જો પોસ્ટ ઓફિસમાં બચત ખાતુ હોય તો તમારા માટે ખાસ અને જરુરી ખબર છે. 31 મે થી સરકાર પોસ્ટ ઓફિસના બચત ખાતેદારો માટે નવી સુવિધા શરુ કરવા જઈ રહી છે.
આ સુવિધા હેઠળ પોસ્ટ ઓફિસના ગ્રાહક નેશનલ ઈલેકટ્રોનિક ફંડ ટ્રાન્સફર (એનઈએફટી) અને રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (આરટીજીએસ) સુવિધાઓનો ફાયદો ઉઠાવી શકશે. એટલું જ નહીં પોસ્ટ ઓફિસના બચત ખાતેદારો પોતાની ઈન્ટરનેટ બેંકિંગ સુવિધા દ્વારા અન્ય બેંકોથી પોસ્ટ ઓફિસ ખાતામાં નાણાં પણ મોકલી શકશે. પોસ્ટ ઓફિસ દ્વારા સત્તાવાર નોટિસ જાહેર કરી પોસ્ટના તમામ બચત ખાતેદારો માટે નવી સુવિધા અંગે માહિતી આપી છે. એનઈએફટી અને આરટીજીએસ ચાર્જ : 10 હજાર સુધીની લેણદેણ માટે રુ.ર.પ0 + જીએસટી, 10 હજારથી ઉપર રુ.1 લાખ સુધીની લેણદેણમાં રુ.પ + જીએસટી, રુ.1 લાખથી વધુ અને રુ.ર લાખ સુધીની લેણદેણ માટે રુ.1પ +જીએસટી, ર લાખથી વધુ અને મહત્તમ મર્યાદાથી વધુ નહીં માટે રુ.રપ + જીએસટી.
ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને દિલ્હીના રાજકારણના મહારથી કપિલ સિબલે બુધવારે કૉંગ્રેસમાંથી રાજીનામું આપીને સમાજવાદી પક્ષના પીઠબળ સાથે રાજ્ય સભા માટે અપક્ષ ઉમેદવાર તરીકે નામંકનપત્ર ભર્યું હતું. કપિલ સિબલનું રાજીનામું લાંબા વખતથી વારંવાર ચૂંટણીઓમાં પછડાટ ખાતા પક્ષ કૉંગ્રેસ માટે વધુ એક મોટો આંચકો છે. કપિલ સિબલે જણાવ્યું હતું કે ત્રણ દાયકાથી જે પક્ષમાં સક્રિય રહ્યો છું, એ જ પક્ષની વિચારસરણી સાથે મારો સંબંધ રહેશે. કપિલ સિબલ બુધવારે લખનઊ ખાતે ઉત્તર પ્રદેશ વિધાનસભાના પરિસરમાં રાજ્યસભાની ઉમેદવારી માટે નામાંકનપત્ર ભરવા ગયા ત્યારે તેમની જોડે સમાજવાદી પક્ષના પ્રમુખ અખિલેશ યાદવ અને વરિષ્ઠ નેતા રામગોપાલ યાદવ તથા પક્ષના અન્ય નેતા પણ હતા. કૉંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તનની માગણી કરનારા ૨૩ નેતાઓમાં એક કપિલ સિબલના રાજ્યસભાના સભ્યપદની મુદત આવતા જુલાઈ મહિનામાં પૂરી થાય છે.
