ફાસ્ટેગની નવી વ્યવસ્થા અંગે સરકારે નાગરીકોને મોટી રાહત આપી છે. વાહનોમાં ફાસ્ટેગ લગાવવાની સમય મર્યાદા 1 જાન્યુઆરીથી વધારી 15 ફેબ્રુઆરી કરવામાં આવી છે. આમ 1 જાન્યુઆરીથી ફાસ્ટેગ જરૂરી નથી.
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ફાસ્ટેગ મેળવવામાં લોકોને પડી રહેલી મુશ્કેલીઓ ધ્યાને લઈ તેને લગાવવાની સમય મર્યાદા વધારી છે. આ પહેલા સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે દેશના તમામ રાષ્ટ્રીય રાજમાર્ગો પરથી પસાર થવા માટે ટોલ ચૂકવવા માટે 1 જાન્યુઆરી, ર0ર1થી તમામ વાહનોમાં ફાસ્ટેગ લાગેલુ હોવું ફરજિયાત રહેશે.
દેશના તમામ એનએચએઆઈ ટોલ પ્લાઝા કેશને બદલે ફાસ્ટેગ લેનમાં બદલવામાં આવી રહ્યા છે. જો કોઈ ફાસ્ટેગ વિના ટોલ પ્લાઝા પર પહોંચશે તો તેણે બમણો ટોલ ચૂકવવો પડશે. પરંતુ હવે નાગરીકોને વાહનમાં ફાસ્ટેગ લગાવવા માટે દોઢ મહિનાની મહેતલ અપાઈ છે. 100 ટકા કેશલેસ વ્યવસ્થા હવે 1પ ફેબ્રુ.થી અમલી બનશે. ફાસ્ટેગ બે પ્રકારના હશે. એક એનએચએઆઈનું ટેગવાળુ અને બીજુ બેંકો પાસેથી લેવામાં આવેલું.
આવતીકાલ તા.31મી ડિસેમ્બરને ગુરુવારે રાત્રે સેલવાસ, મહારાષ્ટ્ર વાયા સાપુતારા કે દમણ-દેવકાથી દારૂ પીને નીકળતા દારૂડીયાઓને પકડવા માટે વલસાડ પોલીસે જબ્બર તૈયારીઓ કરી છે. 2019ની થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરે વલસાડ પોલીસે 1000 જેટલા દારૂડીયાઓને પકડ્યા હતા અને તેમને અટકાયતમાં રાખવા માટેની જગ્યા ખૂટી પડી હતી, તેના પરથી બોધપાઠ લઇને આ વર્ષે 2020ની થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરે પકડાનારા દારૂડીયાઓને અટકાયતમા રાખવા માટે વલસાડ પોલીસે કુલ 8 જગ્યાઓ પર હોલ ભાડે રાખ્યા છે, જ્યાં દમણ, દેવકા, મહારાષ્ટ્ર કે સેલવાસના વિસ્તારોમાંથી દારૂ પીને ગુજરાતમાં આવનારાઓને ઝડપી પાડીને જ્યાં સુધી જામીન નહીં મળે ત્યાં સુધી એ હોલમાં રાખવામાં આવશે.
કુલ ચેકિંગ સાઇટ્સ
વલસાડ જિલ્લામાં આવેલી 18 ચેકપોસ્ટ ચેકિંગ
ચેકિંગ કોનું કરાશે
દમણ-દેવકા, સેલવાસ, મહારાષ્ટ્ર તરફથી આવી રહેલા વાહનોમાં
પીધ્ધડોને અટકાયતમાં રાખવા
જુદા જુદા સ્થળો પર કુલ 8 હોલ ભાડે રખાયા
પાર્ટીઓમાં રેઇડ પાડવા માટે
વલસાડના દરેક પોલીસ સ્ટેશનમાં 2 ટીમો
પીધ્ધડોના ચેકિંગ માટે
કુલ 13 મેડીકલ ટીમો બનાવવામાં આવી
પીધ્ધડોને લાવવા લઇ જવા માટે
કુલ 15 બસોને તૈનાત કરવામા આવશે
દારૂ પીધો છે કે કેમ એ તપાસવા
કુલ 186 બ્રેથ એનાલાઇઝર ઇક્વિપ્મેન્ટસ
હજારો લોકોની તપાસણી માટે
બ્રેથ એનાલાઇઝર ઇક્વિપમેન્ટ્સ માટે 48 હજાર કાટ્રીજ
કપરાડા જિલ્લામાં વ્યવસ્થા
કપરાડા જિલ્લામાં મંડપ-ટેન્ટ બાંધીને તેમાં પીધ્ધડોને રાખવામાં આવશે
Last year on 31 December 2019
એથી વિશેષ કપરાડા પોલીસે તો કપરાડામાં હોલ જેવી મોટી જગ્યા ન હોઇ, મંડપ બનાવીને તેમાં પકડાનારા દારૂડીયાઓને અટકાયતમાં રાખવા અંગેની વ્યવસ્થા કરી હોવાનું જાણવા મળ્યું છે.
