Slider Archives - Page 89 of 491 - CIA Live

June 16, 2022
5g.jpg
1min511

ભારતમાં પણ ઇન્ટરનેટની સ્પીડને વધારતો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. હવેથી ભારતમાં પણ ૫-જી ઇન્ટરનેટ સ્પીડ મળશે. કેન્દ્ર સરકારે ૫-જી સ્પેક્ટ્રમની હરાજી પર મોહર મારી દીધી છે. નિષ્ણાતોના મતે ભારતમાં ૫-જી આવવાથી હવે હાલ જે ૪-જી છે તેના કરતા ૧૦ ગણી વધુ સ્પીડ મળશે. ટેલિકોમ કંપનીઓ પણ લાંબા સમયથી ૫-જી સ્પેક્ટ્રમની હરાજીની રાહ જોઇ રહી હતી.

કેન્દ્ર સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ૫-જી સર્વિસને ટૂંક સમયમાં રોલઆઉટ કરવામાં આવશે. અને ૭૨ ગીગાહર્ટ્ઝના સ્પેક્ટ્રમની હરાજી ૨૦ વર્ષ માટે કરવામાં આવશે. હાલ ભારતમાં ૪-જી નેટવર્ક છે. જોકે તેમ છતા અન્ય દેશોની સરખામણીએ સ્પીડ ઘણી જ ઓછી છે. એવામાં હવે ૫-જી આવી જવાથી વધુ સ્પીડ વાળા ઇન્ટરનેટનો ઉપયોગ થઇ શકશે. એક્સપર્ટનું કહેવું છે કે ૫-જી મદદથી યૂઝર્સ માત્ર કેટલીક સેકંડમાં જ ફુલ એચડી મૂવી ડાઉનલોડ કરી શકશે. જ્યારે અપલોડ સ્પીડની વાત કરીએ તો ૫-જી નેટવર્ક ૧જીબીપીએસ સુધીની ડાઉનલોડ સ્પીડ ઉપલબ્ધ કરાવી શકશે. હાલ ૪-જીમાં આ સ્પીડ ૫૦એમબીપીએસ સુધીની છે.  ૫-જી સ્પેક્ટ્રમની હરાજી જુલાઇના અંત સુધીમાં શરૂ થઇ જશે. આ હરાજી ૨૦ વર્ષ માટે કરવામાં આવશે. જેમાં ૬૦૦, ૭૦૦, ૮૦૦, ૯૦૦, ૧૮૦૦, ૨,૧૦૦ અને ૨૩૦૦ મેગાહર્ટ્ઝ બેંડની લો રેંજના સ્પેક્ટ્રમ, ૩૩૦૦ મેગાહર્ટ્ઝ બેંડના મધ્યમ રેંજના સ્પેક્ટ્રમ અને ૨૬ ગીગાહર્ટ્ઝ બેંડના હાઇરેંજ વાળા સ્પેક્ટ્રમ સામેલ છે. ડિજિટલ કનેક્ટિવીટી સરકારના મુખ્ય પ્રોજેક્ટ જેમ કે ડિજિટલ ઇંડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા વગેરે મહત્વપૂર્ણ યોજનાઓનો હિસ્સો છે. વર્ષ ૨૦૧૫ પછી દેશભરમાં ૪-જી ટેક્નોલોજીનો વિસ્તાર થયો. જેનાથી ડિજિટલ કનેક્ટિવિટી વધી ગઇ છે. આજે દેશમાં ૮૦ કરોડ ગ્રાહકો બ્રોડબેંડ સાથે જોડાયેલા ે. આ આંકડો વર્ષ ૨૦૧૪માં માત્ર ૧૦ કરોડ જ હતો. નોંધનીય છે કે ૫-જીની હરાજી માટે સ્પેક્ટ્રમની કિમત ૪.૩૧  લાખ કરોડ રૂપિયા રાખવામાં આવી છે. ઇન્ટરનેટની પાંચમી જનરેશનને ૫-જી તરીકે ઓળખવામાં આવે છે. આ એક વાયરલેસ બ્રોડબેંડ ઇન્ટરનેટ સેવા છે. જે તરંગોના માધ્યમથી હાઇસ્પીડ ઇન્ટરનેટ સેવા આપે છે. ૧૯૮૦ના દસકામાં વિશ્વમાં પ્રથમ જનરેશન એટલે કે ૧-જી ઇન્ટરનેટ સેવાનો પ્રારંભ થયો હતો. જેનો ઉપયોગ ૧૯૯૨-૯૩ સુધી થયો હતો. જ્યારે ૨-જીની શરૂઆત ૧૯૯૧માં થઇ હતી. બાદમાં ૨૦૦૧માં ૩-જી અને ૪-જીની શરૂઆત થઇ હતી. જ્યારે વિશ્વમાં ૨૦૧૦માં જ ૫-જીની શરૂઆત થઇ ગઇ હતી, એટલે કે ભારતમાં આ સેવાનો પ્રારંભ થવામાં ૧૧ વર્ષ લાગ્યા.   

