CIA ALERT

Slider Archives - Page 434 of 488 - CIA Live

October 15, 2018
ciaz_trailer.jpg
1min6230

રવિવાર તા.15મી ઓક્ટોબર 2018ના રોજ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર આણંદ અને નડિયાદ વચ્ચેથી પૂરપાટ સ્પીડથી પસાર થઇ  રહેલી એક કાર ટ્રેલર નીચે ઘુસી જતા બે વ્યક્તિઓના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે બે વ્યક્તિની હાલત ગંભીર હોવાથી તેમને નડિયાદની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ખોટી સાઇડથી ઓવર ટેઇક કરવાની લ્હાયમાં આ ઘટના બની હોવાનું અકસ્માત સ્થળેથી જાણવા મળ્યું હતું.  ઘટનાને પગલે એક્સપ્રેસ વે પર ખાસ્સો ટ્રાફિક જામ રહ્યો હતો, તંત્રવાહકોએ ટ્રાફિક ક્લીયર કરવામાં ભારે પરિશ્રમ કરવો પડ્યો હતો.

અમદાવાદ-વડોદરા નેશનલ એક્સપ્રેસ હાઈવે પર ભરૂચ પાર્સિંગની મારુતિ સિઆઝ કાર (GJ 16 CB 6537) અને ટ્રેલરનો (GJ 5 AT 3354) આણંદ અને નડિયાદ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ટ્રેલરના વચ્ચેના ભાગે ઘુસી ગઈ હતી. ટ્રેલરની વચ્ચે ફસાઈ ગયેલી કાર થોડે દૂર સુધી ઢસડાઈ પણ હતી. ગોઝારા અકસ્માતમાં બે વ્યક્તિનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે બે ઘાયલ વ્યક્તિઓને નડિયાદની હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખસેડાયા હતા. મૃતકો અને ઘાયલોની ઓળખ પોલીસ કરી રહી છે.

October 15, 2018
demu.jpg
1min12880

ડીઝલની બચત કરવા માટે ઇન્ડિયન રેલવે દ્વારા ૨૦૦૮થી બોઇસર અને દિવા વચ્ચે શરૂ કરેલી બોઇસર-દિવા DEMU (ડીઝલ ઇલેક્ટ્રિÿક મલ્ટિપલ યુનિટ) ૭૧૦૦૧ શટલ લોકલ ટ્રેનને સ્થાને તા.15મી ઓક્ટોબર 2018થી  MEMU (મેન ઇલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ) ૬૧૦૦૧ શરૂ કરવામાં આવી છે.

(બોઇસર-દિવા વચ્ચે ચાલી રહેલી ડિઝલથી ચાલતી ટ્રેન)

દસ વર્ષ પહેલાં ૧૨ કોચની DEMU બોઇસર-દિવા સર્વિસ શરૂ થઈ હતી. આ સર્વિસમાં ડીઝલનો ઉપયોગ થતો હતો અને એને મુંબઈના સંસદસભ્ય રામ નાઈક દ્વારા શરૂ કરવામાં આવી હતી. પહેલાં DEMU સર્વિસ વિરાર અને દહાણુ વચ્ચે દોડતી હતી અને હવે મોટા ભાગની લોકલ ટ્રેનોને MEMU બદલવામાં આવી છે. જોકે બોઇસર-દિવા લોકલ DEMUમાં જ દોડી રહી હતી. એથી સેન્ટ્રલ રેલવેએ DEMUને ૧૨ કોચની MEMU લોકલ કરવાનો નિર્ણય લીધો હોવાથી આજથી આ રૂટ પર દોડતી આ ગાડી દેખાશે નહીં. જોકે રેલવેએ લીધેલા આ નિર્ણયથી પ્રવાસીઓને વધુ સારી સુવિધા, ઓછા એન્જિન ફેલ્યરના ચાન્સ, વધુ કમ્ફર્ટેબલ, વધુ સ્પેસ જેવી અનેક સુવિધાઓ પણ મળી રહેશે. ઇલેક્ટ્રિÿક એન્જિનથી ફ્યુઅલની બચત થવાની સાથે પર્યાવરણને પણ નુકસાન નહીં થશે. જોકે આટલાં વર્ષો રેલવે-પ્રવાસીઓને સર્વિસ આપી હોવાથી ગઈ કાલે બધા રેલવે- પ્રવાસીઓએ લાલ પરીના મોટરમૅનને બુકે આપીને અને ગાડીને ફૂલોથી શણગારીને અંતિમ વિદાય આપી હતી.’

