

@ Jayesh Brahmbhatt 98253 44944
સુરત:વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે હંમેશા પ્રયત્નશીલ તાપ્તી વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ગ્લોબલ સમીટ ઓન પીસ (જીએસપી) યોજાઇ હતી, જેમાં વિદ્યાર્થીઓએ તેમની પસંદગી પ્રમાણે ચોક્કસ સમૂહના પ્રતિનિધિની ભુમિકા ભજવી હતી. આ સમીટમાં ભાગ લેતાં વિદ્યાર્થીઓ કોઇપણ એક દેશનો અભ્યાસ કરે છે તથા તેના રાજદ્વારીની ભુમિકા ભજવીને વિવિધ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ ઉપર ચર્ચા-વિચારણા કરે છે તેમજ સમસ્યાના ઉકેલ સૂચવે છે.


સુરતના જીપીએસ અને તાપ્તી વેલી ઇન્ટરનેશનલ સ્કૂલના સહયોગથી યોજાયેલી સમીટ દ્વારા નવી પેઢીને નવી બાબતો વિશે શિક્ષિત કરવાનો હતો. આ બે દિવસીય કોન્ફરન્સ શાળાના કેમ્પસમાં યોજાઇ હતી, જેમાં ઉત્સુક વિદ્યાર્થીઓએ વિવિધ જટિલ મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હતી અને સંતોષજનક ઉકેલો પણ રજૂ કર્યાં હતાં.
પ્રતિનિધિઓ પોતાના વિચારો વ્યક્ત કરી શકે તે માટેહ્યુમન ટ્રેફિકિંગ કમીશન, ડીઆઇએસઇસી, યુએન-હાઇ કમીશન ફોર રેફ્યુજી, કાઉન્ટર ટેરેરિઝમ કમીટી, કમીટી ઓન નાર્કોટિક્સ, લોક સભા, રાજ્ય સભા, મિનિસ્ટ્રી ઓફ મેજીક અને ઇન્ટરનેશનલ પાસનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એકંદરે આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે માહિતીસભર સાબિત થયો હતો, જેમાં ગ્રેડ 7થી ઉપરના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઇને પોતાના વિચારો વ્યક્ત કર્યાં હતાં.
-x-x-x-x-
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
ગયા જુન 2018માં ઇન્સ્ટિટ્યુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા દ્વારા રાષ્ટ્રવ્યાપી ધોરણે લેવાયેલી સી.એસ. કોર્સની ફાઉન્ડેશનની પરીક્ષાનું પરીણામ આજરોજ જાહેર કરવામાં આવ્યું હતું. આઇ.સી.એસ.આઇ. સુરત ચેપ્ટરનું પરીણામ છપ્પર ફાડ રહ્યું હતું. સુરતના પહેલા પાંચ ક્રમ પર પાંચેય દિકરીઓએ સ્થાન હાંસલ કરીને વુમન્સ એમ્પાવરન્મેન્ટનો દાખલો બેસાડ્યો હતો. સુરત ચેપ્ટરમાંથી સી.એ. ફાઉન્ડેશન પ્રોગ્રામ જુન 2018ની પરીક્ષામાં કુલ 176 વિદ્યાર્થીઓ બેઠા હતા જેમાંથી 117 વિદ્યાર્થીઓનું પરીણામ આજે પાસમાં આવ્યું હતું.
સુરતની મનિષા સુરેન્દ્ર જૈનએ 86.5 ટકા માર્ક્સ સાથે સુરત ચેપ્ટરમાં સૌપ્રથમ રેન્ક હાંસલ કર્યો છે.

સુરતની જ ફાતેમા કુરેશ કોઠારીએ 85.5 ટકા માર્ક્સ મેળવીને સમગ્ર સુરત ચેપ્ટરમાં દ્વિતીય ક્રમ હાંસલ કરીને સુરતને ગૌરવ અપાવ્યું છે.

સાક્ષી નરેશ જૈન નામની વિદ્યાર્થિનીએ 80 ટકા માર્ક્સ મેળવીને કંપની સેક્રેટરીની ફાઉન્ડેશન પ્રોગ્રામની પરીક્ષામાં સુરત ચેપ્ટરમાં ત્રીજો ક્રમ હાંસલ કર્યો છે.


