

મધ્યપ્રદેશમાં ભોપાલથી કોંગ્રેસના દિગ્વીજય સામે ભાજપાના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા સાધ્વી પ્રજ્ઞાના એલફેલ નિવેદનોને પગલે ભાજપા સમેત વડાપ્રધાન મોદીએ પણ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાવું પડ્યું છે.

વડાપ્રધાન મોદીએ શુક્રવાર તા.17મીએ બપોરે જાહેર નિવેદનમાં કહ્યું હતું કે તેઓ જીવનભર સાધ્વી પ્રજ્ઞાને તેમના ગોડસે અંગેના નિવેદન બદલ માફ નહીં કરી શકે. ભાજપાએ નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવેદનને ટ્વીટ કર્યું હતું.
એ પછી ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહે નિવેદન જારી કરીને કહ્યું હતું કે ગોડસે અંગે નિવેદનો કરનાર ભાજપાના ત્રણેય નેતાઓના કેસને શિસ્ત સમિતિ સુધી મોકલી આપવામાં આવ્યા છે. કોઇપણ નેતા હોય જો ગુનેગાર જણાશે તો ભાજપા તેની સામે પગલાં ભરવામાં કચાશ નહીં રાખે.
ભોપાલથી ભાજપાના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાએ ગોડસે સંબંધિત આપેલા નિવેદન બાદ પાર્ટી પોતાને આ નિવેદનથી અલગ જણાવી રહી છે. ભાજપાના જીવીએલ નરસિંહા રાવે કહ્યું કે પાર્ટી સાધ્વી પ્રજ્ઞાના આ નિવેદન સાથે સહમત નથી. અમે આ નિવેદનની ટીકા કરીએ છીએ. રાવે કહ્યું કે પાર્ટી તેઓને (સાધ્વી પ્રજ્ઞા) આ નિવેદન મુદ્દે સ્પષ્ટતા કરવાનું કહેશે. જણાવી દઈએ કે સાધ્વી પ્રજ્ઞાએ એક સવાલના જવાબમાં કહ્યું હતું કે નાથૂરામ ગોડસે દેશભક્ત હતા. દેશભક્ત છે અને દેશભક્ત રહેશે.
મુંબઈ: દેશમાં સામાન્ય ચૂંટણીના એક્ઝિટ પોલ જાહેર થતા અગાઉ શેરબજારમાં શોર્ટ કવરિંગથી શુક્રવારે 537 પોઈન્ટ્સનો હાઈજમ્પ જોવા મળ્યો હતો. આજે સવારથી જ ઓટો, બેન્ક અને કેપિટલ ગૂડ્ઝ શેરોમાં ધૂમ લેવાલી જોવા મળી હતી.
આજે દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં 38,001.13 અને નીચામાં 37,415.36 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 537.29 પોઈન્ટ્સ (1.44%)ના ઉછાળા સાથે 37,930.77 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.
નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં 11,426.15 અને નીચામાં 11,259.85 પોઈન્ટ્સની રેન્જમાં અથડાયા બાદ 150.05 પોઈન્ટ્સ (1.33%) વધીને 11,407.15 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.
BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 1.11 ટકા અને 0.49 ટકા વધીને બંધ રહ્યા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જણાવ્યું હતું કે મારી સરકાર ઇશ્ર્વરચંદ્ર વિદ્યાસાગરની વિચારધારાને અનુસરે છે અને કોલકાતામાં તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી)ના ગુંડાઓએ જે સ્થળે તેમનું પૂતળું તોડ્યું હતું ત્યાં પંચધાતુની ભવ્ય પ્રતિમાનું નિર્માણ કરીશું.
વડા પ્રધાને જણાવ્યું હતું કે હું હવે પછી ડમડમમાં જાહેરસભાને સંબોધવા જવાનો છું, પરંતુ પશ્ર્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી મારા હેલિકૉપ્ટરને ત્યાં ઊતરવા દેશે કે નહિ એ ખબર નથી.

મોદીએ અહીં ચૂંટણીસભાને સંબોધતા જણાવ્યું હતું કે અમે ઘણાં સમયથી (મમતા)દીદીનું (ખરાબ) વલણ જોતા હતા, પરંતુ હવે દેશ જોઇ રહ્યો છે.
