Slider Archives - Page 354 of 491 - CIA Live

May 24, 2019
saurashtra_bjp.png
1min5660

લોકસભાની ચૂંટણીના પરિણામોમાં સૌરાષ્ટ્રની સાત બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે અને કેંગ્રેસના સુપડાં સાફ થઈ ગયા છે. આ વખતે સૌરાષ્ટ્રની સાતમાંથી ત્રણ બેઠક ઉપર ભાજપ માટે કપરાં ચઢાણ હતા. ખાસ કરીને અમરેલી બેઠક ઉપર વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી લડી રહ્યા હતા એટલે કોંગ્રેસ માટે સુરક્ષિત બેઠક મનાતી હતી પણ ત્યાં પણ ધાનાણીની હારે કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે.

જૂનાગઢમાં ભાજપની આંતરિક ખેંચતાણ બહાર આવી હતી અને ભાજપની નારાજગીના કારણે જૂનાગઢ બેઠક ભાજપ માટે જીતવી કપરી મનાતી હતી ત્યાં પણ ભાજપની જીત થતાં કોંગ્રેસમાં અપસેટ સર્જાયો છે. એવી રીતે સુરેન્દ્રનગરમાં ત્રિપાંખીયો જંગ હતો. ત્યાં પણ ભાજપે જીત મેળવતાં કોંગ્રેસની છાવણીમાં સોપો પડી ગયો છે.

રાજકોટમાં મોહન કુંડારીયા 3.68 લાખની લીડથી જીત્યા

સૌરાષ્ટ્રની સાત બેઠકમાંથી રાજકોટ બેઠકની વાત કરીએ તો મોહનભાઈ કુંડારીયાએ સૌથી વધારે ઐતિહાસિક લીડ મેળવી હતી. મોહનભાઈ કુંડારીયાને 7,58,645 મત મળ્યા છે જ્યારે કેંગ્રેસના હરીફ ઉમેદવાર લલિતભાઈ કગથરાને 3,90,238 મત મળ્યા છે. એ હિસાબે મોહનભાઈ કુંડારીયા 3,68,407ની જંગી સરસાઈથી વિજેતા બન્યા છે. લલિતભાઈ કગથરાના મોટા પુત્ર વિશાલનું અકસ્માતમાં મૃત્યુ થતાં તેમના શોકમાં રાજકોટ ભાજપના આગેવાનો, કાર્યકરો દ્વારા વિજયોત્સવ મનાવાયો નહોતો. રાજકોટ આમ પણ પહેલેથી ભાજપનો ગઢ મનાય છે એટલે અહીં ભાજપની જીત અપેક્ષિત હતી.

જામનગરમાં પૂનમ માડમે વિક્રમી સરસાઇથી વિજય હાંસલ કર્યો

રાજકોટની જેમ જામનગર બેઠક પણ ભાજપની જીત માટે અપેક્ષિત હતી. 2014ની ચૂંટણીમાં અત્યાર સુધીના જામનગરના ઈતિહાસમાં પૂનમબેન માડમે 1,75,289 મતોની સરસાઈ મેળવી વિક્રમ સ્થાપ્યો હતો. 2019ની આ ચૂંટણીમાં તેમણે પોતાનો જ આ વિક્રમ તોડીને 2,33,681 મતોની સરસાઈ મેળવવાનો નવો વિક્રમ સ્થાપ્યો છે. જામનગરમાં પૂનમબેન માડમને 5,86,357 મત અને મૂળુભાઈ કંડોરિયાને 3,52,676 મત મળ્યા હતા.

ભાવનગરમાં ડો.ભારતી શિયાળ વિજયી નિવડ્યા

ભાવનગર બેઠક પણ ભાજપનો ગઢ મનાય છે પણ આ વખતે કોળી અને પાટીદાર ઉમેદવારો હતા એટલે ચૂંટણી જંગ જોરદાર મનાતો હતો છતાં ભાવનગરમાં પણ અપેક્ષિત પરિણામ જ આવ્યું છે અને ભાજપના ઉમેદવાર ડૉ.ભારતીબેન શિયાળનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના મનહર પટેલનો પરાજય થયો છે.

