CIA ALERT

સૌરાષ્ટ્ર Archives - Page 56 of 59 - CIA Live

April 10, 2019
congressMLa.jpg
1min5030
પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંતર્ગત ખરીફ પાક મગફળી માટે વીમા કંપનીઓએ 22 થી 49.40 ટકા સુધીનું પ્રીમીયમ ખેડૂતો પાસેથી ઉઘરાવીને નફો કર્યો છે પરંતુ ખેડૂતોને તેના રૂપિયા હજુ મળ્યા નથી, તેથી કોંગ્રેસના 3 ધારાસભ્યેએ આ મામલે સરકાર સામે મોરચો માંડયો છે.’ પાક વીમાની વિસંગતતાઓના હિસાબની માગણી સાથે કોંગ્રેસના 3 ધારાસભ્યો બ્રિજેશ મેરજા, ચિરાગ કાલરીયા અને ઋત્વિક મકવાણા કૃષિભવનમાં કૃષિ નિયામકની કચેરીમાં જ ધરણા પર બેઠા છે.
કોંગ્રેસના આ ત્રણેય ધારાસભ્યો આખી રાત ધરણા પર બેઠા’ હતા અને હજી પણ આ ઘરણા ચાલુ જ હોવાનું જાણવા મળે છે. કૃષિ નિયામક પાક વીમાની રકમની ચૂકવણીનો હિસાબ આપે પછી જ ધરણા પરથી ઉઠશે તેવું કોંગ્રેસના ધારાસભ્યોએ જણાવ્યુ હતું.
ખેડૂતોના નિષ્ફળ ગયેલા પાક વીમાની ચૂકવણી બેન્કો દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં સરકારે તાલુકાઓ ગત ચોમાસાની સીઝનમાં અસરગ્રસ્ત જાહેર કર્યા હતા. તેવા તાલુકાઓમાં ઝીરો ટકા પાક વીમો આપવામાં આવતા ખેડૂતો રોષે ભરાયા છે. ખેડૂતોને અલગ અલગ ટકા પાક વીમો ચૂકવવાતા ખેડૂત સંગઠનો રોષે ભરાયા છે ત્યારે ખેડૂતોને ન્યાય અપાવવાની માગણી સાથે આ ત્રણેય ધારાસભ્યોએ રાતભર મોરચો માંડયો હતો.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા કૃષિભવનમાં કોંગ્રેસના ધારાસભ્યોને મળવા પહોંચ્યા હતા. આ મામલે અમિત ચાવડાએ કહ્યું કે, સરકાર કોંગ્રેસના ધારાસભ્યો અને ખેડૂતોની વાત નહીં સાંભળે તો કૃષિ અગ્ર સચિવથી લઇને રાજ્યપાલ અને લોકઅદાલત સુધી આ મુદ્દો લઇ જવામાં આવશે. ખેડૂતોની વાત નહીં સાંભળવામાં આવે તો ગામડાઓમાં ભાજપના નેતાઓની પ્રવેશબંધી કરાવવાની ચીમકી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આપી છે.
April 10, 2019
modihai.jpg
1min9070

 

