CIA ALERT

Slider Archives - Page 3 of 475 - CIA Live

January 29, 2026
Cia_business_news-1280x936.jpg
1min44

વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓની માગમાં થયેલા પ્રચંડ વધારાને કારણે ભારતીય કોમોડિટી માર્કેટમાં આજે 29/01/2026 ઐતિહાસિક રેકોર્ડ સર્જાયો છે. 29 જાન્યુઆરી 2026ના રોજ ચાંદીએ ઇતિહાસ રચતા પ્રથમવાર ₹4,00,000 ની ઐતિહાસિક સપાટી વટાવી દીધી છે. સવારે 9.40 કલાકે ચાંદી પ્રતિ કિલોએ રૂ.4.04 લાખ પર ટ્રેડ કરી રહી હતી. જ્યારે સોનાનો ભાવ પ્રતિ તોલાએ રૂ.1.78 લાખ પ્લસ બોલાય રહ્યો હતો.

મલ્ટી કોમોડીટી એક્ષચેન્જ MCX પર ચાંદીનો વાયદો ₹3,99,000 ના ભાવે ખૂલ્યો હતો અને જોતજોતામાં ₹4,07,456 ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. અગાઉના ₹3,85,366 ના બંધ ભાવની સરખામણીએ ચાંદીમાં આજે કુલ ₹16634 (+4.32%) નો જંગી ઉછાળો નોંધાયો છે.

સોનાના ભાવમાં પણ રોકાણકારોને સ્તબ્ધ કરી દે તેવી તેજી જોવા મળી છે. MCX પર સોનું પ્રતિ 10 ગ્રામ ₹1,82,467 ના ભાવે ખૂલ્યું હતું. કારોબાર દરમિયાન સોનું ₹1,88,045 ના ઓલ-ટાઈમ હાઈ લેવલ પર પહોંચ્યું હતું, જે અગાઉના ₹1,77,153 ના બંધ ભાવ સામે કુલ ₹10,847 (+6.12%) નો વધારો દર્શાવે છે. હાલમાં સોનું ₹1,88,000 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે.

બજારના નિષ્ણાતોના મતે, આ તેજી પાછળ અનેક વૈશ્વિક અને સ્થાનિક પરિબળો જવાબદાર છે. વિશ્વમાં યુદ્ધના ભણકારા અને ડૉલરની વધતી જતી વેલ્યૂને કારણે પણ સોના ચાંદી તરફ લોકો આકર્ષાઈ રહ્યા છે. લોકો ખાસ કરીને સેફ એસેટ્સ તરીકે સોના-ચાંદીને જોઈ રહ્યા છે.

January 29, 2026
image-21.png
1min31

પશ્ર્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીને સ્પષ્ટપણે નારાજ કરતાં એનસીપી (એસપી)ના પ્રમુખ શરદ પવારે 28/01/2026 બુધવારે કહ્યું હતું કે તેમના ભત્રીજા અજિત પવાર અને અન્ય ચાર લોકોનો વિમાન તૂટી પડવામાં નિધન થયું તે હોનારત એક અકસ્માત જ હતો જેનું રાજકારણ ન કરવું જોઈએ.

પત્રકારોને સંબોધતા, તેમણે કહ્યું હતું કે અજિત પવારનું મૃત્યુ મહારાષ્ટ્ર માટે એક મોટો આઘાત હતો, જેણે એક મહેનતુ અને કાર્યક્ષમ નેતા ગુમાવ્યો છે અને આ નુકસાન ભરપાઈ ન થઈ શકે તેવું છે. ‘બધી બાબતો આપણા હાથમાં નથી હોતી,’ એમ તેમણે ઉમેર્યું હતું.

‘કોલકાતાથી એવી થિયરી સામે આવી હતી કે આ ઘટનામાં થોડું રાજકારણ સામેલ છે, પરંતુ આવું કંઈ નથી. તેમાં કોઈ રાજકારણ નથી. તે એક અકસ્માત હતો. હું આ પ્રકરણમાં રાજકારણ ન લાવવાની વિનંતી કરું છું,’ એમ તેમણે જણાવ્યું હતું.