પોરબંદરમાં રમેશ ધડૂકનો આસાન વિજય

પોરબંદર બેઠક વિવાદિત બેઠક મનાય છે. આ વખતે અનુભવી ધારાસભ્ય લલિત વસોયા સામે ભાજપના નવા ચહેરા રમેશ ધડૂકને આ બેઠક કેવી રીતે ફળશે ? તેના તારણો કાઢવામાં આવતા હતા પણ અંતે આજે આ બેઠકના પરિણામો સામે આવતાં ભાજપના રમેશ ધડૂકનો વિજય થયો છે. જો કે, રમેશભાઈના વિજય પાછળ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને જેતપુરના ધારાસભ્ય તથા કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાની મહેનતે પણ ભૂમિકા ભજવી છે.

સુરેન્દ્રનગર અને અમરેલીમાં કોંગ્રેસને આશા હતી પણ એ ધૂળધાણી થઇ ગઇ

સૌરાષ્ટ્રની જે બે બેઠકો ઉપર કોંગ્રેસને ભારોભાર અપેક્ષા હતી તે સુરેન્દ્રનગર અને અમરેલીમાં પણ ભાજપના જ ઉમેદવારો વિજેતા બન્યા છે અને કોંગ્રેસની આ ચપટીક આશા ઉપર પણ પાણી ફરી વળ્યું છે. અમરેલીની વાત કરીએ તો આ બેઠક ઉપર વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી લડી રહ્યા હતા. પરેશ ધાનાણીની’ યુવા લડાયક નેતાની છાપ અને તેની સામે ભાજપના ઉમેદવાર નારણભાઈ કાછડીયા પ્રત્યે આંતરિક નારાજગી કોંગ્રેસને બેઠક અપાવશે તેમ મનાતું હતું. આ બેઠક માટે રાહુલ ગાંધીએ સભા કરી ત્યારે પણ ધૂમ તડકે મેદની ઉમેટી હતી, એ જોતાં અમરેલી બેઠક ભાજપના હાથમાંથી સરકતી નજરે આવતી હતી.

 

સુરેન્દ્રનગરમાં ગયા વખતે ભાજપના ઉમેદવાર દેવજી ફતેપરા વિજેતા થયા હતા. આ વખતે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી ત્યારે દેવજી ફતેપરાના બદલે હૃદયરોગના નિષ્ણાત ડૉક્ટર મહેન્દ્ર મુંજપરાને ભાજપે ટિકિટ આપતાં આશ્ચર્ય સર્જાયું હતું અને દેવજીભાઈ નારાજ થયા હતા. એવી રીતે કોંગ્રેસ લાલજીભાઈ મેરના બદલે કદાવર નેતા સોમાભાઈ પટેલને ટિકિટ આપતાં લાલજીભાઈ નારાજ હતા અને તેમણે અપક્ષ તરીકે ઝંપલાવ્યું હતું. તેના કારણે આ બેઠકનો જંગ રસપ્રદ બની રહ્યો હતો. આ બેઠક માટે સૌથી વધારે 31 ઉમેદવારો મેદાનમાં હતા. સુરેન્દ્રનગર બેઠક માટે વડાપ્રધાન મોદીએ સભા પણ ગજવી હતી. અંતે આજે આ બેઠક ઉપર મોદી લહેર ચાલી ગઈ હતી અને ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો.

સૌરાષ્ટ્રની લોકસભાની સાત બેઠક ઉપરાંત વિધાનસભાની ત્રણ બેઠકની પેટા ચૂંટણી હતી. જેમાં જામનગર ગ્રામ્ય, ધ્રાંગધ્રા અને માણાવદર એ ત્રણેય બેઠક ઉપર ભાજપના વિજય વાવટા ફરક્યા છે. માણાવદરના કેંગ્રેસી ધારાસભ્ય જવાહર ચાવડા ભાજપમાં જોડાઈને મંત્રી બની ગયા બાદ આ ચૂંટણી થઈ હતી અને તેમાં તેમનો વિજય થયો હતો. જ્યારે ધ્રાંગધ્રાના ધારાસભ્ય પુરુષોત્તમ સાબરીયા પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. તે ભાજપ તરફથી લડયા હતા અને વિજેતા બન્યા હતા.