ગુજરાતમાં આગામી તા. 23મી એપ્રિલે લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા રાજ્યના અનેક જિલ્લાઓમાં ચૂંટણી સભાઓ સંબોધવાની દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક રાષ્ટ્રીય નેતાઓ રાજ્યના ચૂંટણી પ્રવાસની શરૂઆત કરી દીધી છે. બુધવારથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી જૂનાગઢ અને સોનગઢમાં ભાજપની જંગી ચૂંટણીસભાને સંબોધશે. નરેન્દ્ર મોદીનો લોકસભાનીચૂંટણીના પ્રચારનો વ્યસ્ત શિડયુલને કારણે આણંદ લોકસભા મતક્ષેત્રમાં ચૂંટણી પ્રચાર કાર્યક્રમ છેલ્લી ઘડીએ રદ થયો હતો જ્યારે નરેન્દ્ર મોદીની સુરક્ષામાં 1300 જેટલા જવાનો ખડે પગે ફરજ બજાવશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે એક દિવસના ચૂંટણી પ્રવાસે આવી રહ્યા છે. જૂનાગઢમાં એક જાહેરસભાને સંબોધ્યા બાદ બપોરે સોનગઢમાં પણ એક જાહેરચૂંટણીસભા સંબોધશે. આ સિવાય સૌરાષ્ટ્ર અને આદિવાસી વિસ્તારમાં પણ પીએમ મોદી સભાઓ ગજાવશે. પીએમ મોદી ગુજરાતના મહેમાન બનવાના હોવાથી તેમને આવકારવા માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સાથે પીએમ મોદી જે સ્થળે જનસભાઓ સંબોધવાના છે તે જગ્યાએ રાજ્યના ગૃહ ખાતા દ્વારા 1300 જેટલા પોલીસ કર્મચારીઓને સઘન સુરક્ષાના બંદોબસ્તમાં ખડે પગે ચૂંટણી બંદોબસ્તમાં રાખવામાં આવ્યા છે. ત્યારબાદ આગામી તા. 17મી એપ્રિલે તેઓ આણંદ સહિત સૌરાષ્ટ્રમાં પ્રચાર અભિયાનને આગળ ધપાવશે એમ પ્રદેશ ભાજપ તરફથી જણાવાયુ હતું. અગાઉ આણંદ લોકસભા મતક્ષેત્રના ઉમેદવાર મિતેષ પટેલના પ્રચાર માટે વલ્લભ વિદ્યાનગરમાં 10 એપ્રિલની સવારે વલ્લભ વિદ્યાનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા યોજવાનો કાર્યક્રમ તૈયાર થયો હતો, પરંતુ તેમના અત્યંત વ્યસ્ત શિડયુલને કારણે હવે આ સભા તા.17મી એપ્રિલ પર મુકરર કરવામાં આવ્યો હતી. વડા પ્રધાન મોદી તા.17મી એપ્રિલે મધ્ય ગુજરાત ઉપરાંત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં પણ ભાજપના પ્રચાર અભિયાનને આગળ વધારે તેના કાર્યક્રમો તૈયાર થઈ રહ્યા છે.

April 9, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5290

શહેરની એક હોમિયોપેથિક મેડિકલ કૉલેજમાં એક પ્રોફેસરે વિદ્યાર્થિનીની છેડતી કરી હોવાના આક્ષેપ બાદ કોલેજના વિદ્યાર્થીઓએ કોલેજ કેમ્પસમાં એકઠા થઈ હંગામો મચાવ્યો હતો જેના પગલે કૉલેજના સંચાલકોને પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. જોકે પ્રોફેસરે લાગેલા તમામ આક્ષેપો પાયાવિહોણા ગણાવ્યા હતા તેમ જ તમામ સહકાર આપવાની વાત કરી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટના ગોંડલ રોડ પર એક હોમિયોપેથિક કૉલેજની વિદ્યાર્થિનીઓ ભક્તિનગર પોલીસ સ્ટેશન પહોંચી હતી ત્યાં છેડતીનો ભોગ બનેલી વિદ્યાર્થિનીએ કૉલેજના એક પ્રોફેસર વિરુદ્ધ છેડતીના આરોપ સહિત આખી ઘટના જણાવી હતી તે પહેલા આ ઘટના સામે આવ્યા બાદ હોમિયોપેથિક કૉલેજમાં વિદ્યાર્થિનીઓએ શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રગટ કયો હતો જેમાં કૉલેજના સંચાલકો દોડી આવી સમાધાન માટેના પ્રયાસો હાથ ધર્યા હતા. યુવતી તેમ જ તેના માતાપિતાને પ્રોફેસર સામે કાયદેસરની ફરિયાદ કરવી હોય તો તે માટેની સમજ આપી હતી અને કૉલેજ પણ આવી ફરિયાદ મળ્યાં બાદ તપાસ કરી રહી છે. જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી પ્રોફેસરને કૉલેજમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. જો કે પ્રોફેસરે કહ્યું હતું કે હું શરૂઆતથી કૉલેજ સાથે જોડાયેલો છું. મારા પર જે આક્ષેપ થયા છે તે પાયોવિહોણા છે. ટ્રસ્ટીઓએ મને કૉલેજના શિસ્તપાલનની જવાબાદરી આપી છે. આ દરમિયાન કોઈ વિદ્યાર્થિનીને ખોટું લાગી આવતા આવો ખોટો આક્ષેપ કર્યો છે. જો મારી સામે કાયદેસરની કાર્યવાહી થશે તો હું તપાસમાં સંપૂર્ણ સહકાર આપીશ. કૉલેજ તરફથી મને કોઈ સૂચના આપવામાં આવી નથી. હાલના તબક્કે વાલીઓ સાથે પણ મારે કોઈ વાતચીત નથી થઈ. આ મુદ્દે વાતચીતથી સમાધાન આવી શકે છે. મારી તબિયત બરાબર ન હોવાથી હું કૉલેજ ગયો નથી.