મમતા બેનર્જીએ અજિત પવારના મૃત્યુની સુપ્રીમ કોર્ટ દ્વારા દેખરેખ હેઠળ તપાસની માગણી કરતાં એવો આરોપ લગાવ્યો હતો કે ‘અન્ય બધી એજન્સીઓ’ ‘સંપૂર્ણપણે સધાઈ ગયેલી’ છે.

January 28, 2026
image-19.png
2min29

ગુજરાતના ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રવિ માર્કેટિંગ સીઝન 2026-27 અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા ₹2,585 પ્રતિ ક્વિન્ટલ ના લઘુતમ ટેકાના ભાવે (MSP) ઘઉંની ખરીદી કરવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે.

નોંધણી અને ખરીદીનું ટાઈમટેબલ

ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ કરવા માટે ઓનલાઇન નોંધણી કરાવવી ફરજિયાત છે:

ઓનલાઇન નોંધણી: 1 ફેબ્રુઆરી થી 1 માર્ચ, 2026 સુધી.

ક્યાં કરાવવી નોંધણી?: ગ્રામીણ કક્ષાએ VCE (વિલેજ કોમ્પ્યુટર આંત્રપ્રિન્યોર) મારફતે.

ખરીદીનો સમયગાળો: 4 માર્ચ થી 15 મે, 2026 સુધી.

નોંધણી માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ

નોંધણી કરાવતી વખતે ખેડૂતોએ નીચે મુજબના પુરાવા સાથે રાખવાના રહેશે:

આધાર કાર્ડની નકલ.

અદ્યતન 7/12 અને 8-અ ના ઉતારા.

વાવણી અંગેની નોંધ (જો 7/12 માં નોંધ ન હોય તો તલાટીનો દાખલો).

બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક.

બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન: નોંધણી અને ખરીદી બંને સમયે ખેડૂતનું બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત છે.

ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો

SMS દ્વારા જાણ: નોંધણી કરાવ્યા બાદ ખેડૂતોને તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર SMS દ્વારા ખરીદીની તારીખ અને સમય જણાવવામાં આવશે.

ચકાસણી: જો ડોક્યુમેન્ટ્સ ખોટા માલૂમ પડશે તો ખેડૂતનો ક્રમ રદ કરવામાં આવશે.

હેલ્પલાઇન નંબર: જો નોંધણીમાં કોઈ મુશ્કેલી પડે તો ખેડૂતો 8511171718 અથવા 8511171719 પર સંપર્ક કરી શકે છે.

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા ખેડૂતોને વિનંતી કરવામાં આવી છે કે સમયમર્યાદામાં પોતાની ગ્રામ પંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવી લે, જેથી લઘુત્તમ ટેકાના ભાવનો લાભ મેળવી શકાય.

January 28, 2026
image-18.png
1min25

28/01/2026મહારાષ્ટ્રમાં એક મોટી દુર્ઘટના સર્જાયાની માહિતી સામે આવી છે. અહીં બારામતીમાં ઉપમુખ્યમંત્રી અજિત પવારનું વિમાન ક્રેશ થઇ ગયું છે. આ દુર્ઘટના લેન્ડિંગ સમયે સર્જાઈ હોવાની જાણકારી છે. મળતી માહિતી અનુસાર આ વિમાનમાં અજિત પવાર હાજર પણ હાજર હતા. ડીજીસીએના અહેવાલો અનુસાર અજિત પવાર સહિત 5 લોકોનું નિધન થઈ ગયું છે. વિમાનમાં અજિત પવાર સહિત બે પાઇલટ, 1 ક્રૂ મેમ્બર અને 1 અન્ય વ્યક્તિનું મોત નીપજ્યું છે.

બારામતીમાં કોઈ કાર્યક્રમમાં હાજરી આપવા માટે અજિત પવાર ત્યાં જઇ રહ્યા હોવાની જાણકારી મળી રહી છે. જોકે હજુ સુધી વિમાન ક્રેશ થવાનું કોઈ કારણ સામે આવ્યું નથી. ઘટનાસ્થળેથી સામે આવેલી તસવીરોમાં જોઈ શકાય છે કે વિમાન આગમાં લપેટાઈ ગયું છે. ધૂમાડાના ગોટેગોટા ઉડી રહ્યા છે. અહેવાલોમાં અનુસાર આ વિમાનમાં મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અને એનસીપીના લીડર અજિત પવાર હાજર હતા. વિમાન ક્રેશ થયા બાદ આખો કાટમાળમાં ફેરવાઈ ગયો હતો.

