Slider Archives - Page 50 of 488 - CIA Live

September 19, 2024
navratri.png
1min265

લેબર વર્ક તેમજ રો મટીરીયલ્સના ભાવ આસમાને પહોંચતા ટ્રેડિશ્નલ ડ્રેસ અને આભૂષણો મોંઘાદાટ બન્યા

યુવાનોને સૌથી વધુ આકર્ષતા નવલા નવરાત્રિ મહોત્સવને આડે હવે ગણત્રીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે નવરાત્રિ મહોત્સવમાં ખાસ અલાયદા અને સૌ કોઈને ઉડીને આંખે વળગી જાય તેવા મનોહર અલાયદા ટ્રેડિશ્નલ વસ્ત્રો અને આભૂષણોની ખરીદી માટે સુરત શહેર અને જિલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાતભરના વિવિધ બજારોમાં ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે. અગાઉના વર્ષોની તુલનામાં નવરાત્રિના ટ્રેડિશ્નલ ડ્રેસ અને આભૂષણોના ભાવમાં દોઢ ગણો વધારો થયો હોવા છતાં પણ તેની લોકપ્રિયતા આજની તારીખે પણ અકબંધ રહેવા પામેલ છે.

નવરાત્રિ મહોત્સવ દરમિયાન દરરોજ અલગ અલગ જાતના અને જોતાવેત જ મન મોહી લે તેવા વસ્ત્રો અને આભૂષણો પહેરીને યુવાનો રાસ ગરબાના ગ્રાઉન્ડમાં સૌથી અલગ અને ચિત્તાકર્ષક દેખાવા માટે એકાદ માસ અગાઉથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે. યુવાનો સૌથી પ્રથમ પ્રાચીન અને અર્વાચીન રાસ ગરબાના તાલીમ વર્ગ જોઈન કરી દેતા હોય છે બાદ ગૃપવાઈઝ અલગ અલગ એકસરખા પરપ્રાંતીય થીમ અને લૂક ધરાવતા વસ્ત્રોની ખરીદી માટે ૨૫ દિવસ અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે.

નવરાત્રિમાં પાંચ વર્ષથી લઈને મોટેરાઓ સુધી જાત જાતના અને ભાત ભાતના આભૂષણો અને વસ્ત્રોની ખરીદી માટે સુરતના લગભગ દરેક વિસ્તારોમાં શરૂ કરાયેલા નવરાત્રીના સ્ટોલ્સ પરથી સુરતીઓ મોટા પાયે ખરીદી કરી રહ્યા છે.

નવરાત્રિમાં બહેનો માટેના ચણીયાચોળી, સનેડો, ગામઠી, કચ્છી સંસ્કૃતિવાળા ચણીયાચોળી, બ્રોકેડ પટ્ટાવાળા નવરંગી ઓઢણી અને લગડી પટ્ટાવાળા ચણીયાચોળી કેટલાક યંગસ્ટર્સમાં ખાસ ડિમાન્ડ રહી છે. પ્રતિ વર્ષે નવરાત્રિ મહોત્સવના ૨૦ થી ૨૫ દિવસ અગાઉથી જ તેનું વેચાણ શરૂ થઈ જાય છે.

ખાસ કિસ્સામાં શહેરમાં શ્રમિક બહેનો દ્વારા વિવિધ જ્ઞાતિ, સમાજની વાડી, બોર્ડિંગ, હોટલ તેમજ કોમર્શિયલ બિલ્ડિંગોના ખાલી હોલમાં સેલના સ્ટોલ્સ શૂ કર્યા છે. કોલેજીયન ભાઈઓ તથા બહેનો ઉપરાંત નવવિવાહિતોનો સારો એવો ખરીદીનો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. આ સેલમાં ભાઈઓ માટેના નવરાત્રિના વસ્ત્રમાં બાટીક પ્રિન્ટ, બાંધણીવાળા, બ્લોક પ્રિન્ટવાળા, કેડીયુ, ચોરણી, વર્કવાળા કુર્તા, ઝભ્ભા અને જીન્સનો ક્રેઝ યથાવતપણે જોવા મળી રહ્યો છે.

મહિલાઓ માટેના આભૂષણોમાં દામણી, કલરવાળા બાજુ, બલોયા, બે અને ત્રણ સ્ટેપવાળા ડોકીયા, કંદોરા, વેરાયટીવાળી માળાઓ, ટીકા, બુટ્ટી, ડોળીયા, પોખાની અને ઓકસોડાઈઝના સેટની ખરીદી માટે ખેલૈયાઓનો સારો એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કમ્મરતોડ મોંઘવારીના કારણે કાપડના ભાવ વધ્યા છે એટલુ જ નહિ, વસ્ત્ર ઉપરના વર્ક માટેના લેબરવર્કના ભાવ પણ વધ્યા છે. જયારે આભૂષણો માટેના વિવિધ આવશ્યક રો મટીરીયલ્સના ભાવ પણ વધી રહ્યા હોય વસ્ત્રો અને આભૂષણો માટેના રો મટીરીયલ્સના ભાવ પણ દોઢ ગણા વધી ગયા છે તેમ છતાં પણ તેની ડિમાન્ડ યથાવત જોવા મળી રહેલ છે. આ વર્ષે પણ નવરાત્રિમાં મન મુકીને રમવા માટે યુવાનોમાં ભારે ઉત્સાહ જણાઈ રહ્યો હોય ટ્રેડિશ્નલ ડ્રેસ અને આભૂષણો માટેના સાર્વજનિક અને ઘરઘરાઉ એકઝીબીશન કમ સેલની સંખ્યામાં નોંધપાત્ર પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે.