એવી રીતે જામનગર ગ્રામ્યના કોંગ્રેસી ધારાસભ્ય વલ્લભભાઈ ધારવીયા ભાજપમાં જોડાયા હતા અને આ બેઠક ખાલી પડી હતી. આ બેઠક ઉપર ભાજપ તરફથી રાઘવજીભાઈ પટેલ અને કેંગ્રેસના જેન્તી સભાયા વચ્ચે જંગ હતો જેમાં ભાજપના રાઘવજીભાઈની જીત થઈ હતી. આમ, સૌરાષ્ટ્રની ત્રણેય વિધાનસભાની પેટા ચૂંટણીમાં કેસરીયો છવાયો હતો.

May 24, 2019
congress_looses.jpg
1min5150

મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં કૉંગ્રેસનાં સૂપડાં સાફ થઈ ગયાં છે. માત્ર પંજાબમાં કૅપ્ટન અમરિન્દર સિંઘે ભાજપ અને શિરોમણિ અકાલીદળની આગેકૂચને અટકાવી છે.

આ ત્રણેય રાજ્યોમાં ભાજપની સરકાર હતી પરંતુ ગત ડિસેમ્બરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓને કારણે ભાજપનો પરાજય થયો હતો, પરંતુ રાષ્ટ્રીય ચૂંટણીમાં ત્રણેય રાજ્યની જનતાએ કૉંગ્રેસને સદંતર નકારી છે.

જે-જે બેઠક ઉપર ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે સીધી ટક્કકર હતી, તે-તે બેઠક ઉપર ભાજપની સરખામણીએ કૉંગ્રેસ ક્યાંય દેખાતી નથી.

મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં કૉંગ્રેસનાં સૂપડાં સાફ થઈ ગયાં છે. માત્ર પંજાબમાં કૅપ્ટન અમરિન્દર સિંઘે ભાજપ અને શિરોમણિ અકાલીદળની આગેકૂચને અટકાવી.

પહેલાં મને એવું લાગતું હતું કે કૉંગ્રેસ એકલા હાથે ભાજપને ટક્કર આપી શકે તેમ નથી, પરંતુ મહારાષ્ટ્ર અને બિહારનાં પરિણામ જોઈએ તો એવું લાગે કે ગઠબંધન પણ કંઈ ન કરી શક્યું.

આ ચૂંટણીનું એક પાસું એ પણ છે કે તેનું કોઈ વિશ્લેષણ કરી શકાય તેમ નથી.

May 24, 2019
modi_vic.jpg
1min6700

અમિત શાહે કહ્યું કે ચંડિગઢ,હિમાચલ પ્રદેશ, કર્ણાટક,ઉત્તરાખંડ સહિત દેશનાં 17 રાજ્યોમાં ભાજપને 50ટકાથી વધુ મત મળ્યા છે. અને દેશનાં 17 રાજ્યમાં કૉંગ્રેસ ખાતું ખોલાવવામાં પણ નિષ્ફળ રહી છે.

શાહે આ વિજયને, ‘ટુકડે ટુકેડ ગૅંગની વિચારધારા વિરુદ્ધ સબ કા સાથ સબ કા વિકાસની વિચારધારાનો વિજય’ ગણાવ્યો. અમિત શાહે ગાંધીનગર લોકસભાની બેઠક પર મળેલા વિજય બદલ ગાંધીનગરની જનતાનો આભાર માન્યો હતો. તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જનાદેશ બદલ લોકોનો આભાર વ્યક્ત કરતા કહ્યું, “દેશના કરોડો લોકોએ આ ફકીરની ઝોળી ભરી દીધી છે.”