અજિત પવાર ચૂંટણી પ્રચાર માટે જઈ રહ્યા હોવાની ચર્ચા છે ત્યારે જ અધવચ્ચે રસ્તામાં આ અકસ્માત સર્જાયો હતો. જોકે એનસીપી નેતા માજિદ મેમણે જણાવ્યું કે અજિત પવાર આજે બારામતી આવવાના હતા. વિમાનમાં કુલ 5 લોકો સવાર હતા. સવારે 8:45 વાગ્યાની આજુબાજુમાં જ આ વિમાન રન વે પર લેન્ડ થતી વખતે ક્રેશ થઇ ગયું હતું. ડીજીસીએ દ્વારા આ વિમાન દુર્ઘટનાની પુષ્ટી કરવામાં આવી છે.

અજિત પવારના નિધન પર રાજકારણમાં શોકની લહેર દોડી ગઈ છે. પીએમ મોદીએ મહારાષ્ટ્રના સીએમ ફડણવીસ સાથે આ મામલે ચર્ચા કરી ઘટનાની જાણકારી મેળવી હતી. આ સાથે સુપ્રિયા સુલે પણ બારામતી જવા રવાના થયા હતા. બીજી બાજુ વિપક્ષના નેતાઓ સંજય રાઉત, મહેબુબા મુફ્તી સહિત અનેક લોકોએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

January 28, 2026
image-17.png
1min30

સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે, જે આગામી સમયમાં ભારતીય રાજનીતિ અને અર્થતંત્ર માટે અત્યંત મહત્વનું સાબિત થશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંયુક્ત અભિભાષણ સાથે આ સત્રના પ્રથમ તબક્કાનો પ્રારંભ થશે.

સંસદનું બજેટ સત્ર બે તબક્કામાં ચાલશે. પ્રથમ તબક્કો આજથી શરૂ થઈને 13 ફેબ્રુઆરી સુધી ચાલશે, જ્યારે બીજો તબક્કો 9 માર્ચથી 2 એપ્રિલ સુધી ચાલશે. ઇતિહાસમાં પ્રથમવાર 1 ફેબ્રુઆરીએ રવિવાર હોવા છતાં નાણામંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્રીય બજેટ રજૂ કરશે.

સત્રની શરૂઆત પહેલા થયેલી સર્વદળીય બેઠકમાં સરકારે વિપક્ષની મહત્વની માંગણીઓ ફગાવી દીધી છે. વિપક્ષ ‘વીબી-જીરામજી’ કાયદા પર ચર્ચા ઈચ્છતો હતો. આ કાયદો મનરેગા (MGNREGA) ની જગ્યા લઈ રહ્યો છે અને ગ્રામીણ પરિવારોને 100 ને બદલે 125 દિવસની રોજગારીની ગેરંટી આપે છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ કાયદો શિયાળુ સત્રમાં પસાર થઈ ગયો છે અને હવે તે અમલી છે, તેથી તેના પર ફરી ચર્ચા થઈ શકે નહીં.

‘SIR’ એટલે કે ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (મતદારી યાદીના વિશેષ સુધારણા) ને લઈને છે. પશ્ચિમ બંગાળ અને આસામ જેવા રાજ્યોમાં મતદારોના નામ હટાવવા અંગે વિપક્ષે આશંકા વ્યક્ત કરી છે. જોકે, સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ જણાવ્યું કે આ અંગે અગાઉ ચર્ચા થઈ ચૂકી છે અને સત્રને સુચારૂ ચલાવવા માટે વિપક્ષ સહયોગ આપે.

આ સત્ર એવા સમયે યોજાઈ રહ્યું છે જ્યારે પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ અને કેરળ જેવા પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આથી બજેટમાં કરવામાં આવતી જાહેરાતો અને વિપક્ષનો હંગામો બંને રાજકીય દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના રહેશે.