જુની સાડી અને સેલામાંથી ડ્રેસ તૈયાર કરાવવાનો ક્રેઝ યથાવત

કાળઝાળ મોંઘવારી સહિતના કારણે યુવાન સંતાનો માટે દર વર્ષે નવી નવી ડિઝાઈનના ટ્રેડિશ્નલ વસ્ત્રો અને ચણીયાચોળી વગેરેની ખરીદી કરવી મધ્યમવર્ગીય પરિવારોને પોષાય તેમ ન હોય અનેક પરિવારોની ગૃહિણીઓ દ્વારા તેમની જુની સાડી, સેલા તેમજ ડિઝાઈનર ડ્રેસમાંથી પણ તેમના સંતાનો માટે ચણીયાચોળી તૈયાર કરાવતી હોય છે.

September 18, 2024
supreme.jpg
1min279

દેશમાં છેલ્લા ઘણા સમયથી ગુનાહિત કૃત્યના આરોપીઓના ઘર પર બુલડોઝર ફેરવી દેવાનો ટ્રેન્ડ (Bulldozer action) વધી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે (Supreme Court) અગાઉ બુલડોઝર એક્શન સામે લાલ આંખ કરી હતી. Date 17 September મંગળવારે સુપ્રીમ કોર્ટે સમગ્ર ભારતમાં બુલડોઝર ડિમોલિશનને 1 ઓક્ટોબર સુધી રોક લગાવી દીધી છે, જોકે જાહેર રસ્તાઓ, જળાશયો, રેલ્વે લાઇન પર ડિમોલિશન કરી શકાશે.

સુપ્રીમ કોર્ટ કહ્યું કે મ્યુનિસિપલ કાયદા હેઠળ મિલકતોને ક્યારે અને કેવી રીતે તોડી શકાય તે અંગે અમે નિર્દેશો બનાવીશું.

ગયા અઠવાડિયે, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ હૃષિકેશ રોય, સુધાંશુ ધુલિયા અને એસવીએન ભાટીની બનેલી સર્વોચ્ચ અદાલતની બેન્ચે “બુલડોઝર જસ્ટીસ”ની ટીકા કરી હતી અને કહ્યું હતું કે કાયદો સર્વોચ્ચ હોય તેવા દેશમાં આ રીતે ઘર તોડી પાડવું અસ્વીકાર્ય છે.

ગુજરાતમાં ખેડા જિલ્લાના કાઠલાલમાં પ્રશાસને એક પરિવારના ઘરને બુલડોઝ કરવાની ધમકી આપી હતી, પરિવારના એક સભ્યનું નામ FIRમાં છે. જમીનના સહ-માલિક અરજદારે પ્રસાશન એક્શન સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. અરજદારના વકીલે રજૂઆત કરી હતી કે તેમના પરિવારની ત્રણ પેઢીઓ આ મકાનોમાં લગભગ બે દાયકાથી રહે છે.

સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું, “એક દેશમાં જ્યાં રાજ્યના એક્શન કાયદાના શાસન દ્વારા સંચાલિત થાય છે, ત્યાં પરિવારના એક સભ્ય દ્વારા કરાયેલા કાયદાના ઉલ્લંઘન બદલ પરિવારના અન્ય સભ્યો પર કે તેમના કાયદેસર રીતે બાંધવામાં આવેલા નિવાસસ્થાન સામે કાર્યવાહી કરી શકાય નહીં. ગુનામાં કથિત સંડોવણી મિલકતને તોડી પાડવા માટે કારણ ન હોઈ શકે.”

September 18, 2024
harmanpreet-singh-act-win-600-1726599585.jpg
1min353

કેપ્ટન હરમનપ્રીતે મદદ કરતા જુગરાજે ગોલ કરીને ઈતિહાસ રચાવ્યો

એશિયન ચેમ્પિયન ટ્રોફી 2024ની ફાઈનલમાં ભારતીય હોકી ટીમે ચીનને 1-0થી હરાવ્યું. મેચની શરુઆતમાં બંને ટીમ તરફથી કોઈ ગોલ કરવામાં આવ્યો નહોતો, ત્યાર બાદ અંતિમ પડાવમાં જુગરાજ સિંહે છેલ્લી મિનિટમાં ગોલ કરીને ભારતીય ટીમને પાંચમી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતવાનું ગૌરવ અપાવ્યું છે.

સતત પાંચમી વખત ભારતીય ટીમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. ચીને પહેલી વખત ફાઈનલ સુધી પહોંચ્યું હતું, પરંતુ પહેલી વખત ડ્રેગન ઘરભેગું થયું હતું. પહેલા ક્વાર્ટરમાં બંને ટીમ તરફથી એક પણ ટીમ એક પણ ગોલ કરી શકી નહોતી. ભારતીય ટીમે ગોલ કરવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ તેમાં સફળતા મળી નોહતી. ભારતીય ટીમને એક તબક્કે બે પેનલ્ટી કોર્નર પણ મળ્યા હતાં. બીજા ક્વાર્ટરમાં બંને ટીમ તરફથી કોઈ ગોલ કરી શકી નહોતી. ચીનનું ડિફેન્સ મજબૂત રહ્યું હતું, જ્યારે ભારતીય ટીમનું આક્રમક પ્રદર્શન પણ કાબીલે દાદ આપનારું રહ્યું હતું.

ત્રીજા ક્વાર્ટરમાં ચીન તરફથી અનેક વખત આક્રમણ થયું હતું, પરંતુ ભારતીય ગોલકીપર કૃષ્ણા પાઠક આગળ કંઈ કરી શક્યા નહોતા. જોકે, આજની મેચમાં છેલ્લે છેલ્લે ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહે મદદ કરતા છેલ્લી ઘડીએ જુગરાજ ગોલ કરવામાં સફળ રહ્યો હતો. જુગરાજે 51મી મિનિટમાં ગોલ દાગીને ચીનને પરાસ્ત કરવામાં સિંહફાળો આપ્યો હતો. આ જીત સાથે ભારતીય ટીમને ગોલ્ડ મળ્યો છે, જ્યારે ચીનને સિલ્વર મેડર જીત્યો છે. બીજી બાજુ પાકિસ્તાન ત્રીજા ક્રમે રહ્યું છે. પાકિસ્તાને દક્ષિણ કોરિયાને 5-2થી હરાવ્યું છે.