April 8, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5130

ભાવનગરના સિન્ધુનગર રસાલા કેમ્પમાં રહેતા અને શાકમાર્કેટમાં શાકભાજીના હોલસેલ વેપાર સાથે સંકળાયેલા સિંધી વેપારી વિજયભાઈ ગુરુમુખભાઈ સાહિત્યના પુત્ર ચિરાગ વિજયભાઇ સાહિત્ય (ઉ.વ.૧૬) વાળાનું રસાલા કેમ્પ ખાતેથી અપહરણ કરવામાં આવ્યું હતું. પોલીસે ગણતરીના કલાકોમાં કેસ ઉકેલી નાંખતા અપહ્યતને હેમખેમ છોડાવ્યો અને અપહરણકર્તાઓને ઝડપી પાડ્યા હતા.

અપહરણ કર્યા બાદ વેપારીના દિકરા ચિરાગના મોબાઇલ ફોન ઉપરથી એક કરોડની ખંડણી ચિરાગના પિતા વિજયભાઇ પાસે માંગી હતી.  વિજયભાઈએ પોલીસને આ બાબતથી વાકેફ કર્યા હતા.

કેસની ગંભીરતાને ધ્યાને લઈ નાયબ મહાનિરીક્ષક તથા ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક તથા નાયબ પો.અધિ.ના માર્ગદર્શન હેઠળ અપહૃત બાળકના અપહરણકર્તાઓને પકડી પાડવા ભાવનગર નીલમબાગ પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. તથા એલ.સી.બી તથા એસ.ઓ.જી. શાખા વગેરેને સૂચના આપવામાં આવી હતી.

ભાવનગર પોલીસે સંકલન સાધતા ટેકનિકલ સેલ તથા બાતમીદારોથી મળેલી માહિતીઓના આધારે, નીલમબાગ પોલીસ, તથા લોકલ ક્રાઇમ બ્રાંચ તથા એસ.ઓ.જી. દ્વારા સંકલનથી જુદી જુદી ટીમો બનાવી હતી.

પોલીસે સરદારનગર સીન્ધુનગર ખાતે નવજુવાન મંડળ પાસે જમણવારમાં અપહૃત બાળકના અપહરણકર્તાઓ હોવાની હકીકત મળતા પોલીસે ઘટના સ્થળે ધસી જઇને રેડ કરી હતી. જેમાં નવજુવાન મંડળથી અપહરણકર્તાઓને ઝડપી પાડ્યા હતા જેમાં અપહરણકર્તા જયેશ મુલચંદભાઇ ચેતવાણી (ઉ. વ. ૨૨) તથા કિશન અશોક લોયડા (ઉ. વ. ૨૧) તથા પ્રશાંત ઉર્ફ પ્રભુ ભુદેવ રસિકભાઈ પાઠક (ઉ. વ.૩૨) તથા મોહિત મનોજભાઈ ગેહીજા ભાવનગરવાળાઓની આ ગુનામાં ધરપકડ કરી, નીલમબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે આગળની તપાસ હાથ ધરી હતી. આમ પોલીસે અપહરણકર્તાઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધા હતા.