નામાંકનપત્ર ભર્યા પછી કપિલ સિબલે જણાવ્યું હતું કે મેં રાજ્યસભાની ચૂંટણીમાં અપક્ષ સ્પર્ધક રૂપે ઉમેદવારી કરી છે. મને ટેકો આપવા બદલ હું અખિલેશજીનો આભાર માનું છું. મેં ૧૬ મેએ કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. હું હવે કૉંગ્રેસનો વરિષ્ઠ નેતા નથી. કૉંગ્રેસ સાથે મારો પ્રગાઢ સંબંધ છે. લગભગ ૩૦-૩૧ વર્ષનો સંબંધ છે. આ નાની વાત નથી. હું ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીને કારણે કૉંગ્રેસમાં જોડાયો હતો. લોકોને એવો વિચાર આવશે કે ૩૧ વર્ષે કોઈ કૉંગ્રેસને કેવી રીતે છોડી શકે? પક્ષ છોડવાનું કઈંક તો કારણ હોય ને! મારા મનમાં પણ કઈંક ખટકો છે, દિલમાં કઈંક રંજ છે. ક્યારેક આવા નિર્ણયો પણ લેવા પડે છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને રાજ્યના આરોગ્ય મંત્રી વિજય સિંગલાને પોતાના પદ પરથી હટાવી દીધા છે. ભ્રષ્ટાચારના આરોપોને કારણે વિજય સિંગલાને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. જોકે, ગણતરીના કલાકોમાં જ આપના પૂર્વ સ્વાસ્થ્યમંત્રી સિંગલાની ધરપકડ કરવામાં આવી છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, “હું મંત્રી સામે કડક કાર્યવાહી કરી રહ્યો છું. હું તેમને કેબિનેટમાંથી હટાવી રહ્યો છું, મુખ્યમંત્રીએ એક વીડિયો સંદેશમાં દાવો કર્યો હતો કે સિંગલાએ પોતે ખોટુ કામ કર્યું હતુ તે સ્વીકાર્યું હતુ.
વધુમાં કહ્યું કે, અમારી તપાસમાં જાણવા મળ્યું છે કે સ્વાસ્થય મંત્રી અરજીઓ મંજૂર કરવા 1%ના કમિશનની માંગણી કરી રહ્યાં હતા.
AAP પાર્ટી અને ભગવંત માને ચૂંટણી પ્રચાર દરમિયાન રાજ્યમાંથી ભ્રષ્ટાચારને સંપૂર્ણપણે નાબૂદ કરવાનું વચન આપ્યું હતું. તે જ સમયે, હવે ભ્રષ્ટાચારના આરોપી મંત્રીને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે.
તે જ સમયે, AAP પાર્ટીએ કહ્યું કે આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલના ભ્રષ્ટાચાર વિરોધી મોડલ અનુસાર મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. AAP સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, તેમની પાર્ટી એકમાત્ર એવી પાર્ટી છે જે ભ્રષ્ટાચારના આધાર પર પોતાના લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પ્રમાણિકતા, હિંમત અને પ્રામાણિકતા ધરાવે છે. અમે આવુ દિલ્હીમાં જોયું, હવે પંજાબમાં જોઈ રહ્યા છીએ.
ભારે ગરમી વચ્ચે ઉત્તર ભારતમાં અનેક રાજ્યોમાં વરસાદ પડવાથી લોકોને ભારે રાહત થઇ હતી. સોમવારે દિલ્હી, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશના કેટલાક હિસ્સામાં વરસાદ પડયો હતો. જ્યારે સૌથી વધુ વરસાદ દિલ્હીમાં પડવાથી નીચા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા અને ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઇ હતી. બીજી તરફ કેટલાક રાજ્યોમાં હજુ પણ ૪૫ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું.
જેમ કે ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં તાપમાન ૪૫.૯ ડિગ્રી રહ્યું હતું. જ્યારે પશ્ચિમ રાજસ્થાનમાં હજુ પણ આગામી પાંચ દિવસ હીટવેવ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. જોકે દેશના અન્ય કોઇ ભાગમાં આગામી પાંચ દિવસ સુધી હીટવેવ નહીં રહે તેવી પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી. સોમવારે સવાર સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં હરિયાણાના ફરિદાબાદમાં ૯ સેમી, ગુરુગ્રામમાં ૭ સેમી, દિલ્હીમાં ૫ સેમી વરસાદ પડયો હતો. જોકે સોમવારે દિવસ દરમિયાન દિલ્હીમાં વરસાદનું પ્રમાણ વધ્યું હતું.