ગુજરાત સરકાર રચિત એડમિશન કમિટીએ રાજ્યભરમાં આવેલી બી.ફાર્મ. કોર્સની કોલેજોમાં હાથ ધરેલી પહેલા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયાને અંતે ફાર્મસી કોલેજોમાં કેટલી બેઠકો ખાલી પડી છે તેની સઘળી માહિતી અહીં વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે પ્રસ્તુત કરવામાં આવી છે. ખાલી પડેલી આ બેઠકોની માહિતી જોયા બાદ વાલીઓ અને વિદ્યાર્થીઓ બીજા રાઉન્ડમાં પોતાની ચોઇશમાં સુધારો કરી શકે છે.

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
રાજ્યમાં હાલ ચાલી રહેલી મેડીકલ પેરામેડિકલની પ્રવેશ પ્રક્રિયામાં પ્રવેશ મેળવવા માટે બોગસ ડોમિસાઇલ સર્ટિફિકેટ રજૂ કરનારા કુલ 31 વિદ્યાર્થીઓને શોધી કાઢીને તેમને ફાળવવામાં આવેલા પ્રવેશ રદ કરી દેવામાં આવ્યા છે. હજુ 95 વિદ્યાર્થીઓના ડોમિસાઇલ સર્ટિફિકેટ અન્ડર સ્કેનર છે અને તેની સામે શંકાની નજરે જોવામાં આવી રહ્યું છે.
ગુજરાતમાંથી જે 31 વિદ્યાર્થીઓના મેડીકલ પ્રવેશ રદ કરાયા છે એમાં 17 તો સુરતના છે. સુરતની ડોમિસાઇલ વેરિફિકેશન કમિટી દ્વારા તે રદ કરવામાં આવ્યા છે. આ વિદ્યાર્થીઓની નામાવલી, તેમને ક્યાં પ્રવેશ મળ્યા હતા જે રદ કરવામાં આવ્યા છે, એ સહિતની સઘળી વિગતો અત્રે પ્રસ્તુત છે.


જયેશ બ્રહ્મભટ્ટ
ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્સ ઓફ ઇન્ડિયા દ્વારા આજરોજ સી.એ. ફાઇનલ્સ તેમજ સી.પી.ટી.ના પરીણામોની ઘોષણા કરવામાં આવી હતી. સી.એ. ફાઇનલ્સ પરીણામની વાત કરીએ તો ફક્ત ગ્રુપ એ ની પરીક્ષામાં 38696 વિદ્યાર્થીઓ બેઠા હતા, જેમાંથી ફક્ત 6195 પાસ થતાં ફક્ત ગ્રુપ-1નું પરીણામ 16.01 ટકા આવ્યું હતું.
ગ્રુપ-2માં કુલ 37350 વિદ્યાર્થીઓ બેઠા હતા, જેમાંથી ફક્ત 5075 વિદ્યાર્થીઓ પાસ થતાં ફક્ત ગ્રુપ-2નું પરીણામ 13.59 ટકા આવ્યું હતું.
27727 વિદ્યાર્થીઓએ બન્ને ગ્રુપની પરીક્ષા આપી હતી. આ પૈકી 2520 વિદ્યાર્થીઓ બન્ને ગ્રુપમાં પાસ થવામાં સફળ નિવડ્યા હતા. બન્ને ગ્રુપ પાસ થયેલા વિદ્યાર્થીઓની ટકાવારી ફક્ત 9.09 ટકા હતી. જ્યારે 3658 વિદ્યાર્થીઓ ફક્ત ગ્રુપ-1 પાસ કરી શક્યા અને 693 વિદ્યાર્થીઓ ફક્ત ગ્રુપ-2 પાસ કરી શક્યા છે.
ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે 9104 ઉમેદવારોને આજે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટની પદવી એનાયત કરવામાં આવી હતી.


સુરતના અનુરાગ બગરીયા નામના ઉમેદવારે 800માંથી 597 માર્કસ મેળવીને કુલ 74.63 ટકા સાથે સમગ્ર દેશમાં ત્રીજો ક્રમ હાંસલ કર્યો હોવાની યાદી આઇ.સી.એ.આઇ. દ્વારા જાહેર કરવામાં આવી હતી.
જયેશ બ્રહ્મભટ્ટ
એક તરફ મેડીકલ-ડેન્ટલ કોલેજમાં કાયદેસર રીતે પ્રવેશ મેળવવા માટે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોના સંતાનો મહેનત કરીને, ગદ્ધા મજૂરી કરીને અધમૂઆ થઇ જાય છે ત્યારે પણ 75 ટકા વિદ્યાર્થીઓને મેડીકલમાં પ્રવેશ મળી શક્તો નથી અને બીજી તરફ માલેતુજારોના સંતાનોને નીટ-2017માં ઝીરો અને માઇનસ 2 જેટલા માર્ક આવ્યા છતાં પણ એમબીબીએસમાં પ્રવેશ મળી ગયા છે અને તેઓએ એક વર્ષનું મેડીકલ એડમિશન પણ લઇ લીધું છે.