અહીં એ જણાવવાનું કે ભારતીય હોકી ટીમનું એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન રહ્યું હતું. લાગલગાટ તબક્કાવાર ધુરંધર ટીમોને હરાવી હતી. છેલ્લે સેમી ફાઈનલમાં ભારતીય ટીમે દક્ષિણ કોરિયાની ટીમને આક્રમક રીતે હરાવ્યું હતું. સેમી ફાઈનલની મેચમાં કોરિયાઈ ટીમ સામે હરમનપ્રીત સિંહ, ઉત્તમ સિંહ અને જરમનપ્રીત સિંહે ગોલ કર્યો હતો. કેપ્ટન હરમનપ્રીત સિંહે બે ગોલ કર્યાં હતા.

September 18, 2024
Atishi-Marlena.jpeg
1min341

દિલ્હીના આગામી મુખ્ય પ્રધાન આતિશી( Atishi Marlena) બનશે. અરવિંદ કેજરીવાલે તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો છે.
જેલમાંથી જામીન પર બહાર આવ્યા બાદ, કેજરીવાલે રવિવારે પાર્ટીના કાર્યકરોને સંબોધિત કરતા જાહેરાત કરી હતી કે તેઓ બે દિવસમાં રાજીનામું આપવાનો નિર્ણય જાહેર કર્યો હતો. AAP ના વિધાનસભ્યોએ મુખ્ય પ્રધાન પદના સંભવિત ઉમેદવારોની ચર્ચા કરવા માટે બેઠકો યોજી હતી.

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ મંગળવારે સાંજે 4:30 વાગ્યે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને મળશે અને તેમનું રાજીનામું સોંપે તેવી શક્યતા છે.

અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટી (AAP)ના વિધાનસભ્ય દળની બેઠકમાં અતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. વિધાનસભ્યો સંમત થયા હતા.

અગાઉ, આમ આદમી પાર્ટી (AAP)ની પોલીટીકલ અફેર્સ કમિટી (PAC)ના નેતાઓએ દિલ્હીના આગામી મુખ્ય પ્રધાન તરીકે આતિશીનું નામ સૂચવ્યું હતું. ગઈકાલે સોમવારે PACની બેઠક યોજાઈ હતી.

September 2, 2024
gujarat_rain_map.jpg
1min279

રાજ્યમાં વહેલી સવારથી દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતનના વિસ્તારોમાં સારો એવો વરસાદી વરસી રહ્યો છે, ત્યારે સુરતથી લઈને અમદાવાદ સુધીમાં વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. જેમાં મેઘરાજાએ ગુજરાતનાં 111 તાલુકા તરબોળ કરી દીધા છે. જ્યારે તાપીના સોનગઢ-વ્યારામાં આઠ ઈંચ, ડાંગના વઘઈમાં પોણા આઠ ઈંચ, તાપીના ઉચ્છલ અને ડોલવણમાં પોણા સાત ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે અમદાવાદના અનેક વિસ્તારોમાં દોઢ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. બીજી તરફ, હવામાન વિભાગ દ્વારા આગામી 7 સપ્ટેમ્બર સુધી રાજ્યના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય-ઉત્તરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

તાપીના સોનગઢ-વ્યારામાં સૌથી વધુ આઠ ઈંચ વરસાદ

દક્ષિણ ગુજરાતના તાપી, સુરત, ડાંગ સહિતના વિસ્તારોમાં આજે (2 સપ્ટેમ્બર) ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેમાં તાપીના સોનગઢ-વ્યારામાં સૌથી વધુ આઠ ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે ડાંગના વઘઈમાં પોણા આઠ ઈંચ, તાપીના ઉચ્છલ અને ડોલવણમાં પોણા સાત ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત, 35થી વધુ તાલુકામાં બે ઈંચ અને 58 તાલુકામાં એક ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો છે.

રાજ્યમાં દક્ષિણ ગુજરાત સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે, ત્યારે સાબરકાંઠાના વિજયનગર તાલુકાના ધોધમાર વરસાદને પગલે ચંદવાસા ગામમાં વરસાદી પાણી ફરી વળતા ગ્રામલોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદને કારણે નદીનું ગામ અને રસ્તાઓ પર પાણી ભરાયા છે.

સુરતમાં ભારે વરસાદી માહોલ વચ્ચે પૂર્ણા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન નદીનું પાણી મિયાપુર ગામ પાસેના સ્ટેટ હાઈવેમાં પાણી ફરી વળતા હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. જ્યારે પરિવહન કરતાં વાહન ચાલકોને હાલાકી પડી રહી છે.

રાજ્યમાં અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અમદાવાદમાં એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ગાંધીનગરમાં એક કલાકમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં સૌથી વધુ નરોડામાં અઢી ઇંચ અને ઓઢવમાં બે ઇંચ, વિરાટ નગર અને મણીનગરમાં દોઢ ઇંચ, વટવામાં સવા ઇંચ, નિકોલમાં એક ઇંચ, મેમ્કોમાં એક ઇંચ અને ચકુડીયામાં એક ઇંચ વરસાદ ખાબક્યો છે.

August 27, 2024
rajyasabha.jpg
2min268

રાજ્યસભાની પેટાચૂંટણીમાં ભાજપના નવ સભ્યો અને સાથી પક્ષોના બે સભ્યો બિનહરીફ ચૂંટાઈ આવતાં સત્તારૂઢ એનડીએ ગૃહમાં બહુમતીના આંકડા સુધી પહોંચી ગયું હતું. નવ સભ્યોના ઉમેરા સાથે રાજ્યસભામાં ભાજપનું સંખ્યાબળ 96 પર પહોંચી ગયું છે જ્યારે એનડીએનું સંખ્યાબળ 112 પર પહોંચી ગયું છે. અન્ય બિનહરીફ ચૂંટાયેલા સભ્યોમાં એનડીએના ઘટકપક્ષો એનસીપી (અજિત પવાર જૂથ)ના નીતિન પાટીલ અને રાષ્ટ્રીય લોક મંચના ઉપેન્દ્ર કુશવાહાનો સમાવેશ થાય છે. શાસક ગઠબંધનને છ નોમિનેટેડ સભ્યો અને એક અપક્ષ સભ્યનું સમર્થન પણ છે.

