શિક્ષણ સર્વદા Archives - Page 43 of 54 - CIA Live

January 19, 2019
result.png
1min11130

ચાલુ જાન્યુઆરી 2019 માસમાં જ નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા પહેલી વખત લેવામાં આવેલી દેશની સત્તાવાર ઇજનેરી પ્રવેશ પરીક્ષા JEE Main પેપર-1 પરીક્ષાનું પરીણામ આજે આશ્ચર્યજનક રીતે જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાંથી ચૌતરફા રીતે મળી રહેલા પરીણામોના અહેવાલો મુજબ ગુજરાતી વિદ્યાર્થીઓનું પરીણામ અત્યંત નીચું અને કંગાળ રહ્યું છે. મોટા ભાગના વિદ્યાર્થીઓએ એવી ફરીયાદો કરી હતી કે પહેલી વખત ઓનલાઇન પરીક્ષા આપવામાં જવાબનો વિકલ્પ પસંદ કરવામાં ગોથું ખાતા જવાબો ખોટા પડ્યા હતા અને તેને કારણે કમાયેલા માર્કમાંથી કપાત થતાં માર્કસ ઓછા આવ્યા છે.

  • 100 સ્કોર લાવનારા દેશના 15 વિદ્યાર્થીઓમાં એકેય ગુજરાતી નહીં

  • ગુજરાત ટોપર રાઘવ સોમાણીના 99.99 પર્સન્ટાઇલ

  • જેઇઇ પેપર-1 જાન્યુઆરી 2019નું પરીણામ આ મુજબની વેબસાઇટ પરથી જાણી શકાશે.

https://jeemain.nic.in/webinfo/Public/Home.aspx

 

January 17, 2019
calogo.jpg
1min1715

 

શહેરમાં અભ્યાસ કરી રહેલા ધો.12 કોમર્સના એવા વિદ્યાર્થીઓ કે જેઓ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બનવા માંગે છે, તેમના માટે ધો.12 કોમર્સની બોર્ડની પરીક્ષાઓ બાદ એક મહિના માટે સી.એ. પ્રિપેરેટરી કોર્સ બિલકુલ ફ્રી (મફત)માં ચલાવવાની ઘોષણા લિયો ક્લાસીસ ઉધના તરફથી કરવામાં આવી છે.

(Symbolic Photo)

વધુ જાણકારી આપતા લિયો ક્લાસીસના સંચાલક શ્રી જયસુખભાઇ કથિરીયાએ સી.આઇ.એ. લાઇવ ન્યુઝ પોર્ટલને જણાવ્યું હતું કે ચાર્ટર્ડ અકાઉન્ટન્સી સર્ટિફિકેશન માટે ઘણાં વિદ્યાર્થીઓ ધો.10થી જ તૈયારી કરતા હોય છે. આવા વિદ્યાર્થીઓને સી.એ. કોર્સમાં ફાઉન્ડેશનથી લઇને ફાઇનલ્સ દરમિયાનની ઝાંખી મળે તેમજ સી.એ. કોર્સને જાણી શકે તે માટે ખાસ એક મહિનાનો કોર્સ ડિઝાઇન કરવામાં આવ્યો છે. ધો.12 કોમર્સના કોઇપણ બોર્ડના ગુજરાતી, ઇંગ્લિશ મિડીયમ બન્ને માધ્યમના વિદ્યાર્થીઓ માટે એપ્રિલ મે સમર વેકેશન દરમિયાન ખાસ કોર્સ બિલકુલ ફ્રીમાં ભણાવવામાં આવશે. એ પછી વિદ્યાર્થી પોતે જ નક્કી કરશે કે તેઓ સી.એ. કોર્સ સફળતાપૂર્વક પાર કરી શક્શે કે નહીં.

આ કોર્સ ક્યાં ચાલશે 

કોર્સ સુરતમાં ત્રણ સ્થળોએ શરૂ કરવામાં આવશે. જેમાં (1) ઉધના ગામમાં આવેલા લિયો ક્લાસીસ (2) વરાછા રોડ પર આવેલા ઇગલ ક્લાસીસ તેમજ (3) સિટીલાઇટ ખાતે અશોક પાનની ગલીમાં જે.કે. ક્લાસીસ ખાતે સમર વેકેશનમાં શરૂ કરવામાં આવશે.

