શિક્ષણ સર્વદા Archives - Page 44 of 54 - CIA Live

January 5, 2019
vidhyamangal_logo.png
1min26260

महेनत इतनी चूपके से करो कि सफलता शोर मचादे..આ કહેવત જો કોઇ શાળા સંચાલક મંડળને બંધ બેસતી હોય તો એ છે કડવા પાટીદાર કેળવણી મંડળ, સુરત. સુરતમાં સક્રિય કડવા પાટીદાર કેળવણી મંડળ જેઓ કામરેજમાં વિદ્યામંગલના નામે શૈક્ષણિક સંકુલ ચલાવે છે, વિદ્યામંગલ કેમ્પસ એટલી શાંતિથી શિક્ષણનો વ્યાપ વિસ્તાર વધારવાનું કાર્ય કરી રહી છે કે આજે તેની મહેનત સમગ્ર ગુજરાતના શિક્ષણ જગતમાં ચર્ચાસ્થાને છે. તાજેતરમાં જ બેંગ્લોર ખાતે ભારતની ટોપ ટ્વેન્ટી બેસ્ટ સ્કુલમાં સુરતના કામરેજની વિદ્યામંગળ સ્કુલને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

(વિદ્યામંગલની ટીમને બેંગ્લોર ખાતે એવોર્ડ અર્પણ કરાયા તે પ્રસંગની તસ્વીર)

કડવા પાટીદાર કેળવણી મંડળ સંચાલિત કામરેજ તાલુકાના નવીપારડી ખાતે આવેલ વિદ્યામંગલ નિવાસી શાળાએ તા. મી ડીસેમ્બર 2018ના રોજ બેંગ્લોર ખાતે આયોજિત સમગ્ર ભારતની સર્વશ્રેષ્ઠ ૨૦ નિવાસી શાળા કેટેગરી અંતર્ગત સમગ્ર ભારતમાં ૧૭મું સ્થાન પ્રાપ્ત કરી સમગ્ર પંથકમાં પોતાની ઝળહરતી યશપતાકા લહેરાવી હતી. ઉપરાંત સમગ્ર સુરત જીલ્લામાં પ્રથમ અને સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ સિદ્ધિ બદલ કેળવણી મંડળ અને કડવા પાટીદાર સમાજ ગૌરવ અનુભવે છે.

વિદ્યામંગલને એવોર્ડ આપતા પૂર્વે કયા માપદંડો ધ્યાનમાં લેવામાં આવ્યા

  • શૈક્ષણિક પ્રતિષ્ઠા
  • દરેક વિદ્યાર્થીઓ તરફ અંગત ધ્યાન
  • સમગ્ર સંકુલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર માળખું
  • શિક્ષણમાં નવીનતા
  • સલામતી
  • રમતગમત
  • ફી રૂપે થયેલ નાણાનો શ્રેષ્ઠ ઉપયોગ
  • ધાર્મિક વાતાવરણ
  • મેનેજમેન્ટની સક્રિય અને હકારાત્મક ભૂમિકા તેમજ
  • સમગ્ર વર્ષ દરમિયાન શિક્ષણ સબંધિત કેલેન્ડરને ધ્યાનમાં લેવામાં આવ્યા