આ પેટાચૂંટણીમાં કોંગ્રેસના એક સભ્ય પણ બિનવિરોધ ચૂંટાયા છે, જેના કારણે રાજ્યસભામાં વિપક્ષની સંખ્યા વધીને 85 થઈ ગઈ છે.

રાજ્યસભામાં 245 બેઠકો છે, જોકે હાલમાં આઠ બેઠકો જમ્મુ-કાશ્મીરમાંથી ચાર અને ચાર નોમિનેટેડ બેઠક ખાલી છે. ગૃહની વર્તમાન સભ્ય સંખ્યા 237 છે, બહુમતીનો આંકડો 119 છે.

બિનહરીફ ચૂંટાયેલા ભાજપના ઉમેદવારોમાં

  • આસામના મિશન રંજન દાસ અને
  • રામેશ્વર તેલી,
  • બિહારથી મનન કુમાર મિશ્રા,
  • હરિયાણાથી કિરણ ચૌધરી,
  • મધ્ય પ્રદેશથી જ્યોર્જ કુરિયન,
  • મહારાષ્ટ્રમાંથી ધૈર્યશીલ પાટીલ,
  • ઓડિશાના મમતા મોહંતા,
  • ત્રિપુરાના રાજીવ ભટ્ટાચારજી અને
  • રાજસ્થાનના રવનીત સિંહ બિટ્ટુનો સમાવેશ થાય છે.

તેલંગણામાંથી કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવી બિનહરીફ ચૂંટાયા છે. જ્યારે એનસીપીના અજિત પવાર જૂથના નીતિન પાટીલ મહારાષ્ટ્રમાંથી ચૂંટાયા છે અને આરએલએમના ઉપેન્દ્ર કુશવાહા બિહારથી ઉપલા ગૃહમાં પહોંચ્યા છે.

રાજ્યસભાની પેટાચૂંટણીમાં મતદાન પહેલાં જ ભાજપનું ખાતું ખૂલ્યું, રવનીત સિંહ બિટ્ટુ, ઉપેન્દ્ર કુશવાહા અને મનન મિશ્રા બિનહરીફ ચૂંટાયા

એનડીએ છેલ્લા એક દાયકાથી રાજ્યસભામાં બહુમતનો આંકડો હાંસલ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આનાથી તેના માટે બિલ પાસ કરાવવામાં સરળતા રહેશે.

છેલ્લા કેટલાક વર્ષોમાં વિપક્ષે વારંવાર સરકારી બિલોને ઉપલા ગૃહમાં રોકી પાડ્યા હતા.
બહુમતીના આંકને સ્પર્શ્યા પછી ભાજપે મહત્વના બિલો પસાર કરવા માટે હવે બીજેડી, વાયએસઆર, બીઆરએસ, એઆઈએડીએમકે જેવા પક્ષો પર આધાર રાખવો પડશે નહીં.

બીજી તરફ કોંગ્રેસની રાજ્યસભામાં વિપક્ષના નેતાની ખુરશી પણ સુરક્ષિત રહેશે. રાજ્યસભામાં કોંગ્રેસના સંખ્યાબળમાં એકનો વધારો થતાં આ સંખ્યા બળ હવે 27 થયું છે, જે વિપક્ષના નેતા પદ માટે જરૂરી 25 બેઠકો કરતાં બે વધુ છે.

August 27, 2024
jay-shah.png
1min286

ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થાના ચૅરમૅનપદે ત્રીજા ભારતીય: દાલમિયા અને પવાર પ્રમુખપદે હતા

બોર્ડ ઑફ કંટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ના સેક્રેટરી જય શાહ આગામી પહેલી ડિસેમ્બરે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના નવા ચૅરમૅન તરીકેનો હોદ્દો સંભાળશે. તેઓ મંગળવારે આ સર્વોચ્ચ પદ પર બિનહરીફ ચૂંટાયા હતા.

જય શાહ 35 વર્ષના છે અને આઇસીસીના સૌથી યુવાન અધ્યક્ષ બન્યા છે. તેઓ ચૅરમૅનપદ મેળવનાર એન. શ્રીનિવાસન (2014-’15) અને શશાંક મનોહર (2015-2020) પછીના ત્રીજા ભારતીય છે. ન્યૂ ઝીલૅન્ડના 62 વર્ષીય ગ્રેગ બાર્કલે પોણાચાર વર્ષ આ હોદ્દા પર રહ્યા હતા. તેઓ બે વર્ષની મુદતની ત્રીજી મુદત માટે તૈયાર ન હોવાથી ચૂંટણી થઈ હતી જેમાં જય શાહ એકેય પ્રતિસ્પર્ધી ન હોવાને કારણે સરળતાથી ચૂંટાયા હતા.

ખરેખર તો અગાઉ આઇસીસીના પ્રમુખ આ ક્રિકેટ સંસ્થાના સર્વોચ્ચ શાસક ગણાતા હતા, પરંતુ 2016માં પ્રમુખપદની પ્રથા બંધ કરવામાં આવી હતી અને ત્યારથી ચૅરમૅનનો માનદ હોદ્દો સર્વોચ્ચ ગણાય છે.

ભારતના જગમોહન દાલમિયા (1997-2000) અને શરદ પવાર (2010-2012) આઇસીસીના પ્રમુખપદે હતા.

જય શાહ ભારતના કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના પુત્ર છે. જય શાહ 2019ની સાલથી ભારતીય ક્રિકેટ બોર્ડના સેક્રેટરી છે. તેઓ આઇસીસીના વહીવટમાં મોખરાનું (હાઈ-પ્રોફાઇલ) સ્થાન મેળવનાર (શ્રીનિવાસન, મનોહર, દાલમિયા અને પવાર પછીના) પાંચમા ભારતીય છે.