October 15, 2018
swine_flu1.jpg
1min5880

રાજ્યમાં એક તરફ નવરાત્રિ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે બીજી તરફ સ્વાઇન ફ્લૂના રોગચાળાએ પોતાનો કેર યથાવત્ રાખ્યો છે. રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે અને અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લૂના 1374 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ કોર્પે.માં 584 કેસ છે.

તા.13મી ઓક્ટોબર 2018ના રોજ રાજ્યમાં સ્વાઇન ફ્લૂના 36 કેસ નોંધાયા જેમાં અમદાવાદ કોર્પો. ખાતે 12, સુરત કોર્પો. અને કચ્છ ખાતે 4-4, ગાંધીનગર ખાતે 3, ભાવનગર ખાતે 2, વડોદરા, મહેસાણા, અમદાવાદ, રાજકોટ, આણંદ, અમરેલી, જામનગર અને નવસારી ખાતે 1-1 સ્વાઇન ફ્લૂના કેસનો સમાવેશ થાય છે. રાજ્યમાં સ્વાઇન ફ્લૂને કારણે આજ સુધીમાં કુલ 36 દર્દીઓનાં મૃત્યુ નોંધાયાં છે. જો કે સદ્નસીબે આજે સ્વાઇન ફ્લૂને કારણે વધુ કોઇ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. કુલ મૃત્યુઆંક 36 જાહેર થયો તેમાં સૌથી વધુ અમદાવાદ કોર્પો.માં 15 મહેસાણામાં 3, રાજકોટ 2, બનાસકાંઠા 1, અરવલ્લી 2, પાટણ 2, સુરત 3, ખેડા 1, ગીર સોમનાથ 2 અને અન્ય જિલ્લા અને કોર્પોરેશન મળીને 4નો સમાવેશ છે.

October 15, 2018
dwarka.gif
1min14240

દેવભૂમિ દ્વારકાને જો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે તો દારુણ ગરીબીમાંથી પસાર થઇ રહેલા ખેડૂતોને થોડીઘણી રાહત મળે તેમ છે. પણ આવું નહીં થતાં ખેડૂતોએ કલેક્ટર કચેરી, દ્વારકા પહોંચીને કલેક્ટરને આ રીતે સાષ્ટાંગ દંડવત કરીને આજીજી કરી હતી કે દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પડેલા ઓછા વરસાદ પછી પણ એને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં નહીં આવતાં તા.13મી ઓક્ટોબરના રોજ જિલ્લાના ખેડૂતો કલેક્ટરની ઑફિસમાં પહોંચ્યા હતા અને કલેક્ટરની ઑફિસમાં જઈને પટાંગણમાં જ બહાર આવેલા જિલ્લા કલેક્ટરને સાષ્ટાંગ દંડવત્ કરીને તેમની પાસે જિલ્લાને દુકાળગ્રસ્ત જાહેર કરવાની માગણી કરી હતી.

દ્વારકા જિલ્લામાં ઘઉં, મગફળી, બાજરી અને જુવારનો પાક લેવામાં આવે છે, પણ ચોમાસું નબળું જતાં એવી પરિસ્થિતિ સર્જાઈ કે જિલ્લામાં થતા પાકમાંથી અંદાજે એંસી ટકા પાક નિષ્ફળ ગયો છે. પાક નિષ્ફળ જતાં ખેડૂતો છેલ્લા એક મહિનાથી પાકવીમાની માગણી કરે છે, પણ કલેક્ટર દ્વારા કોઈ પગલાં લેવામાં નહીં આવતાં ગઈ કાલે ખેડૂતોની એક રૅલી કલેક્ટર ઑફિસમાં પહોંચી હતી અને દ્વારકાધીશને કરે એ રીતે જિલ્લા કલેક્ટરને સાષ્ટાંગ દંડવત કર્યા હતા.