કેવી રીતે પ્રવેશ મળશે

સી.એ. અભ્યાસક્રમ કરવા માંગતા વિદ્યાર્થીઓને એક મહિનાના ફ્રી કોર્સમાં પ્રવેશ લેવા માટે એક રજિસ્ટ્રેશન ફોર્મ ભરવું પડશે. આ ફોર્મ ઉપરોક્ત ત્રણેય જગ્યાએથી મળીને ત્યાં જ ભરીને આપવાનું રહેશે.

લિયો ક્લાસીસ તેમજ મુંબઇના સુપ્રસિદ્ધ જે.કે. કોચિંગના સંચાલકોએ સંયુક્ત રીતે આ કોર્સ સુરતના વિદ્યાર્થીઓને બિલકુલ ફ્રીમાં ભણાવવા માટે કટિબદ્ધતા દાખવી છે.

January 16, 2019
supreme.jpg
1min6690

ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટનું ધ્યાન દોર્યું કે હજુ પણ 273 શાળાઓએ FRCમાં ફીની વિગતો આપી નથી અને એફિડેવિટ કર્યું નથી. મોટા ભાગની શાળાઓ એવી છે જે બંધ કરવામાં આવી રહી છેFRCમાં ફીની વિગતો રજૂ ન કરનાર 273 શાળા સામે કાર્યવાહીનો SCનો આદેશ

ફાઇલ ફોટો

છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા ફી રેગ્યુલેશન મામલે સુપ્રીમ કોર્ટમાં હાલમાં વચગાળાની સુનાવણી યોજવામાં આવી હતી. જેમાં હાલ ફેબ્રુઆરીના બીજા અઠવાડિયાની તારીખ આપવામાં આવેલ છે. સુનાવણી દરમિયાન સરકારે સુપ્રીમનું ધ્યાન દોર્યું કે, ગુજરાતમાં હજુ પણ 273 શાળાઓએ ફી રેગ્યુલેશન મામલે દરખાસ્ત કે એફિડેવિટ કરી નથી. સુપ્રીમ કોર્ટે આ સ્કૂલો સામે કડક પગલાં ભરવા સરકારને જણાવ્યું હતું. સરકાર ટૂંક સમયમાં જ સ્કૂલોને આ અંગે નોટિસ આપશે.

વાલીઓ અને સ્કૂલ સંચાલકો વચ્ચે સુપ્રીમના ઓર્ડરને લઇને હાલમાં અલગ અલગ મંતવ્યો જોવા મળે છે. ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ જણાવે છે કે, સુપ્રીમ કોર્ટે સરકારને જણાવ્યું કે શાળાઓ પ્રોવિઝનલ ફી કરતા પણ વધારે ફી વસૂલ કરી રહી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવવી જોઇએ.

હવે પછીની સુનાવણી ફેબ્રુઆરીમાં કરવામાં આવશે. જોકે 273 શાળામાંથી 185 સ્કૂલ એવી છે, જ્યાં સ્કૂલ સંચાલકોનો સમાવેશ કરવામાં આવે છે અને તે આ વર્ષથી પોતાની સ્કૂલો બંધ કરી રહ્યા છે. એસોસિયેશન ઑફ પ્રોગેસિવ શાળાના સેક્રેટરીએ જણાવ્યુ કે, એફિડેવિટ રજૂ ન કરનાર શાળા સામે પગલા ભરવા અનિવાર્ય છે.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહના જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર 273 શાળાઓેને એક અઠવાડિયામાં નોટિસ આપવાની શરૂ કરાઇ છે.

January 15, 2019
medical_logo.jpg
1min5980

રાજ્ય સરકાર દ્વારા તમામ ભરતી અને પ્રવેશ સહિતની કામગીરીમાં 10 ટકા બેઠકો સવર્ણ અનામત માટે રાખવાની જાહેરાત કરી દેવામાં આવી હતી. મેડિકલ ડેન્ટલ ઉપરાંત ડિગ્રી ઇજનેરી સહિતની તમામ પ્રવેશ પ્રક્રિયામાં જે બેઠકો ઉપલબ્ધ છે તેમાંથી 10 ટકા પ્રમાણે ગણતરી કરવામાં આવે તો 379 બેઠકો અને ડેન્ટલમાં 88 બેઠકો સવર્ણ અનામત કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓને ભાગે આવે તેમ છે.