તેમણે જણાવ્યું હતું કે અમારી સરકાર ઇશ્ર્વરચંદ્ર વિદ્યાસાગરની વિચારધારાને સમર્પિત છે અને કોલકાતામાં તૃણમૂલ કૉંગ્રેસના ગુંડાઓએ જે સ્થળે તેમનું પૂતળું તોડ્યું છે ત્યાં અમે પંચધાતુની બનેલી તેમની પ્રતિમા બેસાડીશું.
વડા પ્રધાને જણાવ્યું હતું કે તૃણમૂલ કૉંગ્રેસના ગુંડાઓએ ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના પ્રમુખ અમિત શાહના રોડશો વખતે ઇશ્ર્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમા તોડી હતી અને આ કૃત્ય કરનારા લોકોને કડક સજા થવી જોઇએ.
મોદીએ આક્ષેપ કર્યો હતો કે પશ્ર્ચિમ મિદનાપોર અને ઠાકુરનગરમાંની મારી અગાઉની ચૂંટણીસભાઓ વખતે તૃણમૂલ કૉંગ્રેસના કાર્યકરોએ અરાજકતા ફેલાવી હતી.
તેમણે જણાવ્યું હતું કે કૂચ બિહારમાં મારી જાહેરસભા માટે જ્યાં મંચ બંધાવાનો હતો ત્યાં મમતા બેનરજીએ પોતાના પક્ષ માટે મોટો મંચ બાંધી દીધો હતો.
ચૂંટણી પંચે એની વિશ્ર્વસનીયતા અને સ્વાતંત્ર્ય ગુમાવી દીધા છે, એવો આક્ષેપ કરીને કૉંગ્રેસે કહ્યું હતું કે આ પંચની નિયુક્તિની પ્રક્રિયાની સમીક્ષા કરવાનો સમય આવી ગયો છે.
શું આચારસંહિતા હવે ‘મોદીની આચારસંહિતા’ બની ગઈ છે? એવું પૂછાતાં કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું હતું કે ‘પશ્ર્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચારમાં ૨૦ કલાકનો કાપ મૂકવાનો ચૂંટણી પંચનો આદેશ ભારતીય લોકશાહી પરનો તેમ જ ચૂંટણી પંચ જેવી સંસ્થાઓ પર ‘ઘેરો ધબ્બો’ છે.
કોલકતામાં ભાજપ અને તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી)ના કાર્યકરો વચ્ચે હિંસા ફાટી નીકળતાં ચૂંટણી પંચે બુધવારે બંધારણની કલમ ૩૨૪ લાગુ કરીને પશ્ર્ચિમ બંગાળની નવ બેઠકોમાં ચૂંટણીના પ્રચારકાર્યને ગુરુવારે રાત્રે ૧૦.૦૦ વાગ્યે (સમયપત્રક મુજબની સમયમર્યાદા કરતાં ૨૪ કલાક પહેલાં) થંભાવી દેવાનો આદેશ બહાર પાડ્યો હતો.

સૂરજેવાલાએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘ચૂંટણી પંચમાં થતી નિયુક્તિની પ્રક્રિયાની સમીક્ષા કરવાનો સમય આવી ગયો છે. શું આ પંચ શાસક પક્ષ સાથે સંલગ્ન વિભાગ બની રહેવો જોઈએ કે આપણી લોકશાહી માટે જરૂરી અને ન્યાયી તથા પારદર્શક પ્રક્રિયાથી નિયુક્ત થયેલી બંધારણીય સંસ્થા બની રહેવી જોઈએ? કૉંગ્રેસ એક જવાબદાર રાજકીય પક્ષ છે અને એણે ક્યારેય બંધારણીય સંસ્થાઓ સામે કારણ વગર આંગળી નથી ચીંધી. જોકે, અમારે ઊંડા ખેદપૂર્વક કહેવું પડે છે કે ચૂંટણી પંચે એની સ્વાયત્તતા ગુમાવી દીધી છે.’