ભારતમાં કૌભાંડીઓ કંઇપણ કરી શકે છે, તેમને નીતિ નિયમો નડતાં જ નથી. માલેતુજારો રૂપિયા ફેંકીને ભલભલા નીતિ નિયમોને નેવે મૂકાવી ધાર્યું કરાવી શકે છે. હદ તો ત્યારે થઇ કે જ્યારે મેડીકલ અને ડેન્ટલ કોલેજોમાં પ્રવેશ કાર્યવાહીમાં ચાલતી લાલીયાવાડી અને કરોડો રૂપિયાનો કાળો કારોબાર રોકવા માટે સુપ્રીમ કોર્ટે ખુદ સિંગલ એન્ટ્રન્સ ટેસ્ટ નીટ લેવા માટે દિશા સૂચન કર્યું હતું. મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ નેશનવાઇડ સિંગલ એન્ટ્રન્સ ટેસ્ટ નીટના નીતિ નિયમો બનાવ્યા અને તેમાં 50 પર્સન્ટાઇલ માર્કસ આવે તો જ એમબીબીએસ કે ડેન્ટલમાં પ્રવેશ મળે તેવા લાયકાતના ધોરણો નિયત કર્યા હતા.
આખા દેશમાં આ નિયમથી 2017માં પ્રવેશ અપાયા હોવાના દાવા કરવામાં આવ્યા હતા. પરંતુ, છેલ્લા બે દિવસ દરમિયાન એવી સ્ફોટક વિગતો પ્રકાશમાં આવી છે કે નીટ 2017માં માઇનસ 2 કે ઝીરો માર્ક આવ્યા હોય તેવા બે-પાંચ નહીં પણ કમસે કમ 100 વિદ્યાર્થીઓને એમબીબીએસ કોલેજોમાં પ્રવેશ ફાળવી દેવામાં આવ્યા છે. એથી વિશેષ 400 જેટલા વિદ્યાર્થીઓ એવા છે જેઓ નીટ 2017માં ક્વોલિફાય થાય તેટલા પણ માર્ક નથી, આમ છતાં તેમને એમબીબીએસમાં એડમિશન આપી દેવામાં આવ્યા છે. 1990 વિદ્યાર્થીઓ તો એવા છે જેમના માર્કસ 720માંથી 150 પણ નથી, આમ છતાં તેમને પ્રવેશ મળી ચૂક્યા છે. નીટ પરીક્ષાનો નિયમ એવો પણ છે કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી એમ ત્રણ ડિવિઝન પૈકી દરેકમાં 50 પર્સન્ટાઇલ માર્કસ હોય તો જ એમબીબીએસમાં પ્રવેશ પાત્રતા ગણાય. અહીં 1990 વિદ્યાર્થીઓ આવી કોઇ લાયકાત નહીં ધરાવતા હોવા છતાં તેમને એમબીબીએસમાં પ્રવેશ ફાળવી દેવામાં આવ્યા છે.
ભારતમાં મેડીકલ કોલેજોમાં પ્રવેશનું આ અભૂતપૂર્વ અને સૌથી મોટું કૌભાંડ લેખાઇ રહ્યું છે જેમાં મેરિટ માર્ક્સ તો દૂરની વાત રહી પણ લાયકાતના ધોરણો ને જ નેવે મૂકી દેવામાં આવ્યા છે.
તપાસ કરાતા જાણવા મળ્યું કે પ્રાઇવેટ મેડીકલ કોલેજોએ રૂપિયા લઇને નીટમાં કોઇપણ પ્રકારનું ક્વોલિફીકેશન નહીં ધરાવતા હોવા છતાં પણ એમબીબીએસમાં પ્રવેશ આપી દીધા છે. આ મામલો હવે મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં પહોંચી ચૂક્યો છે. પણ સવાલ એ ઉપસ્થિત થયો છે કે ગેરકાયદે પ્રવેશ કૌભાંડના કારણે 400 જેટલા વિદ્યાર્થીઓ કે જેઓ લાયકાત ધરાવતા હોવા છતાં તેમને એમબીબીએસમાં પ્રવેશ મળ્યા નહીં અને લાયકાત વગરના માલેતુજારોના સંતાનોને પ્રવેશ ફાળવી દેવાયા અને એક વર્ષ થઇ જવા છતાં પણ કોઇને ગંધ સુદ્ધાં નથી.
ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓની પરીક્ષાની ઉત્તરવહીઓની ચકાસણી કરવામાં પરીક્ષકો એટલે કે શિક્ષકોએ જે પ્રકારની ભૂલો કરી હોવાના અહેવાલો સામે આવ્યા છે એ જોતા એવું કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી જણાતી કે પરીક્ષકોએ અનેક તેજસ્વી વિદ્યાર્થીઓના ભાવિ રંગદોળી નાંખ્યા હશે. બોર્ડે આવા બેધ્યાન અને મિસ્ટેકીયા પરીક્ષકોને ફક્ત પેનલ્ટી ઠોકીને છોડી મૂક્યા છે પણ પરીક્ષકોની ભૂલોની સજા ભોગવતા નિર્દોષ વિદ્યાર્થીઓને ન્યાય આપવાની કોઇ વાત કરી નથી.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ 2018માં લેવાયેલી ધો. ૧૨ તમામ પ્રવાહની પરીક્ષાની ઉત્તરવહીની ચકાસણીમાં કુલ ૫,૭૪૨ ભૂલ પકડાઈ છે. ટોટલ મારવા જેવી સામાન્ય ભૂલો સહિતની અન્ય ભૂલો બહાર આવતા તમામ પરીક્ષકોને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી હતી. પરીક્ષકોના જવાબી ખુલાસા બાદ બોર્ડ તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરશે, પરંતુ સામાન્ય ભૂલો વિદ્યાર્થીઓનું ભાવિ ધમરોળી શકે છે.
ધો.૧૨ જનરલ સ્ટ્રીમમાં અંદાજે ૬.૦૦ લાખ અને વિજ્ઞાન પ્રવાહમાં ૧.૪૦ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ત્યાર બાદ બોર્ડ દ્વારા પેપર ચકાસણીની કામગીરી હાથ ધરાઈ હતી. ઉત્તરવહી તપાસાઈ ગયા પછી વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરાયું હતું. કમ્પ્યુટરમાં પરિણામ તૈયાર કરતાં પહેલાં સોફ્ટવેર દ્વારા ઉત્તરવહીઓનું ક્રોસ ચેકિંગ કરાયું હતું. જેમાં ૫,૭૪૨ પરીક્ષકોએ છબરડા કર્યા હોવાનું બહાર આવતાં જ વિદ્યાર્થીઓને અન્યાય ન થાય અને આ બાબત ગંભીરતાપૂર્વક લેવાય તે માટે નિર્ણય લેવાયો હતો.
હાલમાં બોર્ડ દ્વારા પરીક્ષકને પેપર ચકાસણી માટે ધો. ૧૦ માટે રૂ. ૫ અને ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહ માટે રૂ. ૬.૫૦ અને સામાન્ય પ્રવાહ માટે રૂ. ૭ ઉત્તરવહી દીઠ ચૂકવવામાં આવે છે. પરીક્ષકોએ કરેલા છબરડાની માત્રાના આધારે બોર્ડ દ્વારા તેમને આર્થિક દંડ કરવાનો નિર્ણય લેવાયો છે તે પ્રમાણે એક માર્કની ભૂલ દીઠ પરિક્ષક પાસેથી રૂ. ૧૦૦ની વસૂલાત કરાશે. શિક્ષકોએ ટોટલ કરવામાં ૧૦ માર્કસથી ૨૩ માર્ક્સની ભૂલો કરી હોવાનું જાણવા મળે છે. છબરડા કરનારા શિક્ષકો પૈકી ૮૦ શિક્ષકોએ તો સરવાળા કરવામાં ૧૦ કે તેનાથી વધુ માર્કસની ભૂલો કરી છે. આ વર્ષે શિક્ષણ બોર્ડ કડક બન્યું છે. બોર્ડની જોગવાઈ મુજબ પરીક્ષક ૧ માર્ક્સની ભૂલ કરે તો રૂ. ૧૦૦ દંડ થાય છે.