April 7, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5150

ગોંડલમાં હજુ 19 દિવસ પહેલા જન્મેલી બાળા ખૂબ રાડારાડ કરતી હોવાથી તબીબે લખી આપેલી દવામાં બાળકીના દાદીએ ઝેરી દવા ભેળવી દેતા આ ઝેરી દવા બાળકી રડતા માતા-પિતા તેને પીવડાવતા દીકરી શાંત થવાને બદલે વધુ રડવા માંડતા પિતાએ તેને તેડતાં મોઢામાંથી મોનોકોટો દવાની વાસ આવતાં તાત્કાલિક ગોંડલ ખાનગી હૉસ્પિટલમાં અને ત્યાં તબિયતમાં સુધારો ન થતાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલના કે. ટી. ચિલ્ડ્રન વિભાગમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ગોંડલ શહેરમાં રહેતા કેતનના લગ્ન મૂળ મહારાષ્ટ્રની સંગીતા સાથે સાડા ચાર વર્ષ પહેલા થયા હતા. સંતાનમાં એક ત્રણ વર્ષની દીકરી ત્રિશા હતી અને19 દિવસ પહેલા પત્નીને બીજી દીકરીને જન્મ આપ્યો હતો. તેનું નામ કિંજલ પાડ્યું હતું. કિંજલ કજિયા કરે તો તેને આપવા માટેની દવા ડૉક્ટરે લખી આપી હોય તે ઘરમાં રાખી હતી. આ દવા કિંજલ રડતા આપવામાં આવી હતી. દવા આપ્યા બાદ કિંજલની તબિયત અચાનક ખરાબ થઈ જતા તેને પ્રથમ ગોંડલની ખાનગી હૉસ્પિટલમાં અને ત્યાર બાદ વધુ સારવાર અર્થે રાજકોટની સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ કિંજલને તબીબે આપેલી દવામાં સાસુએ કોઈ ઝેરી પદાર્થ ભેળવ્યો હોવાની શંકાને લઈ આક્ષેપ કરવામાં આવ્યો હતો. ઘટનાને પગલે પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી.