દિલ્હીમાં સોમવારે પવન સાથે વરસાદ પડયો હતો જેનાથી લોકોને ભારે ગરમીથી રાહત મળી હતી. સવારે જ પવન સાથે વરસાદ પડતા અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા જ્યારે કેટલાક મકાનોને પણ નુકસાન પહોંચ્યું હતું. જેને પગલે આઠ લોકો ઘાયલ થયા હતા. જ્યારે વૃક્ષો પડી જવાથી નીચે પાર્ક કરાયેલા અનેક વાહનોને નુકસાન પહોંચ્યું હતું. પવન સાથે વરસાદ પડવાથી દિલ્હીના અનેક વિસ્તારોમાં વિજળી જતી રહી હતી. જ્યારે જવલપુરી, ગોકલપુરી, શંકર રોડ અને મોતી નગરમાં મકાનો પડી જવાથી આઠ લોકો ઘવાયા હતા.
વરસાદને કારણે તાપમાનમાં મોટો ઘટાડો થયો હતો. દિલ્હીમાં હવામાને અચાનક પલટો મારતા ૪૦ જેટલી ફ્લાઇટ્સને અસર પહોંચી હતી. દિલ્હી એરપોર્ટે મુસાફરોને પોતાની ફ્લાઇટની જાણકારી મેળવ્યા પછી જ એરપોર્ટ આવવાની સુચના જારી કરવી પડી હતી. બીજી તરફ ઉત્તરાખંડમાં પણ વરસાદ પડયો હતો, જેને પગલે કેદારનાથ યાત્રાને હાલ પુરતા અટકાવી દેવામાં આવી છે અને જ્યારે હવામાન સાફ થઇ જાય પછી તેને ફરી શરૂ કરવાનો નિર્ણય પ્રશાસન દ્વારા લેવામાં આવ્યો હતો.
બીજી તરફ વરસાદને પગલે પંજાબથી અન્ય રાજ્યોમાં લઇ જવાતા ચોખાના ૧૫ હજાર બોરા પલળી ગયા હતા. જેને પગલે ચોખા બગડી ગયા હતા અને ગરીબોને મળનારા પંજાબના ચોખા બરબાદ થઇ ગયા હતા. જ્યારે અનેક ખેડૂતોએ ખુલ્લામાં મુકેલું અનાજ અને શાકભાજી પલળી ગયા હતા. ખાસ કરીને ચણા, મગફળી, મટર તેમજ અન્ય કઠોળ પલળી જવાથી ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. જ્યારે મધ્ય પ્રદેશના સાતના જિલ્લામાં મૈહાર હિલ સ્ટેશન પર રોપવેને ભારે વરસાદ અને પવનને પગલે અટકાવી દેવો પડયો હતો જેથી ૨૮ લોકો અધવચ્ચે જ અટવાઇ ગયા હતા.
આગામી વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ભાજપે તેની તૈયારી પૂરજોશથી શરૂ કરી દીધી છે. ૧૫૦થી વધુ બેઠકો મેળવા માટે ભાજપે વિપક્ષ સામે લડવા અલગ સ્ટ્રેટેજી બનાવી છે. એમાં કૉંગ્રેસ માટે અલગ અને આમ આદમી પાર્ટી માટે અલગ એજન્ડા તૈયાર કરવાની દિશામાં સૂચનો આપવામાં આવ્યાં છે. આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ દ્વારા જ્ઞાતિવાદના આધારે એટલે કે કૉંગ્રેસની વર્ષો જૂની માધવસિંહ સોલંકીની ખામ (ક્ષત્રિય, અનુસૂચિત જાતિ, આદિવાસી, મુસ્લિમ) થિયરી મુજબ જીતની ફોર્મ્યુલા અપનાવી રહી હોવાની અટકળો તેમ જ આમ આદમી પાર્ટી દિલ્હી મોડલ સાથે સરખામણી કરી ગુજરાત મોડલને પડકાર ફેંકી રહી છે. આ ઉપરાંત આપ પંજાબ અને દિલ્હી પેટર્નથી ભાજપ સામે લડવાની સ્ટ્રેટેજી અપનાવી રહી છે. આ સંજોગોમાં ભાજપ કૉંગ્રેસ સામે લડવા જ્ઞાતિનો આધાર ઊભો કરવા અને આમ આદમી પાર્ટી સામે લડવા વિકાસને આગળ કરવા માટેની નીતિ અપનાવવાની તૈયારી શરૂ કરી શકે છે.