એજ્યુકેશનટુડે.કો  દ્વારા બેંગ્લોર ખાતે યોજાયેલ ધ ઇંડિયા’ઝ સ્કુલ મેરીટ અવોર્ડઝ – ૨૦૧૮ ના ભવ્ય સમારોહમાં આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ઇન્ટરનેશનલ, બોર્ડીંગ સ્કુલ અંતર્ગત, સીબીએસઈ, આઈસીએસઈ, સ્ટેટ બોર્ડ, છોકરાને છોકરીઓ માટેની લોજીન્ગ અને બોર્ડીંગ સુવિધા તેમજ પ્રી સ્કુલ કેટેગરી અંતર્ગત દેશની ૨૦૦ થી વધુ સ્કૂલો અને ૫૦ પ્રી. સ્કુલ તરફથી પ્રાપ્ત થયેલ ૧૬૧૫ સર્વે ફોર્મ દ્વારા આવી સ્કૂલો સમગ્ર ભારતમાંથી પસંદ કરવામાં આવી હતી. સાથે સાથે જ શાળાઓને ૧૦ પેરામીટર્સ દ્વારા કેટેગરાઈઝ કરવામાં આવી હતી. જેમાં, શૈક્ષણિક પ્રતિષ્ઠા, દરેક વિદ્યાર્થીઓ તરફ અંગત ધ્યાન, સમગ્ર સંકુલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર માળખું, શિક્ષણમાં નવીનતા, સલામતી, રમતગમત, ફી રૂપે થયેલ નાણાનો શ્રેષ્ઠ ઉપયોગ, ધાર્મિક વાતાવરણ, મેનેજમેન્ટની સક્રિય અને હકારાત્મક ભૂમિકા તેમજ સમગ્ર વર્ષ દરમિયાન શિક્ષણ સબંધિત કેલેન્ડરને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા.

(બેંગ્લોર ખાતે યોજાયેલા દબદબાભર્યા એવોર્ડ સમારોહમાં ઉપસ્થિત રહેલી સુરતના વિદ્યામંગલની ટીમ..મેનેજીંગ ટ્રસ્ટીશ્રી અરવિંદભાઈ, મંત્રીશ્રી નરેશભાઈ, કેમ્પસ ડાયરેક્ટરશ્રી મનીષભાઈ પુરાણી, શાળામાં શિક્ષણ કાર્યનું સંભાળનાર શ્રી અમિતભાઈ તથા કેળવણી મંડળના મંત્રી શ્રી હેમંતભાઈએ ઉપસ્થિત રહી આ એવોર્ડ સ્વીકાર્યો હતો)

વિદ્યામંગલ નિવાસી શાળાને કુલ -૧૦૦૦ પોઈન્ટ્સ માંથી ૮૪૫ પોઈન્ટ્સ પ્રાપ્ત થયા

ઉપરોક્ત પેરામીટર્સ અંતર્ગત વિદ્યામંગલ નિવાસી શાળાને કુલ -૧૦૦૦ પોઈન્ટ્સ માંથી ૮૪૫ પોઈન્ટ્સ પ્રાપ્ત થયા હતા. આ પ્રસંગે બેંગ્લોર ખાતે મેનેજીંગ ટ્રસ્ટીશ્રી અરવિંદભાઈ, મંત્રીશ્રી નરેશભાઈ, કેમ્પસ ડાયરેક્ટરશ્રી મનીષભાઈ પુરાણી, શાળામાં શિક્ષણ કાર્યનું સંભાળનાર શ્રી અમિતભાઈ તથા કેળવણી મંડળના મંત્રી શ્રી હેમંતભાઈએ ઉપસ્થિત રહી આ એવોર્ડ સ્વીકાર્યો હતો. બેંગ્લોર ખાતે આ એવોર્ડ માટે ટેલીવિઝન મીડિયા દ્વારા કેમ્પસ ડાયરેકટરશ્રી મનીષભાઈનો ઇન્ટરવ્યૂ પણ લેવામાં આવ્યો હતો. શાળા દ્વારા આવી સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ સમગ્ર કામરેજ તાલુકામાં અને સુરત જિલ્લામાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી. લગાતાર છેલ્લા કેટલાય વર્ષોથી વિદ્યામંગલ નિવાસી શાળા સતત દરેક ક્ષેત્રે જોરદાર પ્રદર્શન કરી પોતાની કાબેલિયત દ્વારા બાળકોના સર્વાંગી વિકાસની મહત્તાને સિદ્ધ કરી રહી છે. જે બદલ સમગ્ર કડવા પાટીદાર સમાજ અને વિદ્યામંગલ નિવાસી શાળા પરિવાર આ એવોર્ડ માટે ગૌરવ અનુભવે છે.

January 2, 2019
CIA_Live_Logo_New2.jpg
1min7020

નવા વર્ષના પહેલા દિવસે ગુજરાત સરકારે બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને ગિફટ આપી છે. માત્ર મેડિકલ જ નહી, હવેથી અન્ય અભ્યાસ માટે પણ વિદેશમાં સ્ટડી કરવા માટે સરકાર સસ્તા વ્યાજે લોન આપશે.