મોદીએ કહ્યું, “આ વિજય લોકશાહીનો વિજય છે, જનતાનો વિજય છે અને હિંદુસ્તાનનો વિજય છે. તેમણે કહ્યું કે 40-42 ડિગ્રી ગરમી છતાંય આટલા મોટા પ્રમાણમાં મતદાન થવું એ ભારતની લોકશાહીની સિદ્ધિ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “2014થી 2019 સુધીમાં સેક્યુલરિઝમની જમાતે બોલવાનું બંધ કરી દીધું. આ ચૂંટણીમાં એક પણ રાજકીય પક્ષ સેક્યુલરિઝમનું મુખોટું પહેરીને નાગરિકોને ગુમરાહ નથી કરી શક્યો

May 23, 2019
mamta_vs_modi.jpg
1min5020

પશ્ચિમ બંગાળની વાત કરીએ તો અહિંયા તૃણમૂલ કોંગ્રેસ આગળ ચાલી રહી છે.

ટીએમસીએ 2014ની લોકસભા ચૂંટણીમાં  42 બેઠકોમાંથી 34 બેઠકો પર જીત મેળવી હતી.

ઓડિશામાં ભાજપ આગળ ચાલી રહી છે. 2014ની લોકસભા ચૂંટણીમાં બીજૂ જનતા દળે 21માંથી 20 બેઠક પર જીત મેળવી હતી.

May 23, 2019
firmodi.jpg
1min12100

ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ભાજપ તરફી લહેર જોવા મળી છે અને એનડીએ આગળ ચાલી રહી છે. બપોરે 2 વાગ્યે ભાજપાની આગેવાની હેઠળ એન.ડી.એ. ને 320 બેઠકો પર સરસાઇ મળી રહી છે જ્યારે કોંગ્રેસ આગેવાની હેઠળના યુપીએને 90 બેઠકો પર સરસાઇ મળી રહ્યાના અહેવાલો છે. અન્ય 105 બેઠકો પર આગળ હોવાનું ચિત્ર જણાય આવે છે.

એ પૂર્વે પોસ્ટલ બેલેટની અને ઈવીએમની મતગણતરી એકસાથે શરૂ થઈ છે. અગાઉ પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરાતી હતી અને ત્યારબાદ ઈવીએમના મતોની ગણતરી કરવામાં આવતી હતી. લોકસભાની 542 બેઠકો માટે મતગણતરી બપોરે બે વાગ્યે મધ્ય ભાગે પહોંચી અને હજુ પણ પાંચેક કલાક બાદ એટલે કે મોડી સાંજ સુધીમાં કોની સરકાર રચાશે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

દિલ્હીમાં ભાજપ કાર્યલયમાં કાર્યકર્તાઓ અને નેતાઓ એકત્રિત થઇ રહ્યા છે અને અહીં પૂજા પણ શરૂ થઇ ચૂકી છે. પરિણામો ભાજપના પક્ષમાં આવશે તો સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં ભાજપ કાર્યાલય પર આવી પહોંચશે. આ ઉપરાંત ભાજપ કાર્યાલયમાં 20થી 22 હજાર કાર્યકર્તાઓના પહોંચવાની આશા છે.

દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીએ કાર્યકર્તાઓને વિજય મેળવ્યા બાદ ભાજપ કાર્યાલય પહોંચવાની અપીલ કરી છે. મનોજ તિવારીએ કહ્યું છે કે 20થી 22 હજારથી વધુ કાર્યકર્તાઓ આજે ભાજપ કાર્યાલય પહોંચશે. સાંજની ઉજવણીમાં વડાપ્રધાન મોદી પણ સામેલ થશે.

