા હતી કે, જયના કારણે તેમને જેલ થઈ હતી. જેને પગલે અદાવત રાખીને તેમણે તેના પુત્ર પર હુમલો કરીને તેને રહેંસી નાખ્યો હતો.

બે દિવસ પહેલા સુરતના પલસાણા તાલુકાના બગુમરા ખાતે આવેલી મહાદેવ પેલેસ સોસાયટીના એક ફ્લેટમાંથી 22 વર્ષીય યુવતીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. યુવતી સાથે લિવ ઈનમાં રહેતો શિવમ નામનો યુવક ફરાર થઈ જતાં પોલીસે હત્યાની આશંકા સાથે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ઘટના સ્થળેથી કેટલી આપત્તિજનક સામગ્રી પણ મળી આવી હતી, જેના કારણે યુવતી સાથે દુષ્કર્મ કે અન્ય કોઈ અજુગતું બન્યા બાદ તેની હત્યા કરવામાં આવી હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.

આ પહેલા મે મહિનાના બીજા અઠવાડિયામાં લિંબાયતના ગણેશનગર પાસે બાઈક અથડાવા જેવી નજીવી બાબતે રાહુલ જોગી નામના રીઢા ગુનેગારે 17 વર્ષના કિશોરની ચપ્પુ મારીને હત્યા કરી દીધી હતી. ભેસ્તાન વિસ્તારમાં એક ભંગારના વેપારીની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં ત્વરિત કાર્યવાહી કરીને ઉધના/ભેસ્તાન પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી.

એપ્રિલના અંતમાં સલાબતપુરા વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જ્યાં વિશાલ સાવલી નામના પતિએ ઘરેલું ઝઘડામાં પત્નીની હત્યા કરી દીધી હતી. પાપ છુપાવવા માટે તેણે પત્નીની લાશને લાકડાની પેટીમાં મૂકી ઉપર સિમેન્ટનું પ્લાસ્ટર (ચણતર) કરી દીધું હતું અને ૫ દિવસ સુધી ઘરમાં જ રહ્યો હતો. અંતે પુત્રને ચિઠ્ઠી આપીને તે ફરાર થઈ ગયો હતો, જે બાદ આખો મામલો ખૂલ્યો હતો.

May 17, 2026
image-11.png
1min171

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બ્રાહ્મણો વિરુદ્ધ વાંધાજનક ટીપ્પણી કરવા બદલ ફિલ્મસર્જક અનુરાગ કશ્યપ વિરુદ્ધ ગુનો દાખલ કરવાનો આદેશ સુરત કોર્ટે આપ્યો હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી હતી.
કશ્યપે 19 માર્ચ, 2025ના રોજ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વીટર) પર બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ અણછાજતી ટિપ્પણી કરી હતી.

આ માટે વકીલે 14 મહિના સુધી કાયદાકીય સંઘર્ષ કર્યો હતો અને હવે કોર્ટે ગુનો દાખલ કરવાનો આદેશ આપ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આથી હવે કશ્યપે સુરત કોર્ટમાં હાજર થવું પડશે. કોર્ટે ડિરેક્ટર વિરુદ્ધ માનહાનિનો ગુનો દાખલ કરવા જણાવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

April 30, 2026
વાય-જંકશન-સુરત-1280x720.jpeg
2min247

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મંત્રીગણ, મહાનુભાવો ઉપસ્થિત રહેશે

શહેરની સરકારી અને ઐતિહાસિક ઇમારતો રોશનીથી ઝગમગી ઉઠી: શહેરમાં દિવાળી જેવો ઉત્સવભર્યો માહોલ

માહિતી બ્યુરો:સુરત:સોમવાર:

તા.૧લી મે, ૨૦૨૬ના રોજ સુરતના આંગણે ગુજરાતના સ્થાપના દિવસની ‘ગુજરાત ગૌરવ દિન’ના રૂપમાં રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ ગરિમામય અવસરની શરૂઆત તા.૧લીએ સાંજે ૦૫:૦૦ કલાકે વાય જંક્શન, વી.આર. મોલ, Y જંક્શનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી આયોજિત પોલીસ પરેડથી થશે. જેમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી સહિત મંત્રીગણ, મહાનુભાવો ઉપસ્થિત રહેશે. મહાનુભાવોનું આગમન બ્યુગલ, પાઇપ બેન્ડ અને અશ્વદળના એસ્કોર્ટ દ્વારા કરવામાં આવશે, ત્યારબાદ રાષ્ટ્રગાન અને પરેડ કમાન્ડર દ્વારા રિપોર્ટીંગ કરવામાં આવશે. પરેડના મુખ્ય આકર્ષણોમાં ભવ્ય માર્ચ પાસ્ટ, હર્ષધ્વનિ, મહિલાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અને સાહસિક મોટરસાયકલ સ્ટંટ શોનો સમાવેશ થાય છે. આ પરેડને લોકો મોટી સંખ્યામાં નિહાળી શકે તે માટે વિશેષ સુવિધા ઉભી કરાઈ છે.