ગઈ કાલે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં પ્રધાનમંડળના સભ્યો અને ઉચ્ચ અધિકારીઓની એક બેઠક મળી હતી જેમાં બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓ માટેના અભ્યાસને લઈને મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા હતા.

નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટલે જાહેરાત કરતાં કહ્યું હતું કે ‘ગુજરાતના શિક્ષિત યુવાનોને ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક રીતે સહાય કરવા માટે રાજ્ય સરકારે બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની રચના કરી છે. એમાં વિવિધ યોજનાઓ કાર્યન્વિત કરવામાં આવી છે જેમાં સહાય મેળવવા માટે વાર્ષિક આવક ત્રણ લાખ રૂપિયાની હતી એ વધારીને સાડાચાર લાખ રૂપિયાની કરવામાં આવી છે. આ ઉપરાંત ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા માટે સાદા વ્યાજની ૧૫ લાખની લોન અપાય છે એ માટેની આવક-મર્યાદા સાડાચાર લાખ રૂપિયાથી વધારીને છ લાખ રૂપિયા કરવામાં આવી છે. એટલે હવે છ લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવતા કોઈ પણ યુવાનો વિદેશ અભ્યાસ માટે લોન મેળવી શકશે.’

મેડિકલ અને ટેક્નિકલ અભ્યાસ માટે નિગમ દ્વારા જે લોન અપાતી હતી એ યોજનાનો માત્ર ગુજરાતમાં પ્રવેશ મેળવે તેને જ લાભ મળતો હતો. એને બદલે હવે રાજ્યની બહાર કોઈ પણ રાજ્યમાં પ્રવેશ મેળવશે તો તે પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. સાથે-સાથે રાજ્ય બહારની IIT, NID, IIM, NIFT, નિરમા જેવી રાષ્ટ્રીય પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં પણ ગુજરાતનો યુવાન પ્રવેશ મેળવશે તો તેને પણ આ નિગમ દ્વારા લોનનો લાભ પૂરો પાડવામાં આવશે.

December 29, 2018
hom-1280x720.jpg
1min6090

કેન્દ્રીય પ્રધાનમંડળે નેશનલ કમિશન ફૉર હોમિયોપથી બિલ, 2018ના મુસદ્દાને મંજૂરી આપી હતી. આ મુસદ્દામાં પારદર્શકતા અને જવાબદારી નક્કર કરવાના હેતુથી વર્તમાન નિયમનકારી સેન્ટ્રલ કાઉન્સિલ ઑફ હોમિયોપથીના સ્થાને નવી સંસ્થા અસ્તિત્વમાં લાવવાની સલાહ આપવામાં આવી હતી.

