ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ધો.12ના તમામ પ્રવાહના વિદ્યાર્થીઓ સરકારના આપેલા પરિણામથી અસંતુષ્ટ હોય તો પરિણામ ગાંધીનગર જમા કરાવીને ફરી પરીક્ષા આપી શકશે. તેમના માટે અલગ પરીક્ષા યોજાશે. હવે પછી પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.’
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જાહેર કર્યું છે કે’ ધોરણ 12ના તમામ પ્રવાહના નિયમિત ઉમેદવાર માટે સરકાર દ્વારા ગુણાંકન પદ્ધતિ અનુસાર પરિણામ તૈયાર કરવામાં આવશે. આ પરિણામ પ્રસિદ્ધ થયા બાદ કોઇ વિદ્યાર્થીને પરિણામથી અસંતોષ હોય તો એવા વિદ્યાર્થી પરિણામ પ્રસિદ્ધ થયાના 15 દિવસમાં પોતાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની કચેરીમાં જમા કરાવવાનું રહેશે. આવા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડ દ્વારા અલગથી પરીક્ષા યોજવામાં આવશે.
તાજેતરમાં ગુજરાત શિક્ષણ બોર્ડે ધો.12ના પરિણામની માર્કશીટનું માળખુ જાહેર કર્યું છે. આ ફોર્મ્યુલા પ્રમાણે ધો.10ના પરિણામના 50 માર્ક્સ, ધો.11ના પરિણામના 25 માર્ક્સ તેમજ ધો.12ની સામયિક અને એકમ કસોટીના 25 ગુણ ધ્યાનમાં લેવાશે. જુલાઇના બીજા અઠવાડિયામાં માર્કશીટ મળી જશે.
શિક્ષણ બોર્ડે ગત 19 જૂને કરેલા નિર્ણય અનુસાર, ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા 15 જુલાઇથી યોજવાનો નિર્ણય કર્યો છે. આ પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ ડી.એસ.પટેલે જણાવ્યું હતું કે, રાજ્યની હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઇ બોર્ડના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.’