 

May 23, 2019
bjp_logo.png
1min7500

ગુજરાતમાં 26એ 26 તમામ બેઠકો પર ફરી એકવાર ભાજપાના ઉમેદવારોના ભવ્ય વિજયના વિશ્વાસ સાથે ગુજરાત પ્રદેશ ભાજપે ગાંધીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિજય સરઘસની તમામ તૈયારીઓ સાથે જશ્ન શરૂ કરી દીધો છે. બુધવારે જ કમલમ ખાતે ખૂબ જ વિશાળ LED સ્ક્રીન લગાડવામાં આવી છે. મોડી સાંજથી વિશાળ વિજય સરઘસ કાઢવામાં આવશે.

જીતના નક્કી થતાની સાથે ભાજપે ભવ્ય ઉજવણી શરૂ કરી દીધી છે. ભાજપ દ્વારા મિઠાઈ, ફુલ અને ફટાકડાના ફોડવામાં આવ્યા તેમજ મીઠાઇઓ વહેંચી દેવામાં આવી છે.

ગુજરાત ભાજપના કાર્યાલય કમલમથી માંડીને દરેક જિલ્લા, તાલુકાના ભાજપના મુખ્ય મથકો પર જીતની ઉજવણી કરવા માટે ભાજપ દ્વારા સ્થાનિક નેતાઓને સૂચનાઓ આપી દેવામાં આવી છે. ખાસ કરીને આ ઉજવણીમાં ભાજપના ધારાસભ્ય અને આગેવાનો દરેક બેઠક પર ઉજવણી સમયે હાજર રહે તે માટેની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ભાજપના સીનિયર લીડર્સ કમલમ ખાતે રહેશે જ્યારે ઉમદેવારનો અને કાર્યકર્તાઓને તેમના મતવિસ્તારમાં રહેવા પાર્ટી તરફથી જણાવાયું છે. મહત્વનું છે કે મોટાભાગના એક્ઝિટ પોલમાં ગુજરાતમાં લગભગ તમામ બેઠકો ભાજપને મળતી હોવાનું અનુમાન સામે આવ્યા બાદ પ્રદેશ ભાજપ ગેલમાં છે તો બીજી તરફ કોંગ્રેસ ખેમામાં નિરવ શાંતિ છવાઈ ગઈ છે.

ઉજવણીની તૈયારીઓ અંગે વાત કરતા ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ અમારા સહયોગી અમદાવાદ મિરરને કહ્યું કે, ‘પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા મળેલા ફીડબેક પછી અમે ગુજરાતમાં ફરી એકવાર ભવ્ય જીત માટે તૈયાર છીએ. પક્ષના વરિષ્ઠ નેતાઓ પક્ષ પ્રમુખ જીતુ વાઘાણી અને મુખ્યમંત્રી વિજય રુપાણી સહિતના નેતાઓ કમલમ ખાતે આ ઐતિહાસિક જીતના સાક્ષી બનાવા માટે ઉપસ્થિત રહેશે.’ તેમણે વધુમાં કહ્યું કે ભવ્ય વિજય સરઘસ પણ કાઢવામાં આવશે જોકે હજુ તેના સ્થળ અને સમય અંગે નક્કી કરવામાં આવ્યું નથી.

May 23, 2019
sensex-up.jpg
1min13060

કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ એનડીએની બીજી ટર્મ સિક્યોર થઈ હોવાના પ્રારંભિક ટ્રેન્ડ સાથે જ બજારના સેન્ટિમેન્ટમાં સુધારો જોવા મળ્યો હતો.

BSE બેન્ચમાર્ક સેન્સેક્સે ગુરુવારે સૌપ્રથમવાર 40,000 પોઈન્ટ્સની મનોવૈજ્ઞાનિક સપાટી વટાવી હતી અને નિફ્ટીએ પણ 12,000ની સપાટી તોડી હતી. કેન્દ્રમાં ફરી એક વાર મોદીના વડપણ હેઠળની એનડીએ સરકારને સ્પષ્ટ બહુમતીના સંકેતને પગલે શેરબજારમાં આજે ઓલરાઉન્ડ લેવાલી જોવા મળી હતી.

