CIA ALERT

Slider Archives - Page 35 of 491 - CIA Live

July 25, 2025
reema-agarwal-1280x853.jpeg
1min178

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ધ સાયલન્ટ થ્રેટ – અન્ડરસ્ટેન્ડીંગ એન્ડ પ્રિવેન્ટીંગ સડન કાર્ડિયાક ડેથ વિષે સેશન યોજાયું

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સોમવાર, તા. ર૧ જુલાઇ ર૦રપના રોજ સાંજે ૪:૦૦ કલાકે સંહતિ, સરસાણા ખાતે ધ સાયલન્ટ થ્રેટ – અન્ડરસ્ટેન્ડીંગ એન્ડ પ્રિવેન્ટીંગ સડન કાર્ડિયાક ડેથ વિષે સેશન યોજાયું હતું, જેમાં કિલનિકલ ડાયટિશ્યન એન્ડ ફંકશનલ મેડિસિન ડોકટર રીમા અગ્રવાલે વિસ્તૃત જાણકારી આપી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, આજના સમયમાં કર્મચારીઓની ફિટનેસ અને આરોગ્ય એ દરેક ઉદ્યોગ અને સંસ્થાઓ માટે એક મૂલ્યવાન સંપત્તિ છે. અચાનક હાર્ટએટેકની ઘટનાઓમાંથી બચવા માટે કામકાજની જગ્યા પર નિયમિત હેલ્થ ચેકઅપ, ફિટનેસ અવેરનેસ અને ઇમરજન્સી રિસ્પોન્સની સુવિધા હોવી અનિવાર્ય છે. ઉદ્યોગ સાહસિકોએ પણ પોતાની સાથે કર્મચારીઓના આરોગ્યને પણ પ્રાથમિકતા આપવી જોઈએ, જેથી ઇન્ડસ્ટ્રીમાં ઉત્પાદકતા સાથે સાથે કર્મચારીઓની સુરક્ષા પણ સુનિશ્ચિત થઈ શકે.

કિલનિકલ ડાયટિશ્યન એન્ડ ફંકશનલ મેડિસિન ડોકટર રીમા અગ્રવાલે જણાવ્યું હતું કે, સડન કાર્ડિયાક એરેસ્ટ અને હાર્ટ એટેક બંને વસ્તુ જુદી જુદી છે. હાર્ટ એટેકમાં હૃદયને ઓકિસજન યુકત લોહીનો સપ્લાય મળતો બંધ થઇ જાય છે ત્યારે હાર્ટ એટેક આવે છે. હાર્ટ એટેકમાં હાર્ટ બીટ ચાલુ હોય છે. જ્યારે કાર્ડિયાક એરેસ્ટમાં હાર્ટ બીટ બંધ થઇ જાય છે અને અચાનકથી વ્યકિતનું મૃત્યુ થઇ જાય છે. વધુ પડતો ઠંડો પરસેવો આવવો, હૃદયમાં દુઃખાવો થવો, ચકકર આવવા જેવા હાર્ટ એટેકના લક્ષણો છે. જો આવું થાય તો તુરંત મેડીકલ હેલ્પ લેવી જોઇએ. હાર્ટ એટેકના કેટલાક કિસ્સાઓમાં સમયસર સારવાર નહીં મળવાથી વ્યકિતનું કાર્ડિયાક એરેસ્ટથી મૃત્યુ થઇ જાય છે અને હાર્ટ એટેકનો કેસ કાર્ડિયાક એરેસ્ટમાં પરીણમે છે.

ઇન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચ અનુસાર ભારતમાં થનારા કુલ મૃત્યુના રેશિયોમાં ૧૦૦માંથી રપથી ૩૦ જણાના મોતની પાછળ સડન કાર્ડિયાક એરેસ્ટ અને હાર્ટ એટેક કારણભુત હોય છે. આવી રીતે ભારતમાં દર વર્ષે પાંચથી સાત લાખ લોકોની મૃત્યુ માત્ર કાર્ડિયાક એરેસ્ટ અને હાર્ટ એટેકને કારણે થઇ જાય છે. વિદેશોમાં કાર્ડિયાક એરેસ્ટ અને હાર્ટ એટેકની ઘટનામાં ૧૦થી ૧ર ટકા લોકોનો જીવ બચી જાય છે, જ્યારે ભારતમાં આ પ્રમાણ ર ટકાથી પણ ઓછું છે, જે ગંભીર બાબત છે.

તેમણે જણાવ્યું હતું કે, સડન કાર્ડિયાક એરેસ્ટ એ જીવનશૈલી સંબંધિત લાંબા ગાળાના કારણોનું પરિણામ હોય છે. હાલ યુવાનોનું કાર્ડિયાક એરેસ્ટને કારણે અચાનક મૃત્યુ થઇ રહયું છે. એમાં સૌથી મોટું કારણ યોગ્ય આહારનો અભાવ છે. ફાસ્ટ ફૂડ અને ફ્રોઝન ફૂડને કારણે લોકોનું આરોગ્ય ધીમે ધીમે બગડી રહયું છે અને ૧૦૦થી ૧૧૦ વર્ષ સુધી જીવનારા લોકોનું આયુષ્ય ઘટી રહયું છે. યોગ્ય આહારના અભાવની સાથે સાથે શરીરને વ્યાયામની અછત, તણાવ અને અનિયમિત ઊંઘ આ બધું પણ હૃદય પર દબાણ ઊભું કરે છે.