પોલીસ પરેડ બાદ રાત્રે ૦૮:૦૦ કલાકે ડુમસ સી-ફેસ ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં કલેક્ટર ડો.સૌરભ પારધી અને મ્યુ. કમિશનર ડો/એમ.નાગરાજન દ્વારા રાજ્યપાલશ્રી, મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી અને મંત્રીગણ સહિતના મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવશે.

આ પ્રસંગે ‘ગુજરાત ગરિમા એવોર્ડ’ મેળવનાર પ્રતિભાવાન વ્યક્તિઓ તેમજ જિલ્લાના અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવોનું રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવશે. આ સાથે સુરત જિલ્લાની વિકાસયાત્રાને દર્શાવતા બે પુસ્તકો ‘વિકાસ વાટિકા’ અને ‘કોફી ટેબલ’ બુકનું વિમોચન પણ કરવામાં આવશે.

રાજ્યકક્ષાના આ કાર્યક્રમની ઉજવણીની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. શહેરની સરકારી અને ઐતિહાસિક ઇમારતોને આકર્ષક રોશનીથી શણગારવામાં આવી છે. ઝગમગાટભર્યા માહોલના કારણે સમગ્ર શહેરમાં દિવાળી જેવો ઉત્સવભર્યો માહોલ જોવા મળી રહ્યો છે.

ગુજરાત સ્થાપના દિનને યાદગાર બનાવવા માટે ડુમસ સી-ફેસ ખાતે તા.૧લીએ રાત્રે ૮.૦૦ વાગે ‘ગૌરવવંતુ ગુજરાત, વિરાસતથી વિકાસ’ થીમ સાથે ભવ્ય રંગારંગ કાર્યક્રમ

તા.૧લીએ રાત્રે ૮.૦૦ વાગે ડુમસ સી-ફેસ ખાતે ગુજરાત સ્થાપના દિનને યાદગાર બનાવવા માટે ‘ગૌરવવંતુ ગુજરાત, વિરાસતથી વિકાસ’ થીમ સાથે ભવ્ય રંગારંગ કાર્યક્રમ યોજાશે. ૫૦ મિનિટની આ ભવ્ય સાંસ્કૃતિક મેગા ઇવેન્ટમાં રાજ્યની કલા અને સંસ્કૃતિની ઝાંખી જોવા મળશે. આ કાર્યક્રમમાં ૨૫૦થી વધુ કલાકારો ઉપસ્થિત રહીને સુરતના ભૂતકાળથી લઈને વર્તમાન વિકાસ સુધીની યાત્રાને નાટકના રૂપમાં ભવ્ય લાઈટ અને સાઉન્ડના સમન્વય સાથે રજૂ કરશે. જેમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ના.મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ ઉપસ્થિત રહેશે.

April 28, 2026
Paresh-Patel-BJP-1280x854.jpg
3min351

સુરતમાં ભાજપાના પ્રચંડ વિજયમાં આ બધા જ નેતાઓની મહેનત રંગ લાવી

  • સી. આર. પાટીલ , કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને નવસારીના સાંસદ
  • મુકેશ દલાલ: સુરત લોકસભા બેઠક પરથી બિનહરીફ ચૂંટાયેલા સાંસદ
  • મનસુખ માંડવીયા, કેન્દ્રીય મંત્રી
  • હર્ષ સંઘવી, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી
  • પુરુષોત્તમ રૂપાલા, સાંસદ
  • પ્રફુલ પાનશેરિયા, મંત્રી, ગુજરાત રાજ્ય
  • કનુભાઈ દેસાઈ, નાણા અને ઉર્જા મંત્રી
  • અરવિંદ રાણા: સુરત પૂર્વ
  • કાંતિભાઈ બલર: સુરત ઉત્તર
  • કુમાર કાનાણી: વરાછા રોડ
  • પ્રવિણ ઘોઘારી: કરંજ
  • સંગીતા પાટીલ: લિંબાયત
  • હર્ષ સંઘવી: મજુરા
  • વિનુ મોરડિયા: કતારગામ
  • પૂર્ણેશ મોદી: સુરત પશ્ચિમ
  • મુકેશ પટેલ: ઓલપાડ
  • સંદીપ દેસાઈ: ચોર્યાસી

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આજે ભાજપાએ 120માંથી 115 બેઠકો કબજે કરીને આમ આદમી પાર્ટીએ જ્યાંથી ગુજરાતમાં પગપસારો કર્યો હતો એ જ સ્થળેથી તેમનો સફાયો કરી દીધો છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ પ્રકારના નભૂતો ન ભવિષ્યતિ વિજયમાં સુરત શહેર ભાજપા સંગઠનના સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ  (પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન), મહામંત્રીઓ વિરલ ગીલીટવાલા, કરશન ગોંડલીયા અને દુર્ગાપ્રસાદ પાંડે, ખજાનચી શૈલેષ જરીવાલા સમેત સમગ્ર સંગઠનની ટીમનો સિંહફાળો રહ્યો છે. 

