ગુજરાત પ્રદેશ ભાજપાના પ્રમુખ અને નવસારીના સાંસદ, સુરતના વતની એવા શ્રી સી.આર. પાટીલે આજે તા.13મી જૂન 2021ના રોજ પોતાના ફેસબુક પેજ પરથી એવી ઘોષણા કરી હતી કે સુરતથી પૂના જતા આવતા લોકો માટે ફક્ત એક જ ટ્રેન સપ્તાહમાં એક વખત ચાલી રહી હતી. આ ટ્રેનની ફ્રિક્વન્સી વધે તો હજારો લોકોને તેનો લાભ મળે તેમ છે. આવી સામાન્ય લોકોની લાગણીને સાંસદ તરીકે શ્રી સી.આર. પાટીલે રેલ્વે મંત્રાલય સુધી પહોંચાડી હતી. જેની ફળશ્રુતિ રૂપે હવે સુરતથી પૂનાની ટ્રેન સપ્તાહમાં એક દિવસને બદલે બે દિવસ સુરતથી ઉપડશે.
સુરત પૂના ટ્રેન અંગે શ્રી સી.આર. પાટીલે કહ્યું કે હવે ઉધના રેલવે સ્ટેશનથી ટ્રેન નંબર 59025 અઠવાડીયામાં બે દિવસ, દર મંગળવાર અને દર શનિવારે ઉપડશે, જે વાયા નંદરબાર થઇને પૂના રવાના થશે. યાત્રીઓને આ ફ્રિક્વન્સી વધારાને કારણે ખાસ્સો લાભ થશે એવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો.કિશોરસિંહ ચાવડાએ ધો.12ના વિદ્યાર્થીઓ તથા વાલીઓને રાહત થાય એવી એક અગત્યની જાહેરાત કરતા જણાવ્યું છે કે ધો.12 પછી વીર નર્મદ યુનિવર્સિટી સંલગ્ન કોઇપણ અભ્યાસક્રમમાં પ્રવેશ કાર્યવાહી તા.21મી જૂન પછી શરૂ થશે. હાલ કોઇપણ પ્રકારની પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.
કેટલીક પ્રાઇવેટ યુનિવર્સિટીઓએ શરૂ કરેલી પ્રવેશ કાર્યવાહીને કારણે ધો.12ના વાલીઓ વિદ્યાર્થીઓમાં પ્રર્વતેલી ગેરસમજ અંગે સ્પષ્ટતા કરતા વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ ડો.કિશોરસિંહ ચાવડા
વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ ડો. ચાવડાએ કહ્યું કે વિદ્યાર્થીઓ અને વાલીઓ ખોટી અફવાથી ગેરમાર્ગે દોરાય નહીં. વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા પ્રવેશ કાર્યવાહી માટે હાલ સિસ્ટમ ગોઠવવામાં આવી રહી છે. હજુ ધો.12ના પરીણામ અંગે કોઇ ક્લેરિટી નથી. આથી તા.21 જૂન 2021 પછી પ્રવેશ કાર્યવાહી અંગે જાહેરાત કરીને ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ કરવા અંગે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને શુલભ હોય તેવા તમામ માધ્યમથી માહિતગાર કરવામાં આવશે. કોઇ વિદ્યાર્થી પ્રવેશ માટે રજિસ્ટ્રેશન વગર રહી નહીં જાય.
હાલમાં કોઇપણ પ્રકારની પ્રવેશ કાર્યવાહી વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા શરૂ કરવામાં આવી નથી.
તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓએ વીર નર્મદ યુનિવર્સિટીની વેબસાઇટ જોતા રહેવું.
સુરત ડીઆરઆઈની ટીમે સચિન સ્થિત સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાંથી ઓપરેટ થતાં સિન્થેટિક ડાયમંડની આડમાં રિયલ ડાયમંડ હોંગકોંગ સમેત અન્ય દેશોમાં નિકાસ કરવાના કરોડોની કિંમતના કૌભાડનું પગેરું દાબતા ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. આ કૌભાંડમાં સુરતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા એકાદ બે મોટા માથાની સંડોવણી ખૂલે તો નવાઇ નહીં.
સચિનના સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (સુરસેઝ)ની ડાયમંડ જવેલરી મેન્યુફેકરીંગ કરતી કંપની યુનિવર્સલ જેમ્સ પર કસ્ટમ અને ડીઆરઆઈએ દરોડા પાડીને કહેવાતી નિકાસ માટે તૈયાર કરાઇ રહેલા બે કન્ટેનરની તપાસ હાથ ધરી છે. આ તપાસમાં 3 વર્ષના એકસ્પોર્ટ સહિતના વેપારના ડેટાની ચકાસણી હાથ ધરવામાં આવી છે.
આ કૌભાંડની મોડ્સ ઓપરેન્ડી એવી છે કે સિન્થેટિક ડાયમંડની આડમાં રિયલ ડાયમંડ ભેળવીને અન્ડર વેલ્યુશન તેમજ મીસડેકલેરેશન ઉપરાંત ડાયંમડની સ્મગલીંગ કરવામાં આવ્યું હોવાનું જણાય આવે છે.