તેમણે વધુમાં કહયું હતું કે, આજે આપણે માત્ર રોગનું નિદાન જ જરૂરી નહીં પણ આરોગ્યની સંપૂર્ણ કાળજી રાખવાની જરૂર છે. યોગ્ય આહાર, પૂરતી ઊંઘ, તણાવથી મુક્ત જીવનશૈલી અને સમયસર થયેલી સ્ક્રિનિંગ્સ હાર્ટ એટેક જેવા જોખમોને ટાળી શકે છે.

ચેમ્બરની આયુષ કમિટીના ચેરપર્સન ડો. મન્શાલી તિવારીએ વકતાનો પરિચય આપી સમગ્ર સેશનનું સંચાલન કર્યું હતું. આયુષ કમિટીના કો–ચેરપર્સન ડો. પારૂલ પટેલે સેશન વિષે માહિતી આપી હતી. જ્યારે કમિટીના કો–ચેરમેન ડો. નિપેશ પટેલે સેશનમાં ઉપસ્થિત સર્વેનો આભાર માની સેશનનું સમાપન કર્યું હતું.

July 25, 2025
Bharat-Gandhi-1280x853.jpg
1min194

ચેમ્બરના જીએફઆરઆરસી દ્વારા ઉદ્યોગકારોને માર્ગદર્શન આપવા ટેક્ષ્ટાઇલ વીકની શરૂઆતશ્રી ભરત ગાંધીએ મેનેજમેન્ટ ઓફ ટેક્ષ્ટાઇલ યુનિટ વિષે માર્ગદર્શન આપ્યું

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ગ્લોબલ ફેબ્રિક રિસોર્સ એન્ડ રિસર્ચ સેન્ટરના ઉપક્રમે સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોને માર્ગદર્શન આપવાના હેતુથી તા. ર૧થી ર૬ જુલાઇ ર૦રપ દરમ્યાન સાંજે પઃ૩૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ટેક્ષ્ટાઇલ વીકનું આયોજન કરવામાં આવ્યું છે. સોમવાર, તા. ર૧ જુલાઇના રોજ ટેક્ષ્ટાઇલ વીક અંતર્ગત મેનેજમેન્ટ ઓફ ટેક્ષ્ટાઇલ યુનિટ વિષે સેમિનાર યોજાયો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે ફિઆસ્વીના ચેરમેન તેમજ ચેમ્બરના પૂર્વ પ્રમુખ શ્રી ભરત ગાંધી ઉપસ્થિત રહયા હતા. જ્યારે નિષ્ણાત વકતા તરીકે લુથરા ગૃપના ચેરમેન શ્રી ગિરીશ લુથરાએ ઉદ્યોગકારોને માર્ગદર્શન આપ્યું હતું.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે પહોંચાડવા માટે નવા ઇનોવેટિવ ઉપક્રમો ખૂબ જ જરૂરી છે. ટેક્ષ્ટાઇલ વીક એ ઉદ્યોગપતિઓ, ડિઝાઈનરો અને યુવા ઉદ્યોગ સાહસિકો માટે મહત્વનું પ્લેટફોર્મ પુરું પાડી રહ્યું છે, જેનાથી તેઓ ટેકનોલોજી, નવા ટ્રેન્ડ્‌સ અને ગ્લોબલ માર્કેટની માંગને આધારે પોતાના વ્યવસાયને વધુ મજબૂત બનાવી શકે છે.

ફિઆસ્વીના ચેરમેન તેમજ ચેમ્બરના પૂર્વ પ્રમુખ શ્રી ભરત ગાંધીએ ઉદ્યોગ સાહસિકોને ટેક્ષ્ટાઇલના ડેવલપમેન્ટ વિષે વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, પહેલા ટેક્ષ્ટાઇલમાં નેચરલ ફાઇબર, કોટન, પ્યોર સિલ્ક અને જ્યુટ હતું. આ બધાના કોમ્બીનેશનથી એક વસ્તુ બનતી હતી. ત્યારબાદ ટેક્ષ્ટાઇલમાં પોલિએસ્ટર અને વિસ્કોસનો સમાવેશ થયો. ટેક્ષ્ટાઇલમાં ઇનોવેશન થતા ગયા અને બદલાવ આવતા ગયા. ટેક્ષ્ટાઇલ બિઝનેસની સાયકલ જુદા જુદા દેશોની સાથે સાથે જુદા જુદા સમાજમાં પણ ફરતી રહે છે, આથી તેમણે ઉદ્યોગ સાહસિકોને ટેક્ષ્ટાઇલમાં ટકી રહેવા માટે ઇનોવેશન કરવાની સલાહ આપી હતી.

શ્રી ગિરીશ લુથરાએ જણાવ્યું હતું કે, આજના સ્પર્ધાત્મક યુગમાં ટેક્ષ્ટાઇલ યુનિટનું સફળ સંચાલન માત્ર ઉત્પાદન પર આધારીત નહીં પણ પ્લાનિંગ, મશીનરીનું સમયસર મેઇન્ટેનન્સ, વર્કફોર્સની ટ્રેઇનીંગ અને માર્કેટની ડિમાન્ડ પર નિર્ભર છે. ટ્રેઇનીંગનો પહેલો નિયમ એટલે બેલેન્સીંગ નોલેજ વીથ બિઝનેસ. નોલેજમાં મશીન, કપડું, માર્કેટીંગ, નેટવર્કીંગ, એફિશિયન્સી પરચેઝ અને મેનેજમેન્ટ નોલેજનો સમાવેશ થાય છે. બિઝનેસ માટે નોલેજ જોઇએ. પૈસો પૈસાને કમાય છે એવી એક મેથડ છે. એવી જ રીતે નોલેજ પૈસા કમાય છે એ બીજી મેથડ છે. પૈસા કમાવવા માટે ત્રીજી મેથડ છે સ્માર્ટ વર્ક. હાલમાં નોલેજ બેઇઝથી જે કમાણી થઇ રહી છે એવી કમાણી અન્ય કોઇ મેથડથી નથી થઇ રહી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બિઝનેસમાં સફળ થવા માટે ૩૬૦ ડીગ્રી નોલેજ હોવું જરૂરી છે. નોલેજથી કોન્ફીડન્સ વધે છે અને વિચાર બદલાય છે. વિચાર બદલાવવાથી બિઝનેસમાં રિઝલ્ટ બદલાય છે. તેમણે કહયું કે, ઉદ્યોગ સાહસિકોએ ઓપન માઇન્ડ મેનેજમેન્ટથી બિઝનેસ કરવો જોઇએ. ગ્રાહકની જરૂરિયાતને સમજીને તેને ગમતી પ્રોડકટ આપીશું તો બિઝનેસમાં સફળ થઇશું. ઉદ્યોગ સાહસિકોએ બિઝનેસની સફળતા માટે નોલેજ પર તથા સરકારની વિવિધ યોજનાઓ અને બિઝનેસ માટે બનતી પોલિસી ઉપર ધ્યાન આપવું જોઇએ.

ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, બિઝનેસ કરતા પહેલા પ્રોડકટનું એનાલિસિસ જરૂરી છે. ટેક્ષ્ટાઇલમાં સાહસ કરવા માગતા યુવાઓને તેમણે એરજેટ અને વોટરજેટ મશીન નાંખવા માટે વિચારવાની સલાહ આપી હતી.

ચેમ્બરના ગૃપ ચેરમેન શ્રી ગિરધર ગોપાલ મુંદડાએ જણાવ્યું હતું કે, સુરત બ્રાન્ડ બનાવવાના હેતુથી ચેમ્બરના જીએફઆરઆરસી દ્વારા ટેક્ષ્ટાઇલ વીકનું આયોજન કરવામાં આવે છે. ટેક્ષ્ટાઇલ વીક દરમ્યાન ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના એક્ષ્પર્ટ દ્વારા વિવિધ સેકટરની માહિતી અને માર્ગદર્શન ઉદ્યોગ સાહસિકોને આપવામાં આવે છે.

ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી વિજય મેવાવાલા, ઇન્ચાર્જ માનદ્‌ મંત્રી શ્રી ભાવેશ ટેલર, ફિઆસ્વીના ચેરમેન શ્રી ભરત ગાંધી તથા ઉદ્યોગ સાહસિકો સેમિનારમાં ઉપસ્થિત રહયા હતા. ચેમ્બરના જીએફઆરઆરસીના કો–ચેરમેન શ્રી અમરિષ ભટ્ટે સેમિનારનું સંચાલન કર્યું હતું. શ્રી ગિરીશ લુથરાએ ઉપસ્થિત ઉદ્યોગ સાહસિકોના વિવિધ સવાલોના સંતોષકારક જવાબો આપ્યા હતા અને ત્યારબાદ સેમિનારનું સમાપન થયું હતું.

July 25, 2025
image-14-1280x853.png
1min332

Gujarat Cervical Cancer: કેન્સરના કેસમાં ચિંતાજનક રીતે સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી બ્રેસ્ટ કેન્સરથી 20317 અને ગર્ભાશયના કેન્સરથી 8451 મહિલાઓના મૃત્યુનો સમાવેશ થાય છે. તાજેતરમાં જ ગુજરાતમાંથી 10 હજારથી વઘુ મહિલાઓનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું અને તેમાંથી 9% એટલે કે 900થી વઘુમાં ગર્ભાશયના મુખના કેન્સરનું નિદાન થયું હતું.

ગર્ભાશયના કેન્સરના કેસ ગુજરાતમાં 2014માં 1393, 2015માં 1434, 2016માં 1474, 2017માં 1515 અને 2018માં 1557 કેસ નોંધાયા હતા. આ સ્થિતિએ 2014 કરતાં 2023માં ગર્ભાશયના કેન્સરના કેસમાં પણ 30% જેટલો વધારો થયો હતો. આમ, ગર્ભાશયના મુખના કેન્સરના કેસના પ્રમાણમાં સતત વધારો થઇ રહ્યો છે. ડૉક્ટરોના મતે હ્યુમન પેપીલોમા વાઇરસ (એચ.પી.વી.) ખૂબ જ સામાન્ય વાઇરસ છે. 100થી પણ વધારે એચ.પી.વી.ના પ્રકાર શોધાયા છે. એચ.પી.વી.-16, એચ.પી.વી.-18 આ બંને હાઇરિસ્ક પ્રકાર છે. જે 70% સર્વાઇકલ કેન્સરના કારણે હોઇ શકે છે.

ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા 10 હજાર જેટલી મહિલાનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું અને તેમાંથી 9% જેટલા કિસ્સામાં ગર્ભાશયના મુખના કેન્સરના કેસ સામે આવ્યા છે. કેન્સરનું નિદાન થયું તે પૈકી 4% જેટલી મહિલાને અમદાવાદ સિવિલ મેડિસિટીમાં આવેલી જીસીઆરઆઇમાં સારવાર માટે દાખલ કરાઇ હતી. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના ડૉ. પ્રકાશ પરમારે જણાવ્યું કે, ‘એચ.પી.વી. સામાન્ય વાઈરસ છે. શરીરમાં 6 મહિના પહેલા આ વાઈરસ એક્ટિવ થાય છે.