5G નેટવર્કના ફાયદા

સ્પીડ : પ-જી ઇન્ટરનેટનો સૌથી મોટો ફાયદો તેની સ્પીડ છે, હાલ જે ૪-જીની સ્પીડ મળી રહી છે તે ૧૦૦એમબીપીએસ સુધીની હોય છે. ૫-જીમાં તે ૧૦ ગણી વધી જશે. હાલ લો બેંડ ૫-જી ઉપલબ્ધ કરાશે જેની સ્પીડ ૧થી ૨જીબીપીએસ સુધીની રહેશે. ૧૦થી ૨૦ સેકંડમાં બે જીબી સુધીની ફિલ્મ ડાઉનલોડ થઇ શકશે. 

કવરેજ : ૪-G નેટવર્ક હાલ મોટા ભાગના વિસ્તારોમાં ઉપલબ્ધ છે જોકે તેમ છતા અંતરિયાળ વિસ્તારોમાં હજુ તેનો લાભ નથી પહોંચ્યો, ૫-જીના માધ્યમથી ટેલીકોમ કંપનીઓને નેટવર્ક રેંજ વધારવામાં મદદરુપ થઇ શકે છે.

4કે વીડિયો કોલ : હાલ જેટલી સ્પીડ છે તેના કરતા ૧૦ગણો વધારો થશે જેનાથી યૂઝર્સ હાઇ ક્વોલિટી, અલ્ટ્રા હાઇ રિઝોલ્યૂશન અને ૪કે વીડિયો કોલ્સ કરી શકાશે. વધારે સારી કનેક્ટિવિટી અને કોલિંગ સુવિધા મળશે. એચડી ક્વોલિટીના ઓડિયો અને વીડિયો કોલિંગ કરી શકાશે. ઓનલાઇન ગેમિંગમાં ફાયદો થશે.

June 13, 2022
Sensex-down_.jpg
1min464

તા.13મી જૂન, સોમવારે સવારે એશિયન શેરબજારમાં ભારે વેચવાલી વચ્ચે ભારતીય શેરબજારના ઇન્ડેક્ષ, સેન્સેક્સ 1100થી વધુ અંકોના કડાકે ખુલ્યાં બાદ 10 કલાકે ઈન્ડેકસ 1450 ઘટીને 52,800 અને નિફ્ટી 458 પોઇન્ટ ઘટી 15,742ની સપાટીએ પટકાયા છે.

આજે 13મી જૂને બજારમાં ચોતરફ વેચવાલી જોવા મળી રહી છે. સેન્સેક્સમાં સમાવિષ્ટ શેરમાંથી માત્ર એક જ HULનો શેર 0.15% જ અપ છે બાકી તમામ 29 શેર ઘટીને કામકાજ કરી રહ્યાં છે. નિફટીના 50માંથી 3 શેર સામાન્ય સુધારો દર્શાવી રહ્યાં છે. બજારને આજે નીચે ધકેલવાનું કામ બેંકિંગ શેર, IT શેર અને બજાજ બંધુઓ કરી રહ્યાં છે. સેન્સેક્સના કડાકામાં 226 અંકોનો ફાળો રિલાયન્સનો તો ICICI બેંક 185 અંક અને ઈન્ફોસિસ 150 અંકનું યોગદાન આપી રહ્યાં છે.

આજના સત્રમાં સૌથી વધુ ઘટાડો બજાજ ફિનસર્વ અને બજાજ ફાઈનાન્સના શેરમાં જોવા મળી રહ્યો છે. આ સિવાય ICICI બેંક પણ 4.25%થી વધુ ગગડ્યો છે.

આજના સત્રમાં બ્રોડર માર્કેટમાં પણ નોંધપાત્ર વેચવાલી જોવા મળી રહી છે. 1:4ના એડવાન્સ ડિક્લાઈન રેશિયો સાથે મિડકેપ-સ્મોલકેપ ઈન્ડેકસ પણ 2.25% તૂટ્યાં છે. બીએસઈ ખાતે બંને ઈન્ડેક્સ અનુક્રમે 22,000 અને 25,200ના લેવલે કામકાજ કરી રહ્યાં છે. બીએસઈ ખાતે 518 વધનારા શેરની સામે 2453 શેર ઘટીને કામકાજ કરી રહ્યાં છે તો 125 શેરમાં કોઈ ફેરફાર નથી.

આજના સત્રમાં 190 શેરમાં લોઅર સર્કિટ તો 139 શેરમાં અપર સર્કિટ છે પરંતુ 50 શેરમાં 52 સપ્તાહની ટોચ જોવા મળી છે તો 147 શેરમાં 52 સપ્તાહનું તળિયું જોવા મળી રહ્યું છે.

બજારમાં ફુગાવા ઉપરાંત સ્ટેગફ્લેશનની દહેશત જોવા મળી રહી છે. આ સ્થિતિમાં ફુગાવો સતત વધતો રહે અને આર્થિક વિકાસ ઘટે જેના કારણે કંપનીઓની કમાણી ઘટે એવી ચિંતા જોવા મળી રહી છે.