મેડિકલ ડેન્ટલ પ્રવેશમાં સવર્ણ અનામતની જાહેરાત થયા બાદ મેડિકલ પ્રવેશ સમિતિના અલગ અલગ સભ્યો દ્વારા કેટલી બેઠકો આ કેટેગરીમાં જશે તેની ગણતરી સુધ્ધાં કરી દેવામાં આવી હતી. આ પ્રમાણે જોઇએ તો હાલમાં મેડિકલમાં 4 હજાર બેઠકો અસ્તિત્વમાં છે. ચાલુ વર્ષે આ આંકડો વધીને 4450 થવાની શક્યતા છે, જેમાં સરકારી મેડિકલ કૉલેજોમાં 1300 બેઠકો છે. તે પૈકી 15 ટકા બેઠકો ઓલ ઇન્ડિયા કવૉટામાં જવાથી 1105 બેઠકો સરકારી કૉલેજમાંથી સવર્ણ અનામતમાં આપવી પડશે.

મેડિકલ સોસાયટી સંચાલિત કૉલેજોમાં 1200 બેઠકો છે. જેમાંથી 25 ટકા એનઆરઆઇ બેઠકો બાદ કરીએ તો 1020 બેઠકો બાકી રહે છે. આ બેઠકોમાં 10 ટકા લેખે અંદાજે 112 બેઠકો મળશે, જ્યારે 10થી વધુ સ્વનિર્ભર મેડિકલ કોલેજોમાં 1650 બેઠકો છે. આગામી દિવસોમાં 300 બેઠકો વધે તેમ છે, જેથી બેઠકો 1950 જેટલી થશે, જેમાંથી 25 ટકા મેનેજમેન્ટ કવૉટા બાદ કરીએ તો 1450 બેઠકો બાકી રહે છે, જેમાં 157 બેઠકો સવર્ણ અનામત માટે ભાગમાં આવે તેમ છે. આમ સરકારી કૉલેજોમાં 110, સોસાયટી કૉલેજોમાં 112 અને સ્વનિર્ભર કૉલેજોમાં 157 બેઠકો ગણતરી કરીએ તો અંદાજે 379 બેઠકો સવર્ણ અનામત કેટેગરીના વિદ્યાર્થીઓના ભાગે આવશે. આ જ રીતે ડેન્ટલમાં સરકારી ડેન્ટલમાં 17 અને સ્વનિર્ભર ડેન્ટલમાં 71 મળીને કુલ 88 બેઠકો ડેન્ટલમાં સવર્ણ અનામત કેટેગરીના વિદ્યાર્થીઓના ફાળે આવશે.

January 9, 2019
mbbs.jpg
234min1005

આખા ભારતની મેડીકલ કોલેજોની માહિતી અત્રે પ્રસ્તુત કરવામાં આવી છે. ભારતમાં 497 જેટલી મેડિકલ કોલેજો કાર્યરત છે. આ તમામ મેડીકલ કોલેજોમાં એમ.બી.બી.એસ.ની કુલ 60680 જેટલી બેઠકો ઉપલબ્ધ છે. ધો.12 સાયન્સ બી ગ્રુપમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ માહિતી અગત્યની થઇ પડતી હોય છે. તેમના સુધી આ માહિતી પહોંચાડવા માટે આ સમાચારને શક્ય એટલા શેર કરજો.

 

January 8, 2019
CIA_Live_Logo_New2.jpg
1min17880

ગુજરાત બોર્ડ સંલગ્ન હોય તેવી રાજ્યમાં 18 હજાર જેટલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ રાજ્યમાં હાલ ચાલી રહી છે. આ શાળાઓમાં ધો.9થી ધો.12 સાયન્સ, કોમર્સ અને આર્ટસના વર્ગો ચાલી રહ્યા છે. રાજ્યની આ 18 હજારથી વધુ સ્કુલ્સમાં ટોપ ફાઇવ સ્કુલમાં જો કોઇ શાળા સામેલ હોય તો એ છે સુરતના અડાજણ રોડ પર આવેલી ભૂલકાંભવન ટ્રસ્ટ સંચાલિત વી.ડી. (વાડીવાળા) દેસાઇ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા છે. ભૂલકાંભવન રાજ્યની એકમાત્ર એવી શાળા છે જેણે અત્યાર સુધી ગુજરાત બોર્ડમાં સૌથી વધુ રેન્કર્સ સ્ટુડન્ટસ આપ્યા છે, અને હાલમાં એ-વન ગ્રેડસ પણ એટલા જ આપી રહી છે.