સૂરજેવાલાએ એવો આક્ષેપ પણ કર્યો હતો કે ‘ચૂંટણી પંચની પગલાં પરથી લાગે છે કે એ વડા પ્રધાન મોદી તથા ભાજપ માટેની વિદાય સમયની ભેટ છે. પંચનું એક પગલું આ માટે સૂચક છે. આ પગલાંમાં ચૂંટણી પંચે પશ્ર્ચિમ બંગાળમાં પ્રચારકાર્યને ૨૪ કલાક વહેલો સમેટી લેતો આદેશ આપ્યો એમાં મોદીની અગાઉથી જાહેર થયેલી મથુરાપુરા તથા ડમ ડમ ખાતેની રૅલીને નથી આવરી લેવાઈ. બીજી રીતે કહીએ તો આ બે રૅલીને ઊની આંચ ન આવે એ મુજબનો પ્રતિબંધ લાગુ કરાયો છે.’
સૂરજેવાલાના મતે ‘મોદીજીની ખુરસી, તેમની પ્રતિષ્ઠા અને ચૂંટણી પંચ તથા લોકશાહીનું સ્વાતંત્ર્ય, આ ત્રણેય બાબતો અત્યારે ખતરામાં છે. આ દેશની પ્રજા અંતિમ નિર્ણય લેનારી છે, પરંતુ એક વાત નક્કી છે કે જ્યારે બધુ નિષ્ફળ જતું હોય ત્યારે લોકશાહી સફળ રહેતી હોય છે. ચૂંટણી પંચ ભાજપના પ્રમુખ અમિત શાહના ગુંડાઓ અને તોફાનીઓને સજા કરવાને બદલે લોકશાહીને હાનિ પહોંચાડી રહ્યું છે. ભારતીય ચૂંટણી પંચ મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજી શકવા સમર્થ નથી એવું કબૂલીને પ્રજામાં એક પ્રકારનો હાઉ પેદા કરી રહ્યું છે. કૉંગ્રેસે ચૂંટણી પંચ સમક્ષ મોદી તથા અમિત શાહની વિરુદ્ધમાં ૧૧ કરતાં વધુ ફરિયાદો કરી છે. અમને તો ચૂંટણી પંચમાં સ્પષ્ટપણે નારાજગી દેખાઈ રહી છે. પંચ નરેન્દ્ર મોદી અને અમિત શાહને શરણે થઈ ગયું છે.’

પાકિસ્તાને ભારતીય ફ્લાઇટ્સ માટે પોતાની હવાઇસીમા ૩૦મી મે સુધી નહિ ખોલવાનો બુધવારે નિર્ણય લીધો હતો.
ભારતીય હવાઇદળે ૨૬મી ફેબ્રુઆરીએ પાકિસ્તાનના બાલાકોટમાંના ત્રાસવાદી સંગઠન જૈશે મહંમદની છાવણીઓ પર હુમલા કર્યો તે પછી પાકિસ્તાને પોતાની હવાઇસીમા ભારતીય વિમાનો માટે સંપૂર્ણ બંધ કરી દીધી હતી.
આમ છતાં, પાકિસ્તાને નવી દિલ્હી, બેંગકોક અને ક્વાલા લમ્પુર માટેની ફ્લાઇટ્સ સિવાયના ફ્લાઇટ્સ માટે પોતાની હવાઇસીમા ૨૭મી માર્ચે ખોલી હતી.
પાકિસ્તાનના એક ઉચ્ચ સરકારી અધિકારીએ સંબંધિત માહિતી આપતા જણાવ્યું હતું કે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રાલય અને મુલકી ઉડ્ડયન મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓની બુધવારે બેઠક મળી હતી અને તેમાં ભારતીય ફ્લાઇટ્સ પરના પ્રતિબંધને ૩૦મી મે સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો હતો.
તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાનની સરકાર હવે પોતાની હવાઇસીમામાંના ભારતીય ફ્લાઇટ્સ પરના પ્રતિબંધ અંગે ૩૦મી મેએ ફેરવિચારણા કરશે.
પાકિસ્તાનના વિજ્ઞાન અને ટેક્નૉલૉજી વિભાગના પ્રધાન ફાવદ ચૌધરીએ ચાલુ સપ્તાહના પ્રારંભમાં જણાવ્યું હતું કે અમારી સરકાર ભારતમાંની સામાન્ય ચૂંટણી પૂરી થવાની રાહ જોઇ રહી છે અને ત્યાં સુધી આ સ્થિતિ જેમ છે એમ રખાશે.
