કેબિનેટ બેઠક દરમિયાન ગુજરાતમાં થયેલી અતિવૃષ્ટિને કારણે ખેતીમાં થયેલા નુકસાન અંગે ચર્ચા કરવામાં આવી હતી અને વીમા કંપની આગામી ૧૦ દિવસમાં સર્વેની કામગીરી પૂરી કરશે, ઉપરાંત જે ખેડૂતોએ વીમો નથી લીધો તેમને પણ કેન્દ્ર સરકારની યોજના પ્રમાણે સહાય ચૂકવવામાં આવશે એમ કૃષિપ્રધાન આર.સી.ફળદુએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વર્ષે ગુજરાત પર કુદરતની અસીમ કૃપા રહી છે. રાજ્યમાં ૧૪૪ ટકા વરસાદ પડ્યો છે. ખેડૂતો પણ ઉમંગમાં હતા, પરંતુ અંતિમ સમયમાં ખેડૂતો પાક લેવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે અકુદરતી વરસાદ પડતા ખેડૂતોને નુકસાન થયું છે. અનેક જગ્યાએ અતિવૃષ્ટિની પરિસ્થિતિ ઊભી થઈ છે. આ દરમિયાન રાજ્ય સરકારે ચારેય કંપનીઓને બોલાવીને ખેડૂતોને ‘પ્રધાન ફસલ બીમા યોજના’ની માર્ગદર્શિકા પ્રમાણે વળતર આપવાની સૂચના આપી છે. કૃષિ વિભાગના કર્મચારીઓ તરફથી પણ સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. સર્વેની કામગીરી દરમિયાન ખેડૂતો વીમા કંપનીઓને ફોનથી ફરિયાદ કરતા હતા. આ સમયે તમામ ખેડૂતોના ફોન કોલ લેવામાં આવતા ન હોવાની, તેમજ ફરિયાદ કરવા માટેનો સમય ખૂબ ઓછો હોવાની પણ ફરિયાદ ઊઠી હતી. આથી રાજ્ય સરકારે ખેડૂતોની લેખિતમાં પણ ફરિયાદ લેવાની સૂચના આપી છે. ગુરુવારે કેબિનેટમાં થયેલી ચર્ચા પ્રમાણે ચારેય કંપનીઓએ ૧૦ દિવસમાં સર્વેની કામગીરી પૂરી કરવાની રહેશે. પછીના ૧૫ દિવસમાં ગણતરી કરીને ખેડૂતોને વળતર ચૂકવવાનું થશે. આ ઉપરાંત ગુજરાતના અમુક ભાગમાં ખેડૂતોએ વીમો નથી લીધો. આવા ખેડૂતોના પાકને ૩૩ ટકાથી વધારે નુકસાન થયું હશે તો તેમને કેન્દ્ર સરકારની યોજના પ્રમાણે વળતર ચૂકવવામાં આવશે તેમ જ અત્યાર સુધી સરકારને ખેડૂતો પાસેથી ૧.૫૭ લાખ અરજી મળી છે. જે પ્રમાણે ૨.૯૨ લાખ હેક્ટર વિસ્તારમાં ખેતીના પાકને નુકસાન થયું હોવાનું કહી શકાય, એમ તેમણે જણાવ્યું હતું.


