સુરતના સચિન એસઈઝેડ વિસ્તારમાં આવેલા યુનિવર્સલ ડાયમંડ કંપની દ્વાર વિદેશમાં નિકાસ થઈ રહેલા ડાયમંડ બે કન્સાઈમેન્ટ પકડી પાડયા હતા. ડીઆરઆઈ અને કસ્ટમ દ્વારા તપાસમાં યુનિવર્સલ ડાયમંડ પેઢીનાં સંચાલકો અંદાજે 50 હજાર કેરેટ રીયલ ડાયમંડને લેબગ્રોન ડાયમંડ તરીકે ચોપડે દર્શાવ્યા છે.
જોકે કંપની દ્વારા તે પાર્સલને 27 હજાર કેરેટ બતાવી તેનું વોલ્યુમ પણ ઓછું દશાવવામાં આવ્યું હતું. તપાસમાં કન્સાઈમેન્ટમાં 4 કેરેટથી વધુના સિંગલ સિંગલ પીસ હીરા હોવાનું સામે આવ્યું છે. હીરાની અંડર વેલ્યુ બતાવીને કન્સાઇમેન્ટ એકસપોર્ટ કરનાર કંપની યુનિવર્સલ જેમ્સ પર કસ્ટમ અને ડીઆરઆઈએ દરોડા પાડતા કંપનીનો ડિરેકટર ફરાર થયો હતો. તેના ફરાર થતા અધિકારી વર્ગમાં એવી ચર્ચા છે. કે 23 વર્ષીય મીત કાછડીયા નામનો ડિરેકટર ફકત પ્યાદુ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે આ કારભારમાં મોટા ખેલાડીઓ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આવનારા દિવસમાં થનારી તપાસમાં મોટા નામો ખૂલે તેવી વકી છે.
સુરતના ઇન્ડિયન મેડીકલ એસોસીએશનના હોદ્દેદારોએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે પતંજલિ યોગના બાબા રામદેવ દ્વારા એલોપેથી પદ્ધતિ તેમજ તબીબો વિરુદ્ધ કરવામાં આવેલા નિવેદનોના વિરોધમાં આવતીકાલ તા.1 જુન 2021ના રોજ ઇન્ડીયન મેડીકલ એસોસીએશન દ્વારા બ્લેક ડે પાળવામાં આવશે. દેશભરના તબીબો કાળીપટ્ટી ધારણ કરીને તેમની ફરજ બજાવશે. સુરત સ્થિત ઇન્ડિયન મેડીકલ એસોસીએશન અને તેને સંલગ્ન તબીબો, સંસ્થાઓ પણ બ્લેક ડે ઉજવશે.
દર્દીઓને તકલીફ નહીં પડે એ રીતે બ્લેડ ડે પાળીને વિરોધ કરશે ડોક્ટરો
ઇન્ડિયન મેડીકલ એસોસીએશનની સુરત બ્રાન્ચના પ્રેસિડેન્ટ ડો. હિરલ શાહ, સેક્રેટરી ડો. રોનક નાગોરીયા તેમજ મિડીયા કોઓર્ડિનેટર ડો.હેતલકુમાર યાજ્ઞિકે જણાવ્યું કે સુરતના તબીબો દર્દીઓને તકલીફ નહીં પડે એ રીતે કાળી પટ્ટી ધારણ કરીને આવતીકાલે બાબા રામદેવના નિવેદનોના વિરોધમાં બ્લેક ડે પાળશે.
ઇન્ડિયન મેડીકલ એસોસીએશનની સુરત બ્રાન્ચે તા.1લી જુને બ્લેક ડે તરીકે પાળવાની જાહેરાત કરી
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રેસિડેન્ટ ગોપાલ ઈટાલિયાએ પોતાની એક ફેસબુક પેજના કમેન્ટ બોક્સમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને માજી બુટલેગર કહેતા ફરિયાદ નોંધવામાં આવી છે.
ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઈટાલિયા સામે સુરત શહેરના અલગ-અલગ સાત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા માટે અરજી આપવામાં આવી છે.
આ મામલામાં ફરીયાદ
18 મે 2021ના દિવસે AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી. જેમાં તેમણે જે-તે વિસ્તારમાં વાવાઝોડાની શું સ્થિતિ છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, ‘તમારા વિસ્તારમાં અત્યારે વાવાઝોડાની સ્થિતિ શું છે? વિસ્તારના નામ સાથે જણાવો…’. તેમની આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં એક યૂઝરે લખ્યું હતું કે, ‘ગોપાલભાઈ જો મેળ પડતો હોય તો એક બ્લેન્ડરનું હાફ મળી જાઈ તેવું કરો. નવસારી જલાલપુરમાં સોડા-પાણીની સગવડ છે અને હા, બે મિત્રો પણ છે સાથે બેસવાવાળા. બ્લેન્ડર ના હોય તો ib પર ચાલશે’. અહીંયા યૂઝર દારૂની અલગ-અલગ બ્રાન્ડ વિશે વાત કરી રહ્યો હતો. જેના જવાબમાં ઈટાલિયાએ વિવાદાસ્પદ વાત લખી હતી. તેમણે લખ્યું હતું કે, ‘બુટલેગર અને હાલમાં નવસારીના સાંસદ સી.આર. પાટીલનો સંપર્ક કરો, મેળ પડી જશે’.