January 28, 2026
image-15.png
3min25

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુરોપિયન યુનિયનના નેતાઓએ 27/01/2026 આજે નવી દિલ્હીમાં ભારત-યુરોપની ઐતિહાસિક ફ્રી ટ્રેડ ડીલને અંતિમ રૂપ આપ્યું. આશરે 18 વર્ષ લાંબી વાટાઘાટો બાદ આજે આખરે આ ડીલ પર મહોર વાગી. આ ડીલને ‘મધર ઓફ ઑલ ડીલ્સ’ કહેવામાં આવે છે, જે દુનિયાની 25 ટકા GDPનું પ્રતિનિધિત્વ કરે છે. ફ્રી ટ્રેડ ડીલમાં સૌથી મોટી જાહેરાત ઓટોમોબાઈલ ક્ષેત્રને લગતી છે, જે અંતર્ગત યુરોપથી ભારત આવતી કાર પર ટેક્સ ઘટાડીને 10 ટકા કરાશે.

તમને જણાવી દઈએ કે, યુરોપિયન યુનિયનના પ્રેસિડેન્ટ ઉર્સુલા વોન ડેર લેયેન અને યુરોપિયન કાઉન્સિલના પ્રેસિડેન્ટ એન્ટોનિયો કોસ્ટા હાલ ભારતના પ્રવાસે છે. આ બંને નેતા ગઇકાલે પ્રજાસત્તાક દિવસની પરેડમાં ચીફ ગેસ્ટ તરીકે જ ભારત આવી ગયા હતા. આ મુદ્દે બંને પક્ષે 26 જાન્યુઆરીએ જ ફ્રી ટ્રેડ ડીલ અંગે વાટાઘાટો શરૂ કરી હતી, જેને 27 જાન્યુઆરીએ આયોજિત 16માં શિખર સંમેલનમાં અંતિમ રૂપ અપાયું હતું. યુરોપ આ ડીલને ‘મધર ઓફ ઑલ ડીલ્સ’ કહે છે.

ભારત-યુરોપની સંયુક્ત પત્રકાર પરિષદમાં PM મોદીએ કહ્યું હતું કે, વિશ્વની બે સૌથી મોટી લોકશાહી શક્તિઓએ આજે નવો અધ્યાય સ્થાપિત કર્યો. છેલ્લા ઘણાં વર્ષોથી ભારત અને યુરોપ વચ્ચેના સંબંધો મજબૂત થઈ રહ્યા હતા. આજે આ સંબંધોને નવી ઊંચાઈ પ્રાપ્ત થઈ. ભારતે આજે વિશ્વના સૌથી મોટા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે. આ એગ્રીમેન્ટ સમૃદ્ધિની નવી બ્લૂપ્રિન્ટ છે. ભારત અને યુરોપની આ ડીલ ઈન્ટરનેશનલ સિસ્ટમને સ્થિરતા અને મજબૂતાઈ આપશે. આ સિવાય અમે યુક્રેન, પશ્ચિમ એશિયા, ઈન્ડો-પેસિફિક સહિતના વૈશ્વિક મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી.

ભારત-યુરોપ ટ્રેડ ડીલની સૌથી મોટી જાહેરાતો

  • મેડિકલ અને સર્જીકલ ઉપકરણોમાં 90 ટકા પ્રોડક્ટ્સ પર કોઈ ટેક્સ નહીં લેવાય.
  • યુરોપના ફ્રૂટ જ્યૂસ પર 100%, મશીનરી પર 44% અને કેમિકલ પર 22% ટેરિફ નાબૂદ
  • યુરોપથી આવતી દવાઓ પર 44 ટકા સુધીનો ટેક્સ લેવાય છે, જે નાબૂદ કરાશે.
  • યુરોપના બિયર પર 50%, લિકર પર 40% અને વાઈન પર 30% ટેરિફ નાબૂદ કરાશે
  • આગામી બે વર્ષમાં કાર્બન ઉત્સર્જન ઓછું કરવા માટે યુરોપ ભારતને 500 મિલિયન યુરો આપશે.
  • યુરોપની ફાઈનાન્શિયલ કંપનીઓમાં ભારતીયોને સરળતાથી એન્ટ્રી મળશે.
  • મેરિટાઈમ, બેન્કિંગ, શિપિંગ સેવાઓ સસ્તી થશે.
  • 2032 સુધીમાં ભારત-યુરોપ વેપાર બમણો કરવાનું લક્ષ્ય.
  • ભારતમાં ગ્રીન ટેકનોલોજી અને ક્લિન એનર્જીમાં પ્રોત્સાહન આપવામાં યુરોપ મદદ કરશે.

