Jayesh Brahmbhatt 98253 44944
રાજ્યની મેડીકલ કોલેજોમાં અધ્યાપકોની ખોટ મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ઇન્સ્પેક્શન વખતે સામે ન આવે એટલે એમસીઆઇના દર ઇન્સ્પેકશન વખતે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા અધ્યાપકોની ઉથલપાથલ એટલે કે આડેધડ બદલી કરી દેવામાં આવતી હોય છે. રાજ્ય સરકાર આવી પ્રેક્ટિસ છેલ્લા દસેક વર્ષથી કરી રહી છે.
ગઇ તા.19 સપ્ટેમ્બર 2018ના રોજ રાજ્ય સરકારે રાજ્યની જુદી જુદી મેડીકલ કોલેજોમાંથી 161 જેટલા અધ્યાપકોની જુદી જુદી કોલેજોમાં બદલી આદેશો કર્યા હતા. આ બદલીમાં એક મોટો લોચો એ પણ લાગ્યો કે રાજ્ય સરકારે એવા અધ્યાપિકાની બદલીનો ઓર્ડર કરી દીધો કે જે હયાત જ નથી. ફેબ્રુઆરી 2018માં કેન્સરથી જેમનું મૃત્યુ થયું હતું એમની બદલીનો ઓર્ડર જારી કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ ડો. મધુ પંજવાણી કે જેઓ ભાવનગર ખાતે સરકારી મેડીકલ કોલેજમાં એસોસીએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા. તેમના પરિવારજનોએ મિડીયા પર્સન્સને જણાવ્યું હતું કે ડો. મધુ પંજવાણી કેન્સરથી પીડાતા હતા અને ગયા ફેબ્રુઆરી 2018માં તેમનું નિધન થયું હતું. ગઇ તા.19મી સપ્ટેમ્બરના રોજ રાજ્ય સરકાર દ્વારા 161 અધ્યાપકોની બદલીનો ઓર્ડર કરવામાં આવ્યો હતો તેમાં ડો. મધુ પંજવાણીનું નામ પણ સામેલ કરી દેવાયું. ડો. મધુ પંજવાણીને ભાવનગર મેડીકલ કોલેજમાંથી જૂનાગઢ ખાતે જીએમઇઆરએસ સેમી સરકારી મેડીકલ કોલેજમાં બદલી કરવામાં આવી હોવાનું ઓર્ડરમાં જણાવાયું છે.
રાજ્યના આરોગ્ય વિભાગની આ બેદરકારીને લીધે તબીબી જગત તેમજ શિક્ષણ જગતમાં સરકારે હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકાવું પડ્યું છે.
You can Find us on GOOGLE Play Store

