સુરત શહેર ભાજપા સંગઠનના હોદ્દેદારોએ બિલકુલ વિવાદમાં આવ્યા વગર, ચર્ચામાં રહ્યા વગર શાંત ચિત્તે કામ કરતી રહી અને આજે તેમની સફળતાએ એવો શોર મચાવી મૂક્યો છે કે ન પૂછો વાત. કેટલાક લોકો સુરત શહેર ભાજપના પ્રમુખ પરેશ પટેલ, વિરલ ગીલીટવાલા, કરશન ગોંડલિયા, દુર્ગાપ્રસાદ પાંડેની ટીમને બિનઅનુભવી માનતા હતા અને આ ચૂંટણીમાં ભાજપા 2021 કરતા પણ ઓછી બેઠકો લાવશે એવી આગાહીઓ પીઠ પાછળ કરતા હતા, આજે આવી તમામ નકારાત્મક વાતો ફેલાવનારા ભાજપની અંદરના અને બહારના તમામ લોકોને પરચો મળી ગયો છે કે સુરત શહેર ભાજપના સંગઠનના હોદ્દેદારો પણ કુનેહપૂર્વક કામગીરી બજાવીને આજે ભારતના સૌથી પહેલા નંબરના સ્માર્ટ સિટી સુરતમાં ભાજપાને ઝળહળતી સફળતા અપાવી લાવ્યા છે.

પરેશ પટેલ અને તેમની ટીમને નવા નિશાળીયા કહેવાવાળા ભેરવાયા

સુરત શહેર ભાજપ પ્રમુખ પદે સી.આર. પાટીલના ખાસ વિશ્વાસુ મનાતા પરેશ પટેલની નિયુક્તિ પછી પરેશ પટેલે તેમની ટીમ બનાવી હતી. ત્રણ મહામંત્રીઓ નિમાયા અને એ પછી સંગઠનનું આખું માળખું રચાયું હતું. મોટા ભાગે 50 વર્ષથી ઓછી વયના લોકોને ભાજપના સંગઠનના પદો ફાળવવામાં આવ્યા ત્યારે ભાજપના જ કેટલાક બડબોલા સિનિયર નેતાઓ બોલી રહ્યા હતા કે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ખબર પડી જશે કે નવા નિશાળીયાઓને કારણે ભાજપાને કેટલું નુકસાન થશે, છેક મતદાન પૂરું થયું ત્યાં સુધી અનેક લોકોએ સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ અને તેમની યંગસ્ટરની ટીમો સામે આકરાં સરશંધાન વવ્યક્ત કરવામાં કોઇ કચાશ છોડી નહતી. પરંતુ, આજે જ્યારે મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ થઇ ત્યારે ભાજપાના ફાળે 120માંથી 115 સીટો આવતા પરેશ પટેલ સામે બોલનારા તમામ નેતાઓના મોઢા સિવાય ગયા હતા અને પૂર્વ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાના સમય કરતા પણ જોરદાર દેખાવ પરેશ પટેલના પ્રમુખપણા હેઠળ નોંધાયો છે.

1995થી શરૂ થયેલો સિલસિલો યથાવત્ જાળવી રાખ્યો પરેશ પટેલ અને તેમની ટીમે

સુરત મહાનગરપાલિકામાં 1995થી શરૂ થયેલો ભાજપા શાસનનો દબદબો 2026માં આજે 7મી વખત પણ યથાવત્ રહ્યો. સુરત મહાનગરપાલિકાની 2021માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 27 બેઠકો ગુમાવવી પડી હતી. પરંતુ, આજે 2026ની ચૂંટણીની થયેલી મતગણના અંતે 120માંથી 115 બેઠકોની થમ્પિંગ મેજોરિટી સાથે સુરત મહાનપાલિકાએ સતત સાતમી વખત સુરત મહાનગરપાલિકા પર ભગવો લહેરાવ્યો છે. ભાજપા કરતા પણ ચૂંટણીની સભાઓ વધુ ગજવનાર આમ આદમી પાર્ટીએ ગઇ ચૂંટણીની 27 બેઠકો પૈકી 23 ગુમાવવી પડી છે અને આ વખતે આપ પાર્ટીના ફાળે માત્ર 04 બેઠકો જ્યારે કોંગ્રેસ માટે જેટલો વકરો તેટલો નફો, સમ ખાવા પૂરતી 1 સીટ પર કોંગ્રેસના ઉમેદવાર વિજય બની શક્યા હતા. સુરત મહાનગરપાલિકાના કુલ 30 વોર્ડની 120 બેઠકોનું સરવૈયુ ચકાસીએ તો 115 ભાજપા, 04 આપ અને 01 બેઠક પર જ કોંગ્રેસ સિમીત બનીને રહી ગઇ છે.