પૂર્વ પ્રાથમિકથી શરૂ કરીને ઉચ્ચતર માધ્યમિક કક્ષા સુધીનું શિક્ષણ જ્યારે બાળકને યોગ્ય રીતે મળે ત્યારે જ બાળકનો કારકિર્દી ઘડતરનો પાયો મજબૂત બની શકે છે. ભૂલકાંભવન ટ્રસ્ટની શાળામાં ત્રણ વર્ષે દાખલ થતું બાળક આ જ પ્રકારે ઘડાય છે. પ્રાથમિક શિક્ષણ પૂરું થાય ત્યાં સુધીમાં તો ભૂલકાંભવનનું બાળક સર્વાંગી રીતે જીવન અને તેનો દ્રષ્ટિકોણ જોવા-જાણવા-માણવા માટે બિલકુલ સજ્જ બની જતું હોય છે. માધ્યમિક શિક્ષણમાં ધો.9 અને 10માં વિદ્યાર્થીમાં ધરબાયેલી પ્રતિભાને શોધીને યોગ્ય દિશા આપવાનું કામ થાય છે.

વ્યવસાયિક કારકિર્દીનો મજબૂત પાયો ઘડે છે ભૂલકાંભવન

ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં સાયન્સ હોય કે કોમર્સ અહીં વિદ્યાર્થીઓની વ્યવસાયિક કારકિર્દી કઇ દિશા તરફ જશે તેનું મજબૂત ફાઉન્ડેશન થાય છે. ખાસ કરીને અહીં વાત કરવી છે ભૂલકાંભવન શાળામાં ચાલતા ધો.11-12 સાયન્સ ગુજરાત બોર્ડના અભ્યાસક્રમ અને તેની કાર્યપદ્ધતિ અંગે. ધો.11-12 સાયન્સના અભ્યાસની વાત આવે એટલે તેની સાથે જોડાયેલી જેઇઇ મેઇન્સ, એડવાન્સ્ડ અને નીટ-ગુજકેટ જેવી પરીક્ષાનો હાઉ વાલીઓ અને વિદ્યાર્થીઓના ચહેરા પર સાહજિક રીતે તરી આવે. પણ અહીં ભૂલકાંભવનમાં આ હાઉને દૂર કરવા માટે સિસ્ટમેટિક સ્ટડી મેથડ અમલી બનાવવામાં આવી છે.

ભૂલકાંભવનમાં ધો.11-12 સાયન્સ ભણનારા વિદ્યાર્થીઓને જેઇઇ-નીટ-ગુજકેટના કે અન્ય ટ્યુશનની જરૂર રહેતી નથી

ધો.11-12 સાયન્સમાં ભૂલકાંભવનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એક્સ્ટ્રા ટ્યુશન, ક્રેશ કોર્સ કે જેઇઇ નીટ જેવી પરીક્ષા માટે લાખો રૂપિયાના પેકેજવાળા ધંધાદારી કોચિંગ ક્લાસીસની જરૂર રહેતી નથી. કેમકે અહીં ધો.11માં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને શાળાનું શિક્ષણ ઉપરાંત તેના માટે જરૂર પડ્યે સ્પેશ્યલ ક્લાસીસ અને તેની સાથે જ જેઇઇ, નીટ, ગુજકેટ જેવી પરીક્ષાની તૈયારી પણ શાળા દ્વારા શાળામાં જ કરાવવામાં આવે છે. એક ફુલ ડે સ્કુલ સિસ્ટમથી અહીં ઉ.મા. વિભાગમાં સાયન્સનું શિક્ષણ આપવામાં આવે છે. સવારે 7 વાગ્યે શાળામાં આવતું બાળક બપોરે 3 વાગ્યા સુધીમાં સંપૂર્ણ અભ્યાસ બાદ ફ્રી થઇ જાય છે અને ઘરે વાંચન, લેખન કે અન્ય રચનાત્મક પ્રવૃતિ કરી શકે છે.

વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીમાંથી જ ફુલ-ડે સ્કુલ કન્સેપ્ટ અપનાવ્યો

જ્યારે આ સિસ્ટમ સિવાયના ધો.11-12 સાયન્સના વિદ્યાર્થીઓની લાઇફ જોઇએ તો સ્કુલ ટાઇમ પછી સ્કુલના ટ્યુશન અને એની સાથે જેઇઇ, નીટ, ગુજકેટના ટ્યુશન એમ રાત્રે 9.30થી 10 વાગ્યે ફ્રી થાય અને બીજા દિવસથી ફરીથી એ જ રૂટિન શરૂ. ધો.11-12 સાયન્સના વિદ્યાર્થીઓની આવી હાડમારી નિહાળીને ખાસ ભૂલકાંભવન ટ્રસ્ટના મેનેજમેન્ટએ વિદ્યાર્થીઓ માટે ફુલ ડે કન્સેપ્ટ અમલમાં મૂક્યો છે.