વલસાડ પોલીસે જુદા જુદા પોઇન્ટ પર કે જ્યાંથી દારૂડીયાઓ પસાર થતા હોય છે એ વિસ્તારો મળીને કુલ 8 હોલ દારૂડીયાઓને અટકાયતમાં રાખવા માટે બૂક કર્યા છે. આ સિવાય એવા 8 હોલ સ્ટેન્ડ-બાય રાખવામાં આવ્યા છે કે જ્યાં પીધેલા લોકોને રાખી શકાય. કપરાડા જેવી જગ્યા કે જ્યાં હોલ નથી મળ્યા ત્યાં મંડપ બાંધીને તૈયારી કરી રાખવામાં આવી છે.
Symbolic photo of Breath analyser
પીધેલા લોકોને ઝડપી પાડવા માટે તૈનાત કરવામાં આવેલા પોલીસ કર્મીઓને કોરોના વાયરસના કારણે લોકોના મોઢા ના સૂંઘવાની પણ સલાહ આપવામાં આવી છે, વલસાડ પોલીસે 186 બ્રેથ એનેલાઈઝર અને 48,000 માઉથપીસ ડ્યુબ તૈયાર રાખી છે, જેથી કોઈ પીધેલી હાલતમાં આવેલી વ્યક્તિ છટકી ના શકે.
પીધેલી હાલતમાં પકડાયેલા લોકોને જામીન ના મળે ત્યાં સધી હોલમાં બેસાડી રાખવામાં આવશે. કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને પોલીસ સ્ટેશનમાં ટોળા ના થાય તે માટે હોલની વ્યવસ્થા કરવામાં આવી છે.
નશાની હાલતમાં ઝડપાયેલા લોકોની અટકાયત કરીને નિશ્ચિત જગ્યા પર લઈ જવા માટે 15 જેટલી બસો પણ તૈયાર રાખવામાં આવી છે.
વલસાડ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ઝાલા કહે છે કે “અમારું માનવું છે કે આ ટુરિસ્ટ પ્લેસ પર આ વર્ષે પાછલા વર્ષની સરખામણીએ ઓછા પ્રવાસીઓ આવશે, પરંતુ અમે તે દરેક નશાની હાલતમાં આવનારા લોકોને પકડી પાડવા માટે તૈયાર છીએ.”
નવા કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા 34 દિવસથી ચાલી રહેલા ખેડૂત આંદોલનનો કોઈ ઉકેલ આવતો દેખાતો નથી. 40 ખેડૂત સંગઠનો આંદોલનમાં સામેલ છે અને તા.30ને બુધવારે કેન્દ્ર સરકાર સાથે 7મા તબક્કાની પ્રસ્તાવિત વાતચીત પહેલા કિસાન મજદૂર સંઘર્ષ સમિતિએ વાતચીતનો ઈન્કાર કરી નવા વર્ષમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવા એલાન કર્યું છે.
સરકારે બેઠક માટે કોઈ નક્કર એજન્ડા રજૂ કર્યો નથી અને ખેડૂતો વિરુદ્ધ દુષ્પ્રચાર કરે છે. સરકાર માત્ર કાયદામાં સંશોધન ઈચ્છે છે જ્યારે ખેડૂતોની માગ નવા કાયદા રદ્દ કરવાની અને એમએસપી અંગે કાયદાકીય ગેરેન્ટી આપવાની છે.
અન્યોએ સરકાર સાથે વાતચીતનો પ્રસ્તાવ સ્વીકારી કાયદા રદ્દ કરવા અને એમએસપી અંગે પોતાની માગનો પુનરોચ્ચાર કર્યો હતો. કિસાન મજદૂર સંઘર્ષ સમિતિએ કહ્યું કે તે બુધવારની બેઠકમાં સામેલ નહીં થાય. સરકાર પાસે કોઈ નક્કર એજન્ડા નથી. સમિતિના પંજાબ પ્રદેશ અધ્યક્ષ સતનામ સિંહ, રાજ્ય સચિવ સરવનસિંહ પંઢેર અને સવિંદરસિંહ ચૌટાલાએ કહ્યું કે નીતિ આયોગનું નિવેદન, વડાપ્રધાન અને અન્ય મંત્રીઓનાં ભાષણ માત્ર નવા કૃષિ કાયદાના અમલીકરણનો બચાવ કરે છે.