શેરબજારમાં તેજી વચ્ચે અમેરિકન ડોલર સામે રૂપિયો પણ 14 પૈસાના સુધારા 69.51 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

આજે બપોરે 30 શેર્સનો બનેલો સેન્સેક્સ એક તબક્કે 900 પોઈન્ટ્સ વધીને 40,012.35 પોઈન્ટ્સની ઊંચી સપાટીને સ્પર્શ્યો હતો. NSE નિફ્ટી પણ 265 પોઈન્ટ્સના જંગી ઉછાળા સાથે 12,003.50 પોઈન્ટ્સની સપાટી વટાવી ગયો હતો.

આજે બપોરે યસ બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક, L&T, SBI, ICICI બેન્ક, કોટક બેન્ક, RIL અને HDFC બેન્કના શેર્સ 8 ટકા સુધી વધીને ટ્રેડ થઈ રહ્યા હતા જ્યારે વેદાંતા, ITC અને TCSના શેર્સ 0.45 ટકા સુધી ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.

બે કલાકની મતગણતરી બાદ સત્તાધારી NDAને 300થી વધુ બેઠકોમાં સરસાઈ મળતાં બજારમાં લેવાલી વધી હતી. કોંગ્રેસના વડપણ હેઠળ યુપીએ 100 બેઠકો પર સરસાઈ ધરાવતું હતું.

May 22, 2019
world_cup_logo.png
1min6820

ક્રિકેટ પંડિતો કઇ ટીમ ચેમ્પિયન બનશે તેના પર વિશ્લેશણ કરી રહયા છે. મોટાભાગનાએ યજમાન ઇંગ્લેન્ડ અને ભારતની ટીમને ખિતાબની પ્રબળ દાવેદાર ગણાવી છે. એનું કારણ એ છે કે પાછલા કેટલાક વર્ષોમાં આ બે ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે.

ઇંગ્લેન્ડની ટીમ આઇસીસી વન ડે ક્રમાંકમાં હાલ નંબર વન છે. ઇયાન મોર્ગનના સુકાનીપદ હેઠળ ઇંગ્લેન્ડની ટીમે પાછલી 10 સિરિઝ જીતી છે. આ દરમિયાન તેણે દ. આફ્રિકા, વેસ્ટ ઇન્ડિઝ, ઓસ્ટ્રેલિયા, ભારત, ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન જેવી મજબૂત ટીમોને હાર આપી છે. જ્યારે વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયાએ પાછલી 10 વન ડે શ્રેણીમાંથી આઠમાં વિજય હાંસલ કર્યોં છે. આ દરમિયાન ભારતે આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઇન્ડિઝ અને શ્રીલંકા જેવી ટીમોને હાર આપી છે.

જો કે આ દરમિયાન ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે આંચકારૂપ હાર પણ સહન કરવી પડી છે. ભારત વિશ્વ ક્રમાંકમાં બીજા સ્થાને છે અને ત્રીજો વિશ્વ કપ જીતવા મેદાને પડશે.

બીજી તરફ દ. આફ્રિકાએ પણ પાછલી પ વન ડે સિરિઝ સતત જીતી છે. જો કે તેને ભારત અને ઇંગ્લેન્ડ સામે હાર મળી હતી. આ સામે ઓસ્ટ્રેલિયાએ પાછલી 10 સિરિઝમાંથી ફકત 4 સિરિઝ જ જીતી છે, પણ ભારત પ્રવાસના આખરી ત્રણ મેચ જીતીને શ્રેણી કબજે કરી હતી. બાદમાં પાકિસ્તાનને યૂએઇમાં પ-0થી સજ્જડ હાર આપી હતી. આમ તે પાછલા 8 વન ડે મેચથી અપરાજીત છે અને ફોર્મમાં વાપસી કરી ચૂકી છે. આથી ઓસ્ટ્રેલિયા પણ વર્લ્ડ કપમાં ફેવરિટ ટીમ બની ગઇ છે.