ધો.11-12 સાયન્સમાં ભૂલકાંભવનમાં પ્રવેશ લેવા ઇચ્છતા હોવ તો

ધો.11-12 સાયન્સમાં ભૂલકાંભવનમાં પ્રવેશ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓના વાલીઓ માટે અડાજણ રોડ પર ભૂલકાંભવન સ્કુલના હોલમાં આગામી તા.10મી જાન્યુઆરી 2019ને ગુરુવારે સવારે 8 કલાકે ખાસ ગાઇડન્સ મિટીંગ રાખવામાં આવી છે. જેમાં ભૂલકાંભવન મેનેજમેન્ટ, શિક્ષકો આ શાળાની ધો.11-12 સાયન્સની ડે સ્કુલ કન્સેપ્ટ, ભણાવવાની પદ્ધિત, પ્રવેશ પરીક્ષાનું ગાઇડન્સ વગેરે આપશે.

ભૂલકાંભવન ક્યારે અને કેવી રીતે પાંગર્યું

1. Bhulka Bhavan Trust 15-03-1975
2. Pre-Primary Section 12-06-1975
3. Primary Section 06-06-1976
4. Secondary Section 01-09-1983
5. Higher Secondary Section Science Stream 01-07-1986
6. Commerce Stream 19-10-1989

 

 

January 5, 2019
vidhyamangal_logo.png
1min26180

महेनत इतनी चूपके से करो कि सफलता शोर मचादे..આ કહેવત જો કોઇ શાળા સંચાલક મંડળને બંધ બેસતી હોય તો એ છે કડવા પાટીદાર કેળવણી મંડળ, સુરત. સુરતમાં સક્રિય કડવા પાટીદાર કેળવણી મંડળ જેઓ કામરેજમાં વિદ્યામંગલના નામે શૈક્ષણિક સંકુલ ચલાવે છે, વિદ્યામંગલ કેમ્પસ એટલી શાંતિથી શિક્ષણનો વ્યાપ વિસ્તાર વધારવાનું કાર્ય કરી રહી છે કે આજે તેની મહેનત સમગ્ર ગુજરાતના શિક્ષણ જગતમાં ચર્ચાસ્થાને છે. તાજેતરમાં જ બેંગ્લોર ખાતે ભારતની ટોપ ટ્વેન્ટી બેસ્ટ સ્કુલમાં સુરતના કામરેજની વિદ્યામંગળ સ્કુલને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

(વિદ્યામંગલની ટીમને બેંગ્લોર ખાતે એવોર્ડ અર્પણ કરાયા તે પ્રસંગની તસ્વીર)

કડવા પાટીદાર કેળવણી મંડળ સંચાલિત કામરેજ તાલુકાના નવીપારડી ખાતે આવેલ વિદ્યામંગલ નિવાસી શાળાએ તા. મી ડીસેમ્બર 2018ના રોજ બેંગ્લોર ખાતે આયોજિત સમગ્ર ભારતની સર્વશ્રેષ્ઠ ૨૦ નિવાસી શાળા કેટેગરી અંતર્ગત સમગ્ર ભારતમાં ૧૭મું સ્થાન પ્રાપ્ત કરી સમગ્ર પંથકમાં પોતાની ઝળહરતી યશપતાકા લહેરાવી હતી. ઉપરાંત સમગ્ર સુરત જીલ્લામાં પ્રથમ અને સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ સિદ્ધિ બદલ કેળવણી મંડળ અને કડવા પાટીદાર સમાજ ગૌરવ અનુભવે છે.

વિદ્યામંગલને એવોર્ડ આપતા પૂર્વે કયા માપદંડો ધ્યાનમાં લેવામાં આવ્યા

  • શૈક્ષણિક પ્રતિષ્ઠા
  • દરેક વિદ્યાર્થીઓ તરફ અંગત ધ્યાન
  • સમગ્ર સંકુલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર માળખું
  • શિક્ષણમાં નવીનતા
  • સલામતી
  • રમતગમત
  • ફી રૂપે થયેલ નાણાનો શ્રેષ્ઠ ઉપયોગ
  • ધાર્મિક વાતાવરણ
  • મેનેજમેન્ટની સક્રિય અને હકારાત્મક ભૂમિકા તેમજ
  • સમગ્ર વર્ષ દરમિયાન શિક્ષણ સબંધિત કેલેન્ડરને ધ્યાનમાં લેવામાં આવ્યા