April 6, 2019
fraud.jpg
1min6570
જૂનાગઢના 9 જેટલા ખાદ્યતેલોના વેપારીઓએ આચર્યું કરોડોનું કૌભાંડ: ગોંડલ બાદ બીજો બનાવ
જીએસટી વિભાગે નવા નાણાકિય વર્ષના આરંભ સાથે જ બોગસ બિલીંગ વડે છેતરપીંડી આચરનારા તત્વો સામે કાર્યવાહી આદરી છે. અગાઉ ગોંડલમાં ખાદ્યતેલોના વેપારના ખોટા બિલો વડે કૌભાંડ રચાયા પછી આજે જૂનાગઢના ખાદ્યતેલના કુલ નવ વેપારીઓને ઝપટમાં લઇને 227.80 કરોડના બોગસ બિલો બનાવવાના વ્યવહારોને પકડી પાડવામાં આવ્યા હતા. જૂનાગઢના આ વેપારીઓએ બોગસ ઇ વે બિલ બનાવીને માલ મોકલાતો હોવાનું બતાવ્યું હતુ.
જીએસટી વિભાગ પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે સવારથી જ અધિકારીઓનો કાફલો જૂનાગઢના તેલિબિયાંના વેપારીઓ અને તેની સાથે સંકળાયેલા વેપારીઓને ત્યાં ત્રાટક્યો હતો. તપાસમાં ફક્ત ઇ વે બિલ જનરેટ કરતા હોવાનું સામે આવ્યું હતુ. પેઢીના જે માલિકો દર્શાવવામાં આવ્યા છે તેના પાન નંબરનો દુરુપયોગ કરીને જીએસટી નંબર પણ અન્ય વ્યક્તિઓ દ્વારા મેળવાયા હોવાની માહિતી વિભાગ દ્વારા આપવામાં આવી હતી.
જીએસટી વિભાગે કહ્યું હતુ કે, જૂનાગઢની નોબલ એન્ટરપ્રાઇઝ દ્વારા સૌથી વધુ 42.50 કરોડની રકમના બોગસ ઇ વેબિલ જનરેટ કરવામાં આવ્યા હતા. એ સિવાય રિલાયેબલ એન્ટરપ્રાઇઝના 42.36 કરોડ, વેદાંતના 34.50 કરોડ, પરિમલ એન્ટરપ્રાઇઝના 5.68 કરોડ, પેરેડાઇઝ એન્ટરપ્રાઇઝના 22.80 કરોડ, ક્લાસિક ટ્રેડર્સના 25.10 કરોડ, આલ્ફા ટ્રેડિંગના31.52 કરોડ, પૂજા ટ્રેડિંગના 7.59 કરોડ અને સમર્થ એન્ટરપ્રાઇઝના 15.76 કરોડના બોગસ ઇ વેબિલ જનરેટ કરવામાં આવ્યા હતા.
April 4, 2019
saurashtra.png
1min6080
અમરેલીમાં ધાનાણી, સુરેન્દ્રગરમાં સોમા પટેલ, રાજકોટમાં કગથરા, પોરબંદરમાં વસોયા અને જૂનાગઢમાં પૂંજા વંશ મેદાનમાં, 
જો ઉમેદવાર લોકસભા ચૂંટણી જીતે તો વિધાનસભાની પેટાચૂંટણી આવે
લોકસભાની આ વખતની ચૂંટણીમાં ભાજપ અને કેંગ્રેસ બન્ને માટે ગુજરાતમાં ઉમેદવારોની પસંદગી લોઢાના ચણા ચાવવા સમાન બની રહી હતી. અલબત્ત, ભાજપે શરૂઆતી યાદીમાં જ 1પ ઉમેદવારોને રિપિટ કરતાં કેંગ્રેસ માટે ઉમેદવારોની પસંદગી મુશ્કેલ બની હતી. ફોર્મ ભરવાના આગલા દિવસ સુધી કેંગ્રેસ માટે ઉમેદવારોની કશ્મકશ ચાલી હતી. સૌરાષ્ટ્રની વાત કરીએ તો આ પ્રદેશની સાત બેઠકમાંથી પાંચ બેઠક ઉપર કોંગ્રેસે પાંચ ધારાસભ્યોને લોકસભા ચૂંટણી લડવા મેદાનમાં ઉતાર્યા છે.
રાજકોટમાં ભાજપે મોહનભાઈ કુંડારીયાને રિપિટ કરતાં કેંગ્રેસ માટે આ મહત્ત્વની બેઠક ઉપર વજનદાર ઉમેદવારની મથામણ વધી હતી. કેંગ્રેસે રાજકોટ લોકસભા બેઠક ઉપર ટંકારાના ધારાસભ્ય લલિત કગથરાને મેદાનમાં ઉતાર્યા છે. કેંગ્રેસે ભાજપના કડવા પટેલ ઉમેદવારને ધ્યાનમાં રાખીને જ્ઞાતિવાદી સમીકરણ ધ્યાનમાં રાખ્યું છે.
એવી જ રીતે પોરબંદર બેઠક માટે ભાજપને પણ મૂંઝવણ હતી. વિઠ્ઠલભાઈ રાદડિયા બિમાર હોવાથી યોગ્ય ઉમેદવારની શોધ લાંબો સમય ચાલી હતી અને અંતે આ બેઠક માટે ઓછા જાણીતા ચહેરા રમેશ ધડૂકને ભાજપે ટિકિટ આપી હતી. અલબત્ત, કેંગ્રેસે આ બેઠક ઉપર ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાને પોરબંદર લોકસભાની ટિકિટ આપી છે. સુરેન્દ્રનગરની વાત કરીએ તો ભાજપે કેટલાક દિવસો પહેલાં હૃદયરોગના નિષ્ણાત ડૉ.મહેન્દ્ર મુંજપરાને ટિકિટ ફાળવ્યા બાદ કેંગ્રેસ કોને ટિકિટ આપશે, તેના ઉપર સૌની નજર હતી. શામજીભાઈ ચૌહાણનું નામ ચર્ચાતું હતું પણ તેમને કેંગ્રેસ તરફથી અન્યાય થતો હોવાનું જણાતાં તે ભાજપમાં જોડાઈ ગયા હતા. એટલે કેંગ્રેસે લીમડીના ધારાસભ્ય અને સુરેન્દ્રનગર પંથકના કદાવર નેતા સોમાભાઈ ગાંડાભાઈ પટેલને ટિકિટ આપી છે.
2017માં વિધાનસભાની ચૂંટણીમાં અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ વિસ્તારમાં ભાજપનો સફાયો થઈ ગયો હતો અને તમામ બેઠકો કોંગ્રેસે હસ્તગત કરી હતી. આ વખતે કેંગ્રેસે ઉમેદવારોની પસંદગીમાં ઉતાવળ કરી નથી અને સમજી વિચારીને ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. જૂનાગઢ બેઠક માટે ભાજપનું કોકડું ગૂંચવાયેલું હતું પણ એ પહેલાં કેંગ્રેસે ઊનાના ધારાસભ્ય અને કોળી સમાજના આગેવાન પૂંજાભાઈ વંશને લોકસભા ચૂંટણીના મેદાન-એ-જંગમાં ઉતાર્યા છે.
પાટીદાર સમીકરણની દ્રષ્ટિએ અમરેલીની બેઠક મહત્ત્વની છે. અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીનું કેંગ્રેસમાં કદ વધી ગયું છે અને હાલમાં વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પણ છે. ભાજપે અમરેલીમાં નારણભાઈ કાછડીયાને ટિકિટ આપ્યા બાદ કેંગ્રેસ મગનું નામ મરી પાડતો નહોતો. અંતે ગઈકાલે પરેશ ધાનાણીના નામની જાહેરાત થઈ હતી. આમ, સૌરાષ્ટ્રની સાતમાંથી પાંચ બેઠક ઉપર કેંગ્રેસે ધારાસભ્યોને મેદાનમાં ઉતાર્યા છે. જો આમાંથી જે ઉમેદવાર જીતે તો નજીકના ભવિષ્યમાં વિધાનસભાની પેટા ચૂંટણી કરવી પડે.
April 3, 2019
ashok_adhewada_mp.jpg
1min15780