આ મુસદ્દા-ખરડામાં એકંદરે હોમિયોપથી એજ્યુકેશન બોર્ડ દ્વારા હોમિયોપથીને લગતું શિક્ષણ આપવાની જવાબદારી ધરાવતા ત્રણ સ્વાયત્ત બોર્ડ સહિતનું રાષ્ટ્રીય પંચ રચવાનું સૂચવવામાં આવ્યું છે. સત્તાવાર યાદીમાં જણાવાયું હતું કે ‘તમામ ગ્રેજ્યુએટોએ હોમિયોપથીની પ્રૅક્ટિસ કરવા માટેનો પરવાનો મેળવવા કૉમન એન્ટ્રન્સ એક્ઝામ અને એક્ઝિટ એક્ઝામ પાસ કરવી પડે એવો પ્રસ્તાવ આ મુસદ્દામાં છે.’ એ ઉપરાંત, હોમિયોપથીના તબીબી શિક્ષણમાં સુધારા લાવવાનો ઉદ્ેશ પણ આ ખરડામાં સમાવિત છે.દરમિયાન, કેન્દ્રીય પ્રધાનમંડળે શુક્રવારે નેશનલ કમિશન ફૉર ઇન્ડિયન સિસ્ટમ્સ ઑફ મેડિસિન (એનસીઆઇએમ) બિલ, 2018ને પણ બહાલી આપી હતી. આ ખરડામાં પણ સેન્ટ્રલ કાઉન્સિલ ફૉર ઇન્ડિયન મેડિસિનના સ્થાને નવી સંસ્થા અસ્તિત્વમાં લાવવાનું સૂચવવામાં આવ્યું છે. ખરડામાં ચાર સ્વાયત્ત બોર્ડ સાથેનું રાષ્ટ્રીય પંચ રચવાનું કહેવામાં આવ્યું છે અને એ ચાર સૂચિત બોર્ડમાં આયુર્વેદ, યુનાની, સિદ્ધ તથા સોવારીગ્પાનો સમાવેશ છે.સરકારે શુક્રવારે પ્રૉટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ અફેન્સિસ (પોસ્કો) ઍક્ટમાં સૂચવાયેલા સુધારાઓને પણ મંજૂરીની મહોર મારી હતી. એ ઉપરાંત, સરકારે બાળકોની પોર્નોગ્રાફી સંબંધમાં અને નાની ઉંમરે જ કામુકતા લાવવા બાળકોને હોર્મોન્સ આપવા પર અંકુશ લાવવા સંબંધિત કડક પગલાં પણ દાખલ કર્યા છે.

December 26, 2018
d3-1.jpg
1min16030

ગુજરાતના શિક્ષણ વિભાગમાં રાજ્ય સરકારની સ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે તેવી થઇ રહી છે. રાજ્યમાં સ્કુલ ટુરની બસોના થયેલા ઉપરાછાપરી બે અકસ્માત બાદ રાજ્ય સરકારે મને કમને એવો નિર્ણય કરવો પડ્યો છે કે સ્કુલની ટૂરો રાત્રીના સમયે ડ્રાઇવિંગ નહીં કરી શકે એટલે રાત્રીના સમયે સ્કુલ કોલેજની ટૂરોની મુસાફરી પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. ગુજરાત સરકારે શાળા કે કૉલેજમાંથી પ્રવાસ માટે જતા વિદ્યાર્થીઓની સલામતિને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. સ્કૂલ કે કૉલેજની પ્રવાસ લઈને જતી બસો રાત્રે 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી પ્રવાસ નહીં કરી શકે.

ડાંગમાં વિદ્યાર્થીઓની બસને થયેલા અકસ્માતની ફાઈલ તસ્વીર

શાળા કે કૉલેજની બસોને થતા અકસ્માતને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આજે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રવાસ લઈને જતી બસોને રાત્રિ દરમિયાન પ્રવાસ કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. વારંવાર બનતી અકસ્માતની ઘટનાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સરકારના નિર્ણય અંગે નાયબ મુખ્યમંત્રીએ જાણકારી આપતા કહ્યું કે થોડા સમયથી શાળાને બાળકોને લઈ જતી બસને અકસ્માત થયો હોવાના કિસ્સા વધી રહ્યા છે. જેમાં બાળકોના મોતના સમાચાર પણ સામે આવે છે. વિદ્યાર્થીઓ ઘાયલ પણ થાય છે. આવા કિસ્સામાં સરકાર સહાય જાહેર કરે છે. પરંતુ ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. શાળાના બાળકોને પ્રવાસે લઇ જતી બસો રાતનાં 11 કલાકથી સવારે 6 કલાક સુધી પ્રવાસ નહીં કરી શકે. જે બસો રાતે પ્રવાસ કરતી હતી અને વિવિધ જગ્યાએ અકસ્માતનો ભોગ બની તેવું ભવિષ્યમાં ન થાય એટલે રાતે બસો પ્રવાસ કરી શકશે નહીં. આ ઉપરાંત બાળકોને રાતે રહેવાની યોગ્ય વ્યવસ્થા કરશે.

મહત્વનું છે કે ચાર દિવસ પહેલા જ ડાંગમાં વિદ્યાર્થીઓને લઈ જઈ રહેલી બસ ખીણમાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો. 300 ફૂટ ઉંડી ખીણમાં ખાબકેલી આ બસમાં ત્યારે 50 વિદ્યાર્થીઓ સવાર હતા. જેમાંથી 10નાં મોત થયા હતા. જે બાદ રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.

