યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)એ મંજૂરી આપી હોવા છતાં
દેશની કોઈ યુનિવર્સિટીએ મહાત્મા ગાંધી ચૅરની સ્થાપના નથી કરી

યુનિવર્સિટીઓ રચનાત્મક કામગીરી કરવાની જગ્યાએ બિનજરૂરી કામગીરીઓમાં જોતરાયેલી રહેતી હોય છે અને જે કાર્ય ભારતની ભાવિ પેઢી માટે રચનાત્મક હોય તેમાં તો સાવ જ ઉદાશીન રહે છે.
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)એ મંજૂરી આપી હોવા છતાં દેશની કોઈ યુનિવર્સિટીએ મહાત્મા ગાંધી ચૅરની સ્થાપના નથી કરી, એમ કેન્દ્રના માનવસંસાધન અને વિકાસ ખાતાના અધિકારીએ જણાવ્યું હતું.
યુનિવર્સિટીની યંત્રણાનાં શૈક્ષણિક સ્રોતોને વધુ સમૃદ્ધ કરવાના આશયથી યુજીસીએ વિખ્યાત અને પ્રેરણાદાયી લોકો તેમ જ જે તે ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાન આપનાર લોકોના નામની ચૅરની સ્થાપના કરવાની યોજના ઘડી કાઢી હતી. શાંતિ, અહિંસા, સ્વતંત્રતાની ચળવળ અને રાષ્ટ્રીય એકતામાં અભૂતપૂર્વ અને અમૂલ્ય યોગદાન આપવા બદલ યુજીસીએ મહાત્મા ગાંધી ચૅરની સ્થાપના કરવાની મંજૂરી આપી હતી, પરંતુ દેશની કોઈ યુનિવર્સિટી દ્વારા મહાત્મા ગાંધી ચૅરની સ્થાપના તો કરવામાં નથી જ આવી, પરંતુ એ માટેનો પ્રસ્તાવ પણ યુજીસીને ન મળ્યો હોવાનું માનવસંસાધન અને વિકાસ ખાતાના વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું. જોકે વિદ્યાર્થીઓ ગાંધીજી અંગેનો અભ્યાસ કરવામાં રસ લેતા હોવાનું જણાઈ રહ્યું છે તાજેતરમાં વરસોમાં સ્નાતક, અનુસ્નાતક, એમ. ફિલ અને પીએચડીના વિદ્યાર્થીઓએ ગાંધીજીના વિષયના અભ્યાસ માટે તેમનું નામ નોંધાવ્યું છે. સત્તાવાર આંકડાઓ મુજબ વર્ષ 2017-18માં યુજીસીના ગાંધીજીને લગતા અભ્યાસક્રમ માટે 419 વિદ્યાર્થીઓએ તેમનું નામ નોંધાવ્યું હતું તો આ માટે નામ નોંધાવનાર પૉસ્ટગ્રેજ્યુએટ, એમ.ફિલ અને પીએચડીના વિદ્યાર્થીઓનો આંક અનુક્રમે 796, 51 અને 78 રહ્યો હતો.





