દાનવીર સુરતવાસીઓએ ધન-દૌલતના દાન ઉપરાંત જેનું દાન કરીને કોરોનાના ક્રિટીકલ દર્દીઓને જીવનદાન આપવામાં રાજ્યમાં જ નહીં પણ દેશમાં વિક્રમ સર્જ્યો છે એ પ્લાઝમા થેરાપીને કોરોનાની ટ્રીટમેન્ટ પ્રોટોકોલમાંથી દૂર કરી દેવામાં આવી છે. કોરોનામાંથી સાજા થઇ ગયેલા સુરતના નાગરીકોએ પોતાના લોહીમાં રહેલા પ્લાઝમાનું દાન કરવામાં ભારે જાગૃતિ દાખવી અને રાજ્ય અને દેશમાં પ્લાઝમા ડોનેશનમાં પણ પ્રેરણાદાયી કાર્ય કર્યું હતું.
કોરોનાની સારવારમાં પ્લાઝ્મા થેરાપીને અત્યાર સુધી કારગત માનવામાં આવતી હતી પણ હવે કેન્દ્ર સરકારે કોવિડનાં દર્દીઓનાં ઈલાજ માટેની સૂચિત ઉપચાર પદ્ધતિઓમાંથી પ્લાઝ્મા થેરાપીને હટાવી દીધી છે.
પ્લાઝમા ડોનેશન માટે રાજ્ય અને સુરત મહાનગરપાલિકાએ જબરદસ્ત જનજાગૃતિ અભિયાન છેડ્યું હતું
Symbolic Photo of collected Plasma. The Indian Council of Medical Research (ICMR) has finally dropped its espousal of convalescent plasma therapy (CPT) as treatment for moderate COVID-19 in its latest guidelines.
સરકારને ધ્યાને આવ્યું હતું કે, કોરોનાની સારવારમાં પ્લાઝ્માથી ગંભીર બીમારી દૂર કરવામાં અને મૃત્યુનાં કેસ ઘટાડવામાં પ્લાઝ્મા ઉપયોગી પુરવાર થઈ નથી.
આઈસીએમઆરનાં એક અધિકારીનાં જણાવ્યા અનુસાર ક્લિનિકલ ગાઈડન્સ ફોર મેનેજમેન્ટ ઓફ એડલ્ટ કોવિડ-19 પેશન્ટમાં સુધારો કરી નાખવામાં આવ્યો છે. જેમાં અત્યાર સુધી સમાવિષ્ટ કોરોનામાંથી સ્વસ્થ થયેલી વ્યક્તિનાં પ્લાઝ્માની હવે બાદબાકી કરી નાખવામાં આવી છે.
કોરોનાનાં ઈલાજ માટે રચાયેલી ટાસ્કફોર્સનાં સદસ્ય આઈસીએમઆરની ગત સપ્તાહે એક બેઠક મળી હતી અને તેમાં પ્લાઝ્માને કોરોનાની સારવારમાંથી હટાવવા માટે સહમતી બની હતી. ત્યાર બાદ તેની ભલામણ સરકારને કરી દેવામાં આવી હતી. ચિકિત્સા નિષ્ણાતો અને વિજ્ઞાનીઓએ પણ મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે.વિજયરાઘવનને પત્ર લખીને પ્લાઝ્મા થેરાપીને તર્કહીન અને અવૈજ્ઞાનિક ગણાવી હતી. રસીવિદ ગગનદીપ કાંગ, સર્જન પ્રમેશ સી.એસ. અને અન્ય દ્વારા હસ્તાક્ષરિત પત્રમાં કહેવામાં આવ્યું હતું કે, પ્લાઝ્માનાં તર્કહીન ઉપયોગથી વાયરસનાં નવા સ્ટ્રેન વિકસિત થવાની સંભાવના પણ વધી જાય છે.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના નેજા હેઠળ ગુજરાતની તમામ ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારોની આજરોજ તા.13મી મે 2021ના રોજ રાજ્યના પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટીયા સાથે વર્ચ્યુઅલ મિટીંગ મળી હતી. જેમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ દિનેશ નાવડિયાએ નીચે મુજબના મહત્વના મુદ્દાઓ અંગે આશિષ ભાટીયાને વિસ્તૃતપણે રજૂઆત કરી હતી.
1. દક્ષિણ ગુજરાતમાં હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ સહિતના તમામ ઉદ્યોગની હોલસેલ દુકાનો દિવસ દરમ્યાન સવારે ૧૦:૦૦ થી બપોરે રઃ૦૦ કલાક સુધી ખોલવા માટે મંજૂરી આપવામાં આવે.
2. રાજ્યમાં તમામ પ્રકારની ઉત્પાદન પ્રવૃત્તિઓ ચાલુ છે, પરંતુ ટ્રેડીંગ એકટીવિટી બંધ હોવાથી ઉત્પાદન પ્રવૃત્તિઓ પણ બંધ થવાની કગાર પર છે. આથી ટ્રેડીંગ એકટીવિટીની પરવાનગી તા. ૧૮ મે, ર૦ર૧થી નવા જાહેર થનાર હુકમથી મળી રહે તે માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.
