યુનિવર્સિટીએ 12 વિવિધ ફેકલ્ટીમાં 65 અભ્યાસક્રમોની કુલ 4622 ડિગ્રીઓ વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવી
સુરતના સપૂત અને જેના નામની આગળ વીર વિશેષણ લાગે છે એ વીર કવિ નર્મદની જન્મજયંતિએ આજરોજ યોજાયેલા યુનિવર્સિટીના 52માં ખાસ દિક્ષાંત સમારોહને વર્ચ્યુઅલી સંબોધતા રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પદવીઓ હાંસલ કરનારા વિદ્યાર્થીઓને રિસર્ચ અને ઇનોવેશનમાં પ્રવૃત રહેવાની હાકલ કરતા જણાવ્યું હતું કે તમે સમાજ જીવનમાં પ્રવેશના ઉંબરે ઉભા છો ત્યારે સમાજ પાસે અનેક સમસ્યાઓ છે અને તમારી પાસે તેનો ઉકેલ છે. તેમણે વિદ્યાર્થીઓને જુદા જુદા દાખલાઓ આપીને ટ્રબલ શૂટર બનવાની હાકલ કરી હતી.
વીર નર્મદ યુનિવર્સિટીના 52માં દિક્ષાંત સમારોહના આરંભે યુનિવર્સિટીની જુદી જુદી 12 વિદ્યાશાખાઓને ડીનએ જુદા જુદા 65 જેટલા અભ્યાસક્રમોને સફળતાપૂર્વક પાસ કરનાર 4622 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવાની ભલામણ કરી હતી. જેને વાઇસ ચાન્સેલર ડો.કિશોરસિંહ ચાવડાએ અનુમતિ આપીને દરેક વિદ્યાર્થીઓને સમાજ જીવનમાં સફળ થવાની શુભેચ્છા પાઠવી હતી.
દિક્ષાંત સમારોહમાં ઓનલાઇન ઉપસ્થિત રહેલા રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ દિક્ષાંત પ્રવચન આપતા જણાવ્યું હતું કે આજનો દિવસ પદવી પ્રાપ્ત કરનારા દરેક દિકરા દિકરીઓ માટે અત્યંત મહત્વનો અને ટર્નિંગ પોઇન્ટ બનશે. શૈક્ષણિક કારકિર્દી પૂરી કરીને હવે તમે સમાજ જીવનમાં જઇ રહ્યા છો, જીવનમાં ખૂબ ઓછી તકો મળતી હોય ત્યારે તમારી પાસે તક છે કે તમારા શિક્ષણનો ઉપયોગ કરીને સ્થાન બનાવો. દુનિયામાં હિંમતપૂર્વક આગળ વધવા માટેની હાકલ કરતા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહે વિદ્યાર્થીઓને કહ્યું કે ઇનોવેશન અને રીસર્ચનો જમાનો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે સ્ટાર્ટ અપથી લઇને સ્કીલ ઇન્ડિયા જેવી અનેક યોજનાઓ તમારા માટે જ અમલમાં મૂકી છે. એવું નથી કે ઇનોવેશન અને રિસર્ચ ફક્ત સાયન્સમાં જ થઇ શકે કે એવું ક્યારેય નહીં માનતા કે તેના પર કોઇનો ઇજારો છે. વિદ્યાર્થીઓને સફળ થવા માટે તેમણે અનેક મોટીવેશનલ દાખલાઓ આપ્યા હતા.
દિક્ષાંત સમારોહ બાદ મંચ પરથી પી.એચડી. થયેલા યુવક યુવતિઓને મંચ પર તેડાવીને તેમનું બહુમાન કરવા સાથે તેમને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. તદુપરાંત વીર નર્મદ યુનિવર્સિટીના પ્રતિનિધિ તરીકે જુદી જુદી નેશનલ ગેમ્સમાં મેડલ્સ મેળવનારા પ્લેયર્સને ઇનામી રકમના ચેકનું વિતરણ કરવામાં આવ્યું છે. યુનિવર્સિટીએ દિક્ષાંત સમારોહની સાથે ટેક્નોલોજીથી ઉભા કરવામાં આવેલા વિવિધ પ્રકલ્પોનું પણ લોકાર્પણ કર્યું હતું.
