October 15, 2018
CIA_Live_Logo_New2.jpg
1min4430

સુરતના ડિંડોલીમાં કાર્યરત એક કહેવાતા આયુર્વેદિક તબીબના સહાયકે ૧૪૫ મહિલાઓનાં અશ્લીલ વીડિયો ઉતાર્યા હોવાની હકીક્ત પ્રકાશમાં આવતા જ ખળભળાટ મચી ગયો હતો. આ બનાવની જાણ થતા જ લોકોનું ટોળું ડિંડોલી પોલીસ મથકે પહોંચ્યું હતું.

ઘટના સ્થળેથી મળતી માહિતી મુજબ ટોળાંએ આયુર્વેદિક ડૉક્ટરના સહાયક સામે સારવારનાં નામે અશ્લીલ વીડિયો ઉતારવાનો આરોપ લગાવ્યો હતો. આ બનાવમાં પોલીસને ફરિયાદ કરવામાં આવી હતી કે, ડૉક્ટરનો સહાયક સારવાર માટે આવતી મહિલાઓની આંખ પર સારવારનાં નામે પાટા બાંધતો હતો અને ત્યારબાદ મહિલાનો અશ્લીલ વિડીયો ઉતારતો હતો. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા પોલીસે આક્ષેપ લગાવનારા મહિલાનાં ભાઈને વિડીયો લઈ આવવા કહ્યું હતું, પરંતુ મોડી રાત સુધી તે પરત ના આવતા આ ઘટના અંગે કોઈ જ ગુનો નોંધવામાં આવ્યો નહોતો. પોલીસ અત્યારે પુરાવા એકત્ર કરી રહી છે. જો પુરાવા મળશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. તો બીજી તરફ ટોળાંએ આક્ષેપ કર્યો છે કે પોલીસે મહિલાઓનાં અશ્ર્લીલ વિડીયો ઉતારનારા ડૉક્ટરના સહાયકનાં મોબાઈલની તપાસ કરવી જોઈએ, પરંતુ તેમ ના કરતા તેમણે આક્ષેપ કરનારાઓ પાસે પુરાવા માગ્યા હતા.

October 13, 2018
bmtce-bus.jpg
1min7560

Jayesh Brahmbhatt 98253 44944

અગર બધું સમૂસુતરું પાર પડશે તો થોડા મહિનાઓમાં સુરતના માર્ગો પર અત્યંત અાધુનિક લૉ કાર્બન (ઓછું પ્રદૂષણ ફેલાવતી) ઇ-બસ (ઇલેક્ટ્રીક બસ) દોડતી થઇ જશે. સુરત મહાનગરપાલિકાએ હેવી ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલયને ઇ-બસની ખરીદી પર સબસિડી આપવા અંગેનો પ્રસ્તાવ પણ રજૂ કરી દીધો હોવાનું જાણવા મળ્યું છે. એક લૉ કાર્બન ઇ-બસની બજાર કિંમત રૂ.1.75 કરોડ જેટલી થવા જાય છે અને સુરત મહાનગરપાલિકા પ્રતિ બસ રૂ.75 લાખ સબસિડી મળે તો 50 ઇ-બસીસ ખરીદવાની તૈયારી ધરાવે છે.

ઇ-બસ કન્સેપ્ટ હાલમાં યુરોપ અને અમેરિકાના દેશોમાં જોવા મળી રહ્યો છે. તબક્કાવાર વિકસીત દેશોમાંથી ડિઝલ વાહનો નાબૂદ થઇ રહ્યા છે અને ખાસ કરીને પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં મોટા ભાગે ઇ-બસ,લૉ કાર્બન બસને લાગૂ કરવામાં આવી રહી છે. એ જ તર્જ પર હવે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન પણ આગળ વધી રહી છે.