યુરોપથી આવતી કાર પર માત્ર 10 ટકા ટેક્સ

સૌથી મોટી અસર કાર બજાર પર પડશે. ભારત હાલમાં યુરોપિયન કાર પર લગભગ 70 ટકા જેટલો ટેક્સ વસૂલે છે, જેને તબક્કાવાર ઘટાડીને માત્ર 10 ટકા કરી દેવામાં આવશે. ટ્રાન્ઝિશન પીરિયડ દરમિયાન દર વર્ષે અઢી લાખ વાહનોના ક્વોટાની મર્યાદા રહેશે. આનાથી ભારતમાં લક્ઝરી કારોના ભાવમાં ધરખમ ઘટાડો થશે.

એવિયેશન સેક્ટરમાં પણ ટેરિફ નાબૂદીની જાહેરાત

એરક્રાફ્ટ અને સ્પેસક્રાફ્ટ સેક્ટરમાં લગભગ તમામ ટેરિફ નાબૂદ કરવામાં આવશે, જે ભારતના એવિયેશન સેક્ટર માટે ફાયદાકારક સાબિત થશે.

ભારતમાં યુરોપની વાઈન અને બિયર સસ્તી થશે

ઓલિવ ઓઈલ અને અન્ય વનસ્પતિ તેલ કોઈ ટેક્સ વસૂલવામાં આવશે. યુરોપથી આવતી વાઈન પર વસૂલાતો ટેક્સ 150 ટકાથી ઘટાડીને 20થી 30 ટકા, બિયર પરનો ટેક્સ 110 ટકાથી ઘટાડીને 50 ટકા તથા સ્પિરિટ પરનો ટેક્સ ઘટાડીને 40 ટકા કરાયો છે. જેથી ભારતીય પ્રીમિયમ આલ્કોહોલ બજારમાં પ્રતિસ્પર્ધા વધશે. ફ્રૂટ જ્યુસ પર પણ 100 ટકા ટેક્સનો ઘટાડો કરાશે.

આ ડીલથી રોકાણ અને વેપારને પ્રોત્સાહન મળશે

આ ડીલથી ભારત અને યુરોપના અર્થતંત્રમાં રોકાણ અને વેપારને પ્રોત્સાહન મળશે. આજે સત્તાવાર જાહેરાત બાદ તબક્કાવાર ડીલ લાગુ કરાશે.

આ ડીલ બાદ ભારત અને યુરોપ વચ્ચેના વેપારમાં ધરખમ વધારો થશે. ઓટોમોબાઈલ, વાઈન, સ્પિરિટ્સ સહિતના સેક્ટર્સમાં પણ ડીલ કરાશે. જેમાં ભારતમાં યુરોપિયન વાહનો પર ટેરિફ ઘટાડવામાં આવી શકે છે. જ્યારે યુરોપ ભારતીય ટેક્સટાઈલ, ફાર્માસ્યુટિકલ, જ્વેલરી, બિયર-વાઈન, સ્પિરિટ સહિતની વસ્તુઓ પર ટેરિફમાં રાહત આપશે.

ભારત-યુરોપ વચ્ચે 2025માં 136.53 અબજ ડૉલરનો વેપાર

વર્ષ 2025માં ભારત અને યુરોપ વચ્ચે કુલ 136.53 અબજ ડોલરનો વેપાર થયો. ભારતે 60.7 અબજ ડોલરનો સામાન આયાત કર્યો જ્યારે 75.9 અબજ ડોલરના સામાનની નિકાસ કરી. એવામાં ટ્રેડ ડીલમાં ટેરિફમાં ઘટાડો થતાં ઉપભોક્તા અને ઉત્પાદક બંનેને લાભ થશે.

ભારત યુરોપથી હાઈ કેટેગરી મશીનરી, ઈલેક્ટ્રોનિક્સ, વિમાન, મેડિકલ ઉપકરણ વગેરે આયાત કરે છે. જ્યારે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, સ્માર્ટફોન, કાપડ, ફાર્મા પ્રોડક્ટ્સ, જ્વેલરી, લોખંડની નિકાસ કરવામાં આવે છે. એવામાં આ ડીલમાં 90 ટકા સામાન પર ટેરિફ ઓછો અથવા નહિવત થઈ શકે છે. આ સેક્ટરમાં કામ કરતાં ઉદ્યોગો અને બિઝનેસમેનને તેનો મોટો લાભ મળશે.