June 12, 2022
aap.jpg
2min454

આમ આદમી પાર્ટી ગુજરાતના નવીન સંગઠનને અનુલક્ષીને પ્રદેશ પ્રભારી સંદીપ પાઠકે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સંગઠનનું નવું માળખું જાહેર કરી દેવાયું છે. 

ઈસુદાન ગઢવીને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયુક્ત મહાસચિવ તથા ઈન્દ્રનીલ રાજગુરૂને રાષ્ટ્રીય સંયુક્ત સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કૈલાશ ગઢવીને આપ ગુજરાતના ખજાનચી તથા સાગર રબારીને પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.  

આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ આજના દિવસને આમ આદમી પાર્ટીના કાર્યકરો માટે ઐતિહાસિક ગણાવ્યો હતો તથા શક્તિશાળી વિશાળ માળખાની જરૂર હોવાથી જૂનું માળખું વિખેરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત વિધાનસભાની 182 બેઠકો પર યોજવામાં આવેલી પરિવર્તન યાત્રાને લોકોનો સારો પ્રતિસાદ મળ્યો હોવાનું જણાવ્યું હતું. 

ત્યાર બાદ ઈસુદાન ગઢવીએ પદાધિકારીઓના પહેલા લિસ્ટની જાહેરાત બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા અને હજું બીજી યાદ બહાર પડશે તેમ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, એક વિધાનસભામાં 4 સંગઠન મંત્રી રહેશે. મતલબ કે, એક વિધાનસભાના 4 બ્લોક પાડવામાં આવ્યા છે. દરેક ગામમાં 11 લોકોની ટીમ બનાવવામાં આવી છે. 

પ્રદેશ પ્રભારી સંદીપ પાઠકે ઈસુદાનનો રાષ્ટ્રીય સ્તરે ઉપયોગ કરવામાં આવશે તથા યોગ્ય સમયે ગુજરાતમાં આપનો મુખ્યમંત્રી પદ માટેનો ચહેરો જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. 

કિશોર દેસાઈને મેઈન વિંગના સ્ટેટ પ્રેસિડેન્ટ (ફ્રન્ટલ ઓર્ગેનાઈઝેશન) બનાવવામાં આવ્યા છે. મનોજ સોરઠિયાને મેઈન વિંગના સ્ટેટ જનરલ સેક્રેટરી, કૈલાશ ગઢવીને મેઈન વિંગના સ્ટેટ ટ્રેઝરર, જગમલ વાળા, સાગર રબારી, રિનાબેન રાવલ, અર્જુન રાઠવાને સ્ટેટ વાઈસ પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા છે. જિતેન્દ્ર ઉપાધ્યાયને એજ્યુકેશન સેલના સ્ટેટ વાઈસ પ્રેસિડેન્ટ, બિપીન ગામિતને બિરસા મુંડા મોર્ચાના સ્ટેટ વાઈસ પ્રેસિડેન્ટ, ભેમા ચૌધરીને કો ઓપરેટિવ વિંગના સ્ટેટ પ્રેસિડેન્ટ, મહેશ કોસાવાલાને જય ભીમ મોર્ચાના સ્ટેટ પ્રેસિડેન્ટ, રાજુ કપરાડાને કિસાન વિંગના સ્ટેટ પ્રેસિડેન્ટ, પ્રણવ ઠાકરને લિગલ વિંગના સ્ટેટ પ્રેસિડેન્ટ, આરિફ અંસારીને સ્પોર્ટ્સ વિંગના સ્ટેટ પ્રેસિડેન્ટ, ગૌરી દેસાઈને મહિલા વિંગના સ્ટેટ પ્રેસિડેન્ટ, પ્રવીણ રામને યુથ વિંગના સ્ટેટ પ્રેસિડેન્ટ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

આમ આદમી પાર્ટીના ગુજરાતના નવા સંગઠન માળખામાં કુલ 850 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સંગઠનમાં 26 લોકસભા પ્રમુખ, 42 ડિસ્ટ્રિક્ટ પ્રમુખ, 679 વિધાનસભા સંગઠન મંત્રીને સ્થાન આપવામાં આવ્યું છે.

પંજાબમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત બાદ હવે આમ આદમી પાર્ટીનું ફોકસ ગુજરાત તરફ જોવા મળી રહ્યું છે. ગુજરાત વિધાન સભાની ચૂંટણીને લઈને દરેક પક્ષ કમર કસી રહ્યા છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીએ ભાજપને હરાવવા માટે એક નવી વ્યૂહરચના બનાવી છે. આમ આદમી પાર્ટીએ ભાજપને હરાવવા માટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં અને તેમના માર્ગદર્શન હેઠળ આવનારી ચૂંટણીના બાકીના મહિનાઓ માટેની નવી વ્યૂહરચના અમલમાં મૂકી છે. 

થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરીને પાર્ટીએ ગુજરાત પ્રદેશમાં સંગઠનના માળખાને વિખેર્યું હોવાની જાહેરાત કરી હતી. તેમાં પ્રમુખ સિવાયના તમામ હોદ્દાઓ પર નવેસરથી નિયુક્તિ કરવામાં આવશે તેમ જાહેર કરવામાં આવ્યું હતું. માળખાના વિસર્જન અંગે સ્પષ્ટતા કરતા ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું, કે આજ દિન સુધીનું માળખું આમ આદમી પાર્ટીની રચનાનું હતું. ગુજરાતના ખૂણે-ખૂણા સુધી આપનો સંદેશ પહોંચાડવા માટેનું હતુ પરંતુ હવે આગામી વિધાનસભાની ચૂંટણીમાં મુખ્ય વિપક્ષ તરીકે ભાજપ સામે બાથ ભીડવા નવી વ્યૂહરચના સાથે નવું માળખું બનશે.

June 10, 2022
rajya_sabha.jpg
1min469

15 રાજ્યની 57માંથી 41 બેઠકો ઉપર નિર્વિરોધ જીત પછી બાકીની 16 બેઠકો માટે
આજે ખરાખરીનો ખેલ: તોડજોડ અને ક્રોસવોટિંગની આશંકા વચ્ચે રિસોર્ટ પોલિટિક્સથી રોમાંચ
દેશનાં રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખનું આજે એલાન થયું છે પણ તે પહેલા અત્યારે સંસદનાં ઉપલા ગૃહ રાજ્યસભાની ચૂંટણીનો ગરમાવો અને ધમધમાટ ચરમસીમાએ છે. આવતીકાલે યોજાનારી ચૂંટણી અને તેનાં પરિણામો વચ્ચે હવે ગણતરીનાં કલાકો જ બચ્યા છે. આ વખતની રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણી આમ તો 1પ રાજ્યોની કુલ મળીને પ7 બેઠકો ઉપર થવાની હતી પણ ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિવસે 41 સદસ્યો નિર્વિરોધ ચૂંટાઈ આવ્યા હોવાથી હવે માત્ર 16 બેઠકો ઉપર જ કાલે ચૂંટણી યોજાશે.

અત્યાર સુધીમાં આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, તામિળનાડુ, તેલંગણ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબ એમ કુલ મળીને 11 રાજ્યોમાં વિભિન્ન પક્ષનાં 41 ઉમેદવારો બિનહરીફ જીતી ગયા છે. બાકી બચતી 16 બેઠકો માટે જ શુક્રવારે મતદાન થવાનું છે અને તેમાં કેટલીક બેઠકો ઉપર તો ભારે રોમાંચક રસાકસી જામવાની છે.
જે 16 રાજ્યસભા બેઠકો માટે આવતીકાલે ચૂંટણી યોજાવાની છે તેમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા અને કર્ણાટકની બેઠકોનો સમાવેશ થાય છે. પક્ષોને આમાં સોદાબાજીથી લઈને ક્રોસ વોટિંગ સુધીનો ડર સતાવી રહ્યો છે. ઉમેદવારો પણ તોડજોડનાં રાજકારણમાં વ્યસ્ત છે અને પક્ષોએ પોતાનાં આંકડા ટકાવી રાખવા માટે વિધાયકોને રિસોર્ટમાં છૂપાવવા સુધીની રણનીતિઓ અપનાવેલી છે. કોઈ ધારાસભ્ય આડાઅવળો ન થઈ જાય એટલે તેમની પહેરેદારી થઈ રહી છે.
મહારાષ્ટ્રની છ બેઠકો ઉપર ચૂંટણી થવાની છે. જેમાં કોંગ્રેસ, એનસીપી પાસે એક-એક બેઠક જીતવા માટે પૂરતું સંખ્યાબળ છે.

તો ભાજપ પાસે બે બેઠકો માટે તાકાત છે. આવી જ રીતે શિવસેના પાસે એક બેઠક ઉપર ઉમેદવારને રાજ્યસભામાં મોકલવાની પર્યાપ્ત સંખ્યા છે. જો કે શિવસેનાએ પોતાનાં બીજા ઉમેદવારની જીત સુનિશ્ચિત કરવાં માટે પોતાનાં સહયોગી અને અપક્ષ સહિત કુલ 30 મતની આવશ્યકતા છે.