(બેંગ્લોર મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા લોંચ કરવામાં આવેલી ઇ-બસની તસ્વીર)

ડિઝલ બસ કરતા ઇ-બસની કિંમત વધુ હોવા છતાં પણ પ્રદૂષણ તેમજ આવરદા વધુ હોવા ઉપરાંત તેની કાર્યક્ષમતા પણ ઉત્તમ હોવાથી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં ઇ-બસના કન્સેપ્ટને દાખલ કરવાની યોજના ધરાવે છે. હાલ ચાલી રહેલી ડિઝલ બનની તુલનામાં લૉ કાર્બન ઇ-બસની કિંમત અને મેઇન્ટેનન્સ બન્ને વધુ છે આમ છતાં તેના બહુવિધ ફાયદાઓ હોવાથી ઇ-બસ સુરતના શહેરો પર દોડતી કરવામાં આવે તેમ મનાય છે. આગામી દિવસોમાં સુરત મહાનગરપાલિકામાં સ્થાયી સમિતિમાં આ અંગેનો નિર્ણય લેવાય તેમ માનવામાં આવે છે.

દેશના હેવી ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલયએ કુલ 11 શહેરોને ઇ-બસ પ્રોજેક્ટ માટે પસંદ કર્યા છે, ગુજરાતમાંથી આ યાદીમાં અમદાવાદ શહેરનો સમાવેશ કરવામાં આવ્યો છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું નામ ઇ-બસ પાઇલોટ પ્રોજેક્ટમાં ન હોવા છતાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા સુરત મ્યુનિ. કોર્પોરેશનને 50 ઇ-બસ ખરીદવા માટે પ્રતિ બસ રૂ.75 લાખની સબસિડી મળે તો પ્રોજેક્ટ સુરતમાં સાકાર થઇ શકે તેવી પ્રપોઝલ રજૂ કરી છે.

 

October 13, 2018
shankar.jpg
1min8540

ભારતમાં ખાસ કરીને દક્ષિણ ભારતના રાજ્યોમાં યુવાનો અને માબાપમાં સૌથી પ્રચલિત શૈક્ષણિક સંસ્થા શંકર આઇ.એ.એસ. એકેડેમીના સ્થાપક શંકર સર એ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે. શંકર IAS એકેડમીના સ્થાપક અને સીઈઓ પ્રોફેસર શંકર દેવરાજને 45 વર્ષની ઉંમરે ફાંસી લગાવીને આપઘાત કરી લીધો છે. ચેન્નાઈના માઈલપુર સ્થિત ઘરમાંથી મૃતદેહ મળી આવ્યો. એવું માનવામાં આવે છે કે શંકર સર એ 500થી વધુ સનદી અધિકારીઓ ભારતને આપ્યા છે. તેમના ક્લાસીમાં અાપવામાં આવતી કોચિંગથી વિદ્યાર્થીઓ બહુ જ પ્રભાવિત થતા હતા. જે વિદ્યાર્થીઓ શંકર એકેડેમીનું કોચિંગ લઇને આઇ.એ.એસ. કે આઇ.પી.એસ. બન્યા હોય એ ફરીથી શંકર એકેડેમીમાં ક્લાસ લેવા સ્વેચ્છાએ આવતા હોય છે.

પ્રોફેસર શંકર દેવરાજન તમિલનાડુ દક્ષિણ ભારતમાં જ નહીં બલ્કે ભારતભરમાં ‘શંકર IAS એકેડમી’ થી જાણીતા હતા, જેની સ્થાપના 2004માં ચેન્નાઈમાં થઈ હતી. ત્યારથી આજ સુધી એમની એકેડમીમાં તૈયારી કરીને 900 યુવાનો IAS, IPS કે રાજ્ય સરકારની ક્લાસ-1-2 અધિકારી બનવામાં સફળ રહ્યાં છે.