જયેશ બ્રહ્મભટ્ટ

સુરત સંસદીય મત વિસ્તાર કે જેને ભાજપાનો ગઢ માનવામાં આવે છે અને કાશીરામ રાણી અને એ પછી દર્શના જરદોષ વિક્રમી સરસાઇથી જીત્યા છે. દર્શના જરદોષ માટે કહેવાય છે કે ભારતમાં ઇન્દીરા ગાંધી હાઇએસ્ટ અને એ પછી બીજા નંબરની સૌથી વધુ સરસાઇ ધરાવતા મહિલા સાંસદનું શ્રેય સુરતની બેઠક પરથી ધરાવી રહ્યા છે. આ બેઠક પર કોંગ્રેસે મૂળ સૌરાષ્ટ્રવાસી અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા અશોક અધેવાડા (સાસપરા)ને ટિકીટ આપી છે. જોકે, મિડીયા અહેવાલો મુજબ હજુ તેમને કોંગ્રેસના સંભવિત ઉમેદવાર જ ગણાવાય રહ્યા છે કેમકે કોંગ્રેસના ઉમેદવારનો સત્તાવાર મેન્ડેટ હજુ સુધી તેમની પાસે પહોંચ્યો નથી.

 

અશોક અધેવાડાના ફેસબુક વોલ પર નજર કરી તો જાણવા મળ્યું કે તેમનો જન્મદિન તા.23મી મે 1973 છે. આ વખતે 2019માં 23મી મે ભારતમાં લોકસભાની ચૂંટણીની દેશવ્યાપી મતગણના યોજવાની છે. અને 23મી મે 2019ના રોજ કોંગ્રેસી ઉમેદવાર અશોક અધેવાડા તેમનો 46મો જન્મદિન પણ મનાવશે. હવે આ જન્મદિને તેમને ગુડ ન્યુઝ મળે છે કે બેડ ન્યુઝ એ તો સમય બતાવશે.

સુરત બેઠકના કોંગી ઉમેદવાર અશોક અધેવાડાની ફેસબુક વોલ પર આ ફોટો છે જે વર્તમાન સમયમાં સૂચક છે. એક તરફ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડવા માટે સ્થાનિક નેતાઓમાં કોઇ તૈયાર ન હતું. કોંગ્રેસના વિપક્ષી નેતા પપનભાઇ તોગડીયાએ પણ કહેવાય છે કે ચૂંટણી લડવાની ઓફર ફગાવી દીધી હતી, એવા સમયમાં અશોક અધેવાડાએ હા પાડી અને તેમને ટિકીટ મળી છે. કોંગ્રેસીઓ એવું માની રહ્યા છે કે સુરત બેઠક પર પરીણામ કોંગ્રેસની ફેવરમાં આવે તેવું કોઇ પરિબળ કામ કરી રહ્યું નથી.