રાજસ્થાનની વાત કરવામાં આવે તો ત્યાં 4 બેઠકો ઉપર સીધી ટક્કર છે. કોંગ્રેસનાં ત્રણ ઉમેદવાર મુકુલ વાસનિક, રણદીપ સુરજેવાલા અને પ્રમોદ તિવારી મેદાને છે. આ ત્રણેય ઉમેદવાર માટે 123 વિધાયકોનાં મતની જરૂર કોંગ્રેસને છે. બદલાતા માહોલમાં જ ફક્ત ત્રણ જ વિધાયકનાં ઉલટસુલટ થઈ જાય તો કોંગ્રેસનાં ત્રીજા ઉમેદવારની હાર પણ સંભવ છે. કારણ કે કોંગ્રેસ પાસે પોતાનાં ફક્ત 108 ધારાસભ્ય છે. એક આરએલડી, 13 અપક્ષ, બે સીપીએમ અને બે બીટીપીનાં મત કોંગ્રેસને મળે ત્યારે તેના 126 મત થઈ શકે તેમ છે. ભાજપનાં સમર્થન સાથે સુભાષ ચંદ્રા અપક્ષ ઉમેદવાર બનેલા છે. તેમને 11 મતની જરૂર છે. જેમાં તેમને ભાજપનાં 30 સરપ્લસ અને આરએલપીનાં ત્રણ વિધાયકનાં મત મળી શકે તેમ છે.
હરિયાણામાં બે બેઠકો માટે રાજ્યસભાની ચૂંટણી થશે. અહીં કાર્તિકેય શમાએ મુકાબલાને રસાકસી ભરેલો બનાવી દીધો છે. શર્માને ભાજપનું સમર્થન છે. તેમને જીત માટે 31 મતની જરૂર છે. જે અજય માકન માટે પડકાર સમાન બની ગયું છે. માકન તો જ જીતી શકશે જો તેને કોંગ્રેસનાં 31માંથી 30 વિધાયકનાં મત મળે. એવું કહેવાય છે કે, કોંગ્રેસનાં ત્રણ મત એવા છે જેણે પોતાનાં તમામ વિકલ્પો ખુલ્લા રાખ્યા છે.

કર્ણાટકમાં 4 બેઠકો ઉપર ચૂંટણી થવાની છે. પહેલા અહીં આસાન ચૂંટણી દેખાતી હતી પણ કોંગ્રેસે પ્રદેશ મહાસચિવ મન્સૂર અલીને પોતાનાં ઉમેદવાર બનાવીને પેચ ફસાવી દીધો છે. ભાજપે અહીં વિધાન પરિષદનાં સભ્ય લહેરસિંહને પોતાના ત્રીજા ઉમેદવાર બનાવ્યા છે. 224 બેઠકોની કર્ણાટક વિધાનસભામાં એક રાજ્યસભા બેઠક માટે 4પ વિધાયકનાં મતની જરૂર હોય છે. કોંગ્રેસ પાસે 70 છે પણ પક્ષે જયરામ રમેશ અને મન્સૂર અલી ખાનને મેદાને ઉતારીને લડત આપવાનું મન બનાવ્યું હતું. કોંગ્રેસને હવે બીજી બેઠક માટે વધારાનાં 20 મતની જરૂર છે.

June 9, 2022
president.jpg
1min630

ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ યોજીને રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે તારીખની જાહેરાત કરી દીધી છે. આગામી 18 જુલાઈના રોજ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાશે અને ત્યાર બાદ 21 જુલાઈના રોજ મત ગણતરી હાથ ધરવામાં આવશે અને તે દિવસે જ દેશને નવા રાષ્ટ્રપતિ મળી જશે. 

આગામી તારીખ 24 જુલાઈના રોજ વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ સમાપ્ત થવા જઈ રહ્યો છે. ત્યારે તે પહેલા જ દેશના 15મા રાષ્ટ્રપતિને ચૂંટી લેવામાં આવશે. 

Presidential Election on July 18, Results to be Announced on July 21: EC

અગત્યની તારીખો-

  • 15 જૂનના રોજ ચૂંટણી પંચ દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવશે
  • – 29 જૂન સુધી ઉમેદવારી નોંધાવી શકાશે
  • – 2 જુલાઈ સુધીમાં ઉમેદવારી પાછી ખેંચી શકાશે
  • – 18 જુલાઈના રોજ મતદાન યોજાશે
  • – 21 જુલાઈના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે અને પરિણામ જાહેર થશે. 
June 9, 2022
prithvi.jpg
1min536

કાશ્મીરી પંડિતો ઉપર થયેલા અત્યાચારનું નિરૂપણ કરતી ફિલ્મ કાશ્મીર ફાઈલ્સને દેશભરમાં ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારોએ ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી હતી હતી. હવે અક્ષય કુમારની આગામી ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મ ઉપર ટેક્સ નહી લગાવવા માટે ગુજરાત સરકારે જાહેરાત કરી છે.

અહેવાલ અનુસાર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતના ઈતિહાસને રજૂ કરતી આ મૂવી પર રાજ્યમાં કોઈ ટેક્સ નહિ વસૂલાય.

આ અગાઉ લોન્ચિંગ પૂર્વે જ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ સરકારોએ મૂવીને ટેક્સ ફ્રી કરવાની ગત ગુરુવારે જાહેરાત કરી હતી. 

ચંદ્રપ્રકાશ દ્વિવેદી દિગ્દર્શિત આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે પૂર્વ મિસ વર્લ્ડ માંનુસી છીલ્લર પણ કામ કરી રહી છે. આ ઉપરાંત, ખાસ સ્ક્રીનીંગમાં હાજર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ પોતાના રાજ્યમાં ફિલ્મ ઉપર કોઇપણ ટેક્સ લેવામાં નહી આવે એવી જાહેરાત કરી હતી. 