આ રાજ્યની પ્રથમ એકેડમી હતી, જેનું લક્ષ્ય IAS અને IPS બનવા ઈચ્છતા યુવાનો તૈયારીની ટ્રેનિંગ આપતી હતી. આ એકેડમી ખાસ કરીને પછાત સમુદાયના યુવાનો પર ખાસ ધ્યાન આપતી હતી, જેથી એ ભવિષ્યમાં સફળતા હાંસલ કરી શકે. શંકર દેવરાજનના પરિવારમાં પત્ની અને બે પુત્રી છે.

તમિલનાડુના કૃષ્ણગિરીમાં રહેતા શંકરનો પરિવાર ખેતીવાડી સાથે જોડાયેલો હતો, તેમના પિતા બાળપણમાં અવસાન પામ્યા હતાં.

શંકર દેવરાજને એગ્રી કલ્ચરમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી.

October 13, 2018
gujarat_highcourt.jpg
1min4790

તાજેતરમાં સાબરકાંઠામાં માસૂમ બાળકી પર અને સુરતમાં બે નાની બાળાઓ પર થયેલા દુષ્કર્મ બળાત્કાર કેસના આરોપીઓને સખત સજા થાય અને પીડિત પરિવારોને ઝડપી ન્યાય મળે તે માટે આ કેસની ટ્રાયલ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે. આ ત્રણેય કેસની ખાસ ફાસ્ટટ્રેક કોર્ટ જજની નિમણૂંક કરી દેવામાં આવી છે.

રાજ્ય વડી અદાલતે આ અંગેના જારી કરેલા જાહેરનામા અનુસાર સાબરકાંઠાની ઘટનામાં ફાસ્ટટ્રેક કોર્ટ જજ તરીકે સાબરકાંઠા જિલ્લાના પ્રિન્સિપલ ડિસ્ટ્રીકટ જજ કે. બી. ગુજરાથી તેમ જ સુરતની બે ઘટનાઓમાં ફાસ્ટટ્રેક કોર્ટ જજ તરીકે સુરત જિલ્લાના પ્રિન્સિપલ ડિસ્ટ્રીકટ જજ આર. કે. દેસાઇની નિયુક્તિ કરવામાં આવી છે. ગુજરાત સરકાર દુષ્કર્મનો ભોગ બનેલી દિકરીઓના પરિવારો પ્રત્યે સંપૂર્ણ સંવેદના સાથે પડખે ઊભી છે અને ગુનેગારોને કાયદા અનુસાર કડક સજા થાય તથા પીડિત પરિવારોને ન્યાય મળે તે માટે કટિબદ્ધ છે તેની પુષ્ટિ આ ફાસ્ટટ્રેક કોર્ટ જજની નિમણૂંકથી થઇ છે, એવું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

October 12, 2018
Bank_of_Mauritius.png
1min12070
મુંબઇના નરીમાન પોઇન્ટ ખાતે આવેલા રાહેજા સેન્ટરમાં કાર્યરત સ્ટેટ બેન્ક ઓફ મોરેશિયસની મુંબઇ બ્રાન્ચમાં સાઇબર રોબરી ઇન્ટરનેશનલ હેકર્સ દ્વારા 143 કરોડ રૂપિયાની મસમોટી સાઇબર લૂંટ થઇ હોવાની પોલીસ ફરીયાદ દર્જ થતાં ભારતમાં અફરાતફરી મચી જવા પામી છે. જાણકારો કહે છે કે સાઇબર એક્સપર્ટસને આ લૂંટનો ભેદ ઉકેલતા દિવસો નીકળી જાય તેમ છે. હજુ સુધી એ પણ જાણી શકાયું નથી કે બેંક સાથે થયેલી આ મસમોટી સાઇબર લૂંટ ક્યાંથી ઓપરેટ થઇ હતી.
હકીકતમાં ગઇ તા. 5 ઓક્ટોબરે આ મામલે સ્ટેટ બેંક ઓફ મોરેશિયસના સ્થાનિક અધિકારીએ નોંધાવેલી ફરિયાદ જણાવ્યું હતું કે ઇન્ટરનેશનલ હેકર્સ દ્વારા બેન્કના સર્વરને હેક કરી ખાતાઓમાંથી ભારત બહારના કેટલાક ખાતાઓમાં મોટી રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. સ્ટેટ બેન્ક ઓફ મોરેશિયસની એક શાખા ભારતમાં મુંબઇના નરિમન પોઇન્ટ વિસ્તારમાં સ્થિત છે. જેમાં હેકર્સ દ્વારા કરોડો રૂપિયાની હેરાફેરી કરવામાં આવી હતી. બેંકના મેઇન સર્વરમાં સેંધ મારીને ઇન્ટરનેશનલ હેકર્સ દ્વારા ભારત બહારના ખાતાઓમાં કરોડો રૂપિયાની રકમ ડોલર્સમાં ગેરકાનૂની રીતે ટ્રાન્સફર કરી દેવામાં આવી છે.
  • ફેબ્રુઆરીમાં ચેન્નઇ ખાતે યુનિયન બેન્કની એક શાખામાંથી હેકર્સ દ્વારા બેન્કનું સર્વર હેક કરીને 34 કરોડ રૂપિયાની સાઇબર લૂંટ ચલાવાઇ હતી
  • ઓગસ્ટમાં કોસમોસ બેન્કની પુણે ખાતેની હેડઓફિસેથી કરાયેલી સાઇબર લૂંટમાં 94 કરોડ રૂપિયા ઉપાડી લેવાયા હતા 