એજ્યુકેશનટુડે.કો  દ્વારા બેંગ્લોર ખાતે યોજાયેલ ધ ઇંડિયા’ઝ સ્કુલ મેરીટ અવોર્ડઝ – ૨૦૧૮ ના ભવ્ય સમારોહમાં આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ઇન્ટરનેશનલ, બોર્ડીંગ સ્કુલ અંતર્ગત, સીબીએસઈ, આઈસીએસઈ, સ્ટેટ બોર્ડ, છોકરાને છોકરીઓ માટેની લોજીન્ગ અને બોર્ડીંગ સુવિધા તેમજ પ્રી સ્કુલ કેટેગરી અંતર્ગત દેશની ૨૦૦ થી વધુ સ્કૂલો અને ૫૦ પ્રી. સ્કુલ તરફથી પ્રાપ્ત થયેલ ૧૬૧૫ સર્વે ફોર્મ દ્વારા આવી સ્કૂલો સમગ્ર ભારતમાંથી પસંદ કરવામાં આવી હતી. સાથે સાથે જ શાળાઓને ૧૦ પેરામીટર્સ દ્વારા કેટેગરાઈઝ કરવામાં આવી હતી. જેમાં, શૈક્ષણિક પ્રતિષ્ઠા, દરેક વિદ્યાર્થીઓ તરફ અંગત ધ્યાન, સમગ્ર સંકુલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર માળખું, શિક્ષણમાં નવીનતા, સલામતી, રમતગમત, ફી રૂપે થયેલ નાણાનો શ્રેષ્ઠ ઉપયોગ, ધાર્મિક વાતાવરણ, મેનેજમેન્ટની સક્રિય અને હકારાત્મક ભૂમિકા તેમજ સમગ્ર વર્ષ દરમિયાન શિક્ષણ સબંધિત કેલેન્ડરને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા.

(બેંગ્લોર ખાતે યોજાયેલા દબદબાભર્યા એવોર્ડ સમારોહમાં ઉપસ્થિત રહેલી સુરતના વિદ્યામંગલની ટીમ..મેનેજીંગ ટ્રસ્ટીશ્રી અરવિંદભાઈ, મંત્રીશ્રી નરેશભાઈ, કેમ્પસ ડાયરેક્ટરશ્રી મનીષભાઈ પુરાણી, શાળામાં શિક્ષણ કાર્યનું સંભાળનાર શ્રી અમિતભાઈ તથા કેળવણી મંડળના મંત્રી શ્રી હેમંતભાઈએ ઉપસ્થિત રહી આ એવોર્ડ સ્વીકાર્યો હતો)

વિદ્યામંગલ નિવાસી શાળાને કુલ -૧૦૦૦ પોઈન્ટ્સ માંથી ૮૪૫ પોઈન્ટ્સ પ્રાપ્ત થયા

ઉપરોક્ત પેરામીટર્સ અંતર્ગત વિદ્યામંગલ નિવાસી શાળાને કુલ -૧૦૦૦ પોઈન્ટ્સ માંથી ૮૪૫ પોઈન્ટ્સ પ્રાપ્ત થયા હતા. આ પ્રસંગે બેંગ્લોર ખાતે મેનેજીંગ ટ્રસ્ટીશ્રી અરવિંદભાઈ, મંત્રીશ્રી નરેશભાઈ, કેમ્પસ ડાયરેક્ટરશ્રી મનીષભાઈ પુરાણી, શાળામાં શિક્ષણ કાર્યનું સંભાળનાર શ્રી અમિતભાઈ તથા કેળવણી મંડળના મંત્રી શ્રી હેમંતભાઈએ ઉપસ્થિત રહી આ એવોર્ડ સ્વીકાર્યો હતો. બેંગ્લોર ખાતે આ એવોર્ડ માટે ટેલીવિઝન મીડિયા દ્વારા કેમ્પસ ડાયરેકટરશ્રી મનીષભાઈનો ઇન્ટરવ્યૂ પણ લેવામાં આવ્યો હતો. શાળા દ્વારા આવી સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ સમગ્ર કામરેજ તાલુકામાં અને સુરત જિલ્લામાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી. લગાતાર છેલ્લા કેટલાય વર્ષોથી વિદ્યામંગલ નિવાસી શાળા સતત દરેક ક્ષેત્રે જોરદાર પ્રદર્શન કરી પોતાની કાબેલિયત દ્વારા બાળકોના સર્વાંગી વિકાસની મહત્તાને સિદ્ધ કરી રહી છે. જે બદલ સમગ્ર કડવા પાટીદાર સમાજ અને વિદ્યામંગલ નિવાસી શાળા પરિવાર આ એવોર્ડ માટે ગૌરવ અનુભવે છે.