ખેડૂત સંગઠનો સાથેની પ્રસ્તાવિત વાતચીત પહેલા કૃષિ મંત્રી તોમરે આપેલું નિવેદન ચર્ચાસ્પદ બન્યું છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન પર કોઈ દબાણ કામ નહીં કરે. અગાઉની યુપીએ સરકારનાં શાસનમાં મનમોહન અને શરદ પવાર ઈચ્છતા હતા કે કૃષિ કાયદા બને પરંતુ દબાણ અને પ્રભાવનો સામનો કરી શક્યા નહીં. ખેડૂત નેતા રાકેશ ટિકેતે આંદોલન ઉગ્ર બનાવવાના એલાન સાથે વિપક્ષ પર નિશાનો સાધ્યો છે તેમણે કહ્યું કે ક્રાંતિ હવે ચિન્ગારી બનશે. સરકારે ખેડૂતોની વાત માની લેવી જોઈએ. દેશમાં વિપક્ષ મજબૂત નથી નહીં તો અમારે રસ્તા ઉપર ઉતરવાની જરૂર પડત નહીં.
કોરોના વાયરસનો નવો સ્ટ્રેન હવે ભારતમાં પ્રવેશ્યો હોવાની પુષ્ટિ થઈ છે. બ્રિટનથી પરત ફરેલા લોકો પૈકી છ મુસાફરો સંક્રમિત મળ્યા છે જેમાં કોરોનાનો નવો મ્યુટન્ટ મળી આવ્યો છે. આ તમામ લોકોને સિંગલ આઈસોલેશન રૂમમાં રાખવામાં આવ્યા છે. આ તમામના સંપર્કમાં આવેલા તમામ લોકોને ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા હોવાનું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે.
25 નવેમ્બરથી 23 ડિસેમ્બર વચ્ચે કુલ 33,000 પ્રવાસીઓ યુકેથી ભારતના અલગ-અલગ એરપોર્ટ પર ઉતર્યા હતા. જે પૈકી અત્યાર સુધી 114 લોકો કોરોના સંક્રમિત મળ્યા છે. આ તામના સેમ્પલને જ્યારે જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા તો છ લોકોમાં નવો સ્ટ્રેન મળ્યો છે.
ઓસ્ટ્રેલિયા પ્રવાસે ગયેલી ભારતીય ટીમે મેલબર્નમાં બીજી ટેસ્ટ મેચમાં 8 વિકેટે વિજય પ્રાપ્ત કરી લીધો છે. આ જીત સાથે જ ચાર ટેસ્ટ મેચની સીરિઝમાં ભારતે 1-1ની બરાબરી કરી લીધી છે. કેપ્ટન અજિંક્યા રહાણેની સદીની મદદથી ભારતીય ટીમે શરૂઆતથી જ ટેસ્ટ પર પકડ મેળવી લીધી હતી. ઓસ્ટ્રેલિયાએ આપેલા 70 રનના લક્ષ્યાંકને ભારતે બે વિકેટ ગુમાવીને પાર કરી લીધો હતો. મયંગ અગ્રવાલ અને ચેતેશ્વર પુજારા આઉટ થયા હતા. ઓસ્ટ્રેલિયાને પ્રથમ ઈનિંગમાં 195 રનમાં ઓલઆઉટ કરી દીધા બાદ ભારતીય ટીમે સારી રમત દાખવી હતી. કેપ્ટન અજિંક્યા રહાણેએની સદી (112)નીમદદથી ભારતે પ્રથમ ઈનિંગમાં 326 રન કર્યા હતા. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગ 200 રનમાં સમેટાઈ ગઈ હતી. મોહમ્મદ સિરાજે 3 વિકેટ ઝડપી હતી જ્યારે આર અશ્વિન, જાડેજા અને બુમરાહે 2-2 વિકેટે ઝડપી હતી.
ઓસ્ટ્રેલિયા સામે બીજી ટેસ્ટ જીતવા ભારતને ચોથા દિવસે 70 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. ભારતે બીજી ઈનિંગમાં મયંક અગ્રવાલ (5) અને ચેતેશ્વર પુજારા (3)ની વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક પ્રાપ્ત કરી લીધો હતો. શુભમન ગીલ 35 રને તેમજ કેપ્ટન અજિંક્યા રહાણે 27 રને અણનમ રહ્યા હતા.