3. કારીગરો હાલમાં પોતાના વતન જઈ શકે તેવી સ્થિતિમાં નથી અને જો આ સંજોગોમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓને કોઈપણ કારણસર બ્રેક લાગશે તો આ કારીગરો રસ્તા ઉપર આવી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગાડી શકે તેવી ભીતિ છે. કારણ કે, કાપડ માર્કેટની દુકાનો બંધ હોવાથી વિવિંગ અને પ્રોસેસિંગ એકમો દ્વારા ઉત્પાદન ઘટાડી દેવામાં આવ્યું છે અને બે પાળીને બદલે એક પાળીમાં ઉત્પાદનની પ્રક્રિયા ચાલુ છે. જો કાપડની માર્કેટો બંધ જ રહેશે તો વિવિંગ અને પ્રોસેસિંગ એકમો પણ બંધ થવાની ભીતિ સેવાઇ રહી છે. આવા સંજોગોમાં કાપડ ઉદ્યોગની સમગ્ર સપ્લાય ચેઇન ચાલુ રહે તેવી સ્થિતિનું નિર્માણ થવું જોઈએ.
4. બાંધકામ ઉદ્યોગમાં કન્સ્ટ્રકશનનું કામ ચાલુ છે પણ તેને સંલગ્ન રેતી–કપચી, સિમેન્ટ અને સ્ટીલ જેવી એન્સીલરી સર્વિસની દુકાનો બંધ હોવાથી બાંધકામ પ્રવૃત્તિ ઉપર રોક લાગી ગઇ છે. આથી બાંધકામ ઉદ્યોગ ચાલુ રહે તેના માટે એન્સીલરી સર્વિસની દુકાનોને ખોલવા માટે મંજૂરી આપવામાં આવે.
5. એકસપોર્ટ – ઈમ્પોર્ટની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તમામ એકમોને કોઈપણ પ્રકારની પરવાનગી લીધા વગર પોતાનું કામ કરવા પરવાનગી આપવામાં આવે. કારણ કે, એકસપોર્ટના ઓર્ડર્સ જો સમયસર ડીલીવર ન થાય તો તેનો આર્થિક બોજો ઘણો મોટો હોઇ વૈશ્વિક બજારમાં ભારતની ઈમેજને પણ ખરાબ કરી શકે છે. આથી તાત્કાલિક ધોરણથી આ હુકમ અમલવાર થવો જોઇએ.
6. રાજ્યમાં તમામ પ્રકારની મેઈન્ટેનન્સ અને રીપેર સર્વિસીઝ ચાલુ રહે તેવો હુકમ તાત્કાલિક ધોરણથી કરવામાં આવે.
7. ફરસાણ, નમકીન અને મિઠાઇની દુકાનો ચાલુ રાખવાનો ગૃહ વિભાગનો હુકમ છતાં સ્થાનિક તંત્ર દ્વારા ઘણી જગ્યાએ આ દુકાનોને બંધ રાખવામાં આવે છે. આથી સ્થાનિક તંત્રને આ હુકમ અંગે સૂચનો મળી રહે તે માટે ઘટતું કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
રાજ્યના પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટીયાએ રાજ્યની વિવિધ ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો કરવામાં આવેલી રજૂઆતોને શાંતિપૂર્વક સાંભળી હતી અને જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી દ્વારા બનાવવામાં આવેલી કોર કમિટીમાં ઉદ્યોગ – ધંધાને સ્પર્શતા ઉપરોકત મુદ્દાઓ અંગે નિર્ણયો લેવામાં આવે છે. આથી ચેમ્બર ઓફ કોમર્સે તેમને કરેલી રજૂઆતોને તેઓ મુદ્દાસર મુખ્યમંત્રી દ્વારા બનાવાયેલી કોર કમિટી સમક્ષ રજૂ કરશે. તદુપરાંત આ અંગે જે કઇ નિર્ણય લેવામાં આવશે તેની જાહેરાત કરશે.