December 24, 2018
utu_logo-1280x1380.png
1min17390

સુરત નજીક બારડોલી-મહુવા રોડ પર આવેલા માલિબા કેમ્પસમાં કાર્યરત ઉકા તરસાડીયા યુનિવર્સિટીનો 6ઠ્ઠો વાર્ષિક પદવીદાન સમારોહ તા.23મી ડિસેમ્બર 2018ના રોજ યુનિવર્સિટી સંકુલમાં શાનદાર રીતે સંપન્ન થયો હતો. માલિબા કેમ્પસમાં ચાલતી વિવિધ ફેકલ્ટીઓની કોલેજોના ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ વિદ્યાર્થીઓને પદવી પ્રમાણપત્ર સાથે દિક્ષા આપીને વ્યવહારુ દુનિયામાં પ્રવેશ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

(6th Convocation of Uka Tarsadia University)

ઉકા તરસાડીયા યુનિવર્સિટીના 6ઠ્ઠા વાર્ષિક પદવીદાન સમારોહના અધ્યક્ષ પદે સંસ્થાના પ્રમુખ શ્રી શૈલેષભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ગુજરાતના ફુડ એન્ડ ડ્રગ કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટના કમિશનર શ્રી ડો.હેમંતભાઇ જી. કોશીયા, શ્રી બળદેવભાઇ ઠાકોર અને શ્રી નારણભાઇ પટેલ વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. પદવીઓ હાંસલ કરનારા વિદ્યાર્થીઓની તેમના માતા-પિતા, પરિવારજનો, ફ્રેન્ડ્સ તેમજ કોલેજના અન્ય વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(Anthem of UTU)

Value based Education at Uka Tarsadia University

Posted by Uka Tarsadia University -Maliba Campus on Thursday, 18 December 2014

(Uka Tarsadia Univeristy Convocation held at the Maliba Campus on 23-12-2018)

 

 

December 24, 2018
ankur_logo.png
4min21440

પુસ્તકોમાં રહેલું જ્ઞાન કલ્પના સમું હોય છે, બાળકો જ્યાં સુધી એ જ્ઞાનનો વ્યવહારુ ઉપયોગ કરતા નહીં શીખે ત્યાં સુધી એ જ્ઞાન ફક્ત પુસ્તકિયું જ્ઞાન બની રહે છે. પુસ્તકોમાં રહેલા જ્ઞાનનો વ્યવહારુ ઉપયોગ નહીં કરી શકવાના કારણે જ આજે મોટી મોટી ડિગ્રીધારકો નોકરી વિહોણા રહી જાય છે. આ ભેદ પારખી ગયેલા સુરતના હીરાબાગ ખાતે આવેલી અંકુર વિદ્યાવિહાર શાળાના મિત્તલ બી. પરડવા અને તેમની ટીમે પ્રાઇમરી શિક્ષણથી જ બાળકોને પુસ્તકના જ્ઞાનના વ્યવહારુ ઉપયોગની તાલિમ આપવાનું શરુ કર્યું છે અને આ તાલિમ ગઇ તા.22-23 ડિસેમ્બર 2018ના રોજ શાળામાં યોજાયેલા નોલેજ કાર્નિવલના સ્વરૂપમાં ચરિતાર્થ થયેલી દેખાઇ આવી હતી. નોલેજ કાર્નિવલમાં હીરાબાગની અંકુર વિદ્યાવિહારના બાળકોએ પુસ્તકોમાં રહેલી કલ્પનાઓને તેમના વાલીઓ, શાળાની આસપાસના રહેવાસીઓને વાસ્તવિક કરી દેખાડી હતી.