આ સ્થિતિમાં પેપ ટેસ્ટ દ્વારા ગર્ભાશયની કેન્સરની શક્યતા ચકાસી શકાય છે. 9થી 14 વર્ષની ઉંમરે રસી આપવામાં આવે તો આ બીમારીથી બચી શકવાની સંભાવના વધી જાય છે. આર્થિક સ્થિતિ સામાન્ય હોય તેવી 100 બહેનોને આ રસી વિનામૂલ્યે અપાઇ છે.

July 25, 2025
gold-silver.jpeg
1min177

સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. લોકો મોટાભાગે ચાંદી કરતા સોનાની ખરીદી વધારે કરતા હોય છે. ચાંદીનો ભાવ તો અત્યારે આસમાને છે જ તેમ છતાં પણ ચાંદીની ખરીદી અત્યારે વધી રહી છે. તેનું કારણે એ છે કે, જોખમ હોવા છતાં પણ સોનાની સરખામણીમાં ચાંદીએ જબરદસ્ત વળતર આપ્યું છે. બહુવિધ કોમોડિટી એક્સચેન્જ પ્રમાણે અત્યારે એક કિલો ચાંદીનો ભાવ (Silver Price) 01,16,551 રૂપિયા થઈ ગયો છે. આ પહેલા ચાંદીનો ભાવ આટલી ઊંચાઈએ નથી ગયો!

વેશ્વિક બજારની વાત કરવામાં આવે તો, છેલ્લા 14 વર્ષથી ચાંદીનો ભાવ વધારે જ છે. જ્યારે સોનાના ભાવની વાત કરવામાં આવે તો, કાલે 23મી જુલાઈ 2025ના રોજ સોનાનો ભાવ એક લાખ રૂપિયાથી પણ વધારે જોવા મળ્યો હતો. ભારતીય બજારમાં સોના અને ચાંદીમાં જેમણે રોકાણ કર્યું હતું તેમને સારું વળતર મળ્યું છે. પરંતુ ચાંદીએ સોના કરતા વધારે સારૂ વળતર આપ્યું છે. ગયા મહિને સોનાએ 3 ટકા વળતર આપ્યું હતું. જ્યારે ચાંદીએ 9 ટકા વળતર આપ્યું છે. છેલ્લા એક વર્ષમાં સોનાએ 32% વળતર આપ્યું છે, જ્યારે ચાંદીએ 36% વળતર આપ્યું છે.

સોનાના ઊંચા ભાવને કારણે લોકો ચાંદી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, જેના કારણે તેની માંગ વધી રહી છે. આ સતત ચોથું વર્ષ છે જ્યારે ચાંદીની માંગ ઊંચી રહી છે. ચાંદીની માંગમાં વધારે થવાનું એક કારણ ચીન પણ પણ છે. કારણ કે, ચીન અત્યારે ઓટો ઇલેક્ટ્રિકલ વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, જેના કારણે તેની માંગ વધી રહી છે. ચાંદીના માંગમાં સતત પાંચમા વર્ષે પણ વધારો જોવા મળ્યો છે. ભારતીય લોકો મોટા ભાગે ચાંદી અને સોનામાં પોતાનું રોકાણ કરતા હોય છે.

ચાંદીની સાથે સોનાના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. ભારતીય બજારમાં 10 ગ્રામ સોનું 1 લાખ રૂપિયાથી ઉપર પહોંચી ગયું છે. વૈશ્વિક બ્રોકરેજ પ્રમાણે દિવાળી સુધી સોના અને ચાંદીના ભાવ ઊંચા રહેવાની ધારણા છે. જે પ્રકારે અત્યારે સોના અને ચાંદીના ભાવમાં વધારો થઈ રહ્યો છે. જેથી વૈશ્વિક વાતાવરણ જોતા હજી પણ આ ભાવમાં વધારો થશે તેવી શક્યતાઓ છે.

July 25, 2025
image-13.png
1min179

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલ વિદેશ પ્રવાસે છે. આ દરમિયાન આજે 25 જુલાઈના રોજ નવો રેકોર્ડ બનાવ્યો છે. પીએમ મોદી આજે દેશના સૌથી લાંબા સમય સુધી વડા પ્રધાન પર રહેનારા દેશના બીજા નેતા બન્યા છે. તેમણે સ્વ. વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના રેકોર્ડને તોડયો છે. દેશમાં સૌથી વધુ સમય 16 વર્ષ 286 દિવસ વડા પ્રધાન રહેવાનો રેકોર્ડ જવાહરલાલ નહેરુના નામ પર છે. પીએમ મોદી સ્વતંત્રતા બાદ જન્મેલા અને બિન હિન્દી રાજ્યના સૌથી લાંબા સમય સુધી આ પદ પર રહેનારા નેતા છે.

પીએમ મોદી આજે પોતાના કાર્યકાળના 4078 દિવસ પૂર્ણ કરશે. જયારે સ્વ. વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ 24 જાન્યુઆરી 1966 થી 24 માર્ચ 1977 સુધી સતત 4077 દિવસનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો. તેમજ જો આપણે કેન્દ્ર અને રાજ્ય સરકારના નેતૃત્વના રેકોર્ડની વાત કરીએ તો નરેન્દ્ર મોદીએ અનોખો રેકોર્ડ બનાવ્યો છે. તેમણે ગુજરાતના મુખ્ય મંત્રી અને વડા પ્રધાન તરીકે 24 વર્ષ સુધી સરકારનું નેતૃત્વ કર્યું છે.

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ સ્વતંત્રતા બાદ થયો છે. તેમજ તેવો વડા પ્ર્ધાન પદ પર રહેનારા પ્રથમ બિન-કોંગ્રેસી નેતા છે. તેમજ તે પહેલા એવા બિન-કોંગ્રેસી વડા પ્ર્ધાન છે. જેમણે તેમના બે કાર્યકાળ પૂર્ણ કર્યા છે. તેમના નામે બે વાર સતત ચૂંટાયેલા પ્રથમ અને એક માત્ર બિન-કોંગ્રેસી વડા પ્રધાન હોવાનો રેકોર્ડ પણ છે.