જય શાહ ક્રિકેટનો વિશ્ર્વભરમાં ફેલાવો કરવા માટે મક્કમ છે અને એ માટે તેઓ આઇસીસીની ટીમ તથા મેમ્બર-રાષ્ટ્રો સાથે મળીને કામ કરવા ઉત્સુક છે. તેમણે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે ‘મને આઇસીસીનું ચૅરમૅનપદ મળ્યું એ બદલ ખુશી અને ગૌરવ અનુભવું છું. ક્રિકેટના તમામ ફૉર્મેટ વિશે સંતુલન જાળવવા, અદ્યતન ટેક્નોલૉજીના ઉપયોગને પ્રોત્સાહન આપવા તેમ જ મોટી ક્રિકેટ-ઇવેન્ટ્સને વૈશ્ર્વિક સ્તરે લઈ જવા માગું છું.’

આઇસીસીની 75 ટકાથી વધુ કમાણી ક્રિકેટજગતની સૌથી શ્રીમંત બીસીસીઆઇ દ્વારા ઊભી કરવામાં આવતી હોય છે. એવું મનાય છે કે સાઉથ આફ્રિકા, ઇંગ્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલૅન્ડમાંથી કોઈ એક દેશના ક્રિકેટ બોર્ડ દ્વારા ચૅરમૅનપદ માટે જય શાહનું નામ સૂચવવામાં આવ્યું હતું અને બીજા એક દેશના બોર્ડ દ્વારા તેમને સપોર્ટ કરવામાં આવ્યા હતા.

આઇસીસીના બંધારણ મુજબ કુલ 17 વોટ ધ્યાનમાં લેવાતા હોય છે. એમાં 12 ટેસ્ટ-પ્લેઇંગ રાષ્ટ્ર, ચૅરમૅન, ડેપ્યૂટી ચૅરમૅન, બે અસોસિયેટ મેમ્બર-રાષ્ટ્ર અને એક અપક્ષ મહિલા ડિરેકટરનો સમાવેશ હતો.

આગામી ફેબ્રુઆરીમાં પાકિસ્તાનમાં વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી યોજાવાની છે અને એ બાબતમાં મહત્ત્વના નિર્ણયો લેવાનું સૌથી પહેલું કામ જય શાહે પાર પાડવું પડશે.

August 27, 2024
gujarat-map-raining.png
4min391

ગુજરાતમાં ચાર દિવસથી વરસતા મુશળધાર વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાતા રાજ્યના 22 સ્ટેટ હાઇવે બંધ કરવામાં આવ્યા છે. રેલવે, સ્ટેટ ટ્રાન્સપોર્ટ સહિતના જાહેર પરિવહનને પણ ભારે અસર પહોંચી છે. રાજ્યમાં એસટી બસના 64 રૂટ રદ કરવામાં આવ્યા છે. જ્યારે 583 ટ્રિપ રદ કરવામાં આવી છે. જેમાં સૌથી વધારે પંચમહાલ, દાહોદ, મહીસાગર, આણંદ ,ખેડા, સુરત અને વલસાડની એસટીની ટ્રિપ અને રૂટ રદ થયા છે. વરસાદના પગલે આજે સ્કુલ-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. રાજકોટ એસટી ડિવિઝન હેઠળ રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં આંતરિયાળ ગામડાઓમાં જતી એસટી બસ કેન્સલ કરવામાં આવી છે. જેના કારણે મુસાફરોને હલાકીનો સામનો કરવો પડ્યો હતો.

રાજ્યમાં કેટલા હાઈવે-રસ્તા બંધ

ગુજરાતમાં ચાર દિવસથી સતત ધોધમાર વરસાદના પગલે રાજ્યમાં કુલ 636 જેટલા હાઈવે-રસ્તા બંધ કરવામાં આવ્યા છે જેમાં ગુજરાતમાં એક નેશનલ હાઈવે, 34 સ્ટેટ હાઈવે, 44 અન્ય, 557 પંચાયત સહિત કુલ 636 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. આણંદ ખંભાતમાં મકાનની દિવાલ ધરાશાયી થતા ત્રણ લોકોનાં મોત થયા છે. ખડોધી ગામે એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા છે. જેમાં માતા-પિતા તેમજ બાળકનો સમાવેશ થાય છે.

રાજ્યમાં એસટી બસ સેવાને પર અસર

રાજ્યમાં ભારે વરસાદના કારણે સ્ટેટ હાઇવે ઠેર ઠેર પાણી ભરાતા બંધ કરવામાં આવ્યા છે. જેની એસટી બસ સેવાને પર અસર પહોચી છે. રાજ્યના સ્ટેટ હાઇવે ઠેર ઠેર પાણી ભરાવાના કારણે 14512 રૂટ પૈકી 64 રૂટ તેમજ 40515 ટ્રિપ પૈકી 583 રૂટ બંધ કરવામાં આવ્યા છે. જેમાં

  • દાહોદના 15 રૂટ અને 242 ટ્રિપ રદ્દ,
  • મહીસાગરમા બસના 10 રૂટ અને 112 ટ્રિપ રદ્દ,
  • પંચમહાલમાં બસના 5 રૂટ, 63 ટ્રિપ રદ્દ,
  • આણંદમા બસના 6 રૂટ, 12 ટ્રિપ રદ્દ,
  • ખેડામા બસના 7 રૂટ, 18 ટ્રિપ રદ્દ,
  • સુરતમા બસના 5 રૂટ, 14 ટ્રિપ રદ્દ,
  • નવસારીમા બસના 3 રૂટ, 43 ટ્રિપ રદ્દ,
  • વલસાડમાં બસના 8 રૂટ, 27 ટ્રિપ રદ્દ કરવામાં આવી છે.
  • વરસાદના પાણી ઓસરતા તેમજ માર્ગ વાહન વ્યવહારને લાયક થતા ત્યાર બાદ બંધ રૂટ, ટ્રિપ પૂર્વવત્ કરવામાં આવશે.