ઉત્તર પ્રદેશની બાબરી મસ્જિદ જેવો જ બીજો વિવાદ વારાણસીની જ્ઞાાનવાપી મસ્જિદને લઇને શરૂ થયો છે. આ મસ્જિદના પરિસરમાં વીડિયોગ્રાફીનું કામ પુરુ થઇ ગયું છે. આ વીડિયોગ્રાફી અને સર્વેની કામગીરી દરમિયાન મસ્જિદની અંદર એક શિવલિંગ મળ્યાનું સામે આવ્યું છે. જેને પગલે જે વિસ્તારમાંથી આ શિવલિંગ મળ્યું છે તેને સીલ કરી દેવા કહ્યું છે. જેથી આ જગ્યા પર કોઇ જ નહીં જઇ શકે. જોકે શિવલિંગ મળ્યાના દાવાને મુસ્લિમ પક્ષ દ્વારા નકારવામાં આવ્યા હતા.
સાથે જ મસ્જિદમાં પણ હવે માત્ર ૨૦ જ મુસ્લિમો નમાઝ માટે જઇ શકશે. જે સ્થળે શિવલિંગ મળ્યું છે ત્યાં હવે કોઇને પણ જવા નહીં દેવાય, અને તેની સંપૂર્ણ સુરક્ષાની જવાબદારી પોલીસ અને કલેક્ટરને સોપી દેવામાં આવી છે. સોમવારે સર્વેનો ત્રીજો દિવસ હતો. હવે આ સંપૂર્ણ રિપોર્ટ અને વીડિયોગ્રાફીને કોર્ટમાં રજુ કરવામાં આવશે. બીજી તરફ આ મસ્જિદની કમિટીએ કોર્ટમાં દાવો કર્યો છે કે શિવલિંગ મળ્યાના દાવાથી કોર્ટને ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે. વજૂખાનામાં કોઇ શિવલિંગ નથી, અહીંયા માત્ર એક ફુવારો છે. જેના આકારને શિવલિંગ બતાવવામાં આવી રહ્યું છે.
બીજી તરફ અલ્લાહાબાદ હાઇકોર્ટે સર્વે કરાવવા અને કમિશનરની નિમણંુક માટે જે પણ આદેશ આ મસ્જિદને લઇને આપ્યા છે તેને મસ્જિદ કમિટી દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યા છે. જેની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં મંગળવારે થઇ શકે છે. બીજી તરફ હિન્દૂ પક્ષનો દાવો છે કે મસ્જિદમાં સર્વેની કામગીરી દરમિયાન ૧૨ ફુટ ઉંચુ શિવલિંગ મળ્યું છે. વાદી પક્ષ લક્ષ્મી દેવીએ આ વિસ્તારમાં પૂજા કરવાની માગ કરતી અપીલ કોર્ટમાં કરી છે. તેમના પતિ સોહનલાલ આચાર્ય પણ સર્વેની ટીમમાં સામેલ છે. સોહનલાલે દાવો કર્યો હતો કે મસ્જિદમાં શિવનું મંદિર હોવાના પુરાવા મળ્યા છે. હવે અમે આ મસ્જિદની પશ્ચિમ તરફની દિવાલના કાટમાળની તપાસની પણ માગણી કરીશું.
નોંધનીય છે કે જ્ઞાનવાપી મસ્જિદનો વિવાદ પણ બાબરી મસ્જિદ જેટલો જુનો છે. સૌથી પહેલા ૧૯૯૧માં કોર્ટમાં અપીલ કરાઇ હતી અને પૂજાની છૂટ આપવાની અપીલ કરવામાં આવી હતી. બાદમાં ૧૯૯૩માં અલ્લાહાબાદ હાઇકોર્ટે યથાસ્થિતિ રાખવાનો આદેશ આપ્યો હતો. ૨૦૧૮માં સુપ્રીમ કોર્ટે સ્ટે ઓર્ડરની સમય મર્યાદા છ મહિના સુધીની નક્કી કરી હતી. ૨૦૧૯માં વારાણસીની કોર્ટમાં ફરીથી આ મામલે સુનાવણી શરૂ કરવામાં આવી હતી. ૨૦૨૧માં જ આ મસ્જિદની વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફીનો આદેશ અપાયો હતો. જોકે વીડિયોગ્રાફીનો મુસ્લિમ પક્ષ દ્વારા વિરોધ કરાયો હતો, કોર્ટે ફરી વીડિયોગ્રાફીનો આદેશ આપ્યો હતો અને તેની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે.