1978 પછી ઓસ્ટ્રેલિયાના સ્થાનિક મેદાન પર 80થી વધારે ઓવર રમીને આ અત્યારસુધીની સૌથી ધીમી ઈનિંગ રહી છે. બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયા માટે કેમરુન ગ્રીને 146 બોલમાં સૌથી વધુ 45 અને ઓપનર મેથ્યુ વેડે 137 બોલમાં 40 રન કર્યા.પ્રથમ અને બીજી ઈનિંગમાં મળીને જસપ્રિત બુમરાહે 6 વિકેટ ઝડપી છે. રહાણેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
કેપ્ટન રહાણેએ મેચ પછી વાતચીત કરતા જણાવ્યું હતું કે રોહિત શર્મા ત્રીજી અને ચોથી ટેસ્ટમાં ભારતીય ટીમનો હિસ્સો રહેશે. રહાણેએ જણાવ્યું હતું કે તેણે રોહિત સાથે વાતચીત કરી છે અને હવે તે આગામી બે ટેસ્ટમાં ટીમનો હિસ્સો રહેશે.
ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઑસ્કર વિજેતા સંગીતકાર એઆર રહેમાનની માતા કરીમા બેગમનું નિધન થઈ ગયું છે. રહેમાને માતાને યાદ કરતા એમની એક તસવીર ટ્વિટર પર પોસ્ટ કરી છે, જેના પર તમામ પ્રિયજનો અને ઈન્ડસ્ટ્રીના સાથીઓ શોક વ્યક્ત કરી રહ્યા છે અને એમને સાંત્વના આપી રહ્યા છે.
કરીમા બેગમનું નિધન 28 ડિસેમ્બરના રોજ સવારે ચેન્નઈમાં થયું છે. તેઓ છેલ્લા કેટલાક દિવસથી બીમાર હતા. એઆર રહેમાનની માતાના ફોટો સાથે કોઈ કેપ્શન લખ્યું નથી. એઆર રહેમાનની માતાના નિધનમાં સમાચારથી દક્ષિણ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફેલાયું છે. તેમ જ ચન્નઈમાં એઆર રહેમાનના ઘરની બહાર ફૅન્સ એકત્રિત થઈ ગયા છે. ડિરેક્ટર શંકરના સહપરિવારે એઆર રહેમાનના ઘરે જઈને પોતાની સંવેદના વ્યક્ત કરી હતી.
એઆર રહેમાન તેની માતાની ખૂબ નજીક હતો. એક ઈન્ટરવ્યૂમાં રહેમાને જણાવ્યું હતું કે એમની માતાએ જ સૌથી પહેલા અનુભવ કરાવ્યો હતો કે તેઓ સંગીત ક્ષેત્રમાં પોતાનું નામ કમાવશે. ચેન્નઈ ટાઈમ્સ સાથે વાત કરતા એઆર રહેમાને કહ્યું હતું- તેમની પાસે સંગીત સમજવાની શક્તિ હતી. તે જે રીતે વિચારે છે અને નિર્ણય લે છે. આધ્યાત્મિક રૂપે તે મારાથી ઘણી ઉપર હતી. ઉદાહરણ તરીકે, મારું સંગીત પસંદ કરવું. તેમણે 11માં ધોરણમાંથી મારી શાળા છોડાવી દીધી હતી અને સંગીત શરૂ કરાવ્યું હતું. તેમની એવી માન્યતા હતી કે સંગીત મારા માટે જ બન્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની પ્રથમ ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેનની શરૂઆત દિલ્હીમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરી છે. આ સાથે જ તેમણે એરપોર્ટ એક્સપ્રેસ લાઇન અને નેશનલ કોમન મોબિલિટી કાર્ડ (NCMC) સેવાની પણ શરૂઆત કરી છે. આ કાર્યક્રમમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ઉપસ્થિત રહ્યા હતા. જનકપુરી પશ્ચિમથી બોટનિકલ ગાર્ડન સુધી મેટ્રોના 37 કિલોમીટર લાંબી મેજેંટા લાઈન પર આ સુવિધા શરૂ કરવામાં આવી છે.