અમદાવાદ એરપોર્ટએ એડવાઈઝરી જાહેર કરી

અમદાવાદ શહેરના વાતાવરણની આગાહીને જોતા એરપોર્ટ ઓથોરિટી દ્વારા મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા અમદાવાદ શહેરની વરસાદની આગાહીને પગલે ફ્લાઇટનું શિડ્યુલ ખોરવાઈ શકે છે. આથી ફ્લાઇટનો સમય એક વખત એરલાઇન્સ સાથે નક્કી કરીને જ એરપોર્ટ માટે નીકળવું અને જો ફ્લાઇટ સમયસર હોય તો થોડા સમય પહેલાં જ એરપોર્ટ આવી જવું. જેથી સરળતાથી ચેકિંગ થઈ શકે તેમ જણાવવામાં આવ્યું છે. શહેરમાં ગઈકાલે વહેલી સવારથી જ સાંજ સુધી અત્યંત ભારે વરસાદ વરસ્યો હતો, તેને કારણે વિઝિબિલિટી પણ ખૂબ જ ઘટી ગઈ હતી. જેની સૌથી વધુ અસર અમદાવાદ એરપોર્ટ ઉપર આવતી ફ્લાઇટ અને એરપોર્ટ સાથે ફ્લાઈટને અસર થઈ હતી. અમદાવાદથી ટેકઓફ થતી કુલ 71 ફ્લાઈટ મોડી પડી હતી. જ્યારે અન્ય સેક્ટરમાંથી અમદાવાદ આવતી 42 જેટલી ફ્લાઈટ મોડી પડી હતી.

ભારે વરસાદથી રેલવેને અસર

રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદના કારણે રેલવે વ્યવહાર પર પણ અસર પહોચી છે. વડોદરા ડિવિઝનના બાજવા રેલવે સ્ટેશન અને આસપાસમાં રેલવે ટ્રેક પર પાણી ભરાવાના કારણે અમદાવાદ-મુંબઈ વચ્ચેના રેલવે વ્યવહારને અસર થતા 30 જેટલી ટ્રેનને રદ કરવામાં આવી છે. જ્યારે 36 જેટલી ટ્રેન વડોદરા બાદ આણંદ અને ગોધરા થઈ અમદાવાદ તરફ આવી રહી છે. 13 જેટલી ટ્રેનોને અલગ અલગ સ્ટેશનો સુધી ચલાવવામાં આવી છે. ભારે વરસાદના કારણે અમદાવાદ, આણંદ, વડોદરા અને મુંબઈ વચ્ચેના રેલવે વ્યવહારને અસર થતા અનેક ટ્રેનો મોડી પણ ચાલી રહી છે.

ટ્રેનો સંપૂર્ણપણે રદ

  • 27મી ઓગસ્ટની ટ્રેન નંબર 12971 બાંદ્રા ટર્મિનસ-ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ
  • 27 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 19036/19035 અમદાવાદ-વડોદરા-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ
  • 27 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 19034 અમદાવાદ-વલસાડ ગુજરાત ક્વીન એક્સપ્રેસ
  • 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 19033 વલસાડ-અમદાવાદ ગુજરાત ક્વીન એક્સપ્રેસ
  • 27મી ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 22945 મુંબઈ સેન્ટ્રલ-ઓખા સૌરાષ્ટ્ર મેલ
  • 27 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 22927 બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ લોકશક્તિ એક્સપ્રેસ

શૉર્ટ ટર્મિનેટેડ ટ્રેનો

26 ઓગસ્ટ 2024 ના રોજ, ભાવનગરથી ચાલતી ટ્રેન નંબર 12972 ભાવનગર-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસને વલસાડ સ્ટેશન પર ટૂંકી ટર્મિનેટ કરવામાં આવશે, આમ આ ટ્રેન વલસાડ-બાંદ્રા ટર્મિનસ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.
26 ઓગસ્ટ 2024 ના રોજ બાંદ્રા ટર્મિનસથી ચાલતી ટ્રેન નંબર 19217 બાંદ્રા ટર્મિનસ-વેરાવળ એક્સપ્રેસને રાજકોટ સ્ટેશન પર ટૂંકી ટર્મિનેટ કરવામાં આવશે, આમ આ ટ્રેન રાજકોટ-વેરાવળ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
27 ઓગસ્ટ 2024 ના રોજ, બાંદ્રા ટર્મિનસથી ચાલતી ટ્રેન નંબર 12965 બાંદ્રા ટર્મિનસ-ભુજ એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર ટૂંકી ટર્મિનેટ કરવામાં આવશે, આમ આ ટ્રેન અમદાવાદ-ભુજ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.

શૉર્ટ ઓરિજિનેટેડ ટ્રેન

27 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 19217 બાંદ્રા ટર્મિનસ-વેરાવળ એક્સપ્રેસ વલસાડ સ્ટેશનથી ટૂંકી ઉપડશે, આમ આ ટ્રેન બાંદ્રા ટર્મિનસ-વલસાડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
27 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 19218 વેરાવળ-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ રાજકોટથી ટૂંકી ઉપડશે, આમ આ ટ્રેન વેરાવળ-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
27 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 12972 ભાવનગર-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશનથી ટૂંકી ઉપડશે, આમ આ ટ્રેન ભાવનગર-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
27 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 12965 બાંદ્રા ટર્મિનસ-ભુજ એક્સપ્રેસ અમદાવાદથી ટૂંકી ઉપડશે. બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ વચ્ચે આંશિક કેન્સલેશન રહેશે.