આ ઉપરાંત વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણીમાં બહુમત પ્રાપ્ત કરીને સરકાર રચનારા એકમાત્ર બિન-કોંગ્રેસી નેતા પણ છે. નરેન્દ્ર મોદી સ્વ. વડા પ્રધાન વર્ષ 1971માં ઇન્દિરા ગાંધી બાદ પૂર્ણ બહુમતથી બીજી વાર ચૂંટાયેલા વડા પ્રધાન છે. જવાહર લાલ નહેરુ બાદ એક માત્ર નેતા છે જેમણે સતત ત્રણ વખત કોઈ પક્ષના નેતા તરીકે ત્રણ વખત સામાન્ય ચૂંટણીમાં વિજય હાંસલ કર્યો છે. તેમજ તમામ વડા પ્રધાન અને મુખ્ય મંત્રીઓ વચ્ચે એક માત્ર નેતા છે જેમણે પક્ષના નેતા તરીકે સતત છ વખત ચૂંટણી જીતી છે. તેમણે વર્ષ 2002, 2007 અને વર્ષ 2012માં ગુજરાત વિધાનસભા અને તેની બાદ વર્ષ 2014, 2019 અને વર્ષ 2024માં લોકસભા ચૂંટણી પણ ભવ્ય વિજય મેળવ્યો હતો.

July 24, 2025
image-9.png
1min269

નવી દિલ્હી : ફ્લિપકાર્ટ સમર્થિત ઇ કોમર્સ પ્લેટફોર્મ મિંત્રા, તેની સંબધિત કંપનીઓ અને નિર્દેશકો વિરુદ્ધ ૧૬૫૪ કરોડ રૂપિયાથી વધુના કથિત એફડીઆઇ ભંગ માટે ફેમાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે તેમ ઇડીએ એક નિવેદનમાં જણાવ્યું છે. 

સંઘીય તપાસ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ ફરિયાદ તેના બેંગાલુરુ ક્ષેત્રીય કાર્યાલય દ્વારા ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા)ની કલમ ૧૬(૩) હેઠળ દાખલ કરવામાં આવી હતી. 

જેમાં વિશ્વસનીય માહિતી મળી હતી કે મિંત્રા ડિઝાઇન્સ પ્રાઇવેટ લિમિટેડ જેનું બ્રાન્ડ નામ મિંત્રા છે અને તેની સંબધિત કંપનીઓ હોલસેલ કેશ એન્ડ કેરીની આડમાં  મલ્ટી બ્રાન્ડ રીટેલ વેપાર કરી રહી છે. 

નવી દિલ્હી : ફ્લિપકાર્ટ સમર્થિત ઇ કોમર્સ પ્લેટફોર્મ મિંત્રા, તેની સંબધિત કંપનીઓ અને નિર્દેશકો વિરુદ્ધ ૧૬૫૪ કરોડ રૂપિયાથી વધુના કથિત એફડીઆઇ ભંગ માટે ફેમાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે તેમ ઇડીએ એક નિવેદનમાં જણાવ્યું છે. 

સંઘીય તપાસ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ ફરિયાદ તેના બેંગાલુરુ ક્ષેત્રીય કાર્યાલય દ્વારા ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા)ની કલમ ૧૬(૩) હેઠળ દાખલ કરવામાં આવી હતી. 

જેમાં વિશ્વસનીય માહિતી મળી હતી કે મિંત્રા ડિઝાઇન્સ પ્રાઇવેટ લિમિટેડ જેનું બ્રાન્ડ નામ મિંત્રા છે અને તેની સંબધિત કંપનીઓ હોલસેલ કેશ એન્ડ કેરીની આડમાં  મલ્ટી બ્રાન્ડ રીટેલ વેપાર કરી રહી છે. Next

એજન્સીના જણાવ્યા અનુસાર આ કથિત રીતે વર્તમાન પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઇ) દિશાનિર્દેશો અને ફેમાની જોગવાઇઓનો ભંગ છે. 

ફેશન અને લાઇફ સ્ટાઇલ ઇ કોમર્સ પ્લેટફોર્મ બેંગાલુરુ સ્થિત મિંત્રાના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે કંપની દેશના તમામ અમલી કાયદાઓનું પાલન કરવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે.

પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે જો કે અમને અધિકારીઓ પાસેથી સંબધિત ફરિયાદ અને સહાયક દસ્તાવેજોની નકલ મળી નથી આમ છતાં અમે કોઇ પણ સમયે તેમને સહકાર આપવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છીએ.

ઇડીએ જણાવ્યું હતું કે મિંત્રા ડિઝાઇન પ્રાઇવેટ લિમિટેડે જાહેરાત કરી હતી કે તે હોલસેલ કેશ એન્ડ કેરી બિઝનેસ કરે છે અને તેણે વિદેશી રોકાણકારો પાસેથી ૧૬૫૪ કરોડ રૂપિયાનું એફડીઆઇ આમંત્રિત કરી પ્રાપ્ત કર્યુ હતું.

એજન્સી અનુસાર કંપનીએ પોતાનો મોટા ભાગનો માલ વેક્ટર ઇ કોમર્સ પ્રાઇવેટ લિમિટેડને વેચ્યો હતો જે અંતિમ ગ્રાહકને રીટેલ સ્વરૂપમાં માલ વેચતી હતી. 