વરાછા રોડ પર હીરાબાગ સર્કલ ખાતે આવેલી અંકુર વિદ્યાવિહાર શાળામાં ગઇ તા.22-23 ડિસેમ્બ દરમિયાન નોલેજ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળભવનથી શરૂ કરીને ધો.12 સુધીના 300થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શાળાના વિદ્યાર્થીઓએ વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુઓ બનાવીને તેનું ડિસપ્લે કરીને મુલાકાતીઓને અચંબામાં મૂકી દીધા હતા. તદુપરાંત વિદ્યાર્થીઓએ પાઠ્ય પુસ્તકોમાં નિર્દેશિત વિવિધ પ્રકારના નમૂનાઓ, સેલ્ફ સ્ટડી માટેના મોડેલ, ટ્રાફિક અવેરનેસ પ્રોજેક્ટ, કરીયર ગાઇડન્સ માટેની માહિતીઓ રજૂ કરી હતી.

બાળભવનના બાળકોની કૌશલ્ય કલાઓનું લાઇવ ડેમોન્સ્ટ્રેશન કર્યું હતું. એવી જ રીતે યોગ અને આયુર્વેદિક ટેકનિક્સ, ભારતના રાજ્યોની લોકસંસ્કૃતિ, ગુજરાતના તમામ જિલ્લાઓની માહિતી, જાણીતા સ્થળોનું ડિસ્પ્લે, પ્રાથમિક વિભાગના બાળકોએ વિજ્ઞાનના નિયમો આધારિત પ્રયોગોના વર્કિંગ મોડેલ રજૂ કરીને એક ખરા અર્થમાં નોલેજ કાર્નિવલને સાકાર કર્યો હતો. શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ, આસપાસના રહેવાસીઓ વગેરેએ ફુડ ઝોનની પણ મજા માણી હતી.

દરમિયાન સુરત જિલ્લા શિક્ષણાધિકારી શ્રી રાજ્યગુરુએ પણ નોલેજ કાર્નિવલની મુલાકાત લીધી હતી.

હીરાબાગ સ્થિત અંકુર વિદ્યાવિહાર શાળાના નોલેજ કાર્નિવલનું ઉદઘાટન મધુવન ઇન્ટરનેશનલ સ્કુલના સંચાલક શ્રી ભૂપતભાઇ સુખડીયાએ કર્યું હતું.  શનિ અને રવિવાર દરમિયાન શાળાના બે હજાર વાલીઓ ઉપરાંત શાળાની આસપાસ રહેતા અંદાજે 1500 લોકોએ અંકુર વિદ્યાવિહાર શાળાના વિદ્યાર્થીઓના અદભૂત પ્રયોગ નોલેજ કાર્નિવલની મુલાકાત લઇને બાળકોના પ્રયાસને બિરદાવ્યો હતો.

વિદ્યાર્થીઓ માટે અને વિદ્યાર્થીઓ દ્વારા આયોજીત નોલેજ કાર્નિવલ અંતર્ગત દરેક વિદ્યાર્થીએ ભણતરને મનોરંજક સ્વરૂપે દર્શાવ્યુ હતું અને પોતાની અદ્ભૂત કૃતિઓ રજૂ કરી હતી. આ ઉપરાંત શિક્ષકોએ પણ આ પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.

અંકુર વિદ્યાવિહાર ખાતે યોજાયેલા નોલેજ કાર્નિવલની તસ્વીરી ઝલક

 
December 23, 2018
gseb-1280x720.jpg
1min7170

લોકરક્ષક દળની પરીક્ષા અને માધ્યમિક શિક્ષક માટેની ટાટની પરીક્ષાનું પ્રશ્ર્નપત્ર લીક થતા પરીક્ષા રદ કરવામાં આવતા સરકારની ભારે ટીકા થઈ હતી અને સ્પર્ધાત્મક પરીક્ષા આપતા ઉમેદવારોમાં પણ ભારે રોષ ફેલાતા સરકારી તંત્ર હરકતમાં આવ્યું હતું. જેથી આ વખતે સરકાર દ્વારા પ્રથમવાર ધોરણ.10 અને ધોરણ. 12ની બોર્ડની પરીક્ષાનું સમગ્ર મોનિટરિંગ મુખ્ય પ્રધાનના કાર્યાલય (Chief Minister Office) થી થશે અને આત્યારથી જ બોર્ડની પરીક્ષાને લઈને રોજેરોજ સી.એમ કાર્યાલયમાં રિપોર્ટ રજુ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જેના માટે દરરોજ રાજ્યના પાંચ પાંચ ડીઈઓને ગાંધીનગર બોર્ડની કચેરી ખાતે રૂબરૂમાં બોલાવી બિલ્ડિંગ અને બ્લોક વાઈઝ એનાલિસીસ કરવામાં આવી રહ્યુ છે.