મુળ મધ્ય પ્રદેશના વતની એવા આ આરોપીઓ છેલ્લા કેટલાક સમયથી સુરતમાં અલગ – અલગ વિસ્તારોમાં દિવસ દરમ્યાન રેકી કરીને મોડી રાત્રે ઘટનાને અંજામ આપી નાસી છૂટતા હતા. શહેરના મોટા વરાછા ખાતે લેક ગાર્ડન પાસે કોમ્બિંગ દરમ્યાન ક્રાઈમ બ્રાંચના હાથે ઝડપાયેલી આ કુખ્યાત ટોળકી વિરૂદ્ધ માત્ર સુરત શહેરમાં જ 14 ગુન્હા નોંધાયેલા છે. આ સિવાય રાજ્યના અમદાવાદ – આણંદ સહિતના અન્ય શહેરોમાં પણ ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી 1.50 લાખ રૂપિયાના સોના – ચાંદીના દાગીના સહિત કુલ્લે 3.66 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
સુરત પોલીસ કમિશ્નરે આજે આ અંગે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, ઝડપાયેલા તમામ આરોપીઓ છેલ્લા ચાર મહિનાથી સુરતના અમરોલી બ્રીજ પાસે આવેલ ખુલ્લા પ્લોટ પર શ્રમિકોનો વેશ ધારણ કરીને વસવાટ કરતા હતા. કોઈને શંકા ન થાય તે માટે આરોપીઓ પૈકી દેવા પારધી, રુકેશ ચોટલી, સચિન પારધી, કાલુ અને રાજકુમાર નામના ઈસમો શહેરના વિવિધ વિસ્તારોમાં ફુગ્ગા વેચવાના બ્હાને રેકી કરતા હતા. અલગ – અલગ વિસ્તારોમાં રેકી કર્યા બાદ આ પાંચેય ઈસમો સાંજે સાતેક વાગ્યા સુધી પોતાની ટોળકી પાસે પરત પહોંચી જતા હતા અને બાદમાં આખે આખી ટોળકી રાત્રિના આઠેક વાગ્યા સુધી નક્કી કરેલા લોકેશન પર પહોંચી જતા હતા. જ્યાં આ ટોળકી નક્કી કરેલા લોકેશનની આસપાસ આવેલ અવાવરૂ જગ્યામાં છુપાઈ જતા હતા. રાત્રે દોઢથી બે વાગ્યાના સુમારે આ આરોપીઓ પોતાના તમામ કપડા કાઢીને માત્ર ચડ્ડી – બનિયાન પહેરી લુંગીમાં ઘરફોડ માટેના સાધનો છુપાવીને નક્કી કરેલા બંગલા પર ત્રાટકતા હતા.
તમામ આરોપીઓએ આ ધાડ દરમ્યાન પોત – પોતાની કામગીરી વ્હેંચી લેતા હતા. જેમાં બંગલાની બારીના ખિલ્લા પેચીયાથી ખોલવાનું કામ રાજકુમા્ર, દેવા પારધી અને ગજરાત કરતા હતા જ્યારે રુકેશ ચોટલી અને કાલુ નામના ઈસમો ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તોડવાનું કામ કરતા હતા. આ સિવાય અન્ય આરોપીઓ બંગલાની આસપાસ ઉભા રહીને વોચ રાખતા હતા. આ દરમ્યાન જો કોઈ કુતરા કે માણસો આવી ચઢે તો ગિલોલથી તેઓને ભગાડી દેતા હતા. ધાડને અંજામ આપ્યા બાદ તમામ આરોપીઓ પુનઃ નક્કી કરેલા સ્થળે પહોંચી જતા જ્યાં પેન્ટ – શર્ટ પહેરીને સવાર થવાની રાહ જોતા હતા. લોકોની અવર – જવર શરૂ થતાં આ તમામ આરોપીઓ ભીડમાં ચાલતા ચાલતા અમરોલી બ્રીજ પાસે આવેલા ખુલ્લા પ્લોટ પર એકઠા થઈ જતા હતા. જ્યાં ધાડમાંથી મળેલા મુદ્દામાલનો સરખે હિસ્સે વહેંચી લેતા હોવાનું જાણવા મળ્યું છે.ક્રાઈમ બ્રાંચ દ્વારા આજે આરોપીઓની ધરપકડ બાદ જણાવવામાં આવ્યું હતું કે, આ ગેંગ દ્વારા માત્ર સુરતમાં જ નહીં રાજ્યના અમદાવાદ, આણંદ, ખેડા, ડીસા, વલસાડ, બરોડા, નવસારીમાં ધાડ પાડવામાં આવી હતી. આ સિવાય આ ગેંગ દ્વારા મુંબઈ, બિહાર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને પંજાબ ખાતે પણ અલગ – અલગ શહેરોમાં ઘટનાને અંજામ આપવામાં સફળ રહ્યા હતા. જેની તલસ્પર્શી તપાસ ક્રાઈમ બ્રાંચ દ્વારા હાથ ધરવામાં આવી છે.
ક્રાઈમ બ્રાંચના હાથે આજે ઝડપાયેલા આરોપીઓ મુળ મધ્ય પ્રદેશના અલગ – અલગ જિલ્લાના રહેવાસીઓ છે. જો કે, છેલ્લા ઘણા સમયથી આ ટોળકી દ્વારા સુરત શહેરમાં ધામા નાખવામાં આવ્યા હતા. પોલીસના હાથે ઝડપાયેલી આ ટોળકીની પ્રાથમિક પૂછપરછ દરમ્યાન સુરત શહેરમાં જ 14 સ્થળે ધાડ પાડી હોવાનું જાણવા મળ્યું છે.
શહેરના પોશ વિસ્તારમાં આવેલા બંગ્લાઓને ટાર્ગેટ કરીને ધાડ પાડતી ગેંગની ધરપકડ દરમ્યાન પોલીસે આજે છ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. આ તમામ આરોપીઓ પણ મુળ મધ્ય પ્રદેશના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. વોન્ટેડ જાહેર કરવામાં આવેલા આરોપીઓમાં રૂકેશ ઉર્ફે ચોટલી સુરેશ પારઘી, દેવા રૂપા પારઘી, સચીન ભલ્લા ભીલ, ગજરાજ, મોન્ટી નંદુ પારઘી અને કાલાનો સમાવેશ થાય છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા આ તમામ આરોપીઓની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્યા છે.
