લોકસભામાં રાજ્યની ૧૭ સીટમાંથી ૮ બીજેપી પાસે અને ૯ શિવસેના પાસે હતી : કૉન્ગ્રેસ-એનસીપી આ વખતે ગઢમાં ગાબડું પાડી શકશે?: ૩૨૩ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે ૩.૧૧ કરોડ મતદારો
મુંબઈની ૬ સીટ સહિત રાજ્યમાં લોકસભાની ચૂંટણીનું ચોથા તબક્કાનું મતદાન સોમવાર તા.29મી એપ્રિલના રોજ યોજાïવાનું છે. આશરે ૩.૧૧ કરોડ મતદાતાઓ તેમના મતનો ઉપયોગ કરીને આ ૧૭ બેઠકો પર ૩૨૩ ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરશે.
મહારાષ્ટ્રમાં પ્રથમ વખત લોકસભાની ચૂંટણીમાં ચાર તબક્કામાં મતદાન કરવાની જાહેરાત ચૂંટણીપંચે કરી હતી જેમાં આ પહેલાં રાજ્યમાં ૧૧, ૧૮ અને ૨૩ એપ્રિલે મતદાન યોજાયું હતું, જ્યારે ચોથા તબક્કામાં ૨૯ એપ્રિલે ૩૩,૩૧૪ પોલિંગ-બૂથમાં મતદાન યોજાશે. ગઈ લોકસભાની ચૂંટણીમાં આ ૧૭ સીટો પર જીત હાંસલ કરનાર બીજેપી-શિવસેના યુતિ એનો ગઢ જાળવી શકશે કે નહીં એનો ફેંસલો મતદારો કરશે.
મુંબઈમાં આશરે એક કરોડ મતદાતાઓ ૬ સીટ પર લોકસભાના ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે જેમાં મુખ્યત્વે ત્રણ-ત્રણ સીટ પર બીજેપી-શિવસેના યુતિ અને પાંચ સીટ પર કૉન્ગ્રેસ અને એક સીટ પર એનસીપીના ઉમેદવાર ચૂંટણીજંગમાં છે. ૧૭ સીટ પર કુલ ૩,૧૧,૯૨,૮૨૩ મતદારોમાંથી ૧,૬૬,૩૧,૭૦૭ પુરુષો અને ૧,૪૫,૫૯,૬૯૮ મહિલાઓ તેમ જ ૧૪૧૮ તૃતીયપંથી મતદારો છે.
દેશમાં લોકસભાની બેઠકોની રાજ્યવાર સંખ્યામાં ૮૦ બેઠકો સાથે ઉત્તર પ્રદેશ પ્રથમ અને ૪૮ બેઠકો સાથે મહારાષ્ટ્ર બીજા ક્રમાંકે છે. અત્યાર સુધી પ્રથમ ત્રણ તબક્કામાં ૩૧ લોકસભાની સીટ પર મતદાન યોજાઈ ચૂક્યું છે, જ્યારે મુંબઈમાં ૬ સીટ પૈકી મુંબઈ નૉર્થ, મુંબઈ-નૉર્થ-વેસ્ટ, મુંબઈ-નૉર્થ-સેન્ટ્રલ, મુંબઈ-નૉર્થ-ઈસ્ટ, મુંબઈ સાઉથ-સેન્ટ્રલ અને મુંબઈ સાઉથ તેમ જ મુંબઈ નજીકનાં શહેરો થાણે, કલ્યાણ અને નૉર્થ મહારાષ્ટ્રમાં નંદુરબાર, ધુળે, દિંડોશી અને નાશિક અને પુણે જિલ્લામાં માવળ અને શિરુર તથા અહમદનગર જિલ્લાના ર્શિડીમાં સોમવોર યોજાનારી ચૂંટણીની તમામ તૈયારીઓને પ્રશાસન આખરી રૂપ આપી રહ્યું છે.
લોકસભાની ૨૦૧૪ની ચૂંટણીમાં રાજ્યની આ ૧૭ સીટ પર કેસરિયા બ્રિગેડની યુતિ બીજેપીએ ૮ અને શિવસેનાએ ૯ સીટ પર જીત હાંસલ કરી હતી એથી આ ચૂંટણીમાં કૉન્ગ્રેસ-એનસીપી આઘાડી અને એને ટેકો આપનાર મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) આ ૧૭ સીટમાં ગાબડું પાડવા માટે તનતોડ મહેનત કરી રહ્યાં છે, જ્યારે સામા પક્ષે કેસરિયા યુતિ અને એને ટેકો આપનાર આરપીઆઇ (આઠવલે) આ ૧૭ સીટ પર ફરી વિજય હાંસલ કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે.


