ભારતે પણ પાકિસ્તાની ફ્લાઇટ્સ પર આવો પ્રતિબંધ મૂક્યો હોવાથી પાકિસ્તાને બેંગકોક, ક્વાલા લમ્પુર ખાતેની પોતાની અનેક ફ્લાઇટ રદ કરી હતી.

૪૯ વર્ષના નેપાળી શેરપાએ ૨૩મી વખત માઉન્ટ ઍવરેસ્ટ સર કરી તેનો પોતાનો જ અગાઉનો રેકૉર્ડ તોડ્યો હોવાનું પ્રસાર માધ્યમના અહેવાલમાં બુધવારે જણાવવામાં આવ્યું હતું.
કામી રીટા શેરપા જેણે ગયા વરસે વિશ્ર્વના સૌથી ઊંચા ૮૮૫૦ મીટરના માઉન્ટ ઍવરેસ્ટની ટોચ પર ઊભા રહીને સૌથી વધુ બાવીસ વખત ઍવરેસ્ટ સર કરવાનો વિક્રમ સ્થાપ્યો હતો. બુધવારે સવારે ફરી એકવાર તેણે તેના સાથીદારો સાથે માઉન્ટ ઍવરેસ્ટના શિખર પર પગ મૂકી પોતાનો જ અગાઉને રેકોર્ડ તોડ્યો હતો.
પ્રસારમાધ્યમે સેવન સમિટ ટ્રેક્સ ખાતે કંપનીના અધ્યક્ષ મિન્ગમા શેરપાને એમ કહેતા ટાંક્યા હતા કે સોલુખુમ્બુ જિલ્લાના થામે ગામના વતની કામી રીટા શેરપાએ નેપાળની બાજુએથી બુધવારે સવારે ૭:૫૦ વાગ્યે ઍવરેસ્ટના સર્વોચ્ચ શિખર પર પગ મૂકી અગાઉનો તેનો જ વિક્રમ તોડ્યો હતો.
કામી રીટા શેરપા વર્ષ ૧૯૯૪થી માઉન્ટ ઍવરેસ્ટ ચઢી રહ્યો છે. વર્ષ ૨૦૧૫માં તેનો ગ્રાહક માર્ગમાં અધવચ્ચે જ માંદો પડી જવાને કારણે તે ઍવરેસ્ટ ચઢી નહોતો શક્યો. વર્ષ ૧૯૯૫માં ભયાનક હિમસ્ખલને એક ટુકડીનો ભોગ લીધા બાદ તેણે માઉન્ટ ઍવરેસ્ટ જવાનું માંડી વાળ્યું હતું.
વર્ષ ૨૦૧૭માં કામી ૨૧ વખત માઉન્ટ ઍવરેસ્ટ સર કરનાર ત્રીજી વ્યક્તિ બન્યો હતો અને તેણે અપ્પા શેરપા અને પૂર્બા તાશી શેરપાના વિક્રમની બરોબરી કરી હતી. અપ્પા શેરપા અને પૂર્બા તાશી શેરપાએ ત્યાર બાદ નિવૃત્તી લઈ લીધી હતી.
વર્ષ ૨૦૧૮માં કામીએ બાવીસમી વખત ઍવરેસ્ટ સર કરી નવો વિક્રમ સ્થાપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે બુધવારે પ્રિયંકા શર્માને છોડવાના મુદ્દા પર પશ્ર્ચિમ બંગાળ સરકારની ઝાટકણી કાઢી હતી. પ્રિયંકા શર્માએ મુખ્ય પ્રધાન મમતા બેનરજીનો ફોટો મોર્ફ કરીને (ચેડાં કરીને) સોશિયલ મીડિયા પર રજૂ કર્યો હતો. ૧૦મી મેના દિવસે તૃણમૂલ કૉંગ્રેસના નેતા વિભાસ હાજરાની ફરિયાદના આધારે પોલીસે પ્રિયંકાની ધરપકડ કરી હતી અને ટ્રાયલ કોર્ટે તેને જ્યૂડિશિયલ કસ્ટડીમાં ૧૪ દિવસ રાખવાનો આદેશ આપ્યો હતો. પ્રિયંકા શર્મા ભાજપની યુવા પાંખની કાર્યકર છે.