સુરત મહાનગપાલિકાની ચૂંટણીમાં જેમ જેમ ભાજપાના ઉમેદવારોની આખે આખી પેનલોની જીતની જાહેરાતો થતી ગઇ હતી તેમ તેમ સુરત ભાજપાના 12 ધારાસભ્યોની બોડી લેંગ્વેજ અને એટીટ્યુડ બદલાતો જોવા મળ્યો હતો. મત ગણતરી પૂર્વે સુધી કોઇ ધારાસભ્યો છાતી ઠોકીને કહી શકતા ન હતા કે તેમના ઉમેદવારો જીતી રહ્યા છે પરંતુ, આજે જ્યારે મતગણતરીની પ્રક્રિયામાં ભાજપાના ઉમેદવારોને મળી રહેલા મતોના ઢગલા જોઇને ધારાસભ્યોના કોલર ઉંચા થઇ જવા પામ્યા છે. આ વખતે ભાજપાના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના શાસનકાળમાં પહેલી વખત ધારાસભ્યો પાસેથી ઉમેદવારોનું લિસ્ટ માગીને મોટા ભાગના કિસ્સામાં ટિકીટ ફાળવવામાં આવી હતી અને ધારાસભ્યોને જે તે ઉમેદવારોને જીતાડવાની જવાબદારી આપવામાં આવી હતી. આજે ભાજપાના 115 ઉમેદવારોનો વિજય થતાં ભાજપાના ધારાસભ્યોનો હરખ સમાતો ન હતો. અનેક ધારાસભ્યો પોતાને મળેલી જવાબદારી પૂર્ણ કરી હોવાના દાવાઓ મિડીયા ઇન્ટરવ્યુમાં કરી રહ્યા હતા. 

ગઇ તા.26મીએ યોજાયેલા ચૂંટણી મતદાન બાદ આજે સવારે 8 વાગ્યાથી સુરતના મજૂરાગેટ સ્થિત ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં સુરત મહાનગરપાલિકાના 30 વોર્ડની 120 બેઠકો માટે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 30 વોર્ડની મતગણતરી માટે 10 હોલમાં 3 સેટમાં મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મતગણતરીની પ્રક્રિયા શરૂ થાય તે પહેલા કાઉન્ટિંગ સાથે સંકળાયેલા કર્મચારીઓ ઉપરાંત ભાજપા, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તથા અન્ય પક્ષો અને અપક્ષોના કાઉન્ટિંગ એજન્ટોથી આખું ગાંધી કોલેજ કેમ્પસ ભરાયેલું રહ્યું હતું. પહેલા રાઉન્ડની મતગણના શરૂ થવાની સાથે જ ભાજપના ઉમેદવારો દરેકે દરેક રાઉન્ડમાં લીડ મેળવતા જણાયા હતા અને જોતજોતામાં તો એક પછી એક પહેલા સેટમાં 10 વોર્ડની મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ થઇ ત્યારે 40 સીટોમાંથી 39 સીટો પર ભાજપા અને 01 સીટ પર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા બન્યા હતા. પહેલા સેટથી જ એવો ટ્રેન્ડ જોવાયો હતો કે આ વખતે પણ સુરત મહાનગરપાલિકામાં ભાજપાની ક્લીન સ્વીપ જોવા મળશે. પહેલા સેટમાં જ આમ આદમી પાર્ટીના મેયર તરીકે પ્રોજેક્ટ કરવામાં આવેલા મનોજ સોરઠીયા હારી ગયા હતા, જેને કારણે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને અણસાર આવી ગયા હતા કે હવે ભાજપાના ઉમેદવારો દરેકેદરેક વોર્ડમાં સફાયો બોલાવી દેશે.

અપેક્ષા મુજબ કોટ વિસ્તારમાં વોર્ડ નં.12 નાણાવટ-સૈયદપુરા-કુબેરનગર-મહિધરપુરા વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર અરસદ જરીવાલા 20769 મત મેળવીને ચોથા ક્રમે ઓપન કેટેગરીની સીટ પર વિજેતા નિવડ્યા હતા. આ સિવાય પહેલા સેટમાં 40માંથી 39 સીટો પર ભાજપાના ઉમેદવારો વિજેતા નિવડ્યા હતા.