ધાડપાડુ ગેંગના આરોપીઓ ખુબ જ શાતિર હોવાની સાથે સાથે પોતાના કામની પણ લાયકાત મુજબ વ્હેંચણી કરતા હતા. આ ગેંગના 10 સભ્યો પૈકી ત્રણ સભ્યો મકાનની બારીની ગ્રીલ ખોલતા જ્યારે બે સભ્યો ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તોડવાની કામગીરી કરતા હતા. આ સિવાયના તમામ આરોપીઓ ટાર્ગેટ કરવામાં આવેલા મકાનની આસપાસ ઉભા રહીને ધાડને અંજામ આપનારા સભ્યોને ચેતવતા હતા. આ દરમ્યાન કુતરા કે અન્ય કોઈ ઈસમ આવી પહોંચે તો તેને ગિલોલમાં પથ્થર મુકીને મારવાનું શરૂ કરી દેતા. ઉલ્લેખનીય છે કે, લાખ્ખો રૂપિયાની ધાડને અંજામ આપનારાઓ દ્વારા ઘરફોડના સાધનો સિવાય માત્ર ગિલોલનો જ હથિયાર તરીકે ઉપયોગ કરવામાં આવતો હોવાનું જાણવા મળ્યું છે.
શહેરના પોશ વિસ્તારોમાં ફુગ્ગા વેચવાના બ્હાને આખો દિવસ રેકી કર્યા બાદ જે બંગલાને ટાર્ગેટ કરવામાં આવ્યો હોય ત્યાં રાત્રે આઠ વાગ્યા પહેલા આ ટોળકી પહોંચી હતી. બંગ્લાની આસપાસ આવેલા અવાવરૂ સ્થળે કપડાં બદલીને આ ટોળકી છુપાઈને બેસી રહેતી. મોડી રાત્રે 1.30 વાગ્યા બાદ આ ટોળકી ચડ્ડી – બનિયાન પહેરીને ધાડની ઘટનાને અંજામ આપતા હતા. આ દરમ્યાન ધાડમાં મળેલ મુદ્દામાલ એકઠો કરીને આરોપીઓ રસોડામાં પ્રવેશ કરતા હતા અને જે કંઈ ભોજન બચ્યું હોય તે ખાઈ લેતા હતા. આ દરમ્યાન ઘરનો કોઈ સભ્ય જાગી જાય તો તેના પર પથ્થરથી હુમલો કરતા હતા.
ક્રાઈમ બ્રાંચના સૂત્રોએ જણાવ્યું હતું કે, હાલ શહેરમાં કોરોના વાયરસની મહામારીને ધ્યાને રાખીને આ ટોળકી પોતાના વતન જવા માટેની કવાયત હાથ ધરી હતી. જો કે, ક્રાઈમ બ્રાંચે આ સંદર્ભે જાણ થતાં જ અલગ – અલગ ટીમો બનાવીને બાતમીવાળા સ્થળો પર કોમ્બિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું. જે દરમ્યાન આ તમામ આરોપીઓ મોટા વરાછા ગામ ખાતે આવેલા લેક ગાર્ડન પાસે ઝડપાઈ જવા પામ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી સોના – ચાંદીના દાગીના સહિત રોકડા રૂપિયા અને ઘરફોડ ચોરીના સાધનો સહિતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપક્રમે ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાના નેતૃત્વમાં આજરોજ સમગ્ર દક્ષિણ ગુજરાતના સામાજિક અને ઔદ્યોગિક સંગઠનોની મિટીંગ વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા મળી હતી.
સમગ્ર સુરતમાં શનિ અને રવિ બે દિવસ જનતા શિસ્ત કાર્યક્રમની ચેમ્બર દ્વારા જાહેરાત
સભામાં ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, સુરતમાં કોરોનાનો કહેર જોતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. વેપારીઓમાં પણ સ્વૈચ્છિક રીતે વેપાર–ધંધા બંધ રાખવાનો ગણગણાટ શરૂ થયો છે. કેટલાક વેપારીઓ અવઢવમાં છે અને તેથી અસમંજસભરી પરિસ્થિતિ ઉભી થઇ છે. આમ, આ ચિંતાનું વાતાવરણ દૂર થાય અને સૌ સાથે મળીને જો એક જ નિર્ણય લે તો તંદુરસ્ત વાતાવરણનું નિર્માણ થઇ શકે.
આ મિટીંગમાં નક્કી થયા મુજબ શહેરના વિવિધ સામાજિક અને ઔદ્યોગિક એકમોના સહયોગથી સમગ્ર સુરતમાં કોરોનાની ચેઈનને બ્રેક કરવા માટે શનિ–રવિ એમ બે દિવસના સ્વયંભૂ બંધ દ્વારા જનતા શિસ્ત કાર્યક્રમની અપીલ કરાઈ છે.