પ્રિયંકા શર્માને છોડી દેવા સુપ્રીમ કોર્ટે મંગળવારે પશ્ર્ચિમ બંગાળ સરકારને આદેશ આપ્યો હતો. પ્રિયંકા શર્માના ભાઈ રાજીવ શર્માના એડ્વોકેટે બુધવારે સુપ્રીમમાં રજૂઆત કરી હતી કે પ્રિયંકાને છોડવામાં આવી નથી. ન્યાયમૂર્તિ ઈંદિરા બેનરજી અને સંજીવ ખન્નાની વેકેશન ખંડપીઠે પશ્ર્ચિમ બંગાળના એડ્વોકેટને પૂછયું હતું કે, ‘આજે સવારના ૯.૪૦ કલાકે કેમ છોડી? તમારી હાજરીમાં ઓર્ડર પસાર કરવામાં આવ્યો હતો.’ એડ્વોકેટે જવાબ આપ્યો હતો કે, જેલ મેન્યુઅલના કારણે વિલંબ થયો હતો. ખંડપીઠે કહ્યું કે, ‘સુપ્રીમ કોર્ટના આદેશની સામે જેલ મેન્યુઅલનું કારણ નહીં આપી શકાય. આ રીતે નહીં ચાલે. ધરપકડ પ્રથમદર્શી નજરે મનસ્વી હતી.’ ખંડપીઠે અરજદારના એડ્વોકેટને પ્રિયંકાને છોડી કે નહીં તેની તપાસ કરવા કહ્યું હતું. જો છોડવામાં નહીં આવી હોય તો અવમાનનાની નોટિસ આપવામાં આવશે તેવી ચેતવણી ખંડપીઠે આપી હતી.
દરમિયાન પ્રિયંકાના ભાઈના એડ્વોકેટે ખંડપીઠને કહ્યું હતું કે, ૧૩મી મેએ ટ્રાયલ કોર્ટમાં ‘ક્લોઝર રિપોર્ટ’ રજૂ કરાયો હતો તે બાબત પશ્ર્ચિમ બંગાળ સરકારના એડ્વોકેટે સુપ્રીમ કોર્ટને જણાવી ન હતી. એડ્વોકેટે કહ્યું કે, આ અંગે તેમણે જુદી અરજી રજૂ કરી છે. સુપ્રીમ કોર્ટે ઉનાળુ વેકેશન પછી એટલે કે જુલાઈમાં તે બાબતની સુનાવણી હાથ ધરવામાં આવશે તેમ કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, મુક્ત થયા પછી પ્રિયંકાએ પોસ્ટ શેર કરવા બાબતમાં દિલગીરી વ્યક્ત કરવાની રહેશે. સોશિયલ મીડિયા પર પોસ્ટ અથવા મીમ શેર કરનારાની ધરપકડ થઈ શકે કે કેમ તે બાબતમાં પ્રતિભાવ આપવા પશ્ર્ચિમ બંગાળ સરકારને નિર્દેશ આપ્યા હતા.
હું માફી નહીં માગું: પ્રિયંકા શર્મા

કોલકાતા: ભાજપની યુવા પાંખની કાર્યકર પ્રિયંકા શર્માએ કહ્યું કે, તે માફી નહીં માગશે. ભાજપ ઑફિસમાં યોજાયેલી એક પત્રકાર પરિષદમાં તેણે કહ્યું કે, ‘મને કોઈ પસ્તાવો નથી. મારે માફી માગવી પડે તેવું મેં કંઈ કર્યું નથી. પ્રિયંકાને પાંચ દિવસ પછી આલીપોર જેલમાંથી સુપ્રીમના આદેશના પગલે બુધવારે સવારે ૯.૪૦ કલાકે જેલમાંથી છોડવામાં આવી હતી. પ્રિયંકાને જયારે જેલમાંથી છોડવામાં આવી ત્યારે તેની માતા અને ભાજપના સ્થાનિક નેતા હાજર હતા. પ્રિયંકાએ કહ્યં કે, ‘જેલમાં મારા પર ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. જેલરે મને ગઈકાલે ધક્કો માર્યો હતો.’ પ્રિયંકાના ભાઈ રાજીવ શર્માએ આક્ષેપ કર્યો હતો કે, ‘જેલ સત્તાવાળાઓએ સુપ્રીમના આદેશની ‘હાર્ડ કોપ’ માગ કરી હતી. તરત જ છોડી મૂકવાના સુપ્રીમના આદેશનું તેમણે પાલન ન કર્યું હતું.’ પ્રિયંકાએ પ્રિયંકા ચોપરાના ફોટામાં મમતા બેનરજીનો ચહેરો ‘મોર્ફ’ કરી જોડયો હતો. તેની ધરપકડ પછી ભાજપ કાર્યકરો અને સોશિયલ મીડિયા યૂઝર્સ દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા.