આગામી તા.7મી માર્ચથી ધોરણ.10 અને ધોરણ.12 સામાન્ય પ્રવાહ તેમજ સાયન્સના અંદાજે 19 લાખ જેટલા વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા શરૂ થશે. દર વર્ષે બોર્ડની પરીક્ષાની બેઠક વ્યવસ્થા માટે રાજ્યના તમામ ડીઈઓની એક સાથે ચેરમેનની અધ્યક્ષતામાં બેઠક બોલાવવામાં આવતી હતી, પરંતુ આ વખતે માત્ર પાંચ પાંચ ડીઈઓને બોલાવી એકદમ ઝીણવટ પૂર્વક માહિતી એકઠી કરવામાં આવી રહી છે. બોર્ડની પરીક્ષાનું પ્રશ્ર્નપત્ર કેન્દ્ર પરથી લીક થતું હોય છે. જેથી આવાં સંવેદનશીલ કેન્દ્રો પર વધુ બંદોબસ્ત ગોઠવવો કે પછી આવાં કેન્દ્રો રદ કરવા વિચારણા ચાલી રહી છે. તાજેતરમાં જ યોજાએલી લોકરક્ષક દળની પરીક્ષા અને માધ્યમિક શિક્ષક માટેની ટાટની પરીક્ષાનું પ્રશ્ર્નપત્ર લીક થતા આખી પરીક્ષા રદ કરવામાં આવતા સરકારની ભારે ટીકા થઈ હતી અને સ્પર્ધાત્મક પરીક્ષા આપતા ઉમેદવારોમાં પણ ભારે રોષ ફેલાયો હતો.

December 22, 2018
d8.jpg
2min16880
  • ગંભીર ઇજા પામેલા 3 વિદ્યાર્થીઓના મોત નિપજ્યા હોવાના બિનસત્તાવાર અહેવાલો
  • 200 ફૂટથી વધુ ઉંડી ખીણમાં બસ ખાબકી
  • 32 જેટલા ભૂલકાઓને નાની મોટી ઇજાઓ
  • અમરોલીના ખાનગી ટ્યુશન આપતા ખાનગી ક્લાસીસની હતી બસ

સુરતના અમરોલી-છાપરાભાઠા ખાતે પ્રાઇમરી સ્કુલના બાળકોના ટ્યુશન આપતા ખાનગી ક્લાસીસના બાળકોની બસ આજે સાંજે ડાંગના બરડીપાડા રોડ ખાતે 200ફૂટથી વધુ ઉંડી ખાઇમાં ખાબકી હોવાના સમાચારોએ સુરતના શિક્ષણ જગતને હચમચાવી મૂક્યું છે. બસમાં ધો.1થી 8 સુધીના જ વિદ્યાર્થીઓ હતા. સુરત પરત ફરી રહેલી ટ્યુશન ક્લાસીસના બાળકોની બસ નંબર જી.જે.5 ઝેડ 9993 ને મહાલ-બરડી પાડા રોડ પર અકસ્માત નડ્યો હતો. ડ્રાઇવરે બસ પરથી કાબૂ ગૂમાવતા રોડ સાઇડમાં આવેલી ખીણમાં બસ ખાબકી હતી.

બસમાં અંદાજે 75-80 જેટલા વિદ્યાર્થીઓ મુસાફરી કરી રહ્યા હતા જે પૈકી આ ગમખ્વાર અકસ્માતમાં 32 જેટલા ભૂલકાઓને નાની મોટી ઇજાઓ પહોંચી છે. તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બે વિદ્યાર્થીઓની હાલત ગંભીર જણાવાય રહી છે. 2 ગંભીર વિદ્યાર્થીઓને સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા હોવાની વિગતો મોડી સાંજે જાણવા મળી છે. બિનસત્તાવાર રીતે મળતી પ્રાથમિક માહિતી મુજબ ઘટનામાં ગંભીર રીતે ઇજા પામેલા 3 બાળકોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળે છે.