January 2, 2019
CIA_Live_Logo_New2.jpg
1min6970

નવા વર્ષના પહેલા દિવસે ગુજરાત સરકારે બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને ગિફટ આપી છે. માત્ર મેડિકલ જ નહી, હવેથી અન્ય અભ્યાસ માટે પણ વિદેશમાં સ્ટડી કરવા માટે સરકાર સસ્તા વ્યાજે લોન આપશે.

ગઈ કાલે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં પ્રધાનમંડળના સભ્યો અને ઉચ્ચ અધિકારીઓની એક બેઠક મળી હતી જેમાં બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓ માટેના અભ્યાસને લઈને મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા હતા.

નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટલે જાહેરાત કરતાં કહ્યું હતું કે ‘ગુજરાતના શિક્ષિત યુવાનોને ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક રીતે સહાય કરવા માટે રાજ્ય સરકારે બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની રચના કરી છે. એમાં વિવિધ યોજનાઓ કાર્યન્વિત કરવામાં આવી છે જેમાં સહાય મેળવવા માટે વાર્ષિક આવક ત્રણ લાખ રૂપિયાની હતી એ વધારીને સાડાચાર લાખ રૂપિયાની કરવામાં આવી છે. આ ઉપરાંત ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા માટે સાદા વ્યાજની ૧૫ લાખની લોન અપાય છે એ માટેની આવક-મર્યાદા સાડાચાર લાખ રૂપિયાથી વધારીને છ લાખ રૂપિયા કરવામાં આવી છે. એટલે હવે છ લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવતા કોઈ પણ યુવાનો વિદેશ અભ્યાસ માટે લોન મેળવી શકશે.’

મેડિકલ અને ટેક્નિકલ અભ્યાસ માટે નિગમ દ્વારા જે લોન અપાતી હતી એ યોજનાનો માત્ર ગુજરાતમાં પ્રવેશ મેળવે તેને જ લાભ મળતો હતો. એને બદલે હવે રાજ્યની બહાર કોઈ પણ રાજ્યમાં પ્રવેશ મેળવશે તો તે પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. સાથે-સાથે રાજ્ય બહારની IIT, NID, IIM, NIFT, નિરમા જેવી રાષ્ટ્રીય પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં પણ ગુજરાતનો યુવાન પ્રવેશ મેળવશે તો તેને પણ આ નિગમ દ્વારા લોનનો લાભ પૂરો પાડવામાં આવશે.

December 29, 2018
hom-1280x720.jpg
1min6070

કેન્દ્રીય પ્રધાનમંડળે નેશનલ કમિશન ફૉર હોમિયોપથી બિલ, 2018ના મુસદ્દાને મંજૂરી આપી હતી. આ મુસદ્દામાં પારદર્શકતા અને જવાબદારી નક્કર કરવાના હેતુથી વર્તમાન નિયમનકારી સેન્ટ્રલ કાઉન્સિલ ઑફ હોમિયોપથીના સ્થાને નવી સંસ્થા અસ્તિત્વમાં લાવવાની સલાહ આપવામાં આવી હતી.