કર્ણાટકમાં હનુમાન મંદિર તોડી ટીપૂ સુલ્તાને મસ્જિદ બનાવી હોવાનો દાવો
– મુસ્લિમો પહેલા મંદિર હોવાનું સ્વીકારે છે : ઇશ્વરપ્પા
ઉત્તર પ્રદેશમાં જ્ઞાનવાપી મસ્જિદને લઇને વિવાદ ચાલી રહ્યો છે. એવામાં હવે કર્ણાટકમાં પણ આવો જ એક વિવાદ જાગ્યો છે. કર્ણાટકમાં ટીપૂ સુલ્તાનના સમયે બનાવવામાં આવેલી એક મસ્જિદને લઇને આ વિવાદ છેડાયો છે.
બેંગાલુરુથી ૧૨૦ કિમી દૂર શ્રીરંગપટ્ટનમાં એક જામા મસ્જિદ આવેલી છે. આ મસ્જિદને ટીપૂ સુલ્તાનના સમયે બનાવવામાં આવી હોવાનો દાવો થઇ રહ્યો છે. જોકે કેટલાક હિન્દૂ સંગઠનોએ હવે દાવો કર્યો છે કે મંદિરને તોડીને ટીપૂ સુલ્તાન દ્વારા આ મસ્જિદ બનાવવામાં આવી હતી. આ દાવા સાથે જ હવે નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા આ મસ્જિદમાં પૂજા કરવાની માગણી કરાવવામાં આવી છે.
મંચના રાજ્ય સચિવ સીટી મંજૂનાથે દાવો કર્યો છે કે ટીપૂ સુલ્તાન સમયના જે પણ ડોક્યૂમેન્ટ્સ હાલ છે તેના પરથી સાબિત થાય છે કે આ મસ્જિદ બનાવવામાં આવી તે પહેલા ત્યાં હનુમાન મંદિર હતું. આ મસ્જિદની દીવારોં પર હિન્દૂ શિલાલેખ પણ મળ્યા છે. જે મંદિર વાળી થ્યોરીને બળ આપે છે. આ સ્થિતિ વચ્ચે કર્ણાટકના પૂર્વ મંત્રી કે એસ ઇશ્વરપ્પાએ કહ્યું હતું કે હવે મુસ્લિમો પણ એ વાતનો સ્વિકાર કરે છે કે ત્યાં મસ્જિદ પહેલા એક મંદિર હતું.
ઉત્સવ ફાઉન્ડેશન દ્વારા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જીવન પર આધારિત “અપને અપને રામ” કાર્યક્રમનું આગામી 20 અને 21મી મેના રોજ સુરતના ઉધના મગદલ્લા રોડ સ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના એક્ઝિબિશન ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. વધુ માહિતી આપતા જાણિતા સી.એ. હરી અરોરા તેમજ અન્યોએ જણાવ્યું હતું કે રામકથાની સંગીતમય ઢબે આકર્ષક પ્રસ્તુતી મર્મજ્ઞ જાણિતા કવિ કુમાર વિશ્વાસ દ્વારા રજૂ કરવામાં આવશે.
કુમાર વિશ્વાસની સાથે ટેલિવિઝન અને ગીત સંગીતની દુનિયાની જાણિતી હસ્તીઓ પણ ઉપસ્થિત રહીને ભગવાન શ્રી રામના મહિમાનું રસપાન કરાવશે. આ પ્રસંગે કાર્યક્રમ સ્થળે 25000 સ્કેવર ફૂટ વિસ્તારમાં અયોધ્યા ખાતે નિર્માણાધિન રામ મંદિરની પ્રતિકૃતિ પણ તૈયાર કરવામાં આવી રહી છે. આ સમગ્ર કાર્યક્રમ બિલકુલ નિશુલ્ક યોજવામાં આવ્યો છે. કોઇપણ વ્યક્તિ આ કાર્યક્રમમાં બન્ને દિવસ ઉપસ્થિત રહી શકે છે.