 

October 12, 2018
seva1.jpg
1min12410

રોજ 200 અસહાય વડીલોને મફત ટિફિન પહોંચાડી માનવતાની મહેંક ફેલાવતા એક સેવાભાવી ડો. ઉદય મોદીની સત્ય કથા
આ એક એવા ડોક્ટર છે જે રોજ 200 અસહાય વડીલોને ફ્રીમાં ટિફિન પહોંચાડે છે અને આ ગુજરાતી,દીકરાની જેમ લે છે સંભાળ-જાણો કોણ છે આ સેવાભાવી ડોક્ટર ?

આજના સમયમાં એક તરફ જ્યાં લોકો પોતાના સગા માતા-પિતાને પણ સાથે રાખવાને બદલે રખડતા છોડી દેતા હોય છે. જ્યારે બીજી તરફ એવા પણ ઘણા લોકો છે જેઓ અસહાય, નિરાધાર અને વયોવૃદ્ધની સેવા કરી માનવતાની મહેક ફેલાવી રહ્યાં છે. મુંબઈના ભાયંદર વિસ્તારમાં આવા જ એક ગુજરાતી ડોક્ટર ઉદય મોદી છે. જેઓ છેલ્લા 10 વર્ષથી ‘શ્રવણ ટિફિન સેવા’ના નામે મુંબઈમાં રહેતા અસહાય અને વયોવૃદ્ધને દરરોજ મફ્તમાં ગરમાગરમ ટિફિન પહોંચાડી સેવાકીય કાર્ય કરે છે.
ડો. ઉદય મોદીની આ સેવામાં આજે ઘણા યુવાનો પણ જોડાયા છે. યુવાનો રોજે રોજ દાદા-દાદીને ઘરે ગરમા-ગરમ ટિફિન પહોંચાડી તેમની દવાનું પણ ધ્યાન રાખે છે. ડો. મોદી મફ્તમાં ટિફિનની સાથે બીમાર વડીલોને દવા પણ આપે છે, જેનો પણ ચાર્જ લેવામાં આવતો નથી.
વર્ષ 2008માં 10 વડીલોને ટિફિન મોકલીને શરૂ કરેલી આ સેવા આજે 200 કરતા વધારે ટિફિન સુધી પહોંચી છે, એટલું જ નહીં વ્યવસાયે આર્યુવેદિક ડોક્ટર હોવાથી ઉદયભાઈ વડીલોને દીકરાની જેમ દવા પણ ફ્રીમાં પહોંચાડે છે. આજે ઉદયભાઈની સેવામાં અન્ય લોકો પણ જોડાયા છે. ડો. મોદીની આર્થિક સ્થિતી સામાન્ય હોવાથી મિત્રો અને દાતાઓ દ્વારા મળતી મદદથી તેઓ ટિફિન સેવા હોંશભેર ચલાવે છે.
કેમ આવ્યો ટિફિન સેવાનો વિચાર
ફ્રીમાં ટિફિન સેવા ચાલુ કરવાના ડો ઉદય મોદીના સંકલ્પ પાછળ એક હચમચાવી દેતી ઘટના છે.
– ડો. ઉદય મોદી મુંબઈના ભાયંદર વિસ્તારમાં પોતાનું આર્યુર્વેદીક દવાખાનું ચલાવે છે.
– 10 વર્ષ પહેલા એક રાત્રે દવાખાનું બંધ કરતી વખતે વૃદ્ધ દાદા દવા લેવા આવ્યા.
– નિયમિત દવા લેવા આ દાદા આ વખતે વાત કરતા ડો. મોદી સામે રડી પડ્યા.
– લંબાણપૂર્વક વાત કરતા ડો. મોદીને જાણ થઈ કે એમને ત્રણ દીકરા હોવા છતાં તેમની સાથે કોઈ રહેતું નથી.
– દાદાએ ડો. મોદીને જણાવ્યું કે, તેમના પત્ની લકવાગ્રસ્ત હોવાથી રસોઈ કે કોઈ કામ કરી શકે તેમ નથી.
– રડતા રડતા દાદાએ બચત ન હોવાથી બહારથી ભોજન પણ લઈ શકે તેવી સ્થિતિ ન હોવાનું જણાવ્યું.
– વૃદ્ધની આ વાત સાંભળી ઘરે આવેલા ડો. ઉદય મોદીએ પત્નીને આ વાત કરી તેમના માટે ટિફિન બનાવવાનું નક્કી કર્યું.
-પત્ની કલ્પનાબેને ડો. ઉદય મોદીને સપોર્ટ આપ્યો.
-પરિણામે 10થી 200 ટિફિન સુધી પહોંચી સેવા, દરરોજ દાદા-દાદીના ઘરે પહોંચે છે મફ્તમાં ટિફિન.