July 23, 2025
image-8.png
1min238

એપેલેટ ટ્રિબ્યુનલે આઈસીઆઈસીઆઈ બેંકના ભૂતપૂર્વ સીઈઓ ચંદા કોચરને વિડીયોકોન ગુ્રપને રૂ.૩૦૦ કરોડની લોન મંજૂર કરવાના બદલામાં રૂ.૬૪ કરોડની લાંચ લેવા બદલ દોષિત ઠેરવ્યા છે. ૩, જુલાઈના રોજ આપેલા વિગતવાર આદેશમાં, ટ્રિબ્યુનલે ચૂકાદો આપ્યો હતો કે, ચૂકવણી કોચરના પતિ દીપક દ્વારા વિડીયોકોન સાથે સંકળાયેલી કંપની દ્વારા કરવામાં આવેલી ‘ક્વિડ પ્રો ક્વો’નો સ્પષ્ટ કેસ હતો.

અપીલકર્તાઓ (ઈડી) દ્વારા આપવામાં આવેલ ઈતિહાસનું વર્ણન અને સમર્થન પીએમએલએ કાયદાની કલમ ૫૦ હેઠળના નિવેદનોના સંદર્ભના પ્રકાશમાં પુરાવા દ્વારા કરવામાં આવ્યું છે, જે સ્વીકાર્ય છે અને જેના પર વિશ્વાસ કરી શકાય છે, એમ ટ્રિબ્યુનલે (એપેલેટ ટ્રિબ્યુનલ અન્ડર સ્મગલર્સ એન્ડ ફોરેન એક્સચેન્જ મેનીપ્યુલેટર્સ (ફોરફેચર ઓફ પ્રોપર્ટી) એક્ટ (એસએએફઆઈએમએ) જણાવ્યું હતું. ટ્રિબ્યુનલે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી)ના કેસને સમર્થન આપ્યું છે અને ભારપૂર્વક જણાવ્યું છે કે, કોચરે તેમના હિતોના સંઘર્ષનો ખુલાસો કરવામાં નિષ્ફળ રહ્યા હતા અને લોન મંજૂરી આઈસીઆઈસીઆઈ બેંકની આંતરિક નીતિઓનું ઉલ્લંઘન કરે છે. ટ્રિબ્યુનલે કોચરને અગાઉ રૂ.૭૮ કરોડની સંપત્તિ જાહેર કરીને રાહત આપવા બદલ એડ્જ્યુડિકેટીંગ ઓથોરિટીની ટીકા કરી હતી.

ટ્રિબ્યુનલના જણાવ્યા મુજબ, આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા રૂ.૩૦૦ કરોડની લોન વિતરિત થયાના એક દિવસ પછી, રૂ.૬૪ કરોડની ચૂકવણી વિડીયોકોનની એન્ટિટી એસઈપીએલમાંથી નુપાવર રિન્યુએબલ્સ પ્રાઈવેટ લિમિટેડ (એનઆરપીએલ)ને રૂટ કરવામાં આવી હતી, જે કંપની દિપક કોચર દ્વારા અસરકારકરીતે નિયંત્રિત હતી. જ્યારે એનઆરપીએલ કાગળ પર વિડીયોકોનના ચેરમેન વેણુગોપાલ ધૂતની માલિકીની હોવાનું દર્શાવવામાં આવ્યું હતું, ત્યારે ટ્રિબ્યુનલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કંપનીનું વાસ્તવિક નિયંત્રણ દિપક પાસે હતું, જેઓ તેના મેનેજિંગ ડિરેકટર તરીકે પણ સેવા આપી હતી.

આ આરોપો પુરાવા અને પીએમએલએ કાયદાની કલમ ૫૦ હેઠળ નોંધાયેલા નિવેદનો દ્વારા પુષ્ટિ મળે છે. ટ્રિબ્યુનલે નોંધ્યું હતું કે, નાણાના ટ્રેલને ક્વિડ પ્રો ક્વોનો સીધો પુરાવો જાહેર કર્યો હતો. ટ્રિબ્યુનલે ઉમેર્યું હતું કે, લોન મંજૂરી સમિતિના ભાગરૂપે સેવા આપતી વખતે, ચંદા કોચરે બેંકના હિતોના સંઘર્ષના નિયમોનું ઉલ્લંઘન કરીને, ઉધાર લેનાર સાથેના તેમના પતિના વ્યવસાયિક સંબંધો જાહેર કરવામાં નિષ્ફળ રહ્યા હતા.

એક કડક ટિપ્પણીમાં, અપીલ ટ્રિબ્યુનલે એડજ્યુડિકેટિંગ ઓથોરિટીના નવેમ્બર ૨૦૨૦ના નિર્ણયની ટીકા કરી છે, જેણે કોચર અને તેમના સહયોગીઓની ટાંચમાં લેવાયેલી સંપત્તિઓને મુક્ત કરવાની મંજૂરી આપી હતી. ન્યાયિક સત્તાવાળાએ મહત્વપૂર્ણ ભૌતિક તથ્યોને અવગણ્યા અને એવા તારણો કાઢ્યા જે રેકોર્ડનો વિરોધાભાસ કરે છે. જેથી અમે તેના તારણોને સમર્થન આપી શકતા નથી, એમ ટ્રિબ્યુનલે જણાવ્યું છે. ઈડીના વલણને સમર્થન આપતા, ટ્રિબ્યુનલે ઉમેર્યું કે, એજન્સીએ મજબૂત દસ્તાવેજી પુરાવા અને ઘટનાઓની સ્પષ્ટ સમયરેખાના આધારે સંપત્તિઓ વાજબી રીતે જપ્ત કરી હતી. જે તારણ કાઢે છે કે, સમગ્ર વ્યવહાર-લોન મંજૂર કરવી, ભંડોળનું ટ્રાન્સફર કરવું અને કોચરના પતિ દ્વારા નિયંત્રિત પેઢીમાં નાણાનું રૂટિંગ-સત્તાનો ગંભીર દુરૂપયોગ અને નૈતિક આચરણનો ભંગ દર્શાવે છે.