બસ ખીણમાં ખાબકતા જ આસપાસના વિસ્તાર બાળકોની ચીચીયારીથી ધ્રુજી ઉઠ્યો હતો. આસપાસના ગામવાસીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સત્વરે બાળકોને બસની બહાર કાઢીને તેમને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ રવાના કરવામાં આવ્યા હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી છે.

પ્રાથમિક તસ્વીરો

 

December 22, 2018
LRB-lokrakshak-constable-2018.jpg
1min5330

સમય બપોરના 3 વાગ્યાનો બદલીને સવારે 11નો કરાયો

પરીક્ષા પૂર્વે જ પેપર લીક થઇ જતા ગઇ તા.2જી ડિસેમ્બર 2018ના રોજ છેલ્લી ઘડીએ રદ કરાયેલી લોકરક્ષક (પોલીસ જવાન) ભરતીની પ્રવેશ પરીક્ષા હવે તા.6 જાન્યુઆરી 2019ના રોજ યોજાશે. આ અંગેની હોલ ટિકીટ જારી કરી દેવામાં આવી છે. પરીક્ષાનો સમય બપોરે 3 વાગ્યાનો હતો જે હવે સવારે 11નો કરી દેવામાં આવ્યો છે જ્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ પરીક્ષા આપનારા ઉમેદવારોને મુસાફરી ભથ્થું આપવાની કરેલી જાહેરાતનો કોઇ ઉલ્લેખ સુદ્ધાં હોલ ટિકીટમાં કરવામાં આવ્યો નથી.

સ્પર્ધકના રહેઠાણના જે તે જિલ્લામાં કે તાલુકામાંના પરીક્ષા કેન્દ્રોમાં સીસીટીવી કેમેરાની નજર હોય નજીકમાં જ પરીક્ષા કેન્દ્ર ફાળવવાના બદલે ભૂલનું પુનરાવર્તન કરી ફરીથી તેઓને અગાઉના સ્થળે જ 200 થી 400કિમી.દૂર  મોકલી પરીક્ષા આપવા મજબૂર કર્યા છે. જેઓને કોલ લેટરમાં અગાઉનો માથે પડેલો ભાડાખર્ચ કે હવે ચૂકવવા પડનારા બીજા ભાડાદર ચૂકવવાની ભરતી બોર્ડે કોઈ સૂચના આપી નથી કે રાજ્ય સરકારના મુખ્યમંત્રીએ આવવા-જવાના બસભાડા આપવાનું કે તેઓએ ચુકવેલ ભાડું પરત આપવાની જાહેરાત કરેલી જેની કોઈ સ્પષ્ટતા થઈ નથી. એટલે સ્પર્ધકોએ વહેલી સવારે નીકળી  ઠંડીભરી સવારમાં 8-30 કલાકે જે તે કેન્દ્ર પર પહોંચી રિપોર્ટિંગ કરવાનું છે અને 10:30 પછી પ્રવેશ પ્રતિબંધ છે.

પરીક્ષાર્થીઓનું એવું કહેવું છે કે અમને જે તે પરીક્ષા કેન્દ્રમાં જ ઓછામાં ઓછા 1000 રૂપિયાની તક્ષણ રાહત ચૂકવવાના આદેશ રાજ્ય સરકારે કરવા જોઈએ, નહીંતર પરીક્ષા પૂરી થયા બાદ સરકારી તંત્ર ટલ્લે ચડાવશે. બીજી ડિસેમ્બરના રોજ જે તે શાળા-કેન્દ્ર  આચાર્યને બે દિવસના મળી પંદરસો રૂપિયા સુપરવાઇઝરને 375 અને પાણી- પટાવાળાને  રૂ.225 લેખે ચુકવણું કરેલ જે ખર્ચા છઠ્ઠી જાન્યુઆરીએ  ફરી ચૂકવવાના થશે.