૫ત્ની કલ્પનાબેને કર્યો ડો. ઉદય મોદીને સપોર્ટ
– વૃદ્ધની વાત સાંભળી તેમના માટે બીજા દિવસથી જ ઘરે ટિફિન બનાવી ડો મોદીએ સેવા શરૂ કરી.
– ડો. ઉદય મોદીના પત્ની કલ્પનાબેને પણ રસોઈ બનાવવામાં કંટાળો ન બતાવતા પતિને સપોર્ટ કર્યો.
– કલ્પનાબેને શારીરિક અશક્ત અને આર્થિક સ્થિતિના કારણે જમવાનુ ન મેળવી શકતા વૃદ્ધો માટે સેવા કરવા કહ્યું.
– ડો મોદીએ પત્નીની વાત સાંભળી અસહાય અને ગરીબ વૃદ્ધોને શોધવા અભિયાન શરૂ કર્યું.
– 2008માં આવા 10 વૃદ્ધોને શોધી ‘શ્રવણ ટિફિન સેવા’ના નામે રોજ ગરમા ગરમ ટિફિન મોકલવાની શરૂઆત કરી.
વૃદ્ધોની સેવા માટે ઉદય મોદીએ પોતાના પિતા સ્વ. હિમંતલાલ હરજીવનદાસ મોદી ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી.

10થી 200 ટિફિન સુધી પહોંચી સેવા
– વર્ષ 2008માં 10 ટિફિનથી શરૂ કરેલી સેવા આજે 200થી વધારે ટિફિન સુધી પહોંચી છે.
– હવે રસોઈ બનાવવા માટે તેઓએ અલગથી બે રસોડા પણ તૈયાર કર્યાં છે.
અલગ-અલગ ગરમા-ગરમ રસોઈ બનાવવા માટે ચાર રસોઈયા પણ બે રસોડામાં કામ કરે છે.
-એક રસોડામાં સામાન્ય રસોઈ બને છે, જ્યારે બીજા રસોડામાં ડાયાબીટીસના દર્દી માટે રસોઈ બને છે.