સંસદમાં તો ક્યારના પહોંચી ચૂક્યા છે અશોકભાઇ અધેવાડા

તસ્વીર અશોકભાઇ સાસપરાના ફેસબુક અકાઉન્ટની છે. તેઓ હાલમાં સાંસદ બનવા માટેની ચૂંટણી લડી રહ્યા છે. સાંસદ બનીને જ્યાંથી દેશ ચલાવવાનો હોય છે એ સંસદ ભવનમાં તેઓ અગાઉ મુલાકાતે ગયા હતા, એ વેળાની મેમોરેબલ તસ્વીર

April 3, 2019
water.jpeg
1min7070

રાજકોટ સિવાય મોટા ભાગના સૌરાષ્ટ્રમાં બે-ત્રણ દિવસે એક વખત પાણી આપવાનું શરૂ થઇ ચૂક્યું છે

એક તરફ સૌરાષ્ટ્રમાં ચૂંટણીની ગરમી અને ઉનાળાની ગરમી જોવા મળી રહી છે, અને બહુમતિ લોકોમાં આ બન્ને મુદ્દાઓ પર ભારે ચર્ચા છેડાયેલી જોવા મળે છે પરંતુ, સૌરાષ્ટ્રમાં સૌથી વિકટ ઉનાળો દસ્તક દઇ રહ્યો છે તેના પરત્વે લોકો સાવ અજાણ બની રહ્યા છે. સૌરાષ્ટ્રમાં ઉનાળો શરૂ થતાં જ અભૂતપૂર્વ જળસંકટ ઉદભવ્યું છે. સૌરાષ્ટ્રના આઠ જિલ્લાના 103 જળાશયો પૈકી 90 જળાશયો સાવ તળિયાઝાટક થઈ ગયા છે. સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટને બાદ કરતાં આઠેય જિલ્લાના મુખ્ય મથકો પર બે-ત્રણ દિવસે માત્ર એક વાર પાણી વિતરણ થઈ રહ્યું છે. જળાશયો તળિયાઝાટક થઈ જતાં સૌથી વધુ કફોડી સ્થિતિ ગામડાંઓની થઈ છે. હજુ તો ઉનાળો શરૂ જ થયો છે ત્યાં 350થી વધુ ગામડાંઓમાં ટેન્કર દોડાવવાનો વારો આવ્યો છે.

સૌરાષ્ટ્રમાં સૌની યોજના અંતર્ગત રાજકોટના આજી ડેમ ઉપરાંત, જામનગરના રણજીતસાગર ડેમમાં નર્મદાના નીર ભરવામાં આવ્યા છે અને હજુ ચોમાસાને ચાર મહિનાની વાર છે ત્યારે હાલ આઠ જિલ્લાના 90 જેટલા નાના મોટા ડેમ ખાલીખમ થઈ ગયા છે.

સૌરાષ્ટ્રના લોકો દ્વારા આ 90 ડેમને સૌની યોજના દ્વારા ફરીથી પાણી છલોછલ કરવા તંત્ર પાસે માગ કરવામાં આવી રહી છે. ઉનાળાની શરૂઆતમાં ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના સ્ત્રોત ખાલીખમ થવા લાગ્યા છે, ત્યારે ખેતીને પણ ભારે નુકસાન થવાની દહેશત ઊભી થઈ છે. જે જળાશયોમાં પાણી બચ્યું છે તે પણ વધુમાં વધુ એક માસ ચાલે તેટલું જ છે.

જામનગર-જૂનાગઢમાં આંતરા દિવસે પીવાનું પાણી આપવામાં આવી રહ્યુ છે .જ્યારે રાજકોટમાં પ્રતિદિન 20 મિનિટ અને 17 ગામડાંમાં ટેન્કરથી પાણી વિતરણ અત્યારથી શરૂ કરી દેવામાં આવ્યુ છતાં લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળતું ન હોવાની ફરિયાદો ઊઠી રહી છે. તેમ જ પોરબંદર 3 દિવસે 30 મિનિટ અને પાંચ ગામડાંમાં ટેન્કરથી પાણી વિતરણ કરાય છે. મોરબી એકાંતરે અડધી કલાક જ્યારે ત્યાંના 14 ગામડામાં ટેન્કરથી પાણી વિતરણ કરવામાં આવે છે. આ ઉપરાંત વેરાવળ, જૂનાગઢ, અમરેલી, જામનગર અને ખંભાળિયામાં ત્રણ દિવસે પાણી હાલમાં મળી રહે છે. ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના પોકારો શરૂ થતાં બે-ત્રણ દિવસે ટેન્કરો દોડાવવાના શરૂ કરી દેવાયા છતાં પીવાનું પાણી ગામડાઓમાં પૂરતું મળતું નથી. લોકો પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે.