યુરોપના કુલ 27 દેશના બજારમાં ભારતની પહોંચ વધશે

  • યુરોપના 45 કરોડ લોકોના બજારમાં ભારતીય કંપનીઓની સીધી એન્ટ્રી થશે
  • ટેક્સ ઓછો થવાના કારણે ભારતની નિકાસ વધશે
  • યુરોપની કંપનીઓ ભારતમાં રોકાણ વધારશે, FDI વધશે
  • નિકાસ અને રોકાણના કારણે રોજગાર વધશે
  • સપ્લાય ચેઈનમાં સુધારો થતાં ચીન પરની નિર્ભરતા ઘટશે
January 22, 2026
gold-silver.jpeg
1min46

સોના અને ચાંદીની કિંમતોમાં સતત વધારો થયા બાદ આજે મોટો કડાકો નોંધાયો છે. આજે ચાંદીના ભાવ 3.25 લાખ રૂપિયા પર પહોંચ્યા બાદ હવે તેના ભાવ 3.10 લાખ રૂપિયા પર આવી ગયા છે. જ્યારે સોનાનો ભાવ 1.53 લાખ રૂપિયા પર પહોંચ્યા બાદ 1.51 લાખ રૂપિયા પર આવી ગયા છે.

ચાંદીના ભાવની વાત કરીએ તો, 5.00 વાગ્યા સુધીમાં તેનો ભાવ 3,09,095 રૂપિયા પહોંચી ગયો છે. આજે તેનો ભાવ ઊંચામાં 3,25,602 રૂપિયા પર પહોંચી ગયો હતો, જ્યારે નીચામાં ભાવ 3,05,449 સુધી પહોંચ્યો હતો. એટલે કે, આજે તેના ભાવમાં 20,153 રૂપિયાથી ઉથલપાથલ જોવા મળી હતી. ગઈકાલે ચાંદીનો ભાવ 3,18,492 રૂપિયા પર બંધ થયા બાદ આજે પાંચ વાગ્યા સુધીમાં 3,09,095 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે.

સોનાના ભાવની વાત કરીએ તો, 5.00 વાગ્યા સુધીમાં તેનો ભાવ 1,51,566 રૂપિયા પહોંચી ગયો છે. આજે તેનો ભાવ ઊંચામાં 1,53,784 રૂપિયા પર પહોંચી ગયો હતો, જ્યારે નીચામાં ભાવ 1,48,777 સુધી પહોંચ્યો હતો. એટલે કે, આજે તેના ભાવમાં 5.007 રૂપિયાથી ઉથલપાથલ જોવા મળી હતી. ગઈકાલે સોનાનો ભાવ 1,52,862 રૂપિયા પર બંધ થયા બાદ આજે પાંચ વાગ્યા સુધીમાં 1,51,566 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે.

સોના અને ચાંદીના ભાવમાં તાજેતરમાં જોવા મળેલી મોટી તેજી બાદ હવે નફો બુક કરવાની પ્રક્રિયા (પ્રોફિટ બુકિંગ) શરૂ થતા કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. શેરબજારમાં આવેલી તેજીને કારણે સુરક્ષિત રોકાણ તરીકે સોના-ચાંદીની માંગમાં ઘટાડો થયો છે અને સાથે જ ભૌગોલિક રાજકીય તણાવ ઓછો થવાને લીધે પણ કિંમતો નીચે આવી છે.

નિષ્ણાતો માને છે કે જેઓ નવું રોકાણ કે ખરીદી કરવા માંગે છે તેમણે થોડી રાહ જોવી જોઈએ, કારણ કે હજુ ભાવમાં વધુ ઘટાડાની શક્યતા છે. આ ઉપરાંત જેમણે ઊંચા ભાવે ચાંદી ખરીદી છે તેમને ગભરાવાને બદલે લાંબા ગાળા માટે હોલ્ડ કરવાની સલાહ આપવામાં આવી છે કારણ કે તેના ફંડામેન્ટલ્સ હજુ પણ મજબૂત છે.