અઢી કલાક લાંબી આ ફિલ્મ માતૃભૂમિ માટેનો જંગ જ નહી પણ એ સમયની સંસ્કૃતિનું પણ નિરૂપણ કરે છે એમ જણાવતા અમિત શાહે સ્કીનિંગ વખતે કહ્યું હતું કે જે લોકો મહિલા સશક્તિકરણની અત્યારે વાત કરી રહ્યા છે તેમણે આ ફિલ્મ ચોક્કસ જોવી જોઈએ. ઘોરીને પૃથ્વીરાજ ચૌહાણે 1191ના યુદ્દમાં પરાસ્ત કર્યો હતો પણ બીજા વર્ષે તે હારી ગયા હતા. 

વર્ષ 1025માં મોહમ્મદ ઘોરીના આક્રમણથી શરુ થયેલી આ લડાઈ ભારતની આઝાદી સાથે ખત્મ થઇ છે. અહી ઉલ્લેખનીય છે કે ઘોરીએ ગુજરાતના કાંઠે આવેલા સોમનાથ મંદિરને એક કરતા વધારે વખત તોડી પાડી લુંટ ચલાવી હતી.

Prithviraj Poster: Akshay Kumar, Manushi Chhillar set to present a tale of  valour as the emperor & his beloved | PINKVILLA
June 9, 2022
mask_in_flights.jpg
1min494

એવિયેશન રેગ્યુલેટર DCGAએ એરપોર્ટ અને હવાઈ મુસાફરી દરમિયાન માસ્ક ન પહેરનારાઓની સામે કડક વલણ અપનાવ્યું છે. તેમણે કહ્યું છે કે જે મુસાફરોએ માસ્ક નહી પહેર્યુ હોય તેમને અનિયંત્રિત ગણવામાં આવશે અને વિમાનનું ટેક ઓફ થાય તે પહેલા તેમને ફ્લાઈટમાંથી બહાર નીકાળવામાં આવશે. 

તાજેતરમાં કોરોનાના કેસોમાં થયેલો વધારો જોતા આ સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. DCGAએ બુધવારના રોજ એટલે કે આજે જણાવ્યું કે, CISFના જવાન માસ્કના નિયમનો અમલ કરશે. જો કોઈ પણ મુસાફર આ નિયમોને અનુસરવાની ના પાડશે તો તેને વિમાનના ટેક ઓફ પહેલા જ ઉતારી શકાશે.

ઉલ્લેખનીય છે કે DCGAની આ ગાઈડલાઈન દિલ્હી હાઈકોર્ટ તરફથી કોવિડ સુરક્ષાના ઉપાયોનું પાલન કરવાની ના પાડતા મુસાફરો સામે કડક પગલા લેવાના આદેશ બાદ આવી છે. હાઈકોર્ટે 3 જૂનના રોજ પોતાના આદેશમાં કહ્યું હતું કે, કોરોના મહામારી હજું સમાપ્ત થઈ નથી અને જો મુસાફરો વારંવારના રીમાઈન્ડર છતાં પણ પ્રોટોકોલનું પાલન કરવાની ના પાડતા હોય તો તેમની સામે સ્વાસ્થ્ય મંત્રાલય અને DCGAની ગાઈડલાઈન પ્રમાણે પગલા લેવા જોઈએ. 

કોર્ટે કહ્યું હતું કે આવા મુસાફરોને ‘નો ફ્લાય લિસ્ટ’માં મૂકી શકાય છે અથવા આગળની કડક કાયદેસર કાર્યવાહી માટે સુરક્ષા એજન્સીઓને સોંપી શકાય છે. કોર્ટે જણાવ્યું હતું કે અમારી વિચારણા પ્રમાણે આ જ સાચું પગલું હશે કારણકે હજુ કોરોના મહામારી સમાપ્ત નથી થઈ અને ફરીથી તેનું જોર વધી રહ્યું છે.

June 9, 2022
nupur-1280x1195.jpg
1min513

પયગંબર મોહમ્મદ વિરુદ્ધ કથિત ટિપ્પણી કરવા બદલ ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા નુપુર શર્માની મુશ્કેલી વધી ગઈ છે. દિલ્હી પોલીસે ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા અને દિલ્હી ભાજપના પૂર્વ નેતા નવીન કુમાર જિંદાલ સહિત સોશિયલ મીડિયા પર નફરત ફેલાવવા બદલ કેટલાક લોકો વિરુદ્ધ FIR નોંધી છે. જેમાં ભાજપની પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા અને દિલ્હી ભાજપના પૂર્વ નેતા નવીન કુમાર જિંદલનું નામ પણ સામેલ છે. દિલ્હી પોલીસે બુધવારે જણાવ્યું હતું કે, તેમણે કેટલાક લોકો સામે કેસ નોંધ્યો છે જેઓ કથિત રીતે નફરતના સંદેશાઓ ફેલાવી રહ્યા છે એટલે કે હેટ મેસેજ ફેલાવી રહ્યા છે. જુદા જુદા જૂથોને ઉશ્કેરી રહ્યા છે અને એવી સ્થિતિ સર્જી રહ્યા છે કે, જે જાહેર શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે હાનિકારક છે.