July 22, 2025
image-7.png
1min648

મુવી મોહિત સૂરીની રોમેન્ટિક ફિલ્મ છે જે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. અહાન પાંડે (Ahaan Panday) અને અનિત પદ્દા (Aneet Padda) અભિનીત આ ફિલ્મ 18 જુલાઈ, 2025 ના રોજ રિલીઝ થઈ હતી અને ચોથા દિવસે એટલે કે સોમવારે પણ સારી કમાણી કરતી રહી હતી.

સૈયારા બોક્સ ઓફિસ કલેક્શન ડે 4 (Saiyaara Box Office Collection Day 4)
સૈયારા એ પહેલા સોમવારે 22.50 કરોડ રૂપિયા કલેક્શન કર્યા છે. આ સાથે, ફિલ્મનું કુલ નેટ કલેક્શન 105.75 કરોડ રૂપિયા થઈ ગયું છે. સૈયારા એ અઠવાડિયાના દિવસોમાં પણ ડબલ ડિજિટમાં કમાણી કરી છે.

આ ફિલ્મ યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનાવવામાં આવી છે. યશ રાજ ફિલ્મ્સે ફિલ્મના બ્લોકબસ્ટર બોક્સ ઓફિસ કલેક્શન પર સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને દર્શકોનો આભાર માન્યો છે.

સૈયારાની સ્ટોરી વાણી (અનિત પદ્દા) અને ક્રિશ (અહાન પાંડે) ની લવસ્ટોરી પર આધારિત છે, જેમાં પ્રેમ, હાર્ટબ્રેક અને જીવનના પડકારો વિશે કહેવામાં આવ્યું છે. ફિલ્મનું સંગીત, ખાસ કરીને તેનું ટાઇટલ ટ્રેક, દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. યશ રાજ ફિલ્મ્સ દ્વારા નિર્મિત આ ફિલ્મને દર્શકો અને વિવેચકો તરફથી ખૂબ પ્રશંસા મળી રહી છે. સોમવારે, ફિલ્મનો હિન્દી ઓક્યુપન્સી 31.39% હતો, જેમાં સૌથી વધુ 58% દર્શકો જયપુરમાં તેને જોવા આવ્યા હતા.

સૈયારા એ અત્યાર સુધીમાં ચાર દિવસમાં 100 કરોડની કમાણી કરનારી ફિલ્મોની લિસ્ટમાં પણ પ્રવેશ કરી લીધો છે. આ રીતે, અહાન પાંડે બોલિવૂડના મોટા સુપરસ્ટાર્સની બરાબરી પર આવી ગયો છે. સક્કાનિલ્કના અહેવાલ મુજબ, અત્યાર સુધીમાં આ રેકોર્ડ 11 બોલિવૂડ ફિલ્મોના નામે નોંધાયેલો હતો. હવે ‘સૈયારા’ 12મી ફિલ્મ બની ગઈ છે. અત્યાર સુધીમાં આ યાદીમાં વોર, ભારત, ફાઇટર, પીકે, પદ્માવત, કલ્કી 2898 એડી, ગોલમાલ અગેન, ક્રિશ 3, રઈસ, હાઉસફુલ 5નો સમાવેશ થાય છે. હવે ‘સૈયારા’નું નામ પણ તેમાં જોડાઈ ગયું છે.

સૈયારા મુવીમાં સોશિયલ મીડિયા પર અહાન અને અનિતની કેમેસ્ટ્રીની પ્રશંસા થઈ રહી છે. ટ્રેડ નિષ્ણાતો કહે છે કે જો આ ગતિ ચાલુ રહેશે તો ‘સૈયારા’ 250-300 કરોડ સુધીની કમાણી કરી શકે છે. આ ફિલ્મ ફક્ત બોક્સ ઓફિસ પર જ નહીં પરંતુ દર્શકોના દિલ પર પણ રાજ કરી રહી છે.

July 17, 2025
Gujarat-map.jpg
1min260

ગુજરાતમાં નવરચિત 9 મહાનગરપાલિકાઓ માટે શહેરી વિકાસ વિભાગ દ્વારા સીમાંકનના આદેશો જાહેર કરવામાં આવ્યા હતા. મનપાના આસપાસના વિસ્તારને ભેળવી સીમાંકન જાહેર કરાયું હતું. રાજ્યના નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર, વાપી, મહેસાણા, આણંદ, ગાંધીધામ, મોરબી અને નડિયાદ સહિતના નવ શહેરોને હવે નગરપાલિકા તરીકે નહીં પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે નવી ઓળખ આપવામાં આવી છે.