ટ્રેનો ડાયવર્ટ કરી

  • ૧. 26 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 12476 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-હાપા એક્સપ્રેસ ગોધરા-ડાકોર-આણંદ-અમદાવાદ થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.
  • ૨. 27 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 19489 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ આણંદ-ડાકોર-ગોધરા-રતલામ થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પરથી દોડશે.
  • ૩. 27 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 12475 હાપા-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસ આણંદ-ડાકોર-ગોધરા-રતલામ થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પરથી દોડશે.
  • ૪. 26 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 12215 દિલ્હી સરાય રોહિલા-બાંદ્રા ટર્મિનસ ગરીબ રથ એક્સપ્રેસ આણંદ-ડાકોર-ગોધરા-વડોદરા થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.
  • ૫. 26 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 12972 ભાવનગર-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ આણંદ-ડાકોર-ગોધરા-વડોદરા થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.
  • ૬. 26 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ આણંદ-ડાકોર-ગોધરા-વડોદરા થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.
August 27, 2024
monsoon.png
1min250

ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં જ સિઝનનો 100 ટકા વરસાદ વરસી ચુક્યો છે. જ્યારે ગત વર્ષે એટલે કે 27 ઓગસ્ટ, 2023ની સ્થિતિ જોવામાં આવે તો રાજ્યમાં 81.80 ટકા વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્ર-કચ્છ, મધ્ય અને ઉત્તર તેમ જ દક્ષિણ ગુજરાત સર્વત્ર મેઘમહેર થઈ છે. બીજી તરફ રાજ્યમાં હાલ 96 ડેમ હાઈ એલર્ટ પર છે. જ્યારે 19 ડેમ એલર્ટ પર છે.

કચ્છમાં સિઝનમાં સીઝનનો સૌથી વધુ વરસાદ

ગુજરાતમાં 27મી ઓગસ્ટ 2024ના સવારે 11 વાગ્યાની સ્થિતિ પ્રમાણે રાજ્યમાં સરેરાશ 101.58 ટકા વરસાદ પડ્યો છે. જેમાં કચ્છમાં સિઝનનો કુલ 116.79 ટકા વરસાદ પડી ચુક્યો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં સિઝનનો સૌથી ઓછો કુલ 79.99 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાત સિઝનમાં સરેરાશ 98.74 ટકા વરસાદ, સૌરાષ્ટ્ર વિસ્તારમાં સિઝનનો 101.52 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 108.20 ટકા વરસાદ વરસી ચુક્યો છે.આ વર્ષે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો સૌથી વધુ 170 ટકા વરસાદ નોંધાયો છે. પોરબંદર જિલ્લામાં સિઝનનો 136 ટકા વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં જળાશયો છલકાયા

27મી ઓગસ્ટ, 2024ની સવારે આઠ વાગ્યાની સ્થિતિ પ્રમાણે રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં 86.97 ટકા ભરાયેલો છે. રાજ્યના અન્ય 206 ડેમમાં પાણીનો 72.76 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. રાજ્યમાં હાલ 76 ડેમ સંપૂર્ણ ભરાયેલા છે. જ્યારે 46 ડેમ 70થી 100 ટકા વચ્ચે ભરાયેલા છે. 50થી 70 ટકા ભરાયેલા હોય તેવા ડેમોની સંખ્યા 23 છે. જ્યારે 30 ડેમ 25થી 50 ટકા ભરાયેલા છે. રાજ્યના 31 ડેમ એવા છે જેમાં 25 ટકાથી ઓછો પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. રાજ્યમાં હાલ 96 ડેમ હાઈ એલર્ટ પર છે. જ્યારે 19 ડેમ એલર્ટ પર છે. સાત ડેમને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. અત્યાર સુધી ખાલી એવો રાજકોટનો આજી ડેમ પણ ઑવરફ્લો થયો છે. અગાઉ પડેલા વરસાદમાં પણ સૌરાષ્ટ્રના ડેમમાં સારી એવી પાણીની આવક થઈ હતી.

August 27, 2024
gujarat-meeting-.jpg
2min268
Amid the forecast of heavy rain across the state, the administration's 'security cycle' with the Chief Minister

રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતી સામે નાગરિકોની સલામતી માટે રાજ્યનું વહીવટી તંત્ર આગોતરી તૈયારી સાથે સુસજ્જ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ઝીરો કેઝ્યુલીટીના અભિગમ સાથે રાહત-બચાવ માટે ટીમો ખડેપગે તૈનાત છે. મુખ્યમંત્રી ઉપરાંત મુખ્ય સચિવ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ, શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવશ્રી સહિત રાહત કમિશનર સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર ખાતેથી સમગ્ર રાજ્યની પરિસ્થતિનો સતત તાગ મેળવી જરૂરી સહાય અને માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે.

આ ઉપરાંત વરસાદથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં પ્રભારી મંત્રીઓ તેમજ પ્રભારી સચિવઓ પણ જિલ્લા મથકે બેઠક કરીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયેલી આગોતરી તૈયારીઓનું સૂક્ષ્મ નિરીક્ષણ કરીને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. ભારત સરકાર દ્વારા પણ રાહત-બચાવ કામગીરી માટે આર્મીની ૬ કોલમ ક્રમશ: દેવભૂમિ દ્વારકા, આણંદ, વડોદરા, ખેડા, મોરબી અને રાજકોટ જિલ્લામાં ડીપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત NDRFની 14 પ્લાટૂન અને SDRFની 22 પ્લાટૂન પણ આપત્તિ વ્યવસ્થાપનના કામમાં જોડાઈ છે. સાથે જ કોસ્ટગાર્ડ અને નેવીની ટીમો પણ રાહત બચાવના કામમાં જોડાઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 23,871 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે તેમજ 1696 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે.