May 22, 2019
down-1280x1280.png
1min7000

એક્ઝિટ પોલ સાથે 1421 પોઇન્ટની જોરદાર છલાંગ લગાવ્યાં બાદ મંગળવારના સત્રમાં સેન્સેક્સ નવી વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ ઝડપી પ્રોફિટ બુકિંગ શરૂ થતાં સેન્સેક્સ 383 પોઇન્ટ ગબડ્યો હતો અને નિફ્ટીએ 119 પોઇન્ટ ગુમાવ્યાં હતાં. પ્રારંભિક ઉછાળા બાદ રોકાણકારોને એવું સમજાઇ જતાં કે ચૂંટણીમાં ભાજપની જિતની સંભાવના એક્ઝિટ પોલની જાહેરાત સાથે પૂર્ણપણે ડિસ્કાઉન્ટ થઇ ગઇ છે, પ્રોફિટ બુકિંગનો મારો શરૂ થતાં સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી. બીએસઇનો સંવેદનશીલ શેરઆંક સેન્સેક્સ 39,352.67 પોઈન્ટ્સના પાછલા બંધ સામે 39,449.45 પોઇન્ટની સપાટીએ ખૂલીને સત્ર દરમિયાન 39,571.73 પોઇન્ટની ઊંચી અને 38,884.85 પોઇન્ટની નીચી સપાટીને અથડાઇને 382.87 પોઇન્ટ અથવા તો 0.97 ટકાના ઘટાડા સાથે 38,969.80 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.

ટાટા મોટર્સ, મારુતિ, રિલાયન્સ, ઇન્ડસઇન્ડ બેન્ક: નેશનલ સ્ટોક એક્સચેંજનો 50 શેરવાળો બેન્ચમાર્ક નિફ્ટી 11,828.25 પોઇન્ટના પાછલા બંધ સામે 11,863.65 પોઇન્ટની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ઉપરમાં 11,883.55 અને નીચામાં 11,682.80 પોઈન્ટ્સની રેન્જમાં અથડાયા બાદ 119.15 પોઈન્ટ્સ અથવા તો 1.01 ટકા ઘટીને 11,709.10 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. રેવેન્યૂના ધોરણે આઇઓસીને પાછળ મૂકીને રિલાયન્સ દેશની સૌથી મોટી કંપની બની હતી. 2018-19ના નાણાકીય વર્ષમાં રિલાયન્સે રૂ. 6.23 લાખ કરોડનું ટર્નઓવર નોંધાવ્યું હતું, જ્યારે આઇઓસીએ રૂ. 6.17 લાખ કરોડનું ટર્નઓવર નોંધાવ્યું હતું. માર્ચ ક્વાર્ટરમાં ચોખ્ખા નફામાં 49 ટકાનો ટાડો નોંધાવનાર ટાટા મોટર્સનો શેર 7.05 ટકાના કડાકા સાથે સેન્સેક્સના શેરોમાં ટોપ લૂઝર બન્યો હતો. આ ઉપરાંત અન્ય લૂઝર શેરોમાં મારુતિ, ઇન્ડસઇન્ડ બેન્ક, એમએન્ડએમ, ભારતી એરટેલ, સ્ટેટ બેન્ક, પાવરગ્રીડ, હીરો મોટોકોર્પ, ટાટા સ્ટીલ, આઇસીઆઇસીઆઇ બેન્ક, ઇન્ફોસિસ, યસ બેન્ક અને ટીસીએસમાં 3.25 ટકા સુધીનો કડાકો હતો.