એક વર્ષમાં સોનાના ભાવમાં 75 ટકાનો જંગી વધારો થયો છે, જેમાં પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનું 57,033 રૂપિયા મોંઘું થયું છે. 31 ડિસેમ્બર 2024ના રોજ સોનાનો ભાવ 76,162 રૂપિયા હતો જે 31 ડિસેમ્બર 2025 સુધીમાં વધીને 1,33,195 રૂપિયા પર પહોંચી ગયો હતો.

ચાંદીમાં પણ આ સમયગાળા દરમિયાન 167 ટકાનો અભૂતપૂર્વ ઉછાળો જોવા મળ્યો છે. એક કિલો ચાંદી જે વર્ષ 2024ના અંતે 86,017 રૂપિયા હતી, તે વર્ષ 2025ના અંત સુધીમાં 1,44,403 રૂપિયા વધીને 2,30,420 રૂપિયાના સ્તરે પહોંચી ગઈ છે.

January 20, 2026
image-10.png
1min30

ભારતીય શેરબજાર માટે મંગળવારનો દિવસ અમંગળ સાબિત થયો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ પોલિસીને કારણે વૈશ્વિક સ્તરે સર્જાયેલા તણાવની સીધી અસર દલાલ સ્ટ્રીટ પર જોવા મળી હતી. આજે કારોબારના અંતે BSE સેન્સેક્સ 1065.71 પોઈન્ટના મોટા ઘટાડા સાથે 82,180.47 ના સ્તરે બંધ રહ્યો હતો. તેવી જ રીતે, નિફ્ટી-50 પણ 353 પોઈન્ટ ગગડીને 25,232.50 ની સપાટીએ આવી ગયો હતો. આજે મંગળવારે રોકાણકારોને 10 લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે, જ્યારે છેલ્લા બે દિવસમાં શેર બજાર ગગડતા રોકાણકારોના 12 લાખ કરોડથી વધુ સ્વાહા થયાનું અનુમાન છે.

ચોતરફ વેચવાલી: માત્ર HDFC બેંક જ બચી શકી

આજના કારોબારમાં બજારમાં વેચવાલીનું એટલું પ્રચંડ દબાણ હતું કે સેન્સેક્સના 30 માંથી 29 શેર લાલ નિશાન પર બંધ થયા હતા. બ્લુચિપ ગણાતા શેરો જેવા કે Reliance (RIL), TCS, ITC અને Bajaj Finance માં ભારે ધોવાણ જોવા મળ્યું હતું. માત્ર HDFC બેંક જ એકમાત્ર એવો શેર હતો જે મામૂલી વધારા સાથે ટકી રહેવામાં સફળ રહ્યો હતો. સૌથી વધુ નુકસાન સન ફાર્મા, બજાજ ફિનસર્વ અને ઇન્ટરગ્લોબ એવિએશનના શેરોમાં નોંધાયું હતું.

મોટા શેરોની સાથે મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં પણ રોકાણકારોએ પસ્તાળ પાડી હતી. નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સ 2.57% અને નિફ્ટી સ્મોલકેપ 100 ઇન્ડેક્સ 2.75% જેટલા તૂટ્યા હતા. સેક્ટર મુજબ જોઈએ તો રિયલ્ટી ઇન્ડેક્સમાં સૌથી વધુ 5% નો ઘટાડો નોંધાયો હતો, જ્યારે ઓટો, આઈટી અને મેટલ સેક્ટર પણ લોહીલુહાણ થયા હતા.

ટ્રમ્પની ટેરિફ પોલિસી: અમેરિકા અને યુરોપ વચ્ચે વધતા ટ્રેડ વોરના જોખમે રોકાણકારોનો ઉત્સાહ ઠંડો પાડ્યો છે. યુએસ સુપ્રીમ કોર્ટ આ ટેરિફ અંગે શું ચુકાદો આપે છે તેના પર સૌની નજર છે.