મતગણતરીના બીજા સેટમાં 10 સીટોની 9 વોર્ડની 36 બેઠકો પર ભાજપાના ઉમેદવારોનો ઝળહળતો વિજય થયો હતો. જ્યારે મતગણતરીના બીજા સેટમાં વોર્ડ નં.17 પૂણા પૂર્વમાં ચારેય બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો વિજેતા નિવડ્યા હતા. આ વોર્ડમાં આમ આદમી પાર્ટીના અસ્મિતા નિલેશ ધોરાજીયા, રચના અંકુર હીરપરા, પંકજ વ્રજલાલ ચાવડા અને ધર્મેશ ભંડેરી વિજેતા નિવડ્યા હતા. 

આંજણા વોર્ડમાં જ્યાં કોંગ્રેસી નેતા અસલમ સાયકલવાલાના પુત્ર વિજેતા બનશે તેવા દાવાઓ બિલકુલ પોકળ નિવડ્યા હતા. આ વોર્ડની તમામ ચારેય બેઠકો પર ભાજપાના ઉમેદવારો મોટી લીડથી વિજેતા બન્યા હતા. એવી જ રીતે ઉધના, લિંબાયત વિસ્તારમાં ભાજપાના અમિતસિંહ રાજપૂત કે દિનેશ રાજપૂરોહિત જેવા નેતાઓ સામે લોકરોષ હોઇ, તેઓને જીતવામાં તકલીફ પડી જશે તેવી ચૂંટણી પૂર્વે વહેતી થયેલી વાતોનો આજે છેદ ઉડી ગયો હતો અને આજે આ વિસ્તારમાં તમામ બેઠકો પર ભાજપાના ઉમેદવારોનો જ સારામાં સારી લીડથી વિજય થયો હતો.

મજૂરાગેટ સ્થિત કાઉન્ટિંગ સેન્ટર પર આજે બપોરે બાર વાગ્યાથી જ ભાજપાના ઉમેદવારોના વિજય સરઘસ નીકળવાના શરૂ થયા હતા. વિજેતા ઉમેદવારોને વિજય સરઘસ, રેલી કાઢવા માટે પરવાનગી મળી જાય તે માટે ગાંધી કોલેજના કેમ્પસમાં જ મંજૂરી આપનાર અધિકારીને તૈનાત કરી દેવામાં આવ્યા હતા અને એક પછી એક ભાજપાના ઉમેદવારો જેમ જેમ વિજેતા બનીને બહાર આવતા હતા એ તમામ વિજય સરઘસ સાથે પોતાના મત વિસ્તારોમાં રવાના થયા હતા.

1995માં સુરત મહાનગરપાલિકામાં ભાજપાએ ક્લીન સ્વીપ કરવાનું શરૂ કર્યું હતું. એ પછી 2000, 2005, 2010, 2015 અને છેલ્લા 2021માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપાના ઉમેદવારોએ ક્લીન સ્વીપ મેળવી હતી. અને એ વાતનું પુનરાવર્તન આજે સતત 7મી વખત 2026ની ચૂંટણીઓમાં પણ થયેલું જોવા મળ્યું હતું.

April 27, 2026
image-21.png
1min219

સુરતના વરાછા વિસ્તારમાં ધોળા દિવસે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાંચમાં લૂંટ ચલાવવાની ઘટના બની છે. આજે 27/04/2026 સોમવારે ધોળાદિવસે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા(SBI)ની શાખામાં મોટી લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. ચાર હથિયારધારી લૂંટારુઓએ ઘૂસીને બૅન્કમાં હાજર કર્મચારીઓને બંદૂકની અણીએ બંધક બનાવ્યા હતા, અને અંદાજે 50 લાખની મત્તાની ચોરી કરી ત્યાંથી ભાગી છૂટયા હતા.

પ્રાથમિક માહિતી મુજબ બપોરના સમયે ચાર અજાણ્યા બુકાનીધારી શખ્સો હથિયાર સાથે બૅન્કમાં ઘૂસી ગયા હતા. જ્યાં તેમણે ફિલ્મી ઢબે બંદૂકની અણીએ કર્મચારીઓને ધાક ધમકી આપી બૅન્કના સ્ટ્રોંગ રૂમ કે કેશ કાઉન્ટરમાંથી આશરે 50 લાખ રૂપિયાની રોકડ રકમ ઉઠાવી હતી. જે બાદ તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા તાત્કાલિક બૅન્કે પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લૂંટારુઓની ઓળખ કરી તેમને ઝડપી લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

April 27, 2026
image-19.png
1min226

હવામાન વિભાગે રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યના વિવિધ ભાગોમાં હીટવેવની સ્થિતને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના બુલેટિન અનુસાર, આજે અને આવતીકાલે રાજ્યના અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હીટવેવની પ્રબળ શક્યતા છે.

કયા જિલ્લાઓમાં એલર્ટ?

26 એપ્રિલ: સુરત, પાટણ, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છ જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી હતી.

27 એપ્રિલ: અમદાવાદ અને પાટણમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને કચ્છમાં પણ ગરમીનું મોજું ફરી વળશે.

