લોકસભાની આગામી ચૂંટણી માટે જામનગરની બેઠક માટે હાર્દિક પટેલની સંભવિત ઉમેદવારીના વિરોધમાં પાટીદાર સમાજના કેટલાંક કાર્યકરો દ્વારા ‘ હાર્દિક પટેલ હાય હાય’ના સૂત્રોચ્ચારો સાથે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. પાટીદાર અનામત આંદોલન શરૂ કરનાર હાર્દિક પટેલે આખરે કોંગ્રેસમાં પ્રવેશ કરતા અને રાજકારણમાં પડતા જામનગરના પાટીદાર સમાજના કેટલાય કાર્યકરો નારાજ થયા છે.
તા.13 માર્ચ 2019ની બપોરે શહેરના રણજીતનગર પટેલ સમાજના ચોકમાં એકત્ર થયાં હતાં અને હાર્દિક પટેલ વિરૂધ્ધ નારા લગાવી હાર્દિક પટેલે પાટીદાર સમાજ સાથે દ્રોહ કર્યો છે તેવા આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત જામનગર બેઠક માટે હાર્દિક પટેલ ઉમેદવારી કરશે તો પૂરો વિરોધ કરવામાં આવશે તેવો નિર્ધાર વ્યકત કર્યો હતો.
સમાજ સાથે કોઇ દ્રોહ નથી કર્યો : હાર્દિક પટેલ
પાસ કન્વીનર હાર્દિક પટેલ સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાઇ ચૂક્યો છે. કોંગ્રેસમાં એન્ટ્રી લેતા જ કોંગ્રેસ પક્ષમાં હાર્દિકનું મહત્વ જણાઇ આવ્યું હતું. હાર્દિક પટેલ કોંગ્રેસની સીડબલ્યુસીની બેઠકમાં પણ પહોંચ્યો હતો, તો સાથે જ તેને જનસભામાં મંચ પર દિગ્ગજ નેતાઓની વચ્ચે સ્થાન મળ્યું હતું. હાર્દિક પટેલની એરપોર્ટ પર પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે મુલાકાત થઇ હતી ત્યારે કોંગ્રેસમાં અચાનક હાર્દિકનું કદ વધુ ગયુ છે ત્યારે પક્ષ મોવડીઓથી પહેલેથી જ નારાજ અલ્પેશ ઠાકોર અને હાર્દિક વચ્ચે ઘર્ષણ ઉભું થઇ શકે છે.
જો પક્ષમાં હાર્દિકનું કદ વધ્યું તો અલ્પેશ ફરીથી કોંગ્રેસ સામે બાંયો ચઢાવી શકે છે. અહીં નોંધવુ ઘટે કે, લોકસભા ચૂંટણીમાં પોતાના માટે પાટણની અને પત્ની માટે પોતાની વિધાનસભા બેઠકની માંગણી કરવા માટે અલ્પેશ ઠાકોરે છેક દિલ્હી સુધી ધામા નાખ્યા હતા.
દરમિયાન હાર્દિક કોંગ્રેસમાં જોડાતા જ એક સમયના હાર્દિકના સાથી અને એસપીજી ગ્રુપના પ્રમુખ લાલજી પટેલે નિવેદન આપ્યું હતું કે, હાર્દિકે સમાજ સાથે દ્રોહ કર્યો છે, હવે હાર્દિકમાં તાકાત હોય તો 5000 પાટીદારો ભેગા કરી બતાડે. લાલજી પટેલના આક્ષેપો પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે જણાવ્યું કે, હું કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયો છું. પાટીદાર સમાજ સાથે મેં કોઇ દ્રોહ નથી કર્યો. તેણે એમ પણ કહ્યુ ંકે, જો લાલજી પટેલને લાગતું હોય તો તે સમાજ માટે કામ કરે. અનામત આંદોલન દરમિયાન શહીદ થયેલા યુવાનોના પરિવારને અમે બનતી મદદ કરી છે. મહેસાણાના પરિવારના એક સભ્યને અમે નોકરી પણ આપી છે.
હાર્દિક પટેલને હાઇકોર્ટનો ‘ઝટકો’ સજા મોકૂફીની અરજીની સુનાવણી કાલે બીજા જજ સમક્ષ થશે
ગુજરાત હાઇકોર્ટે પાસ નેતા હાર્દિક પટેલને આંચકો આપ્યો છે, હાર્દિક પટેલે રિપ્રેઝન્ટેશન ઓફ પિપલ્સ એક્ટ પ્રમાણે બે વર્ષની સજા થઇ હોય તે ચૂંટણી લડી શકે નહીં તે જોગવાઇ નડે નહીં અને વિના વિરોધે લોકસભાની ચૂંટણી લડી શકે તે માટે તેને વિસનગર કોર્ટે કરેલી બે વર્ષની સજાનો હુકમની ગુંચમાંથી બહાર નીકળવા અને સજા મોકૂફ રાખવા માટે હાઇકોર્ટ માં અરજી કરી હતી જો કે જસ્ટીસ આર.પી. ઢોલારીયાએ નોટ બીફોર મી કહીને અરજીને કાઢી નાખી હતી. હવે 15મી માર્ચે બીજા જજ સમક્ષ સુનાવણી થશે. અનામત માટે આંદોલન ચલાવી રહેલા પાસ નેતા હાર્દિક પટેલ કાઁગ્રેસમાં જોડાઇ ગયો હતો અને તેણે જામનગરથી લોકસભા ચૂંટણી-2019 લડવાની જાહેરાત કરી હતી અને રાહુલ ગાંધીએ હાર્દિક ચૂટંણી જીતશે તેવો દાવો પણ કર્યો હતો પણ હવે હાર્દિક કાયદાકીય રીતે ગુંચવાયો છે.
આ કેસ એવો હતો કે,પાટીદાર અનામત આંદોલન દરમિયાન જુલાઇ-2015માં તેની સામે વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં કરવામાં આવેલી તોડફોડ મામલે વિસનગર કોર્ટે હાર્દિક પટેલ, લાલજી પટેલ, અને એ.કે.પટેલને કલમ 120/બી, (કાવતરૂ), કલમ 435 આગ લગાવવી, કલમ 427 જાહેર સંપત્તિને નુકશાન, કલમ 143, 147, 148 રમખાણના ગુનામાં દોષિત જાહેર કરીને દરેકને બે વર્ષની જેલની સજા તેમજ રૂપિયા 50-50 હજારનો દંડ ફટકાર્યો હતો ત્યાર બાદ કોર્ટે તમામ આરોપીને જામીન પર મુક્ત કર્યા છે.