FIIs ની સતત વેચવાલી: વિદેશી સંસ્થાકીય રોકાણકારો ભારતીય બજારમાંથી સતત નાણાં ખેંચી રહ્યા છે.
નબળા ત્રિમાસિક પરિણામો: વિપ્રો અને ICICI બેંક જેવી દિગ્ગજ કંપનીઓના પરિણામો અપેક્ષા મુજબ ન રહેતા બજારનું સેન્ટિમેન્ટ બગડ્યું હતું.

નિષ્ણાતોના મતે, જ્યાં સુધી વૈશ્વિક બજારમાં સ્થિરતા નહીં આવે અને અમેરિકાની નીતિઓ સ્પષ્ટ નહીં થાય, ત્યાં સુધી બજારમાં ઉતાર-ચઢાવ ચાલુ રહી શકે છે.

January 20, 2026
weather-forecast.jpg
1min27

ગુજરાતના વાતાવરણમાં ફરી પલટો આવી શકે છે. હાલ રાજ્યમાં બેવડી ઋતુની અસર જોવા મળી રહી છે, વહેલી સવારે ઠંડી અને બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સામાન્ય કમોસમી વરસાદ થવાના સંકેત મળી રહ્યા છે. કારણ કે હવામાન વિભાગની આગાહી મુજબ 20 જાન્યુઆરી પછી ઉત્તર ભારતમાં પશ્ચિમી વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ શકે છે જેની અસર ગુજરાતમાં પણ થશે તેવી શક્યતાઓ છે.

આ સાથે ઉત્તર-પશ્ચિમી પવનો ફૂંકાવાનું શરૂ થતા રાજ્યમાં ઠંડીનું જોર પણ વધશે, હવામાન વિભાગે આપેલી જાણકારી અનુસાર આગામી એક અઠવાડિયામાં ત્રણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની ભીતિ છે. જેના લીધે પશ્ચિમી હિમાલય વિસ્તારમાં વરસાદ તેમજ બરફવર્ષા પડી શકે છે. જેની અસર હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીરમાં વધારે થશે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતના વાતાવરણ પર પણ થઈ શકે. જો કે, હવામાન વિભાગ મુજબ હાલમાં ગુજરાત વાતાવરણમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી.

આગામી સમયમાં લઘુતમ તાપમાન 14 થી 15 ડિગ્રીની આસપાસ તો મહત્તમ તાપમાન 30 થી 32 ડિગ્રી સુધી પહોંચી શકે તેવું અનુમાન આપવામાં આવ્યું છે. ઠંડી, ગરમી અને વરસાદની વકી વચ્ચે આગામી દિવસોમાં વાયરલ ઇન્ફેક્શનના કેસ પણ સામે આવી શકે છે.

હાલમાં હિમાલય તરફથી આવી રહેલા ઠંડા પવનની અસર ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં જોવા મળી રહી છે. આજે નલિયા 10.8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર હતું. તે ઉપરાંત, પોરબંદ 11 ડિગ્રી, અમરેલી 11.6 ડિગ્રી, તો ડીસા 11.9 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી.

January 18, 2026
Cia_business_news-1280x936.jpg
1min51

ગુજરાતના વિવિધ અખબારો, ટીવી મિડીયાના 13 પત્રકારોની ટીમ આજે નાગાલેન્ડના 5 દિવસના સત્તાવાર પ્રવાસે દીમાપૂર એરપોર્ટ પર પહોંચી હતી. જ્યાં નાગાલેન્ડ પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (પીઆઇબી) કોહીમાના આસિસ્ટન્ટ ડાયરેક્ટર કે.સોનીકુમાર સિંઘ અને તેમની ટીમના સભ્યોએ ગુજરાતથી દીમાપૂર પહોંચેલા પત્રકારોનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.

ગુજરાતના પત્રકારો આગામી પાંચ દિવસ દરમિયાન નાગાલેન્ડમાં થઇ રહેલા વિકાસકામો તથા તેમની પ્રોજેક્ટ સાઇટની મુલાકાત લેશે. નાગાલેન્ડની ભાતીગળ સંસ્કૃતિ, ભારતના સૌથી પહેલા ગ્રીન વીલેજ સહિતના પ્રોજેક્ટની મુલાકાત લેશે. પ્રવાસનું આયોજન પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો ગુજરાત તેમજ પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો નાગાલેન્ડના સંયુક્ત પ્રયાસોથી હાથ ધરવામાં આવ્યો છે.