તાપમાનનો પારો ક્યાં પહોંચશે?

IMD ના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ થી 45 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની શક્યતા છે. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ થી 40ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે. આજે ગરમ અને ભેજવાળું વાતાવરણ અનુભવાશે. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આકાશ મુખ્યત્વે ચોખ્ખું રહેશે અને તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસને સ્પર્શે તેવી શક્યતા છે.

યલો એલર્ટ હેઠળ, હવામાન વિભાગે સામાન્ય જનતા માટે ગરમી સહન કરી શકાય તેવી હોવા છતાં, નાના બાળકો, વૃદ્ધો અને બીમારી ધરાવતા લોકો માટે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઊભી થઈ શકે તેમ જણાવ્યું છે. સત્તાવાળાઓએ રહેવાસીઓને નીચે મુજબની સલાહ આપી હતી. જે મુજબ આવા લોકોએ વધારે સમય ગરમીમાં રહેવાનું ટાળવું જોઈએ, હળવા રંગના અને ઢીલા સુતરાઉ કપડાં પહેરવા જોઈએ અને પુરતા પ્રમાણમાં પાણી પીવું અને હાઈડ્રેટેડ રહેવું જોઈએ.

26/04/2026 ગુજરાતમાં ક્યાં કેટલું તાપમાન નોંધાયું?

અમદાવાદમાં 44.8 ડિગ્રી સેલ્સિયસ, અમરેલીમાં 44.5 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 43.0 ડિગ્રી સેલ્સિયસ, ભાવનગરમાં 41.6 ડિગ્રી સેલ્સિયસ, ભુજમાં 43.8 ડિગ્રી સેલ્સિયસ, દાહોદમાં 40.8 ડિગ્રી સેલ્સિયસ, ડાંગમાં 40.4 ડિગ્રી સેલ્સિયસ, ડીસામાં 42.8 ડિગ્રી સેલ્સિયસ, દીવમાં 34.5 ડિગ્રી સેલ્સિયસ, દ્વારકામાં 32.8 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 44.2 ડિગ્રી સેલ્સિયસ, કંડલામાં 39.5 ડિગ્રી સેલ્સિયસ,, નલિયામાં 38.0 ડિગ્રી સેલ્સિયસ, ઓખામાં 35.2 ડિગ્રી સેલ્સિયસ, પોરબંદરમાં 39.1 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 44.4 ડિગ્રી સેલ્સિયસ, સુરતમાં 41.6 ડિગ્રી સેલ્સિયસ, વેરાવળમાં 34.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

April 25, 2026
image-14.png
1min154

સુરત શહેરના અલથાણ વિસ્તારમાં એક ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે. અહીં એક વિધર્મી યુવક દ્વારા સગીર વયની યુવતીની છેડતી કરવામાં આવતા પરિવારજનો અને સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. આ ઘટનાને પગલે 24 એપ્રિલે મોડી રાત્રે પોલીસ મથક બહાર મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને વાતાવરણ તંગ બની ગયું હતું. ટોળાએ અલથાણ પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું. અંતે પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે હળવો બળ પ્રયોગ કરવાની ફરજ પડી હતી. ધારાસભ્ય અને ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા. જોકે, પોલીસે આરોપીની તાત્કાલિક ધરપકડ કરી હતી. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે.

સુરતના પોશ ગણાતા અલથાણ વિસ્તારમાં રહેતી એક સગીરા જ્યારે ઘરે જઈ રહી હતી, ત્યારે એક વિધર્મી શખ્સે તેની છેડતી કરી હતી. આ બાબતની જાણ સગીરાએ પોતાના પરિવારને કરતા પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. દીકરી સાથે થયેલી આ અશોભનીય ઘટનાને પગલે પરિવાર અને સમાજના લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. તુરંત જ લોકો ન્યાયની માંગ સાથે એકઠા થવા લાગ્યા હતા.

ઘટનાની જાણ વાયુવેગે પ્રસરતા સ્થાનિક રહીશો અને હિન્દુ સંગઠનોના કાર્યકરો મોટી સંખ્યામાં અલથાણ પોલીસ મથકે ઉમટી પડ્યા હતા. લોકોની માંગ હતી કે નરાધમ વિધર્મી યુવક વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. પોલીસ સ્ટેશનની બહાર ‘જય શ્રી રામ’ના નારા અને આરોપી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ભીડ એટલી વધી ગઈ હતી કે રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

મોડી રાત્રે પોલીસ સ્ટેશન પાસે ઉમટેલા ટોળાને વિખેરવા માટે પોલીસે સમજાવટના પ્રયાસો કર્યા હતા, પરંતુ લોકોનો ગુસ્સો શાંત થવાનું નામ લેતો નહોતો. ટોળું વધુ ઉગ્ર બનતા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જોખમાતી જોઈ પોલીસે અંતે બળ પ્રયોગ કરવો પડ્યો હતો. પોલીસે લાઠીચાર્જ કરીને ટોળાને વિખેર્યું હતું. આ દરમિયાન ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા છેડતી કરનાર વિધર્મી આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસે ભોગ બનનાર સગીરાના પરિવારની ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે. હાલમાં વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે અને લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.