દિલ્હી પોલીસે જણાવ્યું કે, સ્પેશિયલ સેલના ઈન્ટેલિજન્સ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશન યુનિટે નુપુર શર્મા અને નવીન જિંદાલ સહિત લગભગ 9 લોકો વિરુદ્ધ FIR નોંધી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે  FIRમાં નૂપુર શર્મા, નવીન કુમાર જિંદલ, શાદાબ ચૌહાણ, સબા નકવી, મૌલાના મુફ્તી નદીમ, અબ્દૂર રહેમાન, ગુલઝાર અંસારી, અનિલ કુમાર મીણા અને પૂજા શકુનનું નામ સામેલ છે. આ બધા પર ઉશ્કેરણીજનક નિવેદન દ્વારા માહોલ ખરાબ કરવાનો આરોપ છે. 

ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ કેપીએસ મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, FIR વિવિધ ધર્મો વિરુદ્ધ નિવેદનોથી સંબંધિત છે. મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, યુનિટ સાયબર સ્પેસ પર અશાંતિ પેદા કરવાના ઈરાદાથી જૂઠી અને ખોટી માહિતીને પ્રોત્સાહન આપવામાં વિવિધ સોશિયલ મીડિયા સંસ્થાઓની ભૂમિકાની તપાસ કરશે. તમને જણાવી દઈએ કે, ટીવી ડિબેટમાં કથિત વિવાદાસ્પદ ધાર્મિક ટિપ્પણી માટે ભાજપ નેતા નૂપુર શર્માને સસ્પેન્ડ કરવાના વિવાદ વચ્ચે આ મામલે સામે આવ્યો છે. આ અગાઉ નૂપુર શર્માની વિરુદ્ધ મુંબઈમાં પણ FIR નોંધવામાં આવી ચૂકી છે. 

પયગંબર મોહમ્મદ પર કથિત ટિપ્પણી બાદ નૂપુર શર્માને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. જેને લઈને દિલ્હી પોલીસે FIR નોંધી હતી અને નૂપુર શર્મા તથા તેમના પરિવારને સુરક્ષા પૂરી પાડી હતી. નુપુર શર્માએ તેમને મળી રહેલી ધમકીઓનો હવાલો આપતા પોલીસને સુરક્ષા પ્રદાન કરવાની વિનંતી કરી હતી.

June 9, 2022
mithali-raj.jpg
1min672
Mithali Raj retires from international cricket

ભારતીય મહિલા ક્રિકેટની સર્વકાલિન મહાન ખેલાડી અને ટેસ્ટ-વન ડે ટીમની કપ્તાન મિતાલી રાજે આજે ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કર્યું છે. આ સાથે મિતાલી રાજની 22 ગજની પીચ પર 23 વર્ષથી ચાલી રહેલી શાનદાર સફરનો અંત આવ્યો છે. મિતાલીએ 2019માં ટી-20 ઇન્ટરનેશનલમાંથી સંન્યાસ લીધો હતો. હવે આજે તેણે તમામ પ્રકારના ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્ત થવાની જાહેરાત કરી છે. મિતાલી રાજ દેશની પહેલી મહિલા ક્રિકેટર છે જેને અર્જુન એવોર્ડ, પદ્મશ્રી અને ખેલરત્ન એવોર્ડથી ભારત સરકારે સન્માનિત કરી છે. મિતાલી રાજ મહાન સચિન તેંડુલકરની જેમ 20 વર્ષથી વધુ ભારત માટે આંતરારાષ્ટ્રીય ક્રિકેટ રમી છે. મહિલા ક્રિકેટમાં તેણીનાં નામે સૌથી વધુ ઇન્ટરનેશનલ રન (ત્રણેય ફોર્મેટ) 10,868 છે.

1999માં 16 વર્ષની વયે ભારત તરફથી પદાર્પણ કરનાર મિતાલી રાજની મહિલા વિશ્વ ક્રિકેટમાં સર્વકાલિન મહાન ખેલાડી પૈકિની એકમાં થાય છે. મિતાલીએ તેની 23 વર્ષની શાનદાર કેરિયર દરમિયાન 12 ટેસ્ટ, 232 વન ડે અને 89 ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેના સુકાનીપદ હેઠળ ભારત બે વખત વિશ્વ કપના ફાઇનલમાં પહોંચ્યું છે. જો કે તે ભારતીય મહિલા ટીમને વિશ્વ વિજેતા બનાવવાનું સપનું સાકાર કરી શકી નથી.

મહિલા વન ડે ક્રિકેટમાં મિતાલી રાજનાં નામે સૌથી વધુ 780પ રન કરવાનો રેકોર્ડ છે. જેમાં 7 સદી અને 64 અર્ધસદી છે. ટેસ્ટ ક્રિકેટમાં તેણીના ખાતામાં 43.68ની સરેરાશથી કુલ 699 રન છે જ્યારે ટી-20 ઇન્ટરનેશનલમાં 2364 રન બનાવ્યા છે. વન ડે પદાર્પણ સાથે જ મિતાલીએ સદી ફટકારી હતી. ટેસ્ટ ક્રિકેટમાં બેવડી સદી કરનારી મિતાલી એકમાત્ર ભારતીય મહિલા ખેલાડી છે.