રાજ્યભરમાં વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી રાહત-બચાવ કામગીરી

  • બોટાદના ખાંબડા ડેમામાંથી પાણી છોડવામાં આવે તો નીચાણવાળા ભાગોમાં રહેતા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની શક્યતાઓને ધ્યાને રાખી વહીવટી તંત્ર દ્વારા બરવાળા તાલુકાના ખાંબડા ગામના 198 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
  • મોરબી જિલ્લામાં ભારે વરસાદના કારણે માળિયા તાલુકાના મોટા દહીંસરા 132 કે.વી. સબ સ્ટેશનમાં ફસાયેલા 6 કર્મચારીઓને બનતી ત્વરાએ રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. બચાવ બાદ આ કર્મચારીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
  • દાહોદ જિલ્લામાં ભારે વરસાદના પરિણામે ફતેપુરા તાલુકાના હિંડોલીયા ખાતે એક જર્જરિત મકાન મકાન ધરાશાયી થતા અબોલ પશુ ઇજાગ્રસ્ત થયા હતા. પશુપાલન વિભાગની ટીમે તાત્કાલિક ધોરણે સ્થળ પર જઈને સારવાર કરી ઘાયલ પશુઓને સલામત સ્થળે ખસેડ્યા હતા.
  • ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ અને પવનથી તાલાલા-જામવાળા રોડ પર વૃક્ષો ધરાશાયી થતા રસ્તો બંધ કરાયો હતો. માર્ગ અને મકાન વિભાગની ટીમે ધરાશાયી વૃક્ષોને દૂર કરીને વાહન વ્યવહાર ફરી પૂર્વવત કર્યો છે.
  • ભારે વરસાદથી જામનગર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા, ફાયર વિભાગની 10 ટીમ ઉપરાંત એન.ડી.આર.એફના જવાનોએ ૭૦ જેટલા નાગરિકોને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડ્યા હતા.
  • દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા પ્રસુતિની સંભાવના ધરાવતી 30 જેટલી સગર્ભા મહિલાઓને તબીબી નિરીક્ષણ માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી છે.
  • પંચમહાલ જિલ્લામાં સાવચેતીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા આશરે ૪,૦૦૦ જેટલા નાગરિકોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતરિત કરાયા છે. આ ઉપરાંત અગમચેતીના ભાગરૂપે 20 જેટલા રસ્તાઓના કોઝ-વે પણ બંધ કરાયા છે.
  • વડોદરા શહેરમાં એક જ દિવસમાં 108 એમ્બ્યુલન્સને 285 કોલ મળ્યા હોવા છતાં, એમ્બ્યુલન્સ સેવા અટકી નહોતી. પાણી ભરાયેલા હોય તેવા વિસ્તારમાંથી ૪૯ દર્દીઓને એમ્બ્યુલન્સના માધ્યમથી સહી સલામત હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત મંજુસર રોડ પર એક સગર્ભા મહિલાની એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ કરવામાં આવી હતી.
  • મોરબી જિલ્લામાં મચ્છુ નદીનું જળ સ્તર વધતા સાવચેતીના ભાગરૂપે સામખીયાળીથી માળીયા સુધીના નેશનલ હાઈવે પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાંથી 10 ખાસ ટીમો દ્વારા નાગરીકોનું રહેવા, જમવા જેવી સુવિધા ધરાવતા ૩૦ સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.
  • જામનગરમાં વહીવટી તંત્ર દ્વારા એરફોર્સની મદદથી વાડી વિસ્તારમાં ફસાયેલા 11 નાગરિકોનું રેસ્ક્યુ કરાયું હતું. લાલપુર તાલુકાના નવાગામમાં વાડી વિસ્તારમાં નાના બાળકો સહિત 11 લોકો ફસાયા હતા, જેની ગંભીરતા સમજી એરફોર્સના હેલિકોપ્ટરથી તેઓને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા.
  • વડોદરા જિલ્લામાં નીચાણવાળા અને નદીની આસપાસ વસતા કુલ 8361 નાગરિકોને સલામત સ્થળે ખસેડી આશ્રય આપવામાં આવ્યો છે. તંત્ર દ્વારા આ નાગરીકો માટે ભોજન, નાસ્તો સહિતની તમામ જરૂરી વ્યવસ્થાઓ સાથે તેમનું હેલ્થ સ્ક્રિનિંગ પણ કરવામાં આવ્યું છે.

MGVCLના 1700થી વધુ વીજ કર્મીઓ વીજ પુરવઠો પૂર્વવત કરવા કાર્યરત

અનરાધાર વરસાદથી પંચમહાલ, ખેડા, આણંદ અને વડોદરા જિલ્લાના વિવિધ સબ સ્ટેશનમાં પાણી ભરાવાના અને વીજ પોલ પડી જવાના કારણે કુલ ૫૬૯ ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો. આ તમામ ગામોમાં તાત્કાલિક ધોરણે વીજપુરવઠો પુનઃ સ્થાપિત કરવા MGVCLની ૫૩૬ ટીમોના ૧૭૦૦થી વધુ વીજ કર્મીઓ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યા છે.

વડોદરા આરોગ્ય તંત્રનો માનવીય અભિગમ

વડોદરામાં વરસી રહેલા અનરાધાર વરસાદમાં કોઇપણ સગર્ભા મહિલાને તકલીફ ન પડે તેવા પ્રયત્નો જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે. હાલના સમયમાં પ્રસુતિ થવાની શક્યતા ધરાવતી આશરે 45 જેટલી સગર્ભા મહિલાઓને તંત્ર દ્વારા નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી છે. આ કેન્દ્રો ખાતે તબીબી નિરીક્ષણ હેઠળ સગર્ભા મહિલાઓની વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે.

એટલું જ નહિ, વડોદરા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે પીવાના પાણીના સ્ત્રોતોમાં ક્લોરીનેશનની કામગીરી પણ કરવામાં આવી રહી છે. વરસાદી પાણીથી પ્રભાવિત ગામોમાં આશ્રય સ્થાનો ઉપર રાખવામાં આવેલા ગ્રામજનોનું પણ તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ માટે આરોગ્યકર્મીઓ દ્વારા આશ્રય સ્થાનોની મુલાકાત લેવામાં આવી રહી છે.