50 ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે

આ તમામ મહાપાલિકાઓમાં દરેક માટે 13 વોર્ડ અને 52 કોર્પોરેટરની બેઠકો નક્કી કરવામાં આવી છે. શહેરી વિકાસ વિભાગના જણાવ્યા અનુસાર, નવી રચાયેલી મનપાઓમાં 50 ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે અને 27 ટકા બેઠકો અન્ય પછાત જાતિ (ઓબીસી) ઉમેદવારો માટે અનામત રાખવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નવી મહાનગરપાલિકા બનતા આ શહેરોની આજુબાજુના ગામડાઓ અને વધતા વિસ્તારને હવે શહેર હદમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. પરિણામે, વિકાસ યોજનાઓ વધુ ગતિથી અમલમાં આવી શકશે અને શહેરી વસાહતો માટે વધુ સારી જનસેવાઓ ઉપલબ્ધ બનશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ નવી મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે આગામી એક વર્ષની અંદર ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. નવી રચાયેલી 9 મનપા સહિત કુલ 15 મનપાની ચૂંટણી યોજાશે. ચૂંટણી અગાઉ સીમાંકનના આદેશો જારી થતા રાજકીય રીતે પણ ગરમાવો જોવા મળી શકે છે. આગામી સમયમાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી પ્રક્રિયા શરૂ કરાશે. આગામી દિવસોમાં વોર્ડની હદ અને ક્યા વોર્ડમાં કેટલી બેઠક અનામત રહેશે તેનું સત્તાવાર જાહેરનામું પ્રસિદ્વ કરી દેવામાં આવશે.

July 17, 2025
image-4.png
1min182

ગુજરાતમાં ત્રણ દાયકાથી વધુ સમયથી ભાજપ (ભારતીય જનતા પાર્ટી)નું એક હથ્થું શાસન છે, કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે. ગુજરાતના લોકોએ જેમને ખોબલે ખોબલે વોટ આપીને દિલ્હી મોકલ્યા છે તેવા 26માંથી 25 સાંસદ તેમને મળતા એક વર્ષના ફંડમાંથી માત્ર ચાર ટકાનો લોકોપયોગી કર્યો છે. સાંસદોને મળતા એમપીલેડ (મેમ્બર્સ ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ) ફંડના ઉપયોગનું વિશ્લેષણ કરવામાં આવ્યું ત્યારે આ ચોંકાવનારા આંકડા જોવા મળ્યા હતા, જેમાં 26 સાંસદે 254 કરોડમાંથી માંડ 10 કરોડ રુપિયા ખર્ચ્યાં છે.

મળતી વિગતો મુજબ ગુજરાતના 26 સાંસદોએ તેમને મળતા ફંડમાંથી માત્ર 4.2 ટકા જ બજેટ વાપર્યું છે. સાંસદો તેમને મળતા એમપીલેડ (મેમ્બર્સ ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કિમ) ફંડમાંથી 95.8 ટકા ફંડ વાપરી શક્યા નથી, 14 મતક્ષેત્રમાં સંસદસભ્યોએ ભલામણ કરેલાં કામોમાંથી એક પણ કામ પૂર્ણ થયું નથી. એક તરફ મતદારો તેમના ચૂંટાયેલા સ્થાનિક સાંસદ સભ્ય પાસે વિકાસની અપેક્ષા અને આશા રાખી જુદાં જુદાં કામો કરવા અરજ કરતા હોય છે, ત્યારે હકીકત જોઈએ તો સાંસદો તેમને મળેલા ફંડના 95.8 ટકા ફંડ વાપરી શક્યા નથી. કુલ ફંડનું માત્ર 4.2 ટકા ફંડ જ વપરાયું છે.

ભરુચ લોકસભાના વિસ્તારમાં સૌથી વધુ ખર્ચાયા
ભરુચ લોકસભા વિસ્તારમાં સૌથી વધુ એટલે કે 1.73 કરોડ રૂપિયા ખર્ચાયા છે, બીજા ક્રમે પાટણ સંસદીય ક્ષેત્રમાં 1.56 કરોડ ખર્ચાયા છે, જ્યારે ત્રીજા નંબરે સાબરકાંઠા સંસદીય મતક્ષેત્ર છે, જેમાં 1.08 કરોડનો ખર્ચ થયો છે. જો કે સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, 18મી લોકસભાને 1 વર્ષ પૂરું થયું, પણ અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, બનાસકાંઠા, છોટાઉદેપુર, ગાંધીનગર, અને નવસારી સંસદીય મતક્ષેત્રમાં એમપીલેડમાંથી હજુ સુધી કોઈ ખર્ચ કરવામાં આવ્યો નથી.

સંસદીય વિસ્તાર માટે વર્ષદીઠ પાંચ કરોડનું બજેટ
એમપીલેડ ફંડ યોજના અંતર્ગત દરેક સંસદસભ્યનું બજેટ વર્ષદીઠ 5 કરોડ છે, એટલે કે દર વર્ષે સંસદસભ્ય તેમના મત વિસ્તારના 5 કરોડ સુધીનાં કામોની ભલામણ કરી શકે. ત્યાર બાદ જિલ્લા આયોજનમંડળ દ્વારા આ કામો જે-તે અમલીકરણ એજન્સીને સોંપવામાં આવે છે.

3823 કામ પૈકી માત્ર 93 કામો પૂર્ણ થયાં
એમપીલેડ 2023ની ગાઈડલાઈન અનુસાર સંસદસભ્ય દ્વારા ભલામણ કરવામાં આવે, એના 45 દિવસમાં મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરવાની હોય છે, પરંતુ ઉપલબ્ધ વિગતો ચકાસતાં ભલામણ થયેલાં કુલ 3823 કામ પૈકી માત્ર 93 કામો પૂર્ણ થયાં છે, જ્યારે અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, બનાસકાંઠા, છોટાઉદેપુર, દાહોદ, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ ખેડા, કચ્છ, નવસારી, પંચમહાલ, સુરેન્દ્રનગર, વલસાડ મતક્ષેત્રમાં હજુ સુધી એક પણ કામ પૂર્ણ થયું નથી. આમ 26 મત ક્ષેત્રોમાંથી 14 મતક્ષેત્રમાં એક વર્ષ દરમિયાન એક પણ કામ કરવામાં આવ્યું નથી.