April 14, 2026
Cia_business_news-1280x936.jpg
1min273

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ગુજરાતની અગ્રણી સહકારી બેેંકોની યાદીમાં સ્થાન પામતી સુરતની વરાછા કો.ઓ. બેંકમાં નવા બોર્ડ ઓફ ડિરેક્ટર્સની રચના થઇ ચૂકી છે. આજે નવનિર્વાચિત બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મળેલી પહેલી મિટીંગમાં વરાછા કો.ઓ. બેંકના નવા ચેરમેન તરીકે નરેન્દ્ર મનજીભાઇ કુકડીયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. જ્યારે બેંકના વાઇસ ચેરમેન તરીકે સી.એ. હરેશ ધીરુભાઇ કાપડીયાની પસંદગી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. હવે આ પ્રપોઝલને આખરી મંજૂરી અર્થે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં મોકલવામાં આવશે અને એ પછી વરાછા બેંકમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં સભ્યોની નિયુક્તિ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

વિતેલા સપ્તાહે તા.5મી એપ્રિલે વરાછા બેંકની ચૂંટણી યોજાઇ હતી અને તા.7મી એપ્રિલના રોજ મતગણતરી કરવામાં આવી હતી. એ પછી વિજેતા ઉમેદવારોને વરાછા કો.ઓ. બેંકના ડિરેક્ટર તરીકે ચૂંટાયેલી જાહેર કરવામાં આવ્યા હતા. અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સની યાદીને નવી દિલ્હી સ્થિત સક્ષમ સત્તામંડળ સમક્ષ મંજૂરી માટે મોકલવામાં આવી હતી. ચૂંટણી પ્રક્રિયા અને વિજેતાઓની યાદી પર મંજૂરીની મહોર લાગતા આજે તા.14મી એપ્રિલને મંગળવારે ચૂંટણી અધિકારી શ્રી વાઘેલાની ઉપસ્થિતિમાં વરાછા બેંકની વડી કચેરી ખાતે વરાછા કો.ઓ. બેંકના નવનિર્વાચિત બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટીંગ યોજવામાં આવી હતી. જેમાં આગેવાન ડિરેક્ટર નરેન્દ્ર કુકડીયાની નવા ચેરમેન તરીકે સર્વાનુમતે નિયુક્તિ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે વાઇસ ચેરમેન તરીકે હરેશ કાપડીયાની વરણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
ચૂંટણી અધિકારી હવે આ નિર્ણય પર આખરી મંજૂરીની મહોર મારવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સમક્ષ રજૂ કરશે. રિઝર્વ બેંક તેના પર મંજૂરીની મહોર મારશે. આ એક ઔપચારીક કાર્યવાહી પૂર્ણ કરવાની બાકી રહે છે.

New Elected Board of Dirctors

April 13, 2026
societynews-1280x1040.jpg
1min163

“અંતિમ ક્ષણોમાં લીધો અંગદાનનો નિર્ણય : ડોંડા પરિવારે આપી માનવતાની મિસાલ – સાત લોકોને મળ્યા નવજીવન”

“જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ, સુરત” ના માધ્યમથી ૩૨ મું સફળ અંગદાન”

“અંગદાનથી ફરી ધબક્યું હૃદય: અશોકભાઈ ડોંડા બન્યા દેવદૂત”

સુરત, મોટા વરાછા વિસ્તારમાં આવેલ આવકાર રેસિડેન્સીનાં રહેવાસી ૫૫ વર્ષીય અંગદાતાશ્રી અશોકભાઈ નાનુભાઈ ડોંડા (મૂળ વતન. નારી, તા/જિ. ભાવનગર) એ પોતાના જીવનના અંતિમ ક્ષણોમાં માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમના અંગદાનના મહાન નિર્ણયથી કુલ સાત લોકોને નવજીવન પ્રાપ્ત થયું છે.

ઘટના અનુસાર તા. ૧૦ એપ્રિલ’૨૦૨૬ ના રોજ સવારે તેઓ પોતાની પત્ની રેખાબેનની સારવાર અર્થે અમદાવાદથી સારવાર પૂર્ણ કરી વહેલી સવારે સુરત ઘરે પરત ફર્યા હતા. તબિયત ઠીક નહી જાણતા બપોરે જમવાનું ટાળીને આરામ કરવા ગયા બાદ, આશરે ૨:૩૦ વાગ્યે અચાનક તેમની તબિયત બગડતા તેઓ સોફા ઉપર બેઠા હતાને ત્યાજ ઢળી પડ્યા હતા. તરત જ તેમને સારવાર અર્થે પી.પી. સવાણી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સઘન સારવાર આપ્યા બાદ ડૉ. મૌલિક પટેલ (ન્યુરોસર્જન), ડો. નિરવ સુતરીયા (ન્યુરો ફીઝીશ્યન), ડૉ. જીગ્નેશ ગેંગડીયા (એમ.ડી.) અને ડૉ. અનિલ તંતી (એડમિન) દ્વારા તેમને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા.