ભારતીય પુરુષ બેડમિન્ટન ટીમનો ફાઇનલમાં ઇન્ડોનેશિયા વિરુદ્ધ 3-0થી ઐતિહાસિક વિજય: થોમસ કપના 73 વર્ષના ઇતિહાસમાં ભારતને પહેલીવાર સુવર્ણ ચંદ્રક
બેંકોક, તા.1પ: ભારતીય પુરુષ બેડમિન્ટન ટીમ ઇતિહાસ રચ્યો છે. ભારતીય ટીમ 73 વર્ષમાં પહેલીવાર થોમસ કપમાં ચેમ્પિયન બની છે. આજે રમાયેલા ફાઇનલમાં ભારતે 14 વખતની પૂર્વ વિજેતા ટીમ ઇન્ડોનેશિયા વિરુદ્ધ 3-0થી ઐતિહાસિક જીત હાંસલ કરીને પ્રતિષ્ઠિત થોમસ કપમાં સુવર્ણ ચંદ્રક કબજે કર્યો હતો. પાંચ મેચના ફાઇનલ મુકાબલામાં ભારતે બે સિંગલ્સ અને એક ડબલ્સ મેચમાં યાદગાર વિજય મેળવીને ઇન્ડોનેશિયાને 3-0થી રોળી નાંખ્યું હતું. ભારતીય બેડમિન્ટન ટીમની આ સ્વર્ણિમ સફળતા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનંદન આપતા કહ્યંy છે કે આપની સફળતા પર દેશ ગર્વ મહેસૂસ કરી રહ્યો છે. ખાસ વાત એ રહી હતી કે ફાઇનલ પહેલા ઇન્ડોનેશિયાની ટીમ ટૂર્નામેન્ટમાં એક પણ મેચ હારી ન હતી, પણ ફાઇનલમાં ભારતીય શટલર્સ સામે નતમસ્તક થઈ ગઈ હતી.
ફાઇનલમાં ભારતીય જીતના હીરો યુવા લક્ષ્ય સેને પહેલા સિંગ્લસમાં ઇન્ડોનેશિયાના ખેલાડી એન્થોની સિનિસુકા ગિનટિંગ વિરુદ્ધ 8-21, 21-17 અને 21-16થી શાનદાર જીત મેળવી હતી. પહેલી ગેમ આસાનીથી હારી જનાર યુવા લક્ષ્ય સેને બાદમાં જોરદાર વાપસી કરીને બાકીની બે ગેમ જીતની ભારતને 1-0ની સરસાઈ અપાવી હતી. આ પછી ડબલ્સ મુકાબલામાં ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાંઇરાજ રંકીરેડ્ડીએ ઇન્ડોનેશિયાની જોડી મોહમ્મદ અનસ-કેવિન સંજયા સુકામુલજો વિરુદ્ધ 18-21, 23-21 અને 21-19થી વિજય મેળવીને ભારતને 2-0થી આગળ કરી દીધું હતું. બીજા સિંગ્લ્સ મેચમાં અનુભવી કિદાંબી શ્રીકાંતે એશિયન ગેમ્સના સુવર્ણ ચંદ્રક વિજેતા ખેલાડી જોનાથન ક્રિસ્ટીને 21-1પ અને 23-21થી હાર આપી હતી. આ જીત સાથે ભારતની 3-0થી અતૂટ સરસાઈ થઈ ગઈ હતી અને થોમસ કપના 73 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ચેમ્પિયન બની હતી.
થોમસ કપમાં અત્યાર સુધી ફક્ત પાંચ ટીમ જ ચેમ્પિયન થોમસ કપ અત્યાર સુધી 32 વખત રમાયો છે. જેમાં ફક્ત પાંચ દેશ જ ચેમ્પિયન બન્યા છે. ઇન્ડોનેશિયા થોમસ કપની સૌથી સફળ ટીમ છે. તેનાં નામે 14 ખિતાબ છે પણ આ વખતે તે ભારત સામે હાર્યું છે. ચીનનાં નામે 10 અને મલેશિયાના નામે પ ખિતાબ છે જ્યારે જાપાન અને ડેનમાર્ક એક-એક વખત ચેમ્પિયન થયા છે. હવે ભારત પહેલીવાર વિજેતા બની છે.