ભારતમાં ઓનલાઇન ફાર્મસીનું ચલણ વધી રહ્યું છે પરંતુ તે લોકોના આરોગ્ય માટે જોખમી છે કારણ કે શિડ્યૂલ્ડ ડ્રગ્સ કે નાર્કોટિક્સ ડ્રગ્સનો દૂરુપયોગ થવાની પૂરી શક્યતાઓ છે. કાયદા મુજબ રિટેલ સ્ટોરમાંથી રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટની હાજરીમાં જ દવાનું વેચાણ કરી શકાય છે અને તેમાં પ્રિસ્ક્રિપ્શન અનિવાર્ય હોય છે અને ડોક્ટરે લખેલી બ્રાન્ડ પણ બદલી શકાતી નથી જ્યારે ઓનલાઇન ફાર્મસીમાં કોઇ ચોક્સાઇ વગર દવાઓનું વેચાણ થાય છે.

ડ્રગ્સ ડિલિવરીમાં તમામ તબક્કે માર્જિન ફિક્સ છે ત્યારે ઓનલાઇન ફાર્મસી મોટા ડિસ્કાઉન્ટ આપીને રિટેલ કેમિસ્ટ્સના અસ્તિત્વ સામે ખતરો બની રહી છે.
પ્રિસ્ક્રિપ્શન અપલોડ કરવાનું હોય છે પરંતુ તેની વિશ્વસનિયતા હોતી નથી. વિકસિત દેશોમાં પણ ઓનલાઇન ફાર્મસીને માત્ર ઓટીસી પ્રોડક્ટ્સનું વેચાણ કરવાની મંજૂરી છે અને તેઓ અન્ય ડ્રગ્સનું વેચાણ કરી શકતા નથી. જોકે, એસોસિયેશનના હોદ્દેદારો જ ઓનલાઇન ફાર્મસીને દવાઓનું વેચાણ કરતા હોવાના મુદ્દે સભ્યોમાં રોષ છે.
સમગ્ર દેશમાં ઓનલાઇન ફાર્મસી બિઝનેસ સામે રિટેલ કેમિસ્ટ્સ વિરોધ નોંધાવી રહ્યા છે અને તેમને જે હોલસેલરો દવાની સપ્લાય કરે છે તેમની સામે વિરોધ કરી રહ્યા છે
ડ્રગ રુલ્સ પ્રમાણે કોઇપણ વ્યક્તિને સપ્લાયનો ઇનકાર કરવો શક્ય નથી.
ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ એસોસિયેશન્સના હરેશ શાહે આ અંગે જણાવ્યું હતું કે, “મેં અંગત કારણોસર એસોસિયેશનના હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. ઓનલાઇન ફાર્મસીને સપ્લાયનો વિરોધ કરવામાં આવે છે પરંતુ ડ્રગ રૂલ્સ પ્રમાણે અમે કોઇને સપ્લાય કરવાનો ઇનકાર કરી શકીએ નહીં અને કોઇ પણ માલ માંગે તો સપ્લાય કરવી જરૂરી બને છે.”
ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ એસોસિયેશન્સના સૂત્રોના જણાવ્યા મુજબ, અમદાવાદ કેમિસ્ટ્સ એસોસિયેશન દ્વારા ઓનલાઇન ફાર્મસી સામે આંદોલન ચલાવવામાં આવે છે પરંતુ તેના જ કેટલાક હોદ્દેદારો ઓનલાઇન ફાર્મસી કંપનીઓને માલ સપ્લાય કરતા હોવાના પૂરાવા વોટ્સએપ પર ફરતા થયા હતા અને તેના પગલે એસોસિયેશને પાંચ હોલસેલર અને ડિસ્ટ્રીબ્યુટરને પ્રત્યેકને ₹10,000નો દંડ કર્યો હતો.