– ટિફિનમાં રોજ રોટલી, શાક, દાળભાત, પાપડ ઉપરાંત સોમવારે મીઠાઈ પણ આપવામાં આવે છે.
દરરોજ દાદા-દાદીના ઘરે પહોંચે છે મફ્તમાં ટિફિન
– ડો ઉદય મોદીની આ સેવામાં આજે ઘણા યુવાનો પણ જોડાયા છે.
– યુવાનો રોજે રોજ દાદા-દાદીને ઘરે ગરમા-ગરમ ટિફિન પહોંચાડી તેમની દવાનું પણ ધ્યાન રાખે છે.
– ડો. મોદી મફ્તમાં ટિફિનની સાથે બીમાર વડીલોને દવા પણ આપે છે, જેનો પણ ચાર્જ લેવામાં આવતો નથી.
– ડો. ઉદય મોદીના પરિવારમાં પત્ની કલ્પનાબેન , એક દીકરી અને એક દીકરો છે.ડો.મોદીની આ સેવામાં તેમનાં પત્ની ઉપરાંત દીકરી આયુષી અને દીકરો વરુણ પણ પૂરો સહકાર આપે છે.
વડીલોને નિરાશામાંથી બહાર લાવવા તેમના જન્મદિવસે ઘરે જઈને કેક કટિંગ પણ કરે છે.
મિત્રો અને દાતાઓની મદદથી કરે છે સેવા
– ડો. ઉદય મોદીની આર્થિક સ્થિતિ સામાન્ય હોવાથઈ ટિફિન સેવા માટે મિત્રો અને દાતાઓ મદદ કરે છે.
– જો કે હ્રદયથી માતા-પિતાની સેવા કરનાર શ્રવણનું નામ આ સેવામાંથી દૂર કરવા માગતા નથી.
– એક ધનાઢ્ય માણસે આ સેવા કાર્ય માટે મોટી રકમની ઓફર કરી પોતાનું નામ જોડવાની શરત મુકી હતી.
– જો કે તેઓએ આ ઓફરનો અસ્વિકાર કરીને સેવાનું શ્રવણ જ નામ રાખવાનું નક્કી કર્યું હતું
કોણ છે ડો. ઉદય મોદી

– મુંબઈ નજીક ભાયંદરમાં વ્યવસાયે આયુર્વેદ ડોક્ટર ઉદય મૂળ સૌરાષ્ટ્રના અમરેલીના વતની છે.
– ડો. ઉદય મોદી નવરાશની પળોમાં ટેલિવિઝન સિરિયલમાં પણ એક્ટિંગ કરે છે.
– આ અંગે તેઓ કહે છે આ કામથી વધારે પૈસા મળી રહે જેથી હું બીજા લોકોને વધારે મદદ કરી શકું.
– છેલ્લા 10 વર્ષથી આ સેવા કરતા ડો. ઉદય મોદીના પરિવારમાં પત્ની, એક દીકરી અને એક દીકરો છે.
-ભવિષ્યમાં વૃદ્ધાશ્રમ શરૂ કરી ત્યજાયેલા વડીલોની સેવા કરવા માંગે છે.
ડો. મોદીના પિતા પણ કરતા ગરીબોની સેવા
– ડો. ઉદય મોદીના પિતા હિમંતલાલ પોસ્ટ ઓફિસમાં નોકરી કરતા હતા.
– 1987ના સમયગાળામાં મોટા પાયે ચાલી રહેલા બાંધકામમાં મજૂરો કામ કરતા હતા.
– આ સમયે ડો. ઉદય મોદીના પિતા પોતાની નાની બચતમાંથી જુદી જુદી સાઈઝના ચંપલ ખરીદતા હતા.
– જુદી જુદી સાઈઝના ચંપલ ખુલ્લા પગે કામ કરતા મજૂરોને આપી તેની ખુશીમાં તેઓ શાંતિ મેળવતા.આમ સેવા ભાવનાના સંસ્કાર ડો. ઉદય મોદીમાં એમના પિતામાંથી ઉતરી આવ્યા છે.