આ મિટીંગમાં ઉપસ્થિત વિવિધ એસોસીએશનના પ્રતિનિધિઓએ કોરોના સંક્રમણ ઘટાડવા બાબતે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. આ તમામ મંતવ્યોનો નિષ્કર્ષ એક જ હતો કે હાલમાં કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે તા. ૩૦ એપ્રિલ ર૦ર૧ સુધી શનિ–રવિ એમ બે દિવસ વેપાર–ધંધા બંધ રાખી સ્વૈચ્છિક સ્વયં શિસ્ત જાળવવી જોઈએ. આ જનતા સ્વયં શિસ્ત કાર્યક્રમને આગળ વધારવો જોઈએ કે નહીં તે તા. ૩૦ એપ્રિલ ર૦ર૧ પછી પરિસ્થિતિની સમીક્ષા કરી આગળનો નિર્ણય લેવો. સાથે સાથે જનતા સ્વયં શિસ્તનો આ કાર્યક્રમ સંપૂર્ણ સફળ થાય તે માટે વહીવટી તંત્રનો પણ સહયોગ લેવો જોઈએ. ઉપસ્થિત તમામ એસોસીએશનો દ્વારા આ સ્વયંભૂ બંધ – જનતા સ્વયં શિસ્ત કાર્યક્રમ અંગે ચેમ્બર આગેવાની લે અને તે અંગે અપીલ કરે તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો.
આ તકે ઉપસ્થિત ચેમ્બરના ઉપપ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, કારીગરોની અને માલિકોની સલામતીને ધ્યાનમાં રાખીને અને સામાજિક જવાબદારીના ભાગ રૂપે બે દિવસ સ્વૈચ્છિક રીતે બંધ રાખવું જોઈએ તથા આ બે દિવસ દરમ્યાન કામદારો કારણ વગર બહાર નહીં નીકળે તે ઇચ્છનીય છે અને તેનું પાલન કરાવવાની જવાબદારી જે તે કારખાનેદારની અને સ્થાનિક એસોસીએશનોની છે.
સભા સંચાલન કરતા સૌરાષ્ટ્ર સમાજના અગ્રણી કાનજી ભાલાળાએ આ સ્વૈચ્છિક એલાનને સફળ બનાવવા માટે તમામ ઓફિસ ધારકોને પણ ખાસ વિનંતી કરી હતી. પોતાની ઓફિસના સ્ટાફને ઓફિસમાં નહીં બોલાવીને આ એલાનને સફળ બનાવવું એ સૌની નૈતિક ફરજ છે એવો સંદેશો ત્વરિત ગતિએ ફેલાવવો એ સમયની માંગ છે. મોટા કોમર્શિયલ કોમ્પ્લેક્ષ ધરાવતા સંચાલકોએ સ્વયંભૂ રીતે જ આ અપીલને ધ્યાનમાં રાખીને આ બે દિવસ અમારા કોમ્પ્લેક્ષની તમામ ઓફિસો સ્વૈચ્છિક બંધ પાળશે તેવું એલાન કરવું જરૂરી બનશે.
ચર્ચાનું સમાપન કરતા ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણની ચેઈન તૂટે તે માટે આપણે સૌએ સજાગ પણ રહેવું પડશે. માત્ર બે દિવસ ધંધા–રોજગાર બંધ રાખવા તે પૂરતું નથી પરંતુ આ બે દિવસ દરમ્યાન અત્યંત જરૂરી હોય તો જ લોકોએ ઘરની બહાર નીકળવું જોઈએ અન્યથા ઘરમાં જ રહેવું જોઈએ.
ચેમ્બરના માનદ્દ મંત્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, શનિવારે સવારે ૬:૦૦ કલાકથી સોમવારે સવારના ૬:૦૦ કલાકનો સમય ગણીએ તો ફક્ત ૪૮ કલાક પોતાના ઘરમાં રહેવાનું છે. આ રીતે સ્વયં શિસ્તનું પાલન કરવામાં આવશે તો જ કોરોના સંક્રમણની ચેઈન તૂટશે.
આ સભામાં, ચેમ્બરના માનદ્દ ખજાનચી મનિષ કાપડિયા, ઇન્ડિયન મેડીકલ એસોસીએશનના પ્રતિનિધિ ડૉ. નિર્મલ ચોરારિયા, સમગ્ર પાટીદાર સમાજના પ્રતિનિધિ કાનજી ભાલાળા, સુરત ડાયમંડ એસોસીએશનના પ્રમુખ નાનુ વેકરીયા, સુરત બિલ્ડર્સ એસોસીએશન – ક્રેડાઈના પ્રતિનિધિ જસમત વિડીયા, ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલા, ફિયાસ્વી અને સાસ્કમાના પ્રમુખ ભરત ગાંધી, એસ.આર.ટી.ઇ.પી.સી.ના નેશનલ ચેરમેન ધીરુ શાહ, લોક સમર્પણ રક્તદાન કેન્દ્રના પ્રમુખ હરિ કથીરીયા, સચિન ઇન્ડસ્ટ્રીના અગ્રણી મહેન્દ્ર રામોલીયા, વોર્પ નીટર્સ એસોસીએશનના બ્રિજેશ ગોંડલીયા, સુરત મર્કન્ટાઇલ એસોસીએશનના પ્રમુખ નરેન્દ્ર સાબુ, ફોસ્ટાના પ્રમુખ મનોજ અગ્રવાલ, કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના ગુજરાત એકમના પ્રમુખ પ્રમોદ ભગત અને મિતેશ શાહ, ધી સુરત આર્ટ સિલ્ક ક્લોથ મેન્યુફેકચરર્સ એસોસીએશનના મંત્રી હિમાંશુ બોડાવાલા, ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા વિનેશ શાહ, ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા ચિરાગ શાહ, પાંડેસરા વીવર્સ કો–ઓપ. લિ.ના વિમલ બેકાવાલા, મેહુલ વિઠ્ઠલાણી, બરકત પંજવાણી, સુરત ક્ષત્રિય સમાજના અગ્રણી રાજેન્દ્ર લાલવાલા, સુરત જ્વેલરી મેન્યુફેકચરર્સ એસોસીએશનના વિજય માંગુકીયા, વરાછા કો–ઓપ. બેંકના ચેરમેન ભવાન નવાપરા ઉપસ્થિત રહ્યા હતા અને લેવાયેલા નિર્ણયને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું.