ભારતી એરટેલ, સ્ટેટ બેન્ક, પાવરગ્રીડ, એચયુએલ: જોકે ખરાબ બજારમાં પણ સંસ્થાકીય લેવાલીનો ટેકો મળવાને કારણે રિલાયન્સ, એચયુએલ અને બજાજ ફાઇનાન્સ જેવા શેરોમાં 1.08 ટકા સુધીનો સુધારો જોવા મળ્યો હતો. પ્રારંભના સત્રને બાકાત કરતાં બાકીના સમયમાં વ્યાપક અને તીવ્ર વેચવાલી જોવા મળી હોવાથી નાના શેરોમાં પણ ધોવાણ જોવા મળ્યું હતું. બીએસઇના મિડકેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં એકંદર 0.84 ટકા જેવી પીછેહઠ સાથે નેગેટીવ ઝોનમાં ધકેલાયા હતાં. એસ્ટ્રા પોલિ ટેકનિક, ડીવીઆર, ફિલિપ્સ, કાર્બન બ્લેક અને વોડાફોન, આઇડિઆ પણ ટોપ લૂઝર માં સામેલ હતો. બી ગ્રુપના શેરોમાં રાધા માધવ ટોપ લૂઝર બન્યો હતો. અન્ય લૂઝર શેરોમાં એનઇએલ હોલ્ડિંગ, નાહર પોલિફિલ્મ્સ, શ્રી પુષ્કર કેમિકલ અને પલાશ સિક્યુરિટીઝનો સમાવેશ હતો.

એસ્ટ્રા પોલિ ટેકનિક, એનઇએલ હોલ્ડિંગ, ડીવીઆર, ફિલિપ્સ: થાયરોકેર ટેકનોલોજીમાં એનએસઇ પર 3.66 લાખ શેરનું વોલ્યુમ જોવા મળ્યું હતું. આ ઉપરાંત યુનાઇટેડ બ્રુવરીઝ, સિનજિન ઇન્ટરનેશનલ, ટ્રેન્ટ અને જેકે લક્ષ્મી સિમેન્ટમાં પણ વોલ્યુમમાં ઉછાળા નોંધાયા હતા. ટીવીએસ મોટર્સ, બજાજ ફાઇનાન્સ અને આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યુરન્સ કંપની લિમિટેડમાં સતત પાંચમા સત્રમાં આગેકૂચ જોવા મળ્ી હતી. બજારમાં સ્થિરતા રહેતી ન હોવાથી રોકાણકારોનો જીવ ઉચ્ચક રહે છે. એક્ઝિટ પોલથી લઇને ચૂંટણીના પરિણામો અને અમેરિકાના ઇરાન અને ચીન સાથેના ઘર્ષણો, ક્રૂડ ઓઇલના ભાવ અને ડોલર સામે રૂપિયાની વધઘટ જેવા પરિબળો માર્કેટમાં અફડાતફડી અને અસ્થિરતાને પોષતા રહેશે.

May 22, 2019
talaja.gif
1min14440

તળાજા તાલુકાના તરસરા ગામે એક તરફ લગ્નનો મંડપ નખાતો હતો તે જ સમયે પાણી ભરવા જેવી બાબતે પરિવારો હથિયાર લઈને સામસામે આવી એકબીજા પર હુમલો કરતા એક મહિલા સહિત આઠ વ્યક્તિને નાની મોટી ઇજાઓ થઈ હતી જેમાં ગોરખી ગામનો એક યુવાન ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. બનાવના પગલે લોકો દોડી આવ્યા હતા. તરસરા ગામે લગ્નપ્રસંગનો માંડવો રોપાતો હતો ત્યારે ગોરખી ગામના લોકો સાથે પાણી મુદ્દે તકરાર થઈ હતી અને છૂટા હાથની મારામારી થઈ હતી જેમાં ગોરખી ગામે રહેતા ચેતન જીવનભાઈ ડોળશિયા, જીવણભાઈ ફાંફાભાઈ ડોળાશિયા અને તરસરા ગામના બીજલભાઈ દેવશીભાઈ પરમાર, અશોક બીજલ, ભટુર બોઘા, મધિબેન ઘુઘાભાઈ પરમાર, ઘુઘા બીજલ પરમાર, નરેશબાબુ પરમાર એમ બંને પરિવારોના કુલ 8 લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી. ઇજાગ્રસ્તોને તળાજા હૉસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. આ મારામારીમાં ગોરખી ગામના ચેતન ડોળાશિયા અર્ધબેભાન અને કાનમાંથી લોહી નીકળતું હોઈ હેમરેજની સંભાવના હોવાથી ભાવનગર બંને પિતા પુત્રને રીફર કર્યા હતા.