ડ્રાઇવરલેસ મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, પહેલી ડ્રાઇવરલેસ મેટ્રોનું ઉદ્ઘાટન દર્શાવે છે કે ભારત સ્માર્ટ સિસ્ટમ તરફ કેટલી ઝડપથી અગ્રેસર બની રહ્યું છે. 2025 સુધી 25 શહેરમાં મેટ્રો દોડાવવાનું લક્ષ્ય છે.
ડ્રાઇવરલેસ મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવતાં પીએમ મોદીએ કહ્યું કે, આજથી ત્રણ વર્ષ પહેલા મજેન્ટા લાઇનની શરૂઆત થઈ હતી. હવે આ લાઇન પર ડ્રાઇવરલેસ મેટ્રોની શરૂઆત થઈ રહી છે. દેશ ભવિષ્યની જરૂરિયાતો માટે કામ કરી રહ્યું છે. થોડા સમય પહેલા ભ્રમની સ્થિતિ બનેલી હતી, પરંતુ કોઈ ભવિષ્યની તૈયારી નહોતી. જેના કારણે શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ડિમાન્ડ સામે સપ્લાયમાં ઘણું અંતર આવ્યું. શહેરીકરણને પડકાર માનવામાં આવે અને અવસર તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે.
DMRCના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરના જણાવ્યા અનુસાર, મેજેન્ટા લાઈન પછી 57 કિલોમીટર લાંબી પિન્ક લાઈન પર ડ્રાઈવરલેસ મેટ્રોની શરૂઆત કરવામાં આવશે. જ્યારે પિન્ક અને મેજેન્ટા લાઈનો તૈયાર કરવામાં આવી હતી તો એને કમ્યુનિકેશન બેઝ્ડ ટ્રેન કન્ટ્રોલ સિગ્નલિંગ સિસ્ટમ સાથે જોડવામાં આવી હતી.
NCMCને એરપોર્ટ એક્સપ્રેસ લાઇન પર સંપૂર્ણપણે સંચાલિત કરવામાં આવશે. તેની સાથે જ દેશના કોઈ પણ હિસ્સાથી ઇસ્યૂ રૂપે ડેબિટ કાર્ડ રખનારા કોઈ પણ વ્યક્તિ તેનો ઉપયોગ કરી માર્ગ પર યાત્રા કરી શકશે. આ સુવિધા 2022 સુધી દિલ્હી મેટ્રોના તમામ નેટવર્ક પર ઉપલબ્ધ થઈ જશે.
મેટ્રોની તમામ લાઇનો પર 2022 સુધી મુસાફરોને કોમન મોબિલિટી કાર્ડથી મુસાફરી કરવાની તક મળશે. ડીએમઆરસી તરફથી હાલમાં 390 કિલોમીટરમાં 11 કોરિડોરના 285 સ્ટેશનોની વચ્ચે મુસાફરોને મેટ્રો સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.
કેન્દ્રના પરિવહન મંત્રાલયે કોરોનાના રોગચાળાને ધ્યાનમાં રાખીને ડ્રાઇવિંગ લાઇસન્સ (ડીએલ), રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (આરસી) અને પરમિટ જેવા વાહનોના દસ્તાવેજો માટેની મુદત ૩૧ માર્ચ સુધી વધારી હોવાની જાહેરાત રવિવારે કરી હતી. માર્ગ પરિવહન અને ટ્રાન્સપોર્ટ (એમઓઆરટીએચ) મંત્રાલયે અગાઉ ૩૦ માર્ચ ૨૦૨૦, ૯ જૂન ૨૦૨૦ અને ૨૪ ઑગસ્ટ ૨૦૨૦ના દિવસે વાહનોના દસ્તાવેજોની મુદત વધારવા મામલે જાહેરાત કરી હતી.
મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કોરોનાના રોગચાળાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ડીએલ, આરસી, પરમિટ વગેરે વાહનોના દસ્તાવેજોની મુદત ૩૧મી માર્ચ ૨૦૨૧ સુધી વધારવાનો નિર્ણય લીધો છે. આ વિશે મંત્રાલયે રવિવારે બધાં જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સૂચના મોકલાવી છે.
અગાઉ વિવિધ માધ્યમો દ્વારા ફિટનેસ, પરમિટ સહિતના વાહનોના દસ્તાવેજોની મુદત ૩૧મી ડિસેમ્બર ૨૦૨૦ સુધી ગણવાની માર્ગદર્શિકા જાહેર કરાઇ હતી.