મિતાલી રાજે સોશિયલ મીડિયા પર નિવૃત્તિની જાહેરાત કરતા લખ્યું છે કે હું ભારતની’ બ્લ્યૂ જર્સી પહેરવાની યાત્રા પર નીકળી હતી, કારણ કે દેશનું પ્રતિનિધિત્વ કરવું સૌથી મોટું સન્માન છે. મેં આ યાત્રા દરમિયાન વિશેષ ક્ષણો માણી. કેટલાક મુશ્કેલ તબક્કાનો પણ સામનો કર્યો. દર વખતે મને કંઈક નવું શિખવા મળ્યું. પાછલાં 23 વર્ષ મારા જીવનના સૌથી સંતોષજનક, ચુનૌતિપૂર્ણ અને આનંદદાયક વર્ષ રહ્યા. પૂરી યાત્રાનો આનંદ લીધો. તેનો અંત થવાનો જ હતો. આજે એ દિવસ છે જ્યારે હું આંતરાષ્ટ્રીય ક્રિકેટના તમામ સ્વરૂપમાંથી સંન્યાસ લઈ રહી છું.

June 9, 2022
rain_forecast.png
1min476

કેરળમાં નૈર્ઋત્ય મોસમી વાયરાનું આગમન થયા બાદ મોન્સૂન કર્ણાટકના કિનારા પાસે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને ત્યાર પછી ગોવામાં તેનું આગમન થયું હતું. સમય પહેલાં જ મહારાષ્ટ્રમાં મોન્સૂન દાખલ થશે, એવો હવામાન ખાતાનો અંદાજ જોકે ભૂલભરેલો હતો. હવે ૧૨થી ૧૩મી જૂન દરમિયાન મોન્સૂન દાખલ થશે, એવી નવી માહિતી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી હતી. દરમિયાન આગામી દિવસમાં કોંકણ સહિત મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને વિદર્ભ એમ તમામ ઠેકાણે પ્રિ-મોન્સૂન વરસાદ પડવાની શક્યતા છે.

ઉત્તર મહારાષ્ટ્રમાં અમુક જિલ્લાને બાદ કરતાં મહારાષ્ટ્રના મોટા ભાગના જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા વર્તાવવામાં આવી હતી. મુંબઈ સહિત થાણે, પાલઘર, નંદુરબાર, ધુળે, જળગાંવ, ભંડારા અને ગઢચિરોલીને બાદ કરતાં મહારાષ્ટ્રમાં વરસાદનું મોજું ફરી વળશે, એવું હવામાન ખાતાનાં સૂત્રોએ જણાવ્યું હતું. જે ભાગમાં વરસાદ પડવાનો છે ત્યાં હવામાન ખાતાએ એલર્ટ રહેવાની સૂચના આપી હતી. સંબંધિત જિલ્લામાં બુધવારે સવારથી મોડી સાંજ સુધી આકાશ ગોરંભાયેલું રહ્યું હતું, પણ વરસાદ નહોતો પડ્યો. આથી અહીં ગમે ત્યારે પ્રિ-મોન્સૂન થાય એવો અંદાજ વર્તાઈ રહ્યો હતો. આગામી પાંચ દિવસ આવા જ રહેશે, એવું હવામાન ખાતાએ જણાવ્યું હતું.

મહારાષ્ટ્રમાં મોન્સૂનના આગમન માટે પોષક હવામાન તૈયાર થઇ રહ્યું છે. આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન દક્ષિણ કોંકણમાં અનેક ઠેકાણે વીજળીના કડાકા સાથે જોરદાર વરસાદ પડશે, એવું હવામાન ખાતાનાં સૂત્રોએ જણાવ્યું હતું. હવામાનની આ સ્થિતિ મોન્સૂનના આગમન માટે લાભદાયી નીવડશે.

દરમિયાન હવામાન ખાતાએ બુધવારે પુણે સહિત સાંગલી, સાતારા, કોલ્હાપુર, રાયગડ, રત્નાગિરિ, સિંધુદુર્ગ, સોલાપુર, ઉસ્માનાબાદ, લાતુર, બીડ, એહમદનગર, ઔરંગાબાદ, જાલના, નાંદેડ, પરભણી, હિંગોલી, નાશિક, બૂલઢાણા, અકોલા, વાશીમ, યવતમાળ, અમરાવતી, વર્ધા, નાગપુર, ચંદ્રપુર અને ગોંદિયા જિલ્લાને યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી સમયમાં આ ઠેકાણે મેઘગર્જના સહિત વરસાદ પડવાની શક્યતા છે, એવું હવામાન ખાતાનાં સૂત્રોએ જણાવ્યું હતું.