આ મુસદ્દા-ખરડામાં એકંદરે હોમિયોપથી એજ્યુકેશન બોર્ડ દ્વારા હોમિયોપથીને લગતું શિક્ષણ આપવાની જવાબદારી ધરાવતા ત્રણ સ્વાયત્ત બોર્ડ સહિતનું રાષ્ટ્રીય પંચ રચવાનું સૂચવવામાં આવ્યું છે. સત્તાવાર યાદીમાં જણાવાયું હતું કે ‘તમામ ગ્રેજ્યુએટોએ હોમિયોપથીની પ્રૅક્ટિસ કરવા માટેનો પરવાનો મેળવવા કૉમન એન્ટ્રન્સ એક્ઝામ અને એક્ઝિટ એક્ઝામ પાસ કરવી પડે એવો પ્રસ્તાવ આ મુસદ્દામાં છે.’ એ ઉપરાંત, હોમિયોપથીના તબીબી શિક્ષણમાં સુધારા લાવવાનો ઉદ્ેશ પણ આ ખરડામાં સમાવિત છે.દરમિયાન, કેન્દ્રીય પ્રધાનમંડળે શુક્રવારે નેશનલ કમિશન ફૉર ઇન્ડિયન સિસ્ટમ્સ ઑફ મેડિસિન (એનસીઆઇએમ) બિલ, 2018ને પણ બહાલી આપી હતી. આ ખરડામાં પણ સેન્ટ્રલ કાઉન્સિલ ફૉર ઇન્ડિયન મેડિસિનના સ્થાને નવી સંસ્થા અસ્તિત્વમાં લાવવાનું સૂચવવામાં આવ્યું છે. ખરડામાં ચાર સ્વાયત્ત બોર્ડ સાથેનું રાષ્ટ્રીય પંચ રચવાનું કહેવામાં આવ્યું છે અને એ ચાર સૂચિત બોર્ડમાં આયુર્વેદ, યુનાની, સિદ્ધ તથા સોવારીગ્પાનો સમાવેશ છે.સરકારે શુક્રવારે પ્રૉટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ અફેન્સિસ (પોસ્કો) ઍક્ટમાં સૂચવાયેલા સુધારાઓને પણ મંજૂરીની મહોર મારી હતી. એ ઉપરાંત, સરકારે બાળકોની પોર્નોગ્રાફી સંબંધમાં અને નાની ઉંમરે જ કામુકતા લાવવા બાળકોને હોર્મોન્સ આપવા પર અંકુશ લાવવા સંબંધિત કડક પગલાં પણ દાખલ કર્યા છે.

December 26, 2018
d3-1.jpg
1min15990

ગુજરાતના શિક્ષણ વિભાગમાં રાજ્ય સરકારની સ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે તેવી થઇ રહી છે. રાજ્યમાં સ્કુલ ટુરની બસોના થયેલા ઉપરાછાપરી બે અકસ્માત બાદ રાજ્ય સરકારે મને કમને એવો નિર્ણય કરવો પડ્યો છે કે સ્કુલની ટૂરો રાત્રીના સમયે ડ્રાઇવિંગ નહીં કરી શકે એટલે રાત્રીના સમયે સ્કુલ કોલેજની ટૂરોની મુસાફરી પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. ગુજરાત સરકારે શાળા કે કૉલેજમાંથી પ્રવાસ માટે જતા વિદ્યાર્થીઓની સલામતિને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. સ્કૂલ કે કૉલેજની પ્રવાસ લઈને જતી બસો રાત્રે 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી પ્રવાસ નહીં કરી શકે.

ડાંગમાં વિદ્યાર્થીઓની બસને થયેલા અકસ્માતની ફાઈલ તસ્વીર

શાળા કે કૉલેજની બસોને થતા અકસ્માતને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આજે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રવાસ લઈને જતી બસોને રાત્રિ દરમિયાન પ્રવાસ કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. વારંવાર બનતી અકસ્માતની ઘટનાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સરકારના નિર્ણય અંગે નાયબ મુખ્યમંત્રીએ જાણકારી આપતા કહ્યું કે થોડા સમયથી શાળાને બાળકોને લઈ જતી બસને અકસ્માત થયો હોવાના કિસ્સા વધી રહ્યા છે. જેમાં બાળકોના મોતના સમાચાર પણ સામે આવે છે. વિદ્યાર્થીઓ ઘાયલ પણ થાય છે. આવા કિસ્સામાં સરકાર સહાય જાહેર કરે છે. પરંતુ ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. શાળાના બાળકોને પ્રવાસે લઇ જતી બસો રાતનાં 11 કલાકથી સવારે 6 કલાક સુધી પ્રવાસ નહીં કરી શકે. જે બસો રાતે પ્રવાસ કરતી હતી અને વિવિધ જગ્યાએ અકસ્માતનો ભોગ બની તેવું ભવિષ્યમાં ન થાય એટલે રાતે બસો પ્રવાસ કરી શકશે નહીં. આ ઉપરાંત બાળકોને રાતે રહેવાની યોગ્ય વ્યવસ્થા કરશે.

મહત્વનું છે કે ચાર દિવસ પહેલા જ ડાંગમાં વિદ્યાર્થીઓને લઈ જઈ રહેલી બસ ખીણમાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો. 300 ફૂટ ઉંડી ખીણમાં ખાબકેલી આ બસમાં ત્યારે 50 વિદ્યાર્થીઓ સવાર હતા. જેમાંથી 10નાં મોત થયા હતા. જે બાદ રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.