માર્ગદર્શિકામાં જણાવાયું હતું કે નાગરિકો સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને વાહન સંબંધી સેવાઓનો લાભ મેળવી શકે એ માટે સંબંધિત પ્રશાસને આ બાબતની નોંધ લેવી તથા આવા કપરા સમયમાં કામ કરી રહેલા ટ્રાંસપોર્ટરો હેરાન ન થાય.
રેરા કાયદાને કારણે જમીન, મકાન સાથે સંકળાયેલા ગ્રાહકોથી લઇને બિલ્ડર્સ સુધીના લોકોને એક યા બીજા કારણોસર ફાયદો થયો છે પણ રિયલ એસ્ટેટ ધંધા સાથે સંકળાયેલા બ્રોકર્સ (દલાલો) મુશ્કેલીમાં મૂકાયા છે. રેરામાં એવી જોગવાઇ કરવામાં આવી છે કે રિયલ એસ્ટેટ બ્રોકર જે રાજ્યમાં કામ કરે એ રાજ્યમાં રેરા અન્વયે તેનું રજિસ્ટ્રેશન કરાવેલું હોવું ફરજિયાત છે, એ સિવાય એ કામગીરી કરી શકે નહીં. રેરામાં રિયલ એસ્ટેટ બ્રોકર્સ સામેની આ અન્યાયી જોગવાઇ દૂર કરાવવા માટે સુરત ખાતેથી રાજ્ય અને કેન્દ્ર સરકારમાં રજૂઆતોનો દૌર ચલાવવામાં આવશે.
સુરતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રના બ્રોકર્સ અગ્રણી અજિતભાઇ શાહ અને હેમલભાઇ ભટ્ટે સી.આઇ.એ. લાઇવ ન્યુઝ વેબ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે વ્યવસાયે તબીબ હોય કે પછી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ એક તેમનું એક જ વખત રજિસ્ટ્રેશન થાય છે અને તેઓ આખા દેશમાં કોઇપમ સ્થળે પોતાનું કામકાજ કરી શકે તેમ છે. પરંતુ, રિયલ એસ્ટેટ બ્રોકર્સે જો જુદા જુદા રાજ્યોમાં કામ કરવું હોય તો તેમને દરેક રાજ્યે રાજ્યે રેરા કાયદા અન્વયે રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. મહત્વની વાત છે કે રજિસ્ટ્રેશનનો ચાર્જ દરેક રાજ્યમાં અલગ અલગ છે, બ્રોકર્સ માટે આ અન્યાયી જોગવાઇ છે જેને દૂર કરીને રેરા અન્વયે ફક્ત એક વખતનું રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ બ્રોકર્સ આખા દેશમાં ગમે ત્યાં કામ કરી શકે તેવી જોગવાઇ કરવા માટે રજૂઆતો કરવામાં આવશે.
આજે સુરતના બ્રોકર્સ અગ્રણીઓએ સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ શ્રી દિનેશભાઇ નાવડીયાને મળીને ચેમ્બર તરફથી પણ આ અંગે સરકારમાં રજૂઆત કરવામાં આવે તેવી માગણી કરી હતી.
મધ્ય પ્રદેશના બાંધવગઢ ટાઇગર રિઝર્વમાં ભારતમાં પહેલી વખત હૉટ ઍર બલૂન વાઇલ્ડ લાઇફ સફારીની શરૂઆત કરાઇ હોવાની માહિતી મધ્ય પ્રદેશના જંગલ ખાતાના પ્રધાન વિજય શાહે આપી હતી.
શાહે જણાવ્યું હતું કે આ સફારી ફક્ત બફર ઝોન સુધીની જ હશે અને લોકો વાઘ, ચિત્તા, ભારતીય રિંછ અને અન્ય જંગલી જાનવરોને ઊંચાઇથી જોઇ શકશે.
એમણે પત્રકારોને જણાવ્યું હતું કે આ સાથે બાંધવગઢ ટાઇગર અભયારણ્યમાં આવનાર પર્યટકો માટે વધુ એક ઍડવેન્ચર પ્રવૃત્તિનો ઉમેરો થયો છે. આ પ્રકારની સુવિધા દેશના અન્ય કોઇપણ અભયારણ્યમાં નથી. હવે આફ્રિકાના જંગલોની જેમ પર્યટકો ભારતમાં પણ હૉટ ઍર બલૂન સફારીનો આનંદ માણી શકશે.
રાજ્ય સરકાર આ પ્રકારની સેવા પેન્ચ, કાનહા અને પન્ના ટાઇગર રિઝર્વમાં પણ શરૂ કરવાની યોજના ઘડી રહી છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.