આ મુશ્કેલ સમયમાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના પી.એમ. ગોંડલીયા અને વિપુલ તળાવીયા દ્વારા પરિવારને યોગ્ય માર્ગદર્શન અને સમજણ આપવામાં આવી હતી. ડોંડા પરિવારના સભ્યો પત્ની રેખાબેન ડોંડા, પુત્ર મૌલિકભાઈ ડોંડા,પુત્રવધુ હિનલબેન ડોંડા, લલ્લુભાઈ ડોંડા, તેમજ મિલનભાઈ કાનાણી, મહેશભાઈ કાનાણી, ભૌતિકભાઈ સાચપરા, ઉત્સવભાઈ ઘોરી સહિત અન્ય હાજર સ્નેહીજનો દ્વારા માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ આપતાં અંગદાન માટે સંમતિ આપી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો.

અંગદાનની સંમતી મળતાની સાથે સોટોનાં ડાયરેક્ટર ડો.પ્રાંજલભાઈ મોદી, સોટોના પ્રિયાબેન અને હાર્દિકભાઈનો સંપર્ક કરીને રજીસ્ટ્રેશન પ્રોસેસ શરુ કરવામાં આવી હતી. 

અંગદાન સમગ્ર પ્રક્રિયામાં પી પી સવાણી ગ્રુપના ચેરમેન વલ્લભભાઈ સવાણી, દીલીપદાદા દેશમુખ (અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ), બાબુભાઈ વિરડીયા (સમાજ સેવક), દિનેશભાઈ નાવડિયા(ડાયમંડ હોસ્પિ), વલ્લભભાઈ ચોથાણી, ડો. કેતન કાનાણી, ડો. હર્ષિતા સાવલિયા, ડો. શિવાની ડાંખરા, ડો. કિરણ પરમાર, ડો. જેનિશ ત્રપસીયા, ડો.પ્રીન્સી સવાણી, ડો. મીરાલી જસાણી, ટીમ જીવનદીપના અનેક સભ્યો નીતિનભાઈ ધામેલીયા, જસ્વીનભાઈ કુંજડીયા, બીપીનભાઈ તળાવીયા, આશિષભાઈ સાવલિયા, વૈજુલ વિરાણી, વિપુલભાઈ કોરાટ, અભિષેક સોનાણી, સાગર કોરાટ, રાજ ગોધાણી,  સ્મિત ઠુંમર, યુગ તળાવીયા, જીત ડોબરીયા, સતીશ ભંડેરી, ચૈતન્ય ત્રિવેદી અને ક્રિશ પટેલ સહિત અનેક લોકોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

હૃદય: યુ.એન. મહેતા હોસ્પિટલ, અમદાવાદ, ફેફસા: KD હોસ્પિટલ, અમદાવાદ, લીવર અને બંને કિડની: IKDRC હોસ્પિટલ, અમદાવાદ તેમજ બંને આંખોનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું, આ દર્દીના અંગદાન થકી કુલ- ૭ દર્દીઓને નવજીવન મળ્યું છે.

    પી.પી. સવાણી હોસ્પિટલથી અંગોને વિવિધ હોસ્પિટલ સુધી સમયસર પહોંચાડવા માટે ગુજરાત પોલીસ દ્વારા ત્રણ ગ્રીન કોરિડોરનું ઉત્તમ આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે સુરતથી અમદાવાદ સુધી અંગો ઝડપથી અને સલામત રીતે પહોંચાડવામાં સફળતા મળી. આ સમગ્ર પ્રક્રિયામાં સુરત અને અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીએ પણ મહત્વપૂર્ણ સહકાર આપ્યો હતો. 

જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન અને પી.પી. સવાણી હોસ્પિટલના સંયુક્ત પ્રયાસોથી ડોંડા પરિવારના મોભીનું આ 32મું સફળ અંગદાન સંપન્ન થયું છે, જે સમાજ માટે પ્રેરણાદાયક ઉદાહરણ બની રહેશે.

“અંગદાન સર્વ શ્રેષ્ઠદાન”
“એક જીવન અનેક જીવન પ્રકાશિત કરી શકે છે”
“જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ”, સુરત
સંપર્ક:- ૯૯૭૮૪ ૪૧૦૦૦ / ૯૯૦૪૪ ૪૧૦૦૦