April 2, 2019
morbi.jpg
1min16560

મોરબીમાં 16 સિરામિક કંપની દ્વારા 17.76 કરોડની કર ચોરી, બી ડિવિઝન પોલીસે મોરબીની 16 સીરામીક કંપનીના માલિકો સામે છેતરપીંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી : રાજકોટ વાણિજય વેરા વિભાગ દ્વારા ફરિયાદ !

મોરબીમાં 16 સીરામીક કંપનીઓને ટેક્સ ચોરીથી બચવા ખોટી વેપારી પેઢી બનાવીને કરોડોની ટેકચોરી કરવાનું ભારે પડયું હતું.16 સીરામીક કંપનીઓએ વેરો ન ભરવો પડે તે માટે ખોટી વેપારી પેઢી ઉભી કરી તેનું ઇમેઇલ આઈડી બનાવી તેના આધારે રૂ.98.93 કરોડની ટાઇલ્સ બરોબર વેચી નાખી હતી. જો કે જીએસટી વિભાગની તપાસમાં રૂ.17.76 કરોડની ટેક્સ ચોરી થઈ હોવાનું બહાર આવતા આ મામલે 16 સીરામીક કંપનીઓ સામે ઠગાઈની બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઇ છે.
મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાંથી મળતી વિગતો અનુસાર રાજકોટના વાણિજ્ય વેરા વિભાગના અધિકારી વિનોદભાઈ મગનભાઈ મકવાણાએ મોરબીની સીરામીક કંપની રાજન ટાઇલ્સ, લેરિકસ સીરામીક, ઓમકાર સીરામીક, વિનસેલ સીરામીક, હેસ્ટન સીરામીક, ડેલફાઇન સીરામીક, લેવોર્ડ સીરામીક, વિલિયમ્સ સીરામીક, વોલગોસ સીરામીક, કલાસીસ સીરામીક, કુમકુમ સીરામીક, સેલોની સીરામીક, સેમ્સ સીરામીક, ક્રિષ્ના સીરામીક, કેરોન સીરામીક, મોસ્કો સીરામીક એમ મળીને કુલ 16 સીરામીક કંપનીઓના માલિકો સામે રૂ.17.76 કરોડની ટેક્સ ચોરી કરીને છેતરપીંડી કર્યાની બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ આ 16 સીરામીક કંપનીના માલિકોએ વેરો ન ભરવો પડે તે માટે કાવતરું રચી ખોટી સીરામીક પેઢી બનાવી હતી.
ખોટી સીરામીક પેઢીના આધારે તે પેઢીના નામનું ખોટું ઇમેઇલ આઈડી બનાવ્યું હતું અને આ ઈમેલ મારફતે પોતાના ડોક્યુમેન્ટ તથા ફોટોગ્રાફ અપલોડ કરી મોરબીના સેવાસદન ખાતે વાણિજ્ય વેરા વિભાગની કચેરીમાંથી જી.એસ.ટી.નો નંબર મેળવી લીધો હતો.
જીએસટીના નંબરના આધારે આરોપીઓ કુલ 3852 ઇવે બિલ જનરેટ કરાવી નાખ્યા હતા.આથી વેરા વિભાગના અન્ય અધિકારી બી.પી.ત્રિવેદીએ આ બાબતની તપાસ કરતા 16 સીરામીક કંપનીઓએ વેરાથી બચવા ખોટા પુરાવાના આધારે રૂ.98.93 કરોડની ટાઇલ્સ બારોબર વેચીને એસ.જી.એસ.ટી. અને યુ.જી. એસ.ટીના રૂ.17.76 કરોડ નહિ ભરપાઈ કરીને ઠગાઈ કર્યાનું બહાર આવ્યું હતું .બી ડિવિઝન પોલીસે મોરબીની 16 સીરામીક કંપનીના માલિકો સામે છેતરપીંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.