સાઉથ ગુજરાત ટેકસટાઇલ પ્રોસેસર્સ એસોસીએશન (એસજીટીપીએ), ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ વેલ્ફેર એસોસીએશન (ફોગવા), ફેડરેશન ઓફ સુરત ટેકસટાઇલ્સ ટ્રેડર્સ એસોસીએશન (ફોસ્ટા), સુરત મર્કન્ટાઇલ એસોસીએશન, સુરત હાર્ડવેર એન્ડ બિલ્ડિંગ મટિરિયલ મર્ચન્ટ્સ એસોસીએશન, સધર્ન ગુજરાત મશીન ટૂલ્સ હાર્ડવેર એન્ડ વેલ્ડીંગ મર્ચન્ટ એસોસીએશન, સાઉથ ગુજરાત ટેકસટાઇલ ટ્રેડર્સ એસોસીએશન, પાંડેસરા વીવર્સ કો–ઓપ. સોસાયટી, સાસ્કમા, સુરત ઇલેકટ્રીકલ મર્ચન્ટ્સ એસોસીએશન, ધી સુરત આયર્ન એન્ડ સ્ટીલ મર્ચન્ટ્સ એસોસીએશન, સુરત હોલસેલ ગ્રેઇન મર્ચન્ટ્સ, વેડરોડ આર્ટ સિલ્ક સ્મોલ સ્કેલ કો–ઓપરેટીવ ફેડરેશન લિમિટેડ (વાસ્કોફ), સાઉથ ગુજરાત ઇન્ફોર્મેશન ટેકનોલોજી સોસાયટી, હેન્ડીક્રાફટ એન્ડ કોટેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન, સુરત ખાખરા એસોસીએશન, સુરત ડ્રાય ફ્રુટ એસોસીએશન, સુરત નમકીન એસોસીએશન, સુરત મિઠાઇ એસોસીએશન અને સુરત સિરામિકસ એસોસીએશન દ્વારા પણ બે દિવસ સ્વયંભૂ બંધ માટે સમર્થન જાહેર કર્યું છે.
સુરતમાં રેમડેસિવિર ડ્રગના ૫૦૦૦ ડૉઝનું મફત વિતરણ કરવાને મામલે મળેલી ધમકીને પગલે ગુજરાત ભાજપના પ્રમુખ સી. આર. પાટીલે કૉંગ્રેસને એમ કહીને આડેહાથ લીધો હતો કે વિપક્ષના નેતાઓએ મને ધમકી આપવાનું બંધ કરવું જોઈએ.
ઈન્જેક્શન ગેરકાયદે મેળવી અછત ઊભી કરવાનો કથિત આક્ષેપ કરી રાજ્ય કૉંગ્રેસે CR પાટીલની ધરપકડ કરવાની સોમવાર dt 12/4/21 માગણી કરી હતી.
ઈન્જેક્શનની ભારે અછત વચ્ચે સુરતમાં ૫૦૦૦ ડૉઝનું મફત વિતરણ કરવાની જાહેરાત કરી પાટીલે ગયા અઠવાડિયે વિવાદનો મધપૂડો છંછેડ્યો હતો.
૫૦૦૦ રેમડેવિસિર ઈન્જેક્શનનો જથ્થો કાયદેસર રીતે જ પ્રાપ્ત કરવામાં આવ્યો હતો, એમ CR પાટીલે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું.
જરૂરિયાતમંદોને મફત ઈન્જેક્શન પૂરા પાડવાના ભાજપના કાર્યને વિપક્ષે બિરદાવવું જોઈએ, એમ તેમણે કહ્યું હતું.
૧૦ એપ્રિલે ભાજપના સુરત કાર્યાલયેથી ઈન્જેક્શનનું મફત વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું.
સોમવાર સુધીમાં જરૂરિયાતમંદ દરદીઓના પરિવારજનોને ૧૦૦૦ ઈન્જેક્શન સહિત ૩૦૦૦ જેટલા ઈન્જેક્શનનું વિતરણ કરી દેવામાં આવ્યું હોવાનું સુરત ભાજપ કાર્યાલયે જણાવ્યું હતું.
જે રાજ્યમાં વધારે માત્રામાં ઈન્જેક્શન હતા ત્યાંથી જ તે પ્રાપ્ત કરવામાં આવ્યા હોવાનું સુરત ભાજપના વિધાનસભ્ય હર્ષ સંઘવીએ સોમવારે કહ્યું હતું.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.