બ્લડમૂન તરીકે ઓળખાતી પૂર્ણ ચંદ્રગ્રહણની અસાધારણ અને અદ્ભુત ખગોળીય ઘટના રવિવારની રાતથી સોમવારની સવાર સુધી બનશે. આ ચંદ્રગ્રહણ મુખ્યત્વે સાઉથ અને નોર્થ અમેરિકા, એન્ટાર્કટિકા, યુરોપ, આફ્રિકા અને ઇસ્ટ પૅસિફિકમાં જોવા મળશે, ભારતમાં જોવા નહીં મળે. ભારતીયો આ ખગોળીય ઘટનાને અમેરિકાના નાસા (નેશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડમિનિસ્ટ્રેશન)ના લાઇવ સ્ટ્રીમ પર જોઈ શકશે.
ઇસ્ટર્ન ટાઇમ પ્રમાણે રવિવાર ૧૫ મેની રાતે ૯.૩૨ વાગ્યા (ભારતીય સમય પ્રમાણે સવારે ૭.૦૨ વાગ્યાથી ) સોમવારે પરોઢ પૂર્વે ૨.૫૦ વાગ્યા (ભારતીય સમય પ્રમાણે બપોરે ૧૨.૨૦ વાગ્યા સુધી) થનારા આ ચંદ્રગ્રહણના નાસા પર જીવંત પ્રસારણની સાથે લાઇવ કોમેન્ટ્રી પણ રહેશે. લાઇવ સ્ટ્રીમિંગનો સમય ઇસ્ટર્ન ટાઇમ પ્રમાણે રવિવારે રાતે ૧૧ વાગ્યા (ભારતીય સમય સવારે ૮.૩૩ વાગ્યા)થી ૧૨ વાગ્યા (ભારતીય સમય પ્રમાણે સવારે ૯.૩૩ વાગ્યા સુધી) રહેશે. આ ગ્રહણના પૂર્ણરૂપમાં ચંદ્ર ચમકતા નારંગીથી લાલ ઈંટ જેવા ઘેરા રંગનો થતો હોય છે. તેથી તેને બ્લડમૂન પણ કહેવાય છે. આવી ઘટના દાયકાઓમાં ક્યારેક બનતી હોય છે. અગાઉ વર્ષ ૧૯૯૨માં આવું ગ્રહણ થયું ત્યારે ચંદ્ર દૃષ્ટિમાન થતો નહોતો. એ વખતે ફિલિપાઇન્સમાં માઉન્ટ પિનાટૂબો ફાટવાના થોડા વખત પછી થયું હતું.
દેશની રાજધાનીના પશ્ચિમી વિસ્તારમાં મુંડકા મેટ્રો સ્ટેશન પાસે સ્થિત ચાર માળની વ્યાપારી બિલ્ડિંગમાં શુક્રવારે Dt.13/5/22 સાંજે આગ લાગવાથી ઓછામાં ઓછા 27 લોકોના મૃત્યુ થઈ ગયા છે અને અન્ય 12 લોકો દાઝી ગયા છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, આગ બિલ્ડિંગની પ્રથમ માળથી લાગવાની શરૂ થઈ હતી જ્યાં સીસીટીવી કેમેરા અને રાઉટર નિર્માતા કંપનીની ઓફિસ હતી. ધીરે-ધીરે આ આગ બીજા અને ત્રીજી ફ્લોર પર પણ ફેલાઈ ગઈ હતી. આગને કાબુમાં લેવા માટે 30 થી વધુ ફાયર એન્જિનોને સેવામાં લગાવવામાં આવી હતી. આ બિલ્ડીંગ પાસે ફાયર વિભાગની એનઓસી નહોતી.
આ ત્રણ માળની બિલ્ડિંગમાં પ્રથમ માળ પર મેન્યુફેક્ચરિંગ યુનિટ હતી જ્યારે બીજી માળ પર વેર હાઉસ અને ત્રીજા પર લેબ હતી. સૌથી વધારે મોત અત્યાર સુધી બીજી માળ પર થયા હોવાની માહિતી મળી છે. દુર્ઘટના દરમિયાન બીજા ફ્લોર પર મોટિવેશનલ સ્પીચ ચાલી રહી હતી. આ કાર્યક્રમના કારણે ત્યાં વધારે